અયોધ્યા ઓચ્છવ પછી
દેશનું સમાજવાદી આંદોલન વર્ણવાસ્તવને જરૂરી જાણતું હતું, પણ પશ્ચિમમાં નહીં એવું જે વર્ણવાસ્તવું આપણે ત્યાં છે એને સમજવામાં રામ મનોહર લોહિયા કદાચ પહેલા હતા.
ચૂંટણી પ્રચારમાં માધ્યમો જેને કાર્પેટ બોમ્બિંગ તરીકે વર્ણવે છે એવા વ્યાપ અને અજબ જેવા તામઝામ સાથે અયોધ્યા ઓચ્છવ રંગેચંગે પાર પાડી અશ્વમેઘના ઘોડાને હજી ધરવ ન હોય તેમ નમો તંત્રે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન જાહેર કરવાનું પગલું ભર્યું છે. દેખીતી રીતે જ તાજેતરમાં નીતિશકુમારે બિહારમાં કાસ્ટ સેન્સસ સાથે અતિપછાત તબકાની જે વિગતો જાહેર કરી છે, કે પછી રાહુલ ગાંધીએ હમણાં રાજ્ય વિધાનસભાઓમાં ચૂંટણી પ્રચાર વેળાએ સરકાર બહાદુરના આલા અફસરોમાં ઓ.બી.સી. કેટલા એ મુદ્દો ઉચક્યો હતો તેની સામે અતિપછાતલક્ષી અનામત નીતિના અગ્રયાયીને ભારત રત્ન જાહેર કરતું આ એક વ્યૂહાત્મક પગલું નિઃશંક છે.
મૂળે, જનસંઘ કાળમાં કેટલાંએ રાજ્યોમાં આ પક્ષની ઓળખ બ્રાહ્મણવાણિયાની પાર્ટી તરીકે હતી. આજે એનાથી ભા.જ.પ. ખાસો આગળ વધી ગયો છે. કર્પૂરી ઠાકુરે બિહારમાં પોતાના મુખ્ય મંત્રી કાળમાં જે વાનું પકડ્યું કે પછાત વર્ગોમાં વાસ્તવમાં અતિપછાત સમુદાય ખાસ્સો મોટો છે અને અનામતમાં એને અગ્રતા આપવી રહે છે, એ સ્થાપિત પક્ષોના આરંભિક ઊંહ પછી ઉત્તરોત્તર સ્વીકારાતું ચાલ્યું છે. નીતિશે અને લાલુએ ભારતરત્નની જાહેરાતને આવકારવા સાથે કેવિયટનુમા અંદાજમાં ઠીક જ કહ્યું છે કે, આ તો અમારી લાંબા વખતથી સ્વીકૃતિની રાહ જોતી માંગણી છે.
જોવાનું એ છે કે, વી.પી.ના મંડલ અને પોતાના કમંડલ એવા સામસામા વ્યૂહો પછી બહુ જ દક્ષતાથી ભા.જ.પે. આ મુદ્દો પોતાનો કરવા માંડ્યો હતો. રાજનાથસિંહે યાદ કર્યું છે કે, પોતે કેટલોક સમય ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી હતા ત્યારે કર્પૂરી ઠાકુર સરકારના અભિગમને લક્ષમાં લઈ આ નીતિ દાખલ કરવાની કોશિશ કરી જ હતી. આબાદ ઉદાહરણ, નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મંડલકમંડલની મીલીજૂલી તાસીર પરત વિકાસના વરખની રાજનીતિથી પૂરું પાડ્યું હતું. દિલ્હીનીમ્યા દંડનાયક તરીકે એ ગુજરાત આવ્યા ત્યારે પ્રસારિત બાયોડેટામાં એમણે પોતે પછાત તબકામાંથી આવે છે એવું અધોરેખિત કરવાની ખાસ કાળજી લીધી હતી, અને હમણાં ભારતરત્ન પ્રકરણમાં હરખ પ્રગટ કરવા ટાંકણે સાઇન્ડ આર્ટિકલમાં પણ પોતાની આ ઓળખ રામમંદિરના ઓચ્છવની વાંસોવાંસ જાહેર કરવાનું ચૂક્યા નથી.
આ પ્રક્રિયાને બે રીતે સમજવાપણું છે એમ મને લાગે છે. એક તો, સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન વિશેષરૂપે ગાંધીપ્રવેશ સાથે આમજનતાની સહભાગિતા કેન્દ્રમાં આવી, ગાંધીની પહેલી બે લડતો ચંપારણના કિસાનોની ને અમદાવાદના મજદૂરોની હતી. કાઁગ્રેસમાં સમાજવાદી પક્ષ આવ્યો ત્યારે આચાર્ય નરેન્દ્રદેવે ગાંધીજીની જિજ્ઞાસાના ઉત્તરમાં સરસ કહ્યું હતું કે, તમે શરૂ કરેલી પ્રક્રિયાને મધ્યમ વર્ગથી આગળ ને નીચે લઈ જવાની કોશિશ અમારી છે. સમાજવાદી આંદોલનની આ જાગૃતિમાં વર્ગવાસ્તવની સમજ ચોક્કસ હતી. પણ આપણે ત્યાં જે વર્ણવાસ્તવ છે એની સભાનતા સમાજવાદી આંદોલનમાં લોહિયા લઈ આવ્યા. એને અનુલક્ષીને અતિપછાત જ્ઞાતિગત અનામત અગ્રતાના અગ્રયાયી કર્પૂરી બની રહ્યા. બિહારમાં ને બીજા પણ કેટલાક પંથકમાં સમાજવાદી દેવબાજઠ પર જે.પી. લોહિયાની જોડાજોડ કર્પૂરીનું નામ લેવાતું થયું હોય તો તેનું રહસ્ય આ હકીકતમાં છે. મહારાષ્ટ્રના મધુ લિમયે કે મધ્ય પ્રદેશના શરદ યાદવને બિહારમાં સ્થાન મળ્યું એનું એક કારણ આ વર્ગવર્ણસંધાનમાં પડેલું છે.
સબ કા સાથ, સબકા વિકાસ એ વડા પ્રધાનનું પ્રિય સૂત્ર છે. દલિત અનામત, પછાત અને અતિપછાત અનામત એ આ સૂત્રને ચરિતાર્થ કરવાની એક કાર્યકૂંચી છે. ચાલુ ચૂંટણીલક્ષી રાજકીય ગણતરીઓનું જાણે કે સમજ્યા, પણ લક્ષ્ય તો સૌને પૂરા કદના નાગરિકમાં સ્થાપવાનું છે. ભવ્ય મંદિર ને અભૂતપૂર્વ ઉજવણી સાથે વડા પ્રધાને ‘રામ’ની વ્યાપક વ્યાખ્યાનો પ્રયાસ જરૂર કર્યો, પણ આ આંદોલન વધુમાં વધુ કંઈ કરી શક્યું હોય તો તે કથિત ઊંચનીચ સૌને ‘હિન્દુ’ ઓળખમાં ગોળબંધ કરવાનું સત્યાગ્રહી ગાંધી, સંપૂર્ણ ક્રાંતિના જયપ્રકાશ કે સપ્ત ક્રાંતિના લોહિયા નાતજાત પર નાગરિકતાને સ્થાપવાનો ઉજમ કરતા હતા.
આ સંદર્ભમાં ક્યાં છો તમે, ભારત રત્ન કર્પૂરી ઠાકુર નાનામોટા સૌ રાજરત્નોને પૂછે છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 24 જાન્યુઆરી 2024