કાગળ પર, સૂત્રોમાં, જાહેરાતોમાં વૃદ્ધો માટે ઘણી સન્માનજનક વાતો કહેવાતી હોય છે ને કેટલાંક ખરેખર સિનિયર સિટીઝન્સને માન આપે પણ છે. આજની પેઢી એમને ખભે ઊભી છે એવું પણ પ્રશંસાત્મક સૂરે કહેવાતું રહે છે ને એવા પણ છે જે ખભો આપવાની ફિરાકમાં હોય. ડોસાઓ બધા જ વખાણવા લાયક હોય છે એવું નથી, કેટલાક માથાના ફરેલા ને તામસી પણ હોય છે, પણ ઉંમરને કારણે ઘણા દયાજનક સ્થિતિમાં જીવતા હોય છે. એમાં પણ જેઓ એકલા અને આર્થિક આધાર વગરના હોય છે એ બીજાને તો ઠીક, પોતાને પણ બોજારૂપ જ લાગે છે. એવાઓને અનેક પ્રકારના ટેકાની જરૂર હોય છે, પણ એમના તરફ ધ્યાન ઓછું જ જાય છે.
એમાં ક્યારેક પડતાં પર પાટું – જેવું પણ થાય છે. નાણાં મંત્રીએ છેલ્લું બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે સિનિયર્સ માટે બહુ લાગણી હોય તેમ ભાવુક રીતે જાહેર કર્યું હતું કે જે વૃદ્ધોની ઉંમર 75 વર્ષ થઈ ચૂકી છે તેમણે હવે પછી રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી. એમણે તો એમની રીતે જ કહ્યું હશે, પણ સિનિયર્સ એવું સમજ્યા કે 75 ઉપરનાઓએ હવે ઇન્કમટેક્સ ભરવાનો નહીં થાય, પણ પછી એવો ખુલાસો આવ્યો કે રિટર્ન ફાઇલ કરવાનું નથી, એનો અર્થ એવો નથી કે ટેક્સ ભરવાનો નથી. સૂચવાયું તો એટલું જ હતું કે ટેક્સ લાગતો હશે તો તે કપાશે જરૂર, પણ તે સંબંધિત બેન્ક દ્વારા કપાશે. એટલે સરવાળે રાહત તો ટેક્સ કન્સલ્ટન્ટની ફી બચી એટલી જ થઈ ને ટેક્સ કાપવાની વ્યવસ્થા બદલ બેન્ક કોઈ ચાર્જ લેશે કે કેમ તે નથી ખબર. બને કે એ ચાર્જ ટેક્સ કન્સલ્ટન્ટની ફી કરતાં વધી પણ જાય. એ જે હોય તે, સિનિયર્સને છેતરાયાની લાગણી થઈ એ હકીકત છે. આવી રાહતથી ખરેખર સિનિયર્સને કેવી ને કેટલી રાહત થઈ ને ન થઈ હોય તો આવી ગમ્મત કરવાથી સરકારને કેટલી રાહત થઈ તે નાણાં મંત્રીએ જણાવવાનું રહે.
રેલવે તંત્રે પણ સિનિયર્સને છેતર્યા છે. તેમને રેલવે ભાડાંમાં ટિકિટ પર 40 ટકા રાહત અપાતી હતી કે યાત્રી માત્રને ભોજન કે અન્ય સગવડો અપાતી હતી તે કોરોના કાળમાં બંધ કરી દેવામાં આવી. ખરેખર તો મહામારીમાં આનાથી વધારે રાહતોની જરૂર હતી તે બંધ થઈ ગઈ. આમાં પણ વૃદ્ધો દંડાયા. મોંઘવારીનો માર જેમ અન્યોને પડે છે એમ જ સિનિયર્સને પણ પડે જ છે, કદાચ વધારે પડે છે, એટલે એ મરવાને વાંકે જીવે તેમાં નવાઈ નથી. માંદગી કે હોસ્પિટલાઇઝેશન કે દવા વગેરેમાં સૌથી વધુ ખર્ચ સિનિયર્સને થાય છે, તે એટલે પણ કે ઉંમરને કારણે તેમનું સ્વાસ્થ્ય સારું રહે એવું ઓછું જ બનતું હોય છે. એમાં જેમની પાસે નોકરી નથી કે જેમને પેન્શન પણ મળતું નથી કે જેમનો મેડિક્લેમ નથી એમનો નિભાવ કેમ થતો હશે તે પ્રશ્ન જ છે.
જેમને પેન્શન છે એમની સ્થિતિ પણ કૈં બહુ સારી નથી. સાધારણ રીતે બેન્કર્સ બહુ લાભ એ વાતે ખાટે છે કે તેમની જોબ વ્હાઇટ કોલર્ડ જોબ હોવા ઉપરાંત પેન્શનેબલ પણ છે. નિવૃત્તિ પછી કૈં નહિ તો પેન્શનમાં ચાલી રહેશે એટલો વિશ્વાસ તેમને હોય છે, પણ તેમની હાલત પણ સાધારણ છે. બેન્ક રિટાયરિઝની જ વાત કરીએ તો ઇંડિયન બેન્ક્સ એસોશિએશન સાથે જોડાયેલી બેંકોના નિવૃત્ત કર્મચારીઓને બેન્ક દરેક મહિને પેન્શન ચૂકવે છે, પણ આ સિનિયર્સને પેન્શન 10 કે 11 મહિના જ મળતું હોય એવી સ્થિતિ વધારે છે.
કોરોના મહામારી તો વૈશ્વિક આફત છે ને એમાં અનેક જીવોની સાથે સિનિયર સિટીઝન્સ પણ હોમાયા છે. આમ પણ ઉંમરને કારણે સિનિયર્સ અનેક નાની મોટી માંદગીનો ભોગ બનતા જ હોય છે. એકાએક મોટી માંદગીનો ખર્ચ આવી પડે તો હોસ્પિટલ ને દવાના ખર્ચમાં જ વૃદ્ધો એવા વેતરાઈ જતાં હોય છે કે મરવા પહેલાં જ તેઓ મરી રહે છે. એ જ કારણે ઘણાં પેન્શનર્સ મેડિકલ ઈન્સ્યોરન્સ લે છે જેથી સારવારનો મોટો ખર્ચ માથે ન પડે. વીમા કંપનીઓ વીમો ઉતારીને પ્રીમિયમ તો ગજવે ઘાલી જ લે છે, પણ પછી ક્લેઇમ સેટલ કરવામાં ભારે અખાડા કરતી હોય છે. એમાં જ્યારે ગ્રૂપનો મેડિકલ ઈન્સ્યોરન્સ લેવાનો હોય છે ત્યારે કંપનીઓ નોકરીમાં હોય તેને કે નોકરીમાંથી નિવૃત્ત હોય તેને દર વર્ષે પ્રીમિયમ વધારી વધારીને લૂંટે જ છે ને તેનો એવો બોજ નિવૃત્તો પર પડે છે કે પ્રીમિયમ ભરવા લોન લેવી પડે છે અથવા તો સબસિડી પર આધાર રાખવો પડે છે.
પ્રમાણમાં બેન્કનો નિવૃત્ત ક્લાર્ક કે ઓફિસર પેન્શનને કારણે એકંદરે ઠીકઠાક રહેતો હોય છે, પણ તેણે પણ વર્ષમાં ઓછામાં ઓછાં એક કે બે પેન્શન મેડિકલ ઈન્સ્યોરન્સ કંપનીને નામે જ કરી દેવાં પડે છે. ઇંડિયન બેન્ક્સ એસોશિએશન સાથે જોડાયેલી બેંકોનાં નોકરીમાં હોય તેવા કે બેંકમાંથી નિવૃત્ત થયા હોય એવા અધિકારી કે વર્કમેન સ્ટાફના મેડિકલ ઈન્સ્યોરન્સ, નેશનલ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા ઉતારાય છે. આ કંપની સરકારની કંપની છે. પ્રમાણમાં સરકારી કંપનીનું પ્રીમિયમ ઓછું હોય છે, પણ આ અને બીજી કંપનીઓ ધીમે ધીમે એટલો વધારો વર્ષોવર્ષ લાવે છે કે માંદગી પહેલાં પ્રીમિયમ ભરવામાં જ સિનિયર્સ અધમૂઆ થઈ જાય છે. માત્ર બેન્ક ઓફિસરનો જ દાખલો જોઈએ. 2015-16માં ચાર લાખના વીમા માટે પ્રીમિયમ 6,573 અને જી.એસ.ટી. 920 મળીને 7,493 રૂપિયા હતું. આ પ્રીમિયમ 20-21માં 32,264 (27,342+4,922 જી.એસ.ટી.) થઈ ગયું જે લગભગ 5 ગણું વધ્યું. હવે 2021-22 માટે મેડિકલ ઈન્સ્યોરન્સ લેવા જઈએ તો તે 43,249 (36,652+6,597 જીએસટી) રૂપિયા ભરવા પડે. જે ગયા વર્ષ કરતાં 34 ટકા વધારે છે. આ વધારો વર્કમેન સ્ટાફમાં 40 ટકા છે. 2015માં જે પ્રીમિયમ 6,573 હતું તેનાથી વધારે 6,597 તો ખાલી જી.એસ.ટી. જ આ વર્ષે લાગે છે. આ તો વીમા કંપનીને જીવાડવા ડોસાઓએ વીમો ઉતરાવવા જેવું છે. કંપની, સરકારની, પણ નિવૃત્તો પાસેથી 18 ટકા જી.એસ.ટી. લૂંટતા શરમાતી નથી. આ નિવૃત્તો ધંધો કરે છે કે વીમો ઉતરાવવો એ શું નફાકારક ધંધો છે કે 18 ટકા જી.એસ.ટી. લેવો જ પડે? થોડી પણ શરમ હોય તો વીમા કંપનીએ તાત્કાલિક અસરથી જી.એસ.ટી. નાબૂદ કરવો જોઈએ. આજે જ જાહેરાત થઈ છે કે 50.000 રૂપિયા કોરોનામાં મૃત્યુ પામેલાના વારસોને સરકાર આપશે. આ સારી જ વાત છે, જો આ એમને એમ આપી શકાય તો નિવૃત્તોનાં પ્રિમિયમમાંથી જી.એસ.ટી. બાદ ના થઈ શકે કે કોઈ પણ મદદ, સરકાર કોઈના મર્યા પછી જ કરે છે? ઓલ ઈન્ડિયા બેન્ક એસોશિએશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટચલમે નાણાં મંત્રી નિર્મલા સિતારામનને આ અંગે 21 સપ્ટેમ્બરે પત્ર પણ લખ્યો છે. જોઈએ, શું થાય છે તે –
34થી 40 ટકા પ્રીમિયમ વધારો એક જ વર્ષમાં કેમ થયો એનાં કારણોમાં ઇંડિયન બેન્ક્સ એસોશિએશન દ્વારા એમ જણાવાયું કે આ વર્ષે ક્લેઇમ રેશિયો 147 ટકા વધી ગયો. આમ થવા પાછળનું દેખીતું કારણ તો કોરોનાનો થયેલો વિસ્ફોટ જ છે. આ મહામારી વૈશ્વિક છે ને તેને કારણે 90 ટકા વધારો ક્લેઇમમાં થયો હોય એમ બને, પણ એ કોઈ કાવતરું નથી. આ ન ટાળી શકાય એવું અનિષ્ટ છે. બીજું, મેડિકલ ઈન્સ્યોરન્સ લેવાનું કારણ તો એ જ હોય ને કે આરોગ્યની સલામતી, એને લીધે જળવાઈ રહે. એ કોઈ શોખ ખાતર તો ના જ લે. બીજું, કે જેમણે વર્ષોથી કેવળ પ્રીમિયમ જ ભર્યું છે ને કદી રૂપિયાનો ક્લેઇમ નથી કર્યો એના કરોડો કરોડો રૂપિયા કંપનીએ ગજવે ઘાલ્યા છે એનું શું? વર્ષોથી ક્લેઇમ રેટ ઓછો રહ્યો ત્યારે નફો થયો એનો અવાજ ના કર્યો ને આ એક વર્ષ કોરોનાને કારણે ક્લેઇમ રેટ વધ્યો તો તે ગણી બતાવાય એ બરાબર નથી. સરકારની વીમા કંપની જરા પણ માણસાઈ વગર પ્રીમિયમ વધારે એનો તમામ એસોશિએશન દ્વારા વિરોધ થવો જોઈએ ને તેને પ્રીમિયમ ઘટાડવાની ફરજ પાડવી જોઈએ.
આમાં ઇંડિયન બેન્ક્સ એસોશિએશનની ભૂમિકા પણ શંકાસ્પદ છે. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોશિએશનના જનરલ સેક્રેટરીએ 20 સપ્ટેમ્બરે સિનિયર એડ્વાઇઝરને લખેલ પત્રમાં આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું છે કે ઇંડિયન બેન્ક્સ એસોશિએશને કોઈ પણ ચર્ચા કર્યા વિના સીધો પ્રીમિયમમાં વધારો જાહેર કરી દીધો ! જનરલ સેક્રેટરીએ એનો વિરોધ કરીને પ્રીમિયમ ઘટાડવા અંગે તાકીદે મીટિંગ બોલાવવાની માંગ કરી છે.
આ તો બેન્ક સંદર્ભે વાત થઈ. બીજું ઘણું એવું હશે જ્યાં જેનું પણ મળે, જે પણ મળે ને અધિકાર વગર મળે તે ગજવે ઘાલી લેવાય. કોઈનું પણ લૂંટી લેવું એ માનસિકતા કોરોના કરતાં વધારે ભયંકર છે. એમાં કોઈ બાકાત નથી. એમાં ઓછું કમાનાર, ઓછું ખાનાર માટે જગ્યા જ બચતી નથી. આ બધાંમાં સિનિયર્સ ક્યાં ઊભા રહે, ઊભા રહે તો કઈ રીતે ટકે એ સારી નાખતો પ્રશ્ન છે. એને માટે પ્રાર્થના જ કરવાની રહે. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 સપ્ટેમ્બર 2021