હાલના કોરોનાકાળમાં તહેવારો અને ધાર્મિક-સામાજિક મેળાવડા મર્યાદિત હાજરીમાં યોજાય છે ત્યારે આ વરસનો શિક્ષક દિવસ પણ કદાચ બંધ શાળા-કોલેજોના માહોલમાં વિધાર્થીઓની પ્રત્યક્ષ હાજરી વિના મનાવાય એમ બની શકે છે. પણ તેનાથી ગુરુ-શિષ્યના પરસ્પરના પ્રેમ અને આદરમાં ફેર નહીં પડે.
જેમનો જન્મ દિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે તે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ની જાણીતી ઓળખ તો દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિની છે. પરંતુ તેમની ખરી ઓળખ તો અજોડ અને આજીવન શિક્ષકની છે. તેઓ દેશના રાષ્ટ્રપતિ તરીકે વરાયા ત્યારે, ૧૯૬૨માં, તેમના વિધાર્થીઓ તેમના જન્મદિવસની ઉજવણીની દરખાસ્ત લઈને આવ્યા. ડો. રાધાકૃષ્ણને તેમને કહેલું મારો જન્મ દિવસ શિક્ષક દિવસ તરીકે મનાવાય તો મને વિશેષ ખુશી થશે; અને ત્યારથી રાધાકૃષ્ણન્નો જન્મદિન, પાંચમી સપ્ટેમ્બર, દેશના શિક્ષકોને સમર્પિત દિન બની રહ્યો છે.
પાંચમી સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ તમિલનાડુની રાજધાની ચેન્નઈથી ૪૦ માઈલ દૂરના ગામ તિરુતાનીમાં ડો.રાધાકૃષ્ણન્નો જન્મ થયો હતો. વડવાઓનું ગામ તો સર્વપલ્લી, જે પછી કુળનામ બની રહ્યું. નિમ્ન મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબના આ બાળકને એમના તહેસીલદાર પિતા ભણાવવાને બદલે મંદિરના પૂજારી બનાવવા માંગતા હતા. પણ તેઓ ભણીગણીને હિંદુ તત્ત્વજ્ઞાનના મહાન વિદ્વાન અને મુઠ્ઠી ઉંચેરા દાર્શનિક બન્યા! ડો.રાધાકૃષ્ણન્નું લગભગ સઘળું શિક્ષણ ખ્રિસ્તી મિશનરી શાળા કોલેજોમાં થયું અને પછી તેઓ ‘ધી હિંદુ વ્યૂ ઓફ લાઈફ’ જેવો ગ્રંથ રચી શક્યા તેમાં ખ્રિસ્તી મિશનરી શિક્ષણ સંસ્થાઓના મુક્ત વાતાવરણને યશ અપાય છે, તો મિશનરીશાળાઓમાં હિંદુ ધર્મને ઉતરતા ધર્મ તરીકે ભણાવાતો હતો તેની કિશોર-યુવાન રાધાકૃષ્ણન્ના ચિત્ત પર પડેલી છાપનું પરિણામ પણ માનવામાં આવે છે.
મદ્રાસની ક્રિશ્ચિયન કોલેજમાં ૧૯૦૪ થી ૧૯૦૮ દરમિયાન તેઓએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. પછીથી તત્ત્વજ્ઞાનના મહાપંડિત તરીકે જાણીતા થયેલા રાધાકૃષ્ણન્ કોલેજ કાળમાં તત્ત્વજ્ઞાનના વિષય તરફ સાવ આકસ્મિક રીતે ખેંચાયા હતા. તેમનો એક પિતરાઈ તત્ત્વજ્ઞાન સાથે સ્નાતક થયો હતો. વેકેશનમાં તેના પુસ્તકો રાધાકૃષ્ણન્ને મળેલા. કુટુંબની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મફતમાં મળેલાં પુસ્તકોને કારણે તેમણે તત્ત્વજ્ઞાનને જ ઉચ્ચ શિક્ષણનો વિષય બનાવ્યો હતો. એમ.એ ની પદવી માટે તેમણે ‘વેદાન્તનું નીતિ શાસ્ત્ર’ શોધનિબંધ લખ્યો હતો.
ઈ.સ. ૧૯૦૯ના એપ્રિલ માસમાં એકવીસ વરસની ઉંમરે મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજમાં તેઓ તત્ત્વજ્ઞાનના વ્યાખ્યાતા તરીકે જોડાયા હતા. ત્યારથી શરૂ થયેલી તેમની અધ્યાપકીય કારકીર્દિ અને અધ્યાપન કાર્ય આજીવન ચાલુ રહ્યાં. મૈસુર વિશ્વ વિધ્યાલયમાં, ૧૯૧૮થી ૧૯૨૧ સુધી તેઓ તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક હતા. તે પછી પૂરા એક દસકા સુધી કલકતા યુનિવર્સિટીમાં તત્ત્વજ્ઞાન અને નૈતિક વિજ્ઞાન ભણાવતા હતા. ૧૯૩૨માં તેઓ આંધ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વરાયા હતા. તે પછી વધુ અધ્યયન-અધ્યાપન માટે વિદેશની વાટ પકડી. ઈંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં તેમણે લાંબા સમય સુધી અધ્યાપન કાર્ય કર્યું હતું. અમેરિકા અને યુરોપમાં વિદ્યાપ્રીતિને કારણે તેઓ પ્રસિદ્ધિ અને ખ્યાતિ પામ્યા હતા. બીજા વિશ્વયુદ્ધના સમયે તેઓ ભારત પરત આવ્યા હતા. અહીં આવીને કલકત્તા યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય કર્યું. તે દરમિયાન, ૧૯૪૨માં, બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉપકુલપતિ બન્યા. આ સમયે તેઓએ અધ્યાપન ઉપરાંત જાહેરજીવન, સાંસ્કૃતિક જીવનમાં સક્રિય રસ લેવા માંડ્યો.
ડો. રાધાકૃષ્ણન્ કોરા વિદ્વાન કે નિરસ શિક્ષક નહોતા. તેઓ વિધાર્થી પ્રિય અધ્યાપક હતા. શું દેશમાં કે શું વિદેશમાં તેઓ હંમેશાં વિધ્યાર્થીઓના પ્રીતિપાત્ર રહ્યા હતા. અઘરો મુદ્દો અને જટિલ વિષય તેઓ સરળતાથી અને રસપૂર્વક વિધાર્થીઓને સમજાવી શકતા હતા. તેમના વર્ગખંડો વિદ્યાર્થીઓથી ચિક્કાર રહેતા, તેનું આ મુખ્ય કારણ હતું. શિક્ષણ અને સમાજ ડો. રાધાકૃષ્ણન્ના જીવન સાથે સતત વણાયેલા રહ્યા. ૮મી ઓકટોબર ૧૯૫૫ના રોજ ઉપરાષ્ટૃપતિ રાધાકૃષ્ણન્ને ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભને દીપાવ્યો હતો, તે પ્રસંગે દીક્ષાંત પ્રવચન આપતાં તેમણે કહ્યું હતું કે, ‘મારા જીવનનાં ચાળીસથી વધારે વરસો હું શિક્ષક રહ્યો છું. અને તમને કહેવા માંગું છું કે વિદ્યાર્થીઓમાં બુનિયાદી કોઈ જ ખરાબી નથી. આપણે તેમને તક જ આપતા નથી. જે એમનો અધિકાર છે. મોટામોટા બંધો બાંધવાનો કોઈ જ અર્થ નથી જો આપણે જે માણસો પેદા કરીશું તે નાના હશે.’
આ વરસે જેની સ્થાપનાનું શતાબ્દી વરસ છે તે અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિધાપીઠના વાર્ષિક પદવીદાન સમારંભમાં ૧૮મી ઓકટોબર ૧૯૬૬ના રોજ રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણન્ પધાર્યા હતા. ગુજરાત વિદ્યાપીઠમાં તેમણે જે પ્રેરક પ્રવચન આપેલું તેમાં કહ્યું હતું કે, ‘બૌદ્ધિક અભિપ્રાયનું રૂપાંતર પ્રજવલિત એવી સ્થિર પ્રતીતિમાં થવું જોઈએ. એ જીવંત શ્રદ્ધા બની રહેવી જોઈએ. દીવડા કેવા છે એ મહત્ત્વનું નથી, જ્યોત કેવીક પ્રજવલિત છે અને પ્રકાશ કેવો દેદિપ્યમાન છે એ અગત્યનું છે. એવો પ્રકાશ પાથરવાનું અને પામવાનું આપણું લક્ષ્ય હોવું ઘટે. સાચું શિક્ષણ લોકશાહી માનસ સર્જે છે.’
વિદ્વતા, વકતૃત્વ, વિચારપ્રગલભતા અને શાલીનતા – એ રાધાકૃષ્ણન્ના પ્રમુખ ગુણો હતા. તેમની વિદ્વતાની ગવાહી તેમણે લખેલા દોઢસો કરતાં વધુ ગ્રંથો છે. જેમાં ઈન્ડિયન ફિલોસોફી, ધી હિંદુ વ્યૂ ઓફ લાઈફ, ધી રિલિજિયન વી નીડ, ઈસ્ટ એન્ડ વેસ્ટ ઈન રિલિજિયન, એજ્યુકેશન, પોલિટિકસ એન્ડ વોર વગેરે મુખ્ય છે. ડો. રાધાકૃષ્ણન્ના આ ગ્રંથો હિંદુ ધર્મ, તેના તત્ત્વજ્ઞાન, હિંદુ જીવનરીતિ વગેરેની ઓળખ આપનારા છે. તેઓ ધર્મગુરુ નહીં પણ ધર્મ શિક્ષક હતા. પોતાની દલીલોને તર્કની સરાણે ચકાસીને ધર્મનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરી આપતા હતા. બૌદ્ધ ધર્મના પણ તેઓ પ્રખર અભ્યાસી હતા. ‘ગૌતમ ધ બૌદ્ધ’ તેમનો બૌદ્ધદર્શનના પરિપાક રૂપે લખાયેલો ગ્રંથ છે. મહાત્મા ગાંધી વિશેનું તેમનું ચરિત્ર પુસ્તક અને સંપાદનો પણ જાણીતા છે. ૧૯૪૮માં તેમના અધ્યક્ષપદ હેઠળના પ્રથમ શિક્ષણ પંચનો અહેવાલ આજે પણ ઘણો માર્ગદર્શક છે.
ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં તેઓ કદી સક્રિયપણે સંકળાયા નહોતા, પરંતુ તેમના દિલમાં સતત આઝાદ ભારતની ખેવના રહેતી હતી. ૧૯૨૮ની કલકત્તા કૉન્ગ્રેસમાં તેઓ પ્રથમ વાર પંડિત જવાહરલાલ નહેરુને મળ્યા હતા. કૉન્ગ્રેસનું સભ્યપદ કે સ્વાતંત્ર્ય સેનાનીના વારસા સિવાય તેમની વિદ્વતા તેમને દેશના સર્વોચ્ચ પદો સુધી લઈ આવી, તે જો સાચું છે તો તેમાં તે જમાનાના દેશનેતાઓની વિદ્વાનોની કદરનો પણ મોટો ફાળો છે.
ભારતના રાષ્ટ્રપતિ તરીકે નિવૃત્ત થઈને તેમણે જિંદગીના શેષ વરસો વતન રાજ્યમાં વાચન, મનન, ચિંતનમાં ગાળતાં છયાંસી વરસની વયે ૧૭મી એપ્રિલ ૧૯૭૫ના રોજ આપણી વચ્ચેથી વિદાય લીધી. સાચા માનવીનું અને ખરા નાગરિકનું નિર્માણ કરવું તે ડો. રાધાકૃષ્ણન્ના જીવનની આજીવન ખોજ હતી. તેઓ વિદ્યાર્થીઓને પણ આ રીતે જોતા હતા. સમાજયંત્રનો એક સ્ક્રૂ નહીં, સાચો અને સારો માણસ સર્જવાની તેમની નેમ હતી.
(તા.૦૨-૦૯-૨૦૨૦0)
e.mail : maheriyachandu@gmail.com