રંગકર્મી અને કવિ સૌમ્ય જોશીનું નામ અત્યારે પ્રસિદ્ધિમાં છે, તે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’નાં ગીતો અને સંવાદોના લેખક તરીકે. પણ દિવાળી ટાણે આ સર્જક યાદ આવે છે, ‘મારું નામ ગણેશ વેણુગોપાલ’ નામની તેમની લાંબી કથાત્મક કવિતાને કારણે. સૌમ્યનાં એક માત્ર કાવ્યસંગ્રહ ‘ગ્રીનરૂમમાં’ (2008) વાંચવા મળતી આ કવિતાનું પેટાશીર્ષક છે ‘શિવાકાશીનાં ફટાકડાની ફૅક્ટરીથી આવેલો પત્ર’.
શિવાકાશી નામના તામિલનાડુનાં શહેરમાં આપણા દેશના 90 % ફટાકડાનું ઉત્પાદન થાય છે. તેનું લગભગ બધું કામ હાથથી થાય છે, મજૂરોમાં બહુ મોટો હિસ્સો બાળકો તેમ જ મહિલાઓનો હોય છે. કુલ દસેક લાખ કામદારોમાં ચૌદ વર્ષથી નીચેનાં પચાસ હજારથી વધુ બાળકો જોતરાતાં હોવાનો અંદાજ છે. મહેનતકશો આરોગ્યને જોખમકારક રાસાયણિક સામગ્રી વચ્ચે તો કામ કરે, તેમનું શોષણ પણ થાય છે, ધડાકા અને આગના અકસ્માતોમાં મોત પણ થતાં રહે છે. શિવાકાશીની ફૅક્ટરીઓ લાખો લોકોને મજૂરી અને કરોડો લોકોને મજા અપાવે છે એ વાત સાચી છે. પણ આતશબાજીના આનંદ પાછળ જાન લેવા જોખમ અને સરેઆમ શોષણના અભ્યાસો થયા છે, તેની સામે રજૂઆતો પણ થઈ છે. સર્વોચ્ચ અદાલતે દિલ્હી નૅશનલ કૅપિટલ રિજનમાં પર્યાવરણને નુકસાન નહીં કરનાર ગ્રીન ક્રૅકર્સ પણ વેચવાનાં નિર્દેશો આપ્યા છે. નવાઈની વાત એ છે કે અદાલતમાં થયેલી ફટાકડાનાં કારખાનામાં રિબાતાં બાળમજૂરો અંગે ભાગ્યે જ રજૂઆત થઈ છે. સૌમ્યની કવિતા જાણે એ બાળમજૂર વતી કરેલી રજૂઆત છે.
‘મારું નામ ગણેશ વેણુગોપાલ’ કવિતામાં ગણેશ કોઈ એક ‘સાહેબ’ને સંબોધીને પત્ર લખે છે જેમાં એ પોતાની, પરિવારની, ફટાકડાની ફૅક્ટરીમાંનાં તેના કામની અને તેની દોસ્ત બાલાજીની વાત લખે છે. ગણેશના ‘બાપાનું નામ વેણુગોપાલ કુટ્ટી, માનું બી નામ છે સરસ્વતી’. ભાઈ તિરુપતિ ‘એ બઉ નાનો છે એટલે કામે જતો નથી’. ગણેશ સાહેબને કહે છે કે ‘મારી ઉંમર 9 વરસની અથવા તો 11 વરસ જેટલી હશે’. મારું કામ કાગળિયામાં દારૂ ભરવાનું છે’. તેને કારણે તેના હાથના પંજાનો રંગ ‘સિલેટિયા’ છે, બાકીના હાથ અને બદનનો રંગ કાળો છે.
ફટાકડાની ફૅક્ટરીનો બાળમજૂર ગણેશ આગળ કહે છે :
આ કાગળ તમને એટલે લખું છું સાહેબ,
કે મારો એક દોસ્ત બી છે, બાલાજી.
એ એક મહિના પહેલાં મરી ગયો.’
ગણેશ હવે કવિતામાં દોસ્ત બાલાજીની વાત માંડે છે કે એ એનાથી ‘મોટો એટલે દસ અથવા બાર વરસ જેટલો હશે’. બાલાજી તેના સાથીદારોને ‘રાતે બઉ કામ હોય ને બઉ ઊંઘ આવતી હોય ત્યારે’ ‘વેંતિયાઓની મસ્ત વારતા કહેતો’. બાલાજી પોતે રચેલી એ વારતાઓ એના દાદાજીએ કહી છે એમ જૂઠ્ઠું બોલતો. એ હકીકત રામન, ગણેશ અને બીજાં ય બાળકો પણ જાણતા હતા પણ એમણે બાલાજીને કીધું નહીં કે એનું જુઠ્ઠું એમને ખબર છે. સૂચક છે કે એના દાદા બીજા બધાંના દાદાની જેમ એના જન્મ પહેલાં જ મરી ગયા હતા. ગણેશને પહેલાં દિવસે બાલાજીની ‘બાજુમાં બેસવાનું આયું’ બેઠો ત્યારે એણે જોયું કે ‘એ એકદમ ફાસ્ટ દિવેટો બનાવતો’તો’. ગણેશની નાકમાં પહેલી વાર દારૂની કચ્ચર ગઈ, આંખ બહુ બળી, એને ઠંડી ચડી, તાવ આવ્યો. ‘પછી સુપરવાઇઝર આયો ને મા પર ગાળ બોલ્યો’. ગણેશ રડવા જેવો થઈ ગયો, એણે બાલાજીને ખભે હાથ મૂકીને કહ્યું : ‘મારે એક દાદા છે ને એ મને વારતા કે’ છે’. થોડા દિવસ પછી ગણેશ પણ બાલાજીને ખભે હાથ મૂકવા લાગ્યો. ગણેશ સાહેબને પત્રમાં બાલાજી વિશે આગળ લખે છે :
એ એવું કહેતો કે આપણે ફૅકટરીમાંથી રોજ થોડો દારૂ ચોરીએ,
તો મોટા થઈએ ત્યાં સુધીમાં એક મોટો ગોળો બની જાય.
પછી એ ગોળાથી આપડે સુપરવાઇઝરને ઉડાઈ દઈશું અને સેઠને બી.
બાલાજી ગણેશને એવું કહેતો કે
એને હાથીના દાંતવાળા અને માંસ ન ખાય એવા સિંહનાં સપનાં આવે છે.
અને હાથમાંથી ચણ ખાય એવા મોરનાં સપનાં આવે છે.
અને લાકડીથી પૈડું દોડાઈને
એની પર બેસીને જંગલમાં જતો રહ્યો એવાં સપનાં આવે છે,
અને પરીઓનાંય.
ગણેશને જો કે કામનાં સપનાં આવતાં જે વાત બાલાજીને સાચી નહોતી લાગતી. પછી એ એવું કહેવા માંડ્યો :
કે પેલી બારીમાંથી કૂદીને આપડે બેય મોટાં શહેરમાં જતા રહીએ,
ત્યાં ઓછા કામના વધારે પૈસા મળે છે’.
પણ પત્રલેખક ના પાડે કારણ કે એને એનો ભાઈ અને એની મા બહુ ગમે છે.
પછી ‘ગયા મહિને એક સોમવારે અથવા રવિવારે બાલાજી મરી ગયો.’ એને તાવ આવ્યો હતો. એણે ગણેશને કીધું કે ‘તું મારું કામ કરી આપે તો હું 20 મિનિટ જેટલું સૂઈ આવું’. ગણેશે કહ્યું ‘કરી આપીશ’. એ આગળ વર્ણવે છે કે પછી આગ લાગી, બધા દોડવા માંડ્યા, એ ક્યાં સૂતો છે એની ગણેશને ખબર નહોતી :
‘મેં એને શોધ્યો’તો સાહેબ,
તમે કોઈની બી પૂછજો, હું છેલ્લો નીકળ્યો’તો.
પછી બધા રડ્યા, ઘરે ગયા. આખું અઠવાડિયું ફૅક્ટરી બંધ રહી ત્યારે ગણેશ ‘બઉ ઊંઘ્યો’. પછી ફૅક્ટરી ચાલુ થઈ એટલે ગણેશ ફૅક્ટરીએ જવા ઉપડ્યો એ વખતે મા-દીકરાએ એકબીજા સામે દયામણી નજરે જોયું. ફૅક્ટરીએ ફરી એક વાર બધા રડ્યા અને કામ ચાલુ થયું.
ગણેશ વધુમાં લખે છે :
પણ તમને કાગળ કેમ લખું છું કહુ સાહેબ ?
કાલે રાતે બાલાજી મારાં સપનામાં આયો.
અને એણે કહ્યું કે એ મર્યો નથી.
એણે કહ્યું કે આગ નજીક આઈ પણ સરસ સપનું ચાલતું’તુંને એટલે એને જાગવું નહોતું.
એ ઊંઘતો રહ્યો, ઊંઘતો રહ્યો.
ને જાગ્યો ત્યારે એ શહેરમાં હતો.
તમારા શહેરમાં સાહેબ.
બાલાજીને શહેર મસ્ત લાગ્યું. ઓછાં કામનાં વધારે પૈસા, રાતની સ્કૂલ, તેમાં રાતનું ખાવાનું, બે જોડી કપડાં ને બૂટ મફત. બાલાજી ‘મોટો થઈને શિક્ષક બનવા ઇચ્છે’ છે.
અને દિવાળીમાં આકાશમાં સાત ધડાકા ફૂટે એટલે એના ત્યાંના દોસ્તારોને કહે છે કે
‘આ ફટાકડો શિવાકાશીના ભઇબંધ ગણેશ વેણુગોપાલે બનાયો છે.’
એ હવે ગણેશને શહેરમાં બોલાવે છે જેથી કરીને એ બંને શિક્ષક બનીને ઘરવાળાને શહેરમાં લાવી શકે. ગણેશ લખે છે :
હવે મને ખબર નથી પડતી સાહેબ.
એટલે તમને કાગળ લખું છું.
એ સાચ્ચું કે’તો હોય તો હું સાચ્ચે ત્યાં આઈ જઉં.
તમે મને કાગળ લખીને કે’જો ને સાહેબ, કે એ ખરેખર ત્યાં છે કે નઈ ?
એ કે’ છે એવું હોય ને તો હું સાચે ત્યાં આવી જઈશ.
આવતી વખતે આગ લાગે ને ત્યારે હુંય ઊંઘતો જ રહીશ.
પણ એ જુઠ્ઠું બઉ બોલતો’તો સાહેબ ….
તમે મને કાગળ લખીને કે’જો ને સાહેબ, એ સાચું બોલતો’તો કે જુઠ્ઠુ ?
ખાસ કે’જો હોં સાહેબ …
હૅપ્પી દિવાલી
ગણેશ
સૌમ્યએ કહ્યું કે તેણે શિવાકાશી અને ત્યાં ફટાકડા બનાવતા બાળમજૂરોને તેણે જોયાં નથી, પણ ફટાકાડા ફૂટ્યા પછી તેમાંથી વિખરાયેલા કાગળના ટુકડા જોઈને તેને આ કવિતા સ્ફુરી. એ ટુકડા પર જે છપાયેલું હોય છે તે દક્ષિણની ભાષામાં હોય છે. અલબત્ત સંવેદનનાં સ્તરે તો એ વાત વીંધી ગઈ કે મોટાંનાં મનોરંજન માટે બાળકો આવું ભયંકર કામ કરે. આમ તો બાળકો રમકડાં વેચે એ પણ પૂરતી આઘાતજનક વાત હોય છે !
ગુજરાતી કવિતાના શોખીનોમાં દિવાળી પર ચન્દ્રવદન ચીમનલાલ મહેતાનાં ‘ઇલાકાવ્યો’માંથી ‘ઇલા, દિવાળી ! દીવડા કરીશું’ એવી પહેલી પંક્તિવાળી ભાઈ-બહેનનાં સ્નેહની, વેદનાની ઝાલરવાળી રચના યાદ કરવાનો રિવાજ છે. તે કવિતામાં બે પંક્તિ છે :
કેવા ફટાકા આ અહીં ફૂટે છે !
આ કાનના તો પડદા તૂટે છે.
કાનના પડદા ફાડી નાખે એવા ફટાકડા ફોડતી વખતે માણસ અનસિવિલાઇઝ્ડ – અસંસ્કારી બની જતો હોય છે. ભારતનાં બજારમાં આ વખતે ઍવેન્જર્સ ફિલ્મનો થૉર, ભારતીય સેનાના વિંગ કમાન્ડર અભિનંદન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામના બૉમ્બ બજારમાં છે. આ બધાં અતિશય મોટા ધડાકા કરનાર બૉમ્બ છે. બૉમ્બ પરનાં આવા હિરોઝનાં ચિત્રોની પછવાડે શિવાકાશીનાં સાચકલાં બાળમજૂરો હોય એ આપણે દિવાળીએ યાદ રાખશું ને ?
*******
24 ઑક્ટોબર 2019
[“નવગુજરાત સમય”, શુક્રવાર, 26 ઑક્ટોબર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની સંવર્ધિત તથા વિસ્તૃત રજૂઆત]