આદરણીય શિક્ષણમંત્રીશ્રી વાઘાણી સાહેબ,
નમસ્કાર.
એ સાચું છે કે શિક્ષણ મંત્રી તરીકે તમને વધુ સમય ન મળ્યો હોય ને જવાબદારીઓ વધુ હોય તો બોલવામાં વિવેક ન રહે, પણ ગરિમા જાળવવાનું તો મંત્રી પાસેથી અપેક્ષિત છે ને જો તે શિક્ષણ મંત્રી હોય તો સ્વાભાવિક જ અપેક્ષા વધુ રહે. તમે સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર 16નાં નવનિર્માણ પામેલ મકાનનું લોકાર્પણ કરવા રાજકોટ ગયા ત્યારે વાલીઓને સંબોધતા એમ કહ્યું કે જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે ગુજરાત છોડીને સારું લાગે ત્યાં જતાં રહે. તમે એમ પણ કહ્યું કે અહીં જન્મ્યા, અહીં ધંધો કર્યો, અહીં ભણ્યા ને હવે બીજે સારું લાગતું હોય તો ત્યાં જતાં રહો. આ બધું તમે પત્રકારોની હાજરીમાં કહ્યું. સાધારણ રીતે જે પ્રસંગમાં આપણે જઈએ ને જેના પ્રસંગમાં જઈએ એ પ્રસંગ ન બગડે એટલી કાળજી રાખતા હોઈએ છીએ. આ પ્રસંગ લોકાર્પણનો હતો. એમાં વાલીઓએ કોઈ પ્રશ્નો પૂછ્યા નથી કે કોઈ હોબાળો કર્યો નથી, ત્યાં કારણ વગર વિવેક ચૂકવાની જરૂર હતી?
તમને ગુજરાતીઓને કાઢવા જેવું લાગ્યું, એવું તો ગુજરાતની પ્રજાને પણ ઘણા મંત્રીઓ બાબતે લાગતું હશેને ! એ કાઢી મૂકે તો શું થાય તે કહેવાની જરૂર છે? એ પણ જવા દો. રૂપાણી સાહેબ મુખ્ય મંત્રી તરીકે હતા જ ને ! તો ય તેમને ગયા સપ્ટેમ્બરમાં ખસેડી દેવાયા. અરે, તમે પોતે ચુડાસમા સાહેબની બદલીમાં આવ્યા તે ભૂલી ગયા? ને એ બદલનારા બહારના નહીં, તમારા જ મોવડી હતા. એટલે ન ફાવે તે, બદલનાર તો બદલી જ કાઢે છે. એમ તો તમારા જ પૂર્વ નાણા મંત્રી નીતિન પટેલને પણ શિક્ષણમાં કેટલુંક ખૂટતું લાગ્યું ને એમણે પણ બે મહિના પર જ અહીં મહેનત કર્યા પછી યોગ્ય સ્થાન મળતું નથી, એટલે મોટો ખર્ચ કરીને વિદ્યાર્થીઓ બીજે જતાં હોય છે, એવી વાત કરી, તો એમને પણ અહીંથી વિદાય આપી દેશો? એવા તો ઘણા વાંધા તમારા જ હોદ્દેદારો અને સભ્યોને ય છે ને હશે તો તેમનું શું કરશો? એમને ય બીજે મોકલી દેશો?
સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર 16નાં નવનિર્માણ પામેલ મકાનનું લોકાર્પણ કરવા રાજકોટ ગયેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી
કોઇ મંત્રીએ આજ સુધી ગુજરાતીઓને ગુજરાત છોડવાનું કહ્યું હોય એવું મારા ધ્યાનમાં તો નથી. ન ફાવતું હોય તો જતા રહો – એવો હુકમ કરવાનો તમને અધિકાર કેટલો એવું તમારે પોતાને જ પૂછવા જેવું છે. તમે એ કેવી રીતે ભૂલી શકો કે આ એ જ ગુજરાતી પ્રજા છે જેણે આ દેશને વડા પ્રધાનો આપ્યા છે. બીજું, જવા દો, જેની આરતી ઉતારતા દેશ થાકતો નથી એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની દેન છે. એ અહીં વર્ષો સુધી મુખ્ય મંત્રી રહ્યા, તેમાં તમે જેને કાઢી મૂકવા માંગો છો એ ગુજરાતી પ્રજાનો બહુમૂલ્ય ફાળો છે ને તમે કહો છો, બીજે સારું હોય તો જતાં રહો? તમને લાગે છે કે થોડી પણ શરમ બચી હોય એવી વ્યક્તિ આવું વિધાન કરે?
તમે જ તમને પૂછો કે અહીં શિક્ષણ સંદર્ભે રહેવા જેવું છે શું? તમે કહો છો કે પ્રમાણપત્ર લઈને જે દેશમાં ફાવે ત્યાં જાવ. તે જાય જ છે. અહીં ડૉક્ટર થવામાં કરોડ રૂપિયા થાય છે ને યુક્રેનમાં તે 20-25 લાખમાં થઈ જાય છે ને અહીંના કરતાં ત્યાંનું તબીબી શિક્ષણ વધુ અપડેટ થયેલું ગણાય છે, એટલે તમે ન મોકલો તો પણ જનાર તો જાય જ છે ને આપણને એની નાનમ નથી લાગતી કે અહીંનું યુવાધન વિદેશમાં ખડકાઈ રહ્યું છે. એને અહીં જ તકો ઊભી કરી આપવામાં આવે તો એ શું કામ ત્યાં જાય એ સવાલ આપણને થતો નથી ને પછી ભારતીય મૂળનું કોઈ વિદેશમાં ઉચ્ચપદે પહોંચે છે તો આપણે તાળીઓ ફોડીને પોરસાઈએ છીએ. આપણને એ સંકોચ પણ નથી થતો કે જે ગૌરવ અહીંનું હતું તેને આપણે વિદેશને નામે કર્યું છે.
ગુજરાતમાં સારું શિક્ષણ અપાય છે ને વાલીઓ કે વિરોધીઓ અમથો જ હોબાળો કરે છે, એવું તમને લાગે છે? એવું લાગતું હોય તો એ આત્મનિરીક્ષણનો મુદ્દો છે. ખરેખર તો પ્રમાણિકતાથી તપાસવા જેવું છે કે ખાનગી સ્કૂલ કોલેજોને ઉત્તેજન આપવા, સરકારી શિક્ષણની કેટલી ઉપેક્ષા આપણે કરી છે? પ્રાથમિક શિક્ષક, શિક્ષક છે કે મજૂર એવો સવાલ ક્યારે ય નથી થતો? એની પાસેથી વસતિગણતરી કે ચૂંટણીનાં જે કામો કરાવાય છે એનાથી શિક્ષણની ગુણવત્તા પર અસર પડે છે એવું નથી લાગતું? ખાનગી શિક્ષણના ધંધાને આંચ ન આવે એટલે પણ સરકારી શિક્ષણ ગુણવત્તાયુક્ત ન થવા દેવાતું હોય એવું ખરું? કોરોનાને કારણે બાળકો માંડ સ્કૂલે આવતાં થયાં હોય ત્યારે તેમનું પાયાનું શિક્ષણ કાચું ન રહે એ દિશામાં પ્રયત્નો થવા જોઈએ, તેને બદલે પ્રાથમિક શિક્ષકો ને આચાર્યો શિક્ષણ સમિતિના પરિપત્રો ને પત્રકોમાંથી જ ઊંચા ન આવે એ રીતે તેને બિઝી કરી દેવાય એ બરાબર નથી. એકડો નથી આવડતો એવો વિદ્યાર્થી ત્રીજામાં આવી ગયો છે. તેને સઘન શિક્ષણ અપાય તેવું કરવાને બદલે આ કે તે દિવસોની ઊજવણીમાં રોકી રાખવાનું થોડો વખત અટકાવી શકાય એમ નથી? વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું છે કે 700 સરકારી સ્કૂલોમાં એક એક શિક્ષકોથી જ કામ ચાલે છે. શિક્ષકોની ભરતીની જાહેરાતો થાય છે, પણ ખરેખર કેટલી નિમણૂકો થાય છે તે નથી ખબર.
તમને નથી લાગતું કે સ્કૂલ કોલેજો કોઈને કોઈ રીતે સરકારનાં પૈસા ઉઘરાવી આપનારા કેન્દ્રોથી વિશેષ કૈં નથી? ગરીબ કે મધ્યમવર્ગના બાળકને શિક્ષણનો અધિકાર છે એવું તમે માનો છો? માનતા હો તો પ્રાથમિક સ્કૂલોનું શિક્ષણ સુધરે ને તે તરફ વધુ વાલીઓ ખેંચાય એ સ્થિતિ ઊભી થવી જોઈએ, પણ એવું થતું નથી. વાલીઓ કોઈ પણ હોય, તે પૈસા આપી છૂટવા સિવાય બીજે ધ્યાન આપી શકતા નથી. પૈસાપાત્ર વાલી ખાનગી સ્કૂલોની ફી ભરવા કમાય છે ને ગરીબ વાલી રોટલો મેળવવા મજૂરી કરે છે, એમાં વિદ્યાર્થી શું અને કેટલું ભણે છે એ પરીક્ષાનાં રિઝલ્ટ પરથી જાણી લે છે. એ સિવાય એની પાસે ધ્યાન આપવાનો સમય જ નથી. તમે એ પણ જાણતા હશો કે વાલીઓની મોટા ભાગની કમાણી ફી, નોટ, બુક્સ, યુનિફોર્મ, ટ્રાન્સપોર્ટેશન અને વચ્ચે વચ્ચે ઉઘરાવતી ફીમાં ખર્ચાય છે. એ પછી પણ સંતાન શિક્ષણ પામે જ છે એની કશી ખાતરી નથી. માર્કસ એટલે મૂલ્યાંકન – એ સૂત્ર આઉટડેટેડ થઈ ગયું છે. માર્કસ વધારે હોય અને જ્ઞાન ઓછું હોય એવા દાખલાઓ શોધવા દૂર જવું પડે એમ નથી.
એવું પણ નથી કે વધારે ખર્ચો કરવાથી જ્ઞાન વધે જ છે. બેત્રણ દિવસ પર જ સમાચાર હતા કે એન્જિનિયરિંગ, એમ.બી.એ.ની ફી 73 હજાર છે, જ્યારે નર્સરીની ફી 2.22 લાખ છે. પ્રિ-પ્રાઇમરી સ્કૂલો પર શિક્ષણ વિભાગનું કોઈ નિયંત્રણ નથી એટલે એવી સ્કૂલોને ફીનું ધોરણ ગમે તેટલું રાખવાની અનુકૂળતા હોય છે. આ બધું સંચાલકોની મુનસફી પર અને સરકારની ઉદાસીનતા પર નિર્ભર છે. આ બધું ચલાવવામાં વાલીઓની બેફામ કમાણી પણ જવાબદાર છે. ખાનગી સ્કૂલોનું ધોરણ ઉત્તમ હોય છે ને સરકારી સ્કૂલો વેઠ ઉતારે છે એવી સમજ વાલીઓમાં ઘર કરી ગયેલી છે એટલે જેની પાસે હરામની કમાણી છે તે સંચાલકોની હોજરી ભરે છે ને સંચાલકો એટલા ભૂખ્યા હંમેશ હોય છે કે વાલીઓની તમામ સંપત્તિ સ્વાહા થઈ જાય તો ય તેની ભૂખ ન ભાંગે. નર્સરી કરવા કરતાં પીએચ.ડી.થી શરૂ કરવાનું વધારે સસ્તું પડે એવું માળખું ફીનું છે. પ્રિ-પ્રાઇમરી પર સરકારનું નિયંત્રણ હોય તો શું વાંધો આવે? જ્યાં પણ સ્કૂલ છે ત્યાં સરકારનો કાબૂ કેમ ન હોય? ન હોય તો કાબૂ રાખતા કોણ રોકે છે? જો આ નિયંત્રણ નહીં આવે તો માત્ર પૈસા ઉઘરાવવા સિવાય એવી સ્કૂલો બીજું કૈં કરવાની નથી. સામાન્ય માણસ પણ સમજી શકે એમ છે ને અત્યાર સુધી શિક્ષણની એ પરંપરા રહી છે કે ફીનું ધોરણ ક્રમાનુસાર વધતું આવે. એને બદલે એમ.બી.એ.ની ફી 73 હજાર હોય ને નર્સરીની 2.22 લાખ હોય એ કઇ રીતે તર્કસંગત છે? આ અંગે વિચારવાની સરકારને જરૂર જ નથી લાગતી? સવાલોનો સવાલ એ છે કે આટલી ફી નર્સરીમાં શું ભણાવવાની લેવાય છે? એવું શું ભણવાય છે કે નર્સરી માટે આટલી ફી વાજબી ઠરે?
નર્સરી પછી કે.જી.નું ધોરણ હતું, હવે તો નર્સરીની આગળ પણ અર્લી ચાઇલ્ડ કેરનું નવું ધોરણ નીકળ્યું છે, જેની વાર્ષિક ફી 90 હજાર અને એડમિશન ફી 75 હજાર છે. જેને પોતાને વિષે બહુ ગતાગમ નથી એવા બાળકને નામે આ ફી લેવાય છે. એવું બને તો નવાઈ નહીં કે હવે બાળકનો જન્મ સ્કૂલમાં થાય ને ફી ઉઘરાવવાનું ત્યાંથી જ શરૂ થઈ જાય. એક અંદાજ પ્રમાણે ગુજરાતી માધ્યમમાં 12 ધોરણ સુધીમાં ત્રણેક લાખ સામાન્ય પ્રવાહમાં અને 3.20 લાખ વિજ્ઞાન પ્રવાહમાં અને અંગ્રેજી માધ્યમમાં અનુક્રમે 3.40 લાખ સામાન્ય પ્રવાહમાં ને 3.50 લાખ માત્ર ફી પાછળ ખર્ચાય છે. સી.બી.એસ.ઈ. સ્કૂલમાં આ ખર્ચ લગભગ 10.50 લાખ સુધી થવા જાય છે. આ ઉપરાંત 75,000 દર વર્ષે ઇતરપ્રવૃત્તિ, ટ્રાન્સપોર્ટેશન, સ્ટેશનરી … વગેરેમાં ખર્ચાય છે. આ તો એક સંતાનની વાત થઈ. ઘરમાં બે કે તેથી વધુ સંતાનો ભણવા લાયક હોય તો વાલીની શું સ્થિતિ થાય તેની કલ્પના જ કરવાની રહે છે.
આદરણીય સાહેબ, તમને ખરેખર એમ લાગે છે કે આ બધું શિક્ષણ માટે થઈ રહ્યું છે? ખાનગી સ્કૂલોના સંચાલકોએ કઇ રીતે પૈસા ભેગા કરી શકાય એ માટેનું જ લક્ષ્ય રાખ્યું છે ને જેની પાસે પૈસા ફાટફાટ થાય છે તેવા લોકો એ સંચાલકોની તિજોરીઓ ભરે છે. એ લોકો સંચાલકોની માંગ પૂરી કરે છે. આ લોકો માથું ફેરવીને સંતાનોને ઉઠાડી લે ને સરકારી સ્કૂલોમાં મૂકે તો સંચાલકોની બધી ચરબી ઊતરી જાય, પણ બિલાડીને ગળે ઘંટ બાંધે કોણ? આ બધાંમાં ક્યાં ય શિક્ષણ કે એના સ્તરની વાત આવે છે? આ લૂંટ ઓછી હોય તેમ ખાનગી કલાસોમાં ટ્યૂશનની ફી ઉમેરવાની તો રહે જ છે. વિદ્યાર્થી સ્કૂલમાં ભણે કે ન ભણે, ક્લાસના કલાકો તો ફાજલ પાડે જ છે. ક્લાસમાં ને સ્કૂલમાં ઢગલો ફી ચૂકવો ને કલાકો જવા-આવવા કે ભણવામાં ફાજલ પાડો એ આજની વ્યવસ્થા છે. વાલી ફી ખર્ચે છે ને વિદ્યાર્થી કલાકો ખર્ચે છે ને સરવાળે બંનેને ભાગે તાણ અને થાક સિવાય કૈં આવતું નથી. આ બધાં પછી પણ જેને જ્ઞાન કહીએ છીએ તેની પ્રાપ્તિ કેટલી એ સવાલ તો રહે જ છે.
એ હકીકત છે કે આવાં શિક્ષણથી ટકાવારીમાં વધારો થતો હશે, પણ જેને ક્રિએટિવિટી કહીએ છીએ એમાં વધારો થાય છે? એ શક્તિ તો વિદ્યાર્થી પોતાની તાકાત પર જ મેળવતો હશે ને એનાં કૂતુહલને કોઈ શિક્ષક સંકોરી આપતો હશે એટલું જ ! બાકી શિક્ષણની ને પરીક્ષાની જે આંકડા વધારનારી સિસ્ટમ છે તેમાં તો આમ બનવું બહુ સંભવ નથી. ગમ્મત તો એ છે કે આટલી મથામણ અને મહેનત પછી કોઈ ભણી પરવારે તો તેને નોકરી સામે કરી રાખી હોય એવું નથી. આટલું કર્યાં પછી પણ નોકરીનો કોયડો તો રહે જ છે. જો આ સ્થિતિ હોય તો શિક્ષણ માટે કોઈ ગર્વ લઈ શકે એવું શું છે એ પ્રશ્ન ન થાય? એ સંદર્ભે દેખીતું છે કે બીજાં શિક્ષણ જોડે તેની તુલના થાય જ. માત્ર પૈસા ખર્ચવા એ જ તો શિક્ષણ ન હોય ને ! એવે વખતે તેનું ધોરણ સુધરે, તેની ફી વાજબી થાય એ દિશામાં સરકારે વિચારવાનું રહે, એને બદલે ગુજરાતનું શિક્ષણ જ ઉત્તમ છે ને એ ન ફાવતું હોય તો બીજે જાવ – એવો છણકો કરવાનું યોગ્ય છે? ને જવાનું જ હોય તો વાલીઓએ તો જવાનું નથી જ ! આ તો ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ …
વધારે શું કહું?
આભાર સહ,
— રવીન્દ્ર પારેખ
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ઍપ્રિલ 2022