રામનાથ કોવિંદે પણ નરેન્દ્ર મોદીની માફક ગાંધીજીને અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયને યાદ કર્યા છે, પણ સ્પષ્ટ કાને પડે એ રીતે નેહરુને અને સાવરકરને યાદ નથી કર્યા. તેમણે એક ડગલું આગળ વધીને ગાંધીજીની કલ્પનાના ભારત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની કલ્પનાના ભારત વચ્ચે સમન્વય સાધવાનું સૂચન કર્યું છે
૨૦૧૪ની ૨૬ મેના દિવસે ભારતના ઇતિહાસમાં પહેલી વાર હિન્દુ બહુમતીવાદમાં માનનારા પક્ષની સરકાર સંપૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં આવી હતી. આ પહેલાં આવ્યું બન્યું નહોતું અને એવું બનશે એની કલ્પના BJPને લોકસભામાં બે બેઠકેથી ૧૮૨ બેઠકે પહોંચાડનારા લાલ કૃષ્ણ અડવાણીએ પણ નહોતી કરી. સ્વાભાવિકપણે હિન્દુ બહુમતીવાદમાં માનનારા પક્ષની સરકારના વડા પ્રધાનનું શું વિઝન છે, શું એજન્ડા છે, કેવો અભિગમ હશે એ જાણવામાં માત્ર ભારતની પ્રજાને જ નહીં, જગત આખાને રસ હોય. સોગંદવિધિ પછીનું નરેન્દ્ર મોદીનું વડા પ્રધાન તરીકેનું પહેલું પ્રવચન અને લોકસભામાં તેમણે કરેલું પહેલું પ્રવચન કેટલાક લોકો માટે ઉત્તેજનાના અને બીજા કેટલાક લોકો માટે ઊંડી કાળજીના વિષય હતા.
એ બે પ્રવચનોમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારી સરકાર BJPની સરકાર નથી, ભારતની સરકાર છે અને એ પછી વિરોધ પક્ષો તરફ ફરીને તેમને સંબોધતાં કહ્યું હતું કે આપણા બધાની સરકાર છે. તેમણે દેશના નાગરિકોને ઉદ્દેશીને કહ્યું હતું કે મારી સરકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ વગરની ભારતના પ્રત્યેક નાગરિકની સરકાર હશે. સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર તેમણે દોહરાવ્યું હતું. તેમણે મહાત્મા ગાંધીને, ડૉ. રામ મનોહર લોહિયાને અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયને યાદ કર્યા હતા; પરંતુ ધ્યાન ખેંચે એવી વાત એ હતી કે તેમણે જવાહરલાલ નેહરુને અને વિનાયક દામોદર સાવરકરને યાદ નહોતા કર્યા. એ સ્વાભાવિક હતું. નેહરુને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભસ્માસુર લાગતો હતો અને સાવરકરને સંઘ હોવો જોઈએ એના કરતાં ઘણો ઓછો ભસ્માસુર લાગતો હતો અથવા નિર્બળોની જમાત લાગતી હતી. વાસ્તવમાં ગાંધીજીની આઇડિયા ઑફ ઇન્ડિયાની લેગસીમાં નેહરુ આવી જાય છે એટલે તેમને અલગથી યાદ કરવાની જરૂર નથી, સાવરકરની આઇડિયા ઑફ ઇન્ડિયાની લેગસીમાં સંઘને ક્યાં બેસાડવો એ સંઘના નેતાઓનો પ્રશ્ન છે. સંઘના નેતાઓ આજ સુધી આ વિશે સ્પષ્ટ અભિપ્રાય બનાવી શક્યા નથી અને જો બનાવ્યો હોય તો વ્યક્ત કરતા નથી.
દેશમાં પહેલી વાર હિન્દુ બહુમતીવાદમાં માનનારા લોકોની સરકાર સ્પષ્ટ બહુમતી સાથે આવી ત્યારે સ્વાભાવિકપણે ગાંધીજીના આઇડિયા ઑફ ઇન્ડિયા અને સાવરકરના આઇડિયા ઑફ ઇન્ડિયામાંથી કોનો આઇડિયા સ્વીકારવામાં આવશે અથવા બે આઇડિયા વચ્ચે કેવો સમન્વય કરવામાં આવશે એ જાણવાની મારા જેવા ગાંધીજીની કલ્પનાના ભારતમાં માનનારાઓને ભય સાથે ઇન્તેજારી હતી. નરેન્દ્ર મોદીએ ઉપર કહી એવી વાતો કરીને એ દિવસ તો બચાવી લીધો હતો, પરંતુ એ પછીથી દેશમાં જે બની રહ્યું છે એ ગાંધીજીના આઇડિયા ઑફ ઇન્ડિયાથી વિરુદ્ધ છે. દેશમાં કોમવાદી વિભાજન-રેખાઓ ખેંચવામાં આવી રહી છે અને કોમી ધ્રુવીકરણ થઈ રહ્યું છે.
૨૦૧૭ની ૨૫ જુલાઈના દિવસે ભારતના ઇતિહાસમાં પહેલી વાર એ એવું બન્યું કે હિન્દુ બહુમતીવાદમાં માનનારા પક્ષની વ્યક્તિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રપતિભવનમાં પહોંચી છે. રાષ્ટ્રપતિ શાસકીય અધિકારો નથી ધરાવતા, પરંતુ બે દિવસ પહેલા પ્રણવ મુખરજી વિશે લખતાં મેં કહ્યું હતું એમ રાષ્ટ્રપતિ રખેવાળની ફરજ અને મર્યાદિત અધિકારો ધરાવે છે. રખેવાળી દેશના અંતરાત્માની અને બંધારણનાં મૂલ્યોની કરવાની છે. સ્વાભાવિકપણે આઇડિયા ઑફ ઇન્ડિયા વિશે નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શું કહેવાનું છે એ જાણવામાં આખા દેશને રસ હતો. રામનાથ કોવિંદે પણ નરેન્દ્ર મોદીની માફક ગાંધીજીને અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયને યાદ કર્યા છે, પણ સ્પષ્ટ કાને પડે એ રીતે નેહરુને અને સાવરકરને યાદ નથી કર્યા. તેમણે એક ડગલું આગળ વધીને ગાંધીજીની કલ્પનાના ભારત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની કલ્પનાના ભારત વચ્ચે સમન્વય સાધવાનું સૂચન કર્યું છે. તેમની દૃષ્ટિએ કદાચ સાવરકરની કલ્પનાના ભારતમાં અને દીનદયાળ ઉપાધ્યાયની કલ્પનાના ભારતમાં ફરક હોવો જોઈએ. તેમની દૃષ્ટિએ દીનદયાળ ઉપાધ્યાયની કલ્પનાનું ભારત ગાંધીજીની કલ્પનાના ભારતની નજીક હોવું જોઈએ.
તેમણે આધુનિકતા અને પૌરાણિકતા (મૉડર્ન વૅલ્યુઝ અને ઓરિયેન્ટલ વૅલ્યુઝ અથવા મૉડર્ન અપ્રોચ અને ઓરિયેન્ટલ એપ્રોચ) વચ્ચે સમન્વય સાધવાની હિમાયત કરી છે. જો કે તેમણે ટ્રેડિશન ઍન્ડ ટેક્નૉલૉજી એવો શબ્દપ્રયોગ કર્યો છે અને કહ્યું છે કે આ બે વચ્ચે વિરોધાભાસ ન હોઈ શકે. એમ લાગે છે કે તેમણે ટકારના ધ્વનીરવથી આકર્ષાઈને આવો ખોટો શબ્દપ્રયોગ કર્યો હોવો જોઈએ. તેમણે ભારતની વિવિધતાઓનો કોઈ પણ પ્રકારની પૂર્વશરત વિના સ્વીકાર કર્યો છે એ આનંદની વાત છે, પરંતુ તેમણે (અખબારોમાં છપાયેલું પ્રવચન જોતાં) કોઈ જગ્યાએ બંધારણીય મૂલ્યોનું જતન કરવાની વાત નથી કરી એ ચિંતાનો વિષય છે.
આમ છતાં તેમણે જે બે સમન્વયની વાત કરી છે એ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનવો જોઈએ. આખરે ભારત ત્રણ-સાડાત્રણ હજાર વર્ષ જૂની સંસ્કૃિત ધરાવે છે એટલે કોઈનો ખો કાઢવાનો તો સવાલ જ પેદા નથી થતો. સમન્વય થયો છે કે નહીં, નથી થયો તો ક્યાં નથી થયો, એને માટે શું કરવું જોઈએ, દીનદયાળ ઉપાધ્યાયે શું રસ્તાઓ સૂચવ્યા છે વગેરે વિશે ચર્ચા થવી જોઈએ. સવાલ એ છે કે સામેના પક્ષેથી માંડણી કરશે કોણ? દીનાનાથ બાત્રાઓ? છેલ્લા ત્રણ દાયકાથી હું એવા માણસની શોધ કરી રહ્યો છું જેણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે પ્રકારના સમન્વયની વાત કરે છે એની માંડણી કરી હોય. એક માણસ નથી મળ્યો. દીનાનાથ બાત્રા સાથે ચર્ચા ન થઈ શકે એટલું તો તમે પણ સ્વીકારશો.
ખેર, રાષ્ટ્રપતિભવનમાં પ્રવેશતા નવા રાષ્ટ્રપતિ શું કહે છે એની ખાસ નોંધ લેવામાં આવતી નથી કે એના પર નુક્તેચીની પણ કરવામાં નથી આવતી. આનું કારણ એ છે કે રાષ્ટ્રપતિ પ્રત્યક્ષ શાસક નથી, માત્ર અંતરાત્મા અને બંધારણીય મૂલ્યોના રખેવાળ છે. આ વખતે ખાસ નોંધ લેવાઈ છે, કારણ કે રખેવાળ હિન્દુ બહુમતીવાદમાં માનનારા પક્ષનો છે. શાસક અને રખેવાળ બન્ને એક જ વિચારધારાના છે અને એ ભારતીય રાજ્ય માટે નિર્ણાયક ઘડી છે. આઇ ઍમ કીપિંગ માય ફિંગર ક્રૉસ્ડ.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 27 જુલાઈ 2017