કોરોના જોર પર હતો ત્યારે જ લોકડાઉન ઉઠાવી લેવાયું ને ધીમે ધીમે બધા જ વ્યવહારો ચાલુ થયા ને એકંદરે બધું થાળે પડવા માંડ્યું. વેપારધંધા શરૂ થયા, શેરમાર્કેટ ઊંચકાયું, સેન્સેક્સ, સોનાના ભાવો ઊંચે ગયા, સરકારી પેકેજો જાહેર થયા, વિદેશની આવનજાવન વધી, બળાત્કાર, ખૂનો વધ્યાં, રેલ આવી, વાવાઝોડાં ધમક્યાં, ઓનલાઈન શિક્ષણ શરૂ થયું, પરીક્ષાઓ લેવાઈ, એડ્મિશન્સ અપાયાં, ફીનાં ઉઘરાણાં નીકળ્યાં, પણ સ્કૂલો ને કોલેજો બંધની બંધ જ રહી. કોરોના આખા દેશમાં વકર્યો, પણ તે શિક્ષણને સૌથી વધારે નડ્યો.
એવું પણ લાગે છે કે સરકારની જ ઈચ્છા એવી નથી કે સ્કૂલ, કોલેજો ખૂલે. સરકાર અત્યારે પોતાનું ભલું કરવા માંગતી હોય એવું પણ લાગે છે. જેમ કે, જાન્યુઆરીથી સ્કૂલો નહીં ખૂલે એવું તો બાપોકાર જાહેર કરી દેવાયું છે. તે સાથે એવું પણ જણાવાયું છે કે ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ને પ્રાથમિક શિક્ષકો ચૂંટણીનાં કામમાં રોકાયેલા હશે એટલે ત્યારે સ્કૂલો શરૂ કરવાનું મુશ્કેલ બનશે. થયું ! ટૂંકમાં ફેબ્રુઆરીમાં પણ સ્કૂલો શરૂ કરવાની દાનત સરકારની જણાતી નથી. આ દેશમાં લાખો શિક્ષિત બેકારો છે, એમને યોગ્ય વળતર આપીને ચૂંટણીનાં કામમાં જોતરી જ શકાય, પણ સરકાર વર્ષોથી શિક્ષકોનો ઉપયોગ કરીને તેઓ શિક્ષણથી દૂર કેવી રીતે રહે તેની વેતરણમાં રહે છે જે કોઈ રીતે શિક્ષણના હિતમાં નથી જ !
ઓનલાઈન શિક્ષણની વાત કરીએ તો તે કેટલાંકને મળ્યું નથી, તો કેટલાંકને માફક પણ નથી આવ્યું. આંખોનાં ખેંચાવાની ને માથાના દુખાવાની ફરિયાદો વધી છે. જેમને ફાવ્યું છે એમના વાલીઓને નથી ફાવ્યું. એક જ કુટુંબમાં બે કે વધુ બાળકો માટે લેપટોપ કે મોબાઈલ કે નેટની વ્યવસ્થા કરવાનું ઘણા કુટુંબોને મુશ્કેલ થયું છે. યુનિટ ટેસ્ટનું નાટક ચાલે છે એમાં વિદ્યાર્થીએ, શિક્ષકે પહોંચાડેલાં પ્રશ્નપત્રોનો નક્કી કરેલા દિવસોની મર્યાદામાં, ઉત્તરવહીમાં ઉત્તરો આપવાના છે ને એ ઉત્તરવહી પહોંચાડવાની જવાબદારી વાલીઓ પર નખાઈ છે. આ ઉત્તરો વિદ્યાર્થી કેવી રીતે આપે છે એની ચિંતા શિક્ષણ વિભાગે કરી નથી. વિદ્યાર્થી ઉત્તરો પુસ્તક કે ગાઈડમાં જોઈને લખે છે કે વાલીઓ તેને ઉત્તરો લખાવે છે કે યાદશક્તિને આધારે લખે છે તે નક્કી કરનારું કોઈ પરિબળ સક્રિય નથી, કારણ ત્યાં સુપરવિઝન થતું નથી. આવા ઉત્તરો પરથી પરિણામ અપાય તે કેટલાં વિશ્વસનીય હોય તે સમજી શકાય એમ છે.
વારુ, બધા વિષયોની ટેસ્ટ લેવાતી નથી એટલે જે વિષયો બાકી રહી જાય છે તેનાં મૂલ્યાંકન અંગે કોઈ વ્યવસ્થા જણાતી નથી. બીજી મહત્ત્વની વાત એ કે ઓનલાઈન શિક્ષણમાં શિક્ષકે શીખવ્યું તે વિદ્યાર્થીને પહોંચ્યું કે નહીં, તે શિક્ષક જાણી શકતો નથી કે વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો તે શિક્ષકને પૂછી શકતો નથી. ઓનલાઈન શિક્ષણના આ એકતરફી પ્રયત્નોથી પણ ઘણા વિદ્યાર્થીઓ વંચિત છે. ગામડાંના વિદ્યાર્થીઓ તો સાધનોને અભાવે ઓનલાઈન શિક્ષણથી ને પ્રત્યક્ષ શિક્ષણથી વંચિત છે જ, પણ શહેરી વિદ્યાર્થીઓ પણ વંચિત છે એ અંગે શિક્ષણ વિભાગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી સી.બી.એસ.ઈ. પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં લેવાની વાત કરે છે. બીજી તરફ ગુજરાતનાં શિક્ષણ મંત્રી બોર્ડની પરીક્ષાઓ મેમાં લેવાની વાત કરે છે. એક તરફ પરીક્ષાઓ લેવાની વાત છે તો બીજી તરફ માસ પ્રમોશન આપવાની વાત પણ ચર્ચામાં છે, એમાં ક્યાં ય પ્રત્યક્ષ શિક્ષણની કે સ્કૂલ, કોલેજો ચાલુ કરવાની વાત નથી. કોરોનાની રસી આવી નથી એ સ્થિતિમાં વિદ્યાર્થીઓને સ્કૂલ, કોલેજોમાં બોલાવી શકાય નહીં એવો તર્ક આગળ કરાય છે ત્યારે નજીકના ભવિષ્યમાં સ્કૂલ, કોલેજો ચાલુ થવાનાં એંધાણ વર્તાતાં નથી. આ બધું છતાં મેમાં બોર્ડની પરીક્ષાઓ લેવાનું શિક્ષણ મંત્રી ભારપૂર્વક કહે છે. ભણાવવાનું અનેક રીતે ગૂંચવાયેલું છે, પણ પરીક્ષાઓ લેવા બાબતે શિક્ષણ વિભાગ મક્કમ છે. એમાં પરીક્ષાની કશી પણ ગંભીરતા નથી. પરીક્ષાનું નાટક ચાલે છે. જવાબો ગમે તેવી ભ્રષ્ટ નીતિથી આપો તેનો વાંધો નથી. ટૂંકમાં પરીક્ષામાં પરીક્ષા સિવાય બધું જ છે. ભણાવાય કે ના ભણાવાય તેની ચિંતા નથી, પણ પરીક્ષા ન ચુકાવી જોઈએ એવું શિક્ષણ વિભાગ માને છે. એ મુદ્દો આગળ જતાં આવવાનો છે કે ભણાવાયું નથી તો પરીક્ષા શેની લેવાની? આ મુદ્દો વિદ્યાર્થીઓ ને વાલીઓ ઉઠાવે તેવી પૂરી શક્યતા છે ને આ વેપલામાં શૈક્ષણિક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે તે અંગે વિચારાતું નથી.
એમ લાગે છે કે વર્ષ બગડે એની કોઈને જ ખાસ પડી નથી. સરકાર આ મામલે પૂરી બેફિકરાઈથી વર્તી રહી છે. જો બોર્ડના વિદ્યાર્થીઓનું કે કોલેજનાં અંતિમ વર્ષનાં અભ્યાસુ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગાડવું હોય ને કોઈની કેરિયર દાવ પર ન લગાવવી હોય તો, એટલાં પૂરતી પણ સ્કૂલ કોલેજો શરૂ કરવી જોઈએ. બાકીનાં ધોરણો અંગે માસ પ્રમોશનનું ભલે વિચારાય, પણ બોર્ડની પરીક્ષાઓ ને કોલેજોની અંતિમ વર્ષની પરીક્ષાઓ ને શિક્ષણ અંગે ગંભીરતાથી વિચારાવું જોઈએ. કોરોનાનું જોખમ ટળ્યું નથી એ સાચું, પણ સ્કૂલ, કોલેજ સિવાય બીજે ક્યાં ય વિદ્યાર્થીઓ પર પાબંદી ન હોય તો સ્કૂલ, કોલેજો પૂરતા જ વિદ્યાર્થીઓને રોકવાનું કોઈ રીતે ડહાપણ ભરેલું લાગતું નથી. મોડામાં મોડી સ્કૂલ, કોલેજો મકર સંક્રાંતિ પછી તરત જ શરૂ કરી દેવી જોઈએ. એને માટે એકસ્ટ્રા કેર લેવી પડે તો તે લઈને અને કોરોના સંબંધી બધી જ સાવચેતી રાખીને સ્કૂલ, કોલેજો ને યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ માટે શરૂ કરી દેવી જોઈએ. એમાં તથ્ય ન લાગતું હોય તો ભણાવવાનું કે પરીક્ષાનું નાટક પૂરેપૂરું બંધ કરીને આખું શૈક્ષણિક વર્ષ રદ્દબાતલ જાહેર કરી દેવું જોઈએ કે ભણવાની કે પરીક્ષાની અનિશ્ચિતતામાંથી વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો ને અધ્યાપકો રાહત અનુભવી શકે.
સરકાર ફીમાં રાહતની, પરીક્ષાઓની, ઓનલાઈન શિક્ષણની જે વ્યવસ્થાઓ ઉભડક જીવે કરી રહી છે એમાં શૈક્ષણિક વર્ષ માંડી વાળવાથી સૌથી વધારે રાહત કદાચ તેને જ થશે.
હા, એવું જરૂર લાગે છે કે વર્ષ બચાવી શકાય એમ છે. અહીં થોડાં સૂચનો છે. સરકાર એ અંગે વિચાર કરી શકે.
1. બોર્ડના વર્ગો અને કોલેજનાં મહત્ત્વનાં અંતિમ વર્ષો પૂરતું શિક્ષણ મોડામાં મોડું જાન્યુઆરી 15થી શરૂ કરી શકાય.
2. રવિવાર સિવાય બીજી તમામ રજાઓ રદ્દ કરીને ઓનલાઈન શિક્ષણ અને ઓફલાઇન શિક્ષણ સઘન રીતે શરૂ કરવું.
3. શનિવારે અડધો દિવસ ચાલતી સ્કૂલો પૂરા દિવસ માટે ચાલે.
4. ઓનલાઈન શિક્ષણ અને ઓફલાઈન શિક્ષણ સાથે જ શરૂ કરી શકાય ને જેમને જે ફાવે તે વિકલ્પે શિક્ષણ મેળવી શકે.
5. ધારો કે બધા જ ઓફલાઇન શિક્ષણનો આગ્રહ રાખે છે તો પણ વાંધો ન આવે, કારણ અન્ય વર્ગો બંધ હોવાથી તે વર્ગો ખાલી હશે. એ વર્ગોનો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ને અન્ય તકેદારી રાખીને ઉપયોગ કરી શકાય. એને માટે વધારાના શિક્ષકોની જરૂર પડે, તો નજીકના સમયમાં નિવૃત્ત થયા હોય એવા શિક્ષકોને યોગ્ય વળતર આપીને તેમને નિમંત્રી શકાય અથવા જે શિક્ષકોનો વર્ગખંડમાં ઉપયોગ નથી થવાનો તે શિક્ષકોને પણ આ કામમાં જોડી શકાય.
6. કોર્સ થોડો ઘટાડવો પડે તો તે ઘટાડીને અસરકારક શિક્ષણ અપાય ને એવી જ અસરકારકતાથી પરીક્ષા પણ લેવાય. સામાન્ય સંજોગોમાં જે સ્તરે પરીક્ષા લેવાતી હોય તેમ લેવાય ને એ જ રીતે પરિણામ પણ અપાય, ગયા માર્ચની પરીક્ષામાં 5 ગુણની સામે 21નું ગ્રેસિંગ અપાયું એવી જીવદયાની રીતે નહીં !
7. આવનારું વર્ષ કોરોનાને કારણે અસર ન પામે એટલા માટે બધાં જ વેકેશનો એકદમ જ ટૂંકાવાય એ અનિવાર્ય બનવું જોઈએ.
વહીવટી મુશ્કેલીઓ પડશે, પણ આ ન થઈ શકે એવું નથી. હા, વાલીઓ ને વિદ્યાર્થીઓ તથા સંબંધિતો થોડી કાળજી લે ને વર્ષ બચાવવા તૈયાર થાય તો બધું નોર્મલ થઈ શકે એમ છે. જે ચાલે છે એ જ ઉત્તમ લાગતું હોય તો આ વર્ષનો બગાડ આવનારા વર્ષમાં પણ ખેંચાશે ને ત્યારે બધું સરભર કરવું અઘરું બનશે. રસી આવી નથી, આવશે પછી પણ વિદ્યાર્થીઓને જ તરત અપાશે એવું નક્કી નથી. રસીની બાબતમાં વિદ્યાર્થીઓ પહેલી પ્રાયોરિટી નથી જ, એટલે રસી વિદ્યાર્થીઓ સુધી ક્યારે પહોંચશે એ નક્કી નથી. બને કે એને મહિનાઓ લાગે ને ત્યાં સુધીમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ જાય ને વિદ્યાર્થીઓ આજની જેમ જ ત્યારે પણ સ્કૂલ, કોલેજ વગરનાં જ હોય એમ બને. વળી રસી કારગત નીવડશે જ એવું પણ અત્યારે ભાખી શકાય એમ નથી. ઈચ્છીએ કે એમાં સફળતા મળે, પણ ડહાપણ ભરેલું અત્યારે તો વર્ષ બચાવવાનું જ લાગે છે. જો વિદ્યાર્થીઓનું હિત હૈયે વસતું હોય તો પૂરી સાવચેતી સાથે વહેલી તકે સ્કૂલ, કોલેજો શરૂ કરી દેવી જોઈએ …
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 25 ડિસેમ્બર 2020