Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9297648
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સેંગોલ ઉપાખ્યાન : મણકો બીજો અમૃતકાલે સાદ સભ્યતાનો 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 June 2023

પ્રકાશ ન. શાહ

સેંગોલ પ્રકરણમાં મુખડો જે રીતે બાંધ્યો અમિત શાહે અને નિર્મલા સીતારામને એમાં ચર્ચાની ગુંજાશ કમ અને ચકચારની સામગ્રી કે જામગરી ભારોભાર એવો ઘાટ હતો. માઉન્ટબેટન, જવાહરલાલ અને રાજગોપાલાચારીની કોઈ સત્તાંતર પ્રક્રિયાની મંત્રણા – અને એમાં સેંગોલનો સિંહ પ્રવેશ – એ કોઈ ઇતિહાસવસ્તુ હોય એનું સમર્થન એકે છેડેથી નથી મળતું, સિવાય કે જે તે અધિનમ(મઠ)નો પોતાનો દાવો. અન્નાદુરાઈએ તે દહાડે ઠીક જ કહ્યું હતું કે, અમે સત્તાંતરણ કરાવ્યું એવી છાપ ઊભી કરવાની કોશિશ મઠને પક્ષે આ સેંગોલ-ભેટની પૂંઠે છે.

ચકચારને ઓર વળી ને આમળો હાલનાં સત્તાવર્તુળોની એ મરોડમાસ્તરીથી મળ્યો કે આ સેંગોલ રાજદંડ / ધર્મદંડ / ન્યાયદંડ જવાહરલાલ નેહરુની વૉકિંગ સ્ટિક તરીકે અલાહાબાદ મ્યુઝિયમમાં કોચંડે પડ્યા જેવો હતો. ભાઈ, 1948-52નાં વરસોમાં ત્યાં ક્યુરેટર ને ડાઇરેક્ટર રહેલા અધિકારીએ એને ગોલ્ડન સ્ટિક (સુવર્ણ દંડ) એવી ઓળખ આપી હતી. સેંગોલની એથી વિશેષ ઓળખ સંશોધકના ક્ષેત્રમાં આવે છે, ક્યુરેટર-ડિરેક્ટરનું એ દાયિત્ય નથી. ગમે તેમ પણ એને વૉકિંગ સ્ટિક તો કહેવાઈ નહોતી. પણ આ રીતે મરોડમાસ્તરી ખેલાઈ એટલે તરત એમાંથી એ પણ નવનીત (આ કિસ્સામાં જો કે, વિપરીત વલોણે) આવી મળ્યું કે જવાહરલાલને ભારતીય સંસ્કૃતિ માટે કેવો દ્વેષ હતો, જુઓ.

ભારતે પોતે કેમ ચાહે છે, અને ઉત્તરોત્તર એ ખેંચાણ કેવું વધતું જાય છે તેમ જ જિજ્ઞાસા-અને-કૌતુક-વશ વિસ્મય જ વિસ્મય કેવો અનુભવાય છે એનું સ્વાધ્યાયયુત, સંવેદનસિક્ત ને સહૃદય અલબત્ત સમીક્ષા સજ્જ આલેખન જવાહરલાલની ભારતખોજ કિતાબમાં પાને પાને જોવા માટે છે. જેણે અશોક ચક્ર ને સારનાથના ત્રણ સિંહની પ્રતિષ્ઠા કરી એને સંસ્કૃતિની ખબર નહોતી ? કદર નહોતી ? અને ‘સત્યમેવ જયતે’ એ મુદ્રાલેખ તો મુંડકોપનિષદની દેણ છે. દેશભરમાં આ બાબતે ખોજ ચાલી હતી. પહેલા સ્પીકર ગ.વા. માવળંકરની રોજનીશીમાં પણ સાક્ષર અ.છો. પરીખ આદિ સાથે આ અંગેના પરામર્શની તપસીલ મળે છે.

જો કે, જેની ચર્ચા વહેલી ને વખતોવખત હાલનાં સત્તાવર્તુળોમાં ને અન્યત્ર થવી જોઈતી હતી તેવો એક મુદ્દો આ ગાળામાં જરૂર સામે આવ્યો – અને તે ધર્મની ભૂમિકા. રામ માધવના શબ્દોમાં ધર્મોક્રસી. ધર્મના સંપ્રદાયમુક્ત અર્થ પર ભાર મૂકવા સાથે સંઘ-વિચારકો આ ચર્ચામાં એ મુદ્દો પણ સાથેસાથ લઈ આવે છે કે સેંગોલ જેવા પ્રતીકમાં સભ્યતાની, સંસ્કૃતિની સોડમ ને સાતત્ય છે. ધર્મગુરુ અને રાજા વચ્ચેના વહેવારને માનો કે લોકશાહી અર્થઘટન સાથે સંક્રાન્ત કરવાની કોશિશ કરીએ – જેમ કે ‘યજ્ઞાત્ પર્જેન્યઃ’ વાળો યજ્ઞ આપણે નેત્રયજ્ઞ, સેવાયજ્ઞ એમ છૂટથી સંક્રાન્ત કરતા થયા છીએ – તો પણ એક પાયાનો પ્રશ્ન રહે છે જે સંઘવિચારકો કદાચ સમજી શક્યા નથી.

વાત એમ છે કે, સભ્યતાના ખયાલને અગ્રતા આપવાને ધોરણે વિચારીએ છીએ ત્યારે તે ‘નેશન ફર્સ્ટ’ની સંઘસમજ સાથે ટકરાય છે. સાવરકર-હેડ્ગેવાર-ગોળવલકર આદિ રાષ્ટ્રની વ્યાખ્યાં એમની સઘળી પ્રાચીનતાના દાવા સાથે હમણેના સૈકાઓના યુરોપની છે. સાવરકરની વિચારછાયા, મુંજે-મુસોલિની મુલાકાત, ગોળવલકર ગુરુજીનું ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ – ક્યાં ય, કશે ય બેઠકમાંડણી સિવિલાઇઝેશનલ નથી, છૂટપૂટ ઉદ્દગારો માફ, પણ એકંદર ચિત્ર તો આ અને આ જ.

અપવાદરૂપ સંભાવના ત્યારે કિંચિત ઊભી થઈ હતી જ્યારે દીનદયાલ ઉપાધ્યાયે એકાત્મ માનવવાદનો થીસિસ મૂક્યો હતો. વસ્તુતઃ ઘણી બાબતોમાં એ સ્થાપિત ને પ્રણાલિગત સંઘવિચારથી ઓછોવત્તો પણ તત્ત્વતઃ જુદો પડતો અભિગમ હતો. ઉપાધ્યાયે ચંદ્રગુપ્ત ને શંકરાચાર્ય વિશે લખ્યું તે ઘણુંખરું સંઘના નિંભાડાનું જ આગલા જમાનાઓનું ચિત્રણ હશે, પણ એકાત્મ માનવવાદ સાથે એ દેખીતું જોડાણ ચાલુ રાખવા છતાં જુદા પડતા હતા. કોઈકે એ ક્વાયત કરવા જેવી છે. (જે દીનદયાલ ઉપાધ્યાયે ઉંબરે આવી છોડી દીધી છે) કે એકાત્મ માનવવાદમાં વ્યક્ત થયેલ સમજને ધોરણે ગોળવલકરના પુસ્તકને તપાસીએ બને કે આખા વિમર્શને ભલે ને સેંગોલને મિષે પણ કંઈક વિધાયક અવકાશ મળી આવે. કોરાધાકોર સેક્યુલર અભિગમને સભ્યતાસભાન થવાની જરૂર હશે તો કથિત, રાષ્ટ્રવાદને તો તળેઉપર, તળિયા ઝાટક એવી જરૂર છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : “દિવ્ય ભાસ્કર”; 07 જૂન 2023

Loading

8 June 2023 પ્રકાશ ન. શાહ
← નિર્ભયા માટે જે લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા એ ક્યાં છે?
રહેવા દે →

Search by

Opinion

  • માથેરાનમાં હાથી અને ઊંટ! 
  • સોક્રેટિસ ઉવાચ-૭ : પ્રખર હિંદુત્વવાદી અને સોક્રેટિસ વચ્ચેનો વધુ એક કાલ્પનિક સંવાદ 
  • ગાંધી પછીનું ભારત’ પુસ્તક અને અવસર : નમ્રતા, વિદ્વત્તા અને સભાનતા 
  • ઋણબદ્ધ
  • વાણી વિલાસ, કરશે ખલાસ !

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • હાલો…
  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved