આખો દેશ ખિન્ન છે, ઉદ્વિગ્ન છે, દુઃખી છે અને થોડો ભયભીત પણ છે. લડાખમાં ગાલવાનની ખીણમાં ચીનાઓએ ૨૦ ભારતીય જવાનોના જીવ લીધા છે. સામસામે ગોળીબાર થાય અને જવાનો શહીદ થાય એની પણ પીડા હોય છે, પણ અહીં તો ચીની અને ભારતીય જવાનો વચ્ચે હાથાપાઈ થઈ હતી, જેમાં ચીનાઓએ ભારતીય જવાનોને ગડદાપાટુ મારીને અને ખીણમાં ફેંકીને મારી નાખ્યા. સવાલ એ છે કે પરિસ્થિતિ આટલી હદે વણસી શેને કારણે? આ અચાનક રાતોરાત બનેલી ઘટના નથી. ચીનાઓ બે મહિનાથી ભારતમાં પેશકદમી કરી રહ્યા છે એ જોતાં ભારત સરકારે વણસતી સ્થિતિનો સામનો કરવાની કોઈ યોજના કેમ નહોતી બનાવી? આવી રીતે ૨૦ જવાનોને કોઈ ટીપી ટીપીને મારી નાખે?
અહીં નોંધવું જોઈએ કે ૧૯૬૨ની લડાઈમાં શરમજનક પરાજય પછી ભારતે પોતાની સંરક્ષણ સ્થિતિ સુધારવા માંડી હતી અને એનું પરિણામ ૧૯૬૭માં સિક્કીમમાં નાથુ લા, જેલેપ લા અને ચો લા પર કબજો કરવાની કોશિશ કરી ત્યારે જોવા મળ્યું હતું. ભારતીય સૈન્યે ચીનાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો અને મુખ્યત્વે નાથુ લા જેવા મહત્ત્વના ઘાટને ચીનના હાથમાં જતો બચાવ્યો હતો. એ સમયે ભારત કરતાં ચીનના સૈનિકોની ચાર ગણી વધુ ખુવારી થઈ હતી. એ ઘટના પછીથી ભારતીય સૈન્યનું મનોબળ અનેક ગણું વધ્યું હતું અને ત્યારથી લઈને આજ સુધી (૧૯૭૫માં અરુણાચલમાં નાનકડા છમકલામાં ગોળી ચાલી હતી એ અપવાદ) ચીન કે ભારતના એક પણ જવાને જીવ ગુમાવ્યો નથી. એ સમયે વડાં પ્રધાન હતાં ઇન્દિરા ગાંધી અને ભારત હજુ અમેરિકા પાસેથી પી.એલ.-૪૮૦ ઘઉં મેળવીને ગુજારો કરતું હતું. આમ છતાં ઇન્દિરા ગાંધીએ ચીનને બતાવી આપ્યું હતું કે ભારતે પોતાની લશ્કરી બાબતે ભૂલ સુધારી લીધી છે. તેમણે ભારતીય સૈન્યની શક્તિ તેમ જ મનોબળનો ચીનને તેમ જ દુનિયાને પરિચય કરાવી આપ્યો હતો.
સૌજન્ય : "ગુજરાતી મિડ-ડે", 18 જૂન 2020
પ્રારંભમાં કહ્યું એમ ભારતીય પ્રજા આજે ખિન્નતાનો અનુભવ કરી રહી છે એનું કારણ જવાનોની શહીદી છે, પણ સાથે ભયનો અનુભવ કરી રહી છે એનું કારણ સરકારની પ્રતિકૂળ વાસ્તવિકતા તરફથી મોઢું ફેરવી લેવાની મનોવૃત્તિ છે. શરમાવા જેવી કોઈ ઘટના બની નહીં કે મોઢું ફેરવ્યું નહીં. નિષ્ફળતા દેખાય કે તરત હોઠ સીવી લેવાના. જો ભીંસ વધે તો હાથ ખંખેરીની દૂર થઈ જવાનું. કોઈના બાપની તાકાત નથી કે વડા પ્રધાન પાસે મોઢું ખોલાવી આપે. ભૂલ જ સ્વીકારવાની નહીં એટલે સુધારવાનો તો પ્રશ્ન જ પેદા નથી થતો. નોટબંધી, જી.એસ.ટી., કોરોના તાળાબંધીની કસુવાવડ, કરોનાની વધતી મહામારી, અર્થતંત્ર વગેરે અનેક પ્રસંગે આપણને સરકારના આ વલણનો પરિચય થયો છે. આ ભાગેડુપણું છે એટલે ભય વધારે લાગે છે.
જે શાસકો હકીકતનો સ્વીકાર ન કરે તે હકીકત બદલી ન શકે. હકીકતનો જે સ્વીકાર કરે અને સામી છાતીએ તેનો મુકાબલો કરે તે હકીકત બદલી શકે. હકીકતનો સ્વીકાર કરીને લડી લેવા ભારતીય લશ્કર સજ્જ છે. ભારતીય પ્રજા સરકારની સાથે છે. પણ પહેલાં સ્વીકાર તો કરો! ભારતીય પ્રજાને અને વિરોધ પક્ષોને વિશ્વાસમાં તો લો! જે લોકો સંકટની ઘડીએ મદદ કરવા જેટલી ક્ષમતા ધરાવે છે તેની મદદ તો લો! આમાં કયું નીચાજોણું થવાનું છે અને દુનિયાના કયા શાસકે સંકટનો અનુભવ નથી કર્યો? કાંટાળો માર્ગ રસ્તામાં આવવાનો જ છે, કોઈ રોજ રેડ કાર્પેટ પાથરી આપવાનું નથી. માટે સરકારની આવી મનોવૃત્તિના કારણે ખિન્નતા સાથે ભયનો પણ અનુભવ થઈ રહ્યો છે.
ગાલવાન ખીણની ઘટનાની જ વાત લો. એ ઘટના ૧૫મી જૂનની રાતે બની હતી. સરકાર ચૂપ. જાણે કે કાંઈ બન્યું જ નથી. ૧૬મી તારીખે મોડી સવારે સૈનિકોના પરિવારોના જે તે વોટ્સેપ ગ્રુપ પર ખબર ફરવા લાગી. બપોર સુધીમાં જ્યારે તેણે દાવાનળનું સ્વરૂપ પકડ્યું ત્યારે સરકારે નાછૂટકે કબૂલ કર્યું કે લડાખમાં આવી ઘટના બની છે. જો સૈનિકોના પરિવારોના વોટ્સેપ ગ્રુપ પર ખબર ન આવી હોત તો? શું સરકારે આ ઘટના વિશે આંખ આડા કાન કર્યા હોત કે જેથી આબરૂ ન ગુમાવવી પડે? વડા પ્રધાને દેશની જનતાને ઉદ્દેશીને બુધવારે જે કહ્યું એ મંગળવારે સવારે સામેથી કહેવું જોઈતું હતું. એમ કર્યું હોત તો તેઓ કેટલા જવાબદાર લાગત.
ચીનાઓએ ગયા એપ્રિલ મહિનામાં લડાખમાં પ્રવેશ કર્યો હતો. સરકારે પહેલા તો એ ઘટના ઘૂપાવી હતી. જ્યારે ખબર ફરવા લાગી ત્યારે કહેવામાં આવ્યું કે એવું કાંઈ બન્યું જ નથી. પછી કહેવામાં આવ્યું કે હા, થોડા ચીનાઓ આવ્યા હતા અને એમાં ચિંતા જેવું કાંઈ નથી. એ દરમ્યાન અજય શુક્લા નામના સંરક્ષણનિષ્ણાત સતત કહેતા હતા કે ચીનાઓએ ભારતની ઘણી મોટી ભૂમિનો કબજો કર્યો છે અને ચીન મોટી સંખ્યામાં સૈનિકો ઠાલવી રહ્યું છે ત્યારે સરકારી ટ્રોલ્સ તેમની ઉપર તૂટી પડ્યા હતા. ગાળોનો વરસાદ વરસાવ્યો હતો. આમ છતાં અજય શુક્લાએ પોતાની વાત મૂકી નહોતી, અને જ્યારે રાહુલ ગાંધીએ અજય શુક્લાના અહેવાલોના આધારે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું ત્યારે ટ્રોલ્સ તેમના ઉપર તૂટી પડ્યા હતા. આ બાજુ બીજી જૂને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને ચીનના સવાલને લઈને નરેન્દ્ર મોદી દુઃખી છે. એ દરમ્યાન મંદબુદ્ધિ ધરાવતા ભક્તોને અનધિકૃતપણે સાયબર સેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારતે ચીનાઓને મારી મારીને તગેડી મુક્યા છે. મંદબુદ્ધિ ભક્તો એ આગળ પહોંચાડવા લાગ્યા હતા.
જો ભારતે ચીનાઓને મારીને ભગાડી મુક્યા હતા તો છઠ્ઠી જૂને બે દેશો વચ્ચે તંગદીલીનો નિવેડો લાવવા બેઠક શા માટે યોજવામાં આવી એવો પ્રશ્ન મંદબુદ્ધિ ભક્તોને નહોતો થયો. એ બેઠક નિષ્ફળ નીવડી હતી, પણ સરકારે સ્પષ્ટ શબ્દોમાં એ વાત જણાવી નહોતી. નવમી જૂને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે બન્ને દેશો સરહદેથી પોતાનાં જવાનોને પાછા ખેંચીને તંગદિલી ઘટાડી રહ્યા છે. ૧૪મી જૂને રાજનાથ સિંહે કહ્યું હતું કે દેશને યોગ્ય સમયે વિશ્વાસમાં લેવામાં આવશે અને કાંઈ છૂપાવવામાં નહીં આવે અને ૧૫મી જૂને ઉપરની ઘટના બની હતી. આ દરમિયાન વડા પ્રધાન દ્વારા ચીન વિશે એક શબ્દ સાંભળ્યો? ચાર વરસથી નોટબંધી વિશે એક શબ્દ સાંભળ્યો? હમણાંથી કોવિડ વિશે કાંઈ સાંભળવા મળે છે? જમીન ભાંગવી ભારે પડે એવી પથરાળ લાગે એટલે મોઢું ફેરવી લેવાનું!
કલ્પના કરો કે ૨૦ ભારતીય સૈનિકોને હાથાપાઈ કરીને મારવામાં આવ્યા હોય તો ચીની સૈનિકોની સંખ્યા કેટલી હશે? જો ચીન સૈનિકો પાછા ખેંચી રહ્યું હતું તો આટલા સૈનિકો આવ્યા ક્યાંથી? જો ચીન તેના સૈનિકો પાછા નહોતું ખેંચતું તો ભારતે એટલી જ મોટી સંખ્યામાં જવાનોને કેમ ન મોકલ્યા?
આગળ શું થશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. જો ચીન સમજાવટથી નહીં માને તો ભારત પાસે બે જ વિકલ્પ છે. ચીન ભારતની ભૂમિમાં આગળ આવીને નવી એલ.એ.સી. (લાઈન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ) કાયમ કરશે અને ભારત ચૂપચાપ સ્વીકારી લેશે. જો એ સ્વીકાર્ય ન હોય તો કદાચ કારગીલ જેવો સંઘર્ષ થશે. ભારત અને ચીન વચ્ચે ૩,૪૮૮ કિલોમીટર લાંબી સરહદ છે. કારગીલમાં બન્યું હતું એમ લડાઈ લડાખ પૂરતી મર્યાદિત રહેશે? કહેવું મુશ્કેલ છે.
આનાં કરતાં બે મહિના પહેલાં ચીને જ્યારે લડાખમાં પ્રવેશ કર્યો ત્યારે જગતને ચોરે કાગારોળ કરી હોત તો? ઇન્દિરા ગાંધીએ ૧૯૭૧માં બંગલાદેશનું યુદ્ધ આખા જગતમાં કાગારોળ કરીને જીત્યું હતું. બલા ટળતી હોય તો કાગારોળ કરવામાં શરમ શાની? ભારતે જો કાગારોળ કરી હોત તો કેટલાકે હસ્તક્ષેપ કર્યો હોત, કોઈકે ચીનની ટીકા કરી હોત અને કોઈકે ચીનને સંયમ જાળવવાની હળવી સલાહ આપી હોત. ચીન પણ વિશ્વમતની ઉપેક્ષા ન કરી શક્યું હોત, કારણ કરે તો કોરોનાના પાપ પછી ભૂંડું લાગત. આપણા માટે આટલું પૂરતું હતું. પણ મરદ મૂછાળા એમ કાંઈ કરે? ઇન્દિરા ગાંધી કરે, ભડવીર ન કરે.
અહીં વડા પ્રધાનને એટલું જ કહેવાનું કે જે હોય તે શરમાયા વિના કહો અને આવડત મુજબ નેતૃત્વ કરો. આવડત ઓછી પડતી હોય ત્યાં બહારની મદદ લો. આખો દેશ સંકટની ઘડીએ તમારી સાથે છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 18 જૂન 2020