સત્યને સમજવાના કે પામવાના ત્રણ અભિગમ દુનિયામાં પ્રવર્તમાન છે. એક અભિગમ એવો છે કે અમારો ધર્મ સંપૂર્ણ છે એટલે સત્યની એમાં જે વ્યાખ્યા કરવામાં આવી છે એમાં મીનમેખ ન હોઈ શકે. ટૂંકમાં, સત્યને સમજવાનો, પામવાનો અને એ રીતે મુક્તિ મેળવવાનો માર્ગ એ જ છે જે અમારા ધર્મમાં કહેવામાં આવ્યો છે.
બીજો અભિગમ એવો છે કે સત્યને સમજવાના અને તેને પામવાના અનેક માર્ગ છે. સત્ય એક છે, તેનાં સ્વરૂપ અને માર્ગો અનેક છે. કોઈ પણ માર્ગ શ્રેષ્ઠ કે કનિષ્ઠ નથી. હિંદુ દાર્શનિક પરંપરા આવો અભિગમ ધરાવે છે.
ત્રીજો અભિગમ એવો છે કે સત્ય એક જ છે, પરંતુ મર્ત્ય માનવી તેને તેની મર્યાદિત દૃષ્ટિથી જુએ છે એટલે દ્રષ્ટાની દૃષ્ટિમર્યાદાથી સત્ય પ્રભાવિત થાય છે. આ સ્થિતિમાં આપણને સમજાયેલું સત્ય શુદ્ધ સત્ય હોઈ એમ માની લેવાની જરૂર નથી. સત્ય તમે જે સ્વરૂપમાં જુઓ છો તેનાથી જુદું પણ હોય શકે છે. આમ મને કે આપણને સમજાયું એ જ સત્ય એવો દુરાગ્રહ રાખવો એ ખોટું છે. આવો દુરાગ્રહ સત્યને રૂંધે છે. હા, મર્ત્ય માનવી જીવન ઊજાળીને પરમ સત્યને પામવાને લાયક બનાવી શકે છે. અહીં છેલ્લું વાક્ય ફરી વાંચો, જીવન ઊજાળીને સત્ય પામવાને લાયક બનાવી શકે છે, પામે જ છે એમ કહેવામાં આવ્યું નથી. કારણ કે સત્ય માનવીય દાવાનો વિષય હોય જ ન શકે.
આ ત્રણ અભિગમમાં ત્રીજો અભિગમ આપણને જૈનદર્શન પાસેથી મળ્યો છે અને એ જૈનોનો આપણા ઉપર અને સમગ્ર જગત પર ઉપકાર છે. જો એનું તાત્પર્ય સમજવામાં આવે તો આ જગત જીવવા જેવું બની જાય. જૈન તીર્થંકરો નમ્રતાપૂર્વક કહે છે કે આ જગતમાં કોઈ કહેતાં કોઈ તેને પરમ સત્ય સમગ્રપણે લાધ્યું હોવાનો અને તેનાં ચોક્કસ સ્વરૂપ વિશેનો દાવો ન કરી શકે. કારણ કે આવો દાવો કરનારા એકાંતવાદી બની જાય અને સત્ય એકાંતિક હોતું નથી. દર્શન-પ્રવર્તકો પોતે જ સામે ચાલીને કહે કે અમને પણ સત્ય તેના અંતિમ સ્વરૂપમાં નથી લાધ્યું, પરંતુ તપશ્ચર્યાને અંતે અમે એવું સમજ્યા છે કે તેમાં અનેક સંભાવનાઓ રહી છે એટલે એકાંતિક દુરાગ્રહ નકામો છે.
જેમણે કોઈ તપશ્ચર્યા કરી નથી અને જેને કાંઈ જ હાથમાં આવ્યું નથી એવા લોકો દુરાગ્રહ સેવે છે અને જેમણે આકરી તપશ્ચર્યા કરી છે એ જીવનશોધનની તપશ્ચર્યાને અંતે એવા તાત્પર્ય પર પહોંચે છે કે સત્ય અંગેની સંભાવનાઓ તમે નકારી ન શકો. આમ ભારતીય દાર્શનિક પરંપરામાં જૈન દર્શન કલગીરૂપ છે. સનાતન ધર્મ પર શ્રમણ ધર્મનો ઉપકાર છે. જેમ આંબેડકરે ગાંધીજીને પડકારીને ગાંધીજીને વિકસવા માટે તેમના ઉપર ઉપકાર કર્યો હતો એમ શ્રમણ દર્શને વૈદિક દર્શન પર ઉપકાર કર્યો છે. પણ બન્યું છે એવું કે જેમ ગાંધીજીને પડકારનારાઓ ગાંધીજીમાં થયેલો વિકાસ સ્વીકારતા નથી એમ વૈદિકદર્શનના દુરાગ્રહીઓ શ્રમણદર્શનનો ઉપકાર સ્વીકારતા નથી. ઊર્ધ્વમુખી પરસ્પર પૂરકતાનો દુરાગ્રહોના કારણે છેદ ઉડાડવામાં આવે છે. ત્યારે પણ એમ જ થયું હતું અને અત્યારે પણ એ જ થઈ રહ્યું છે.
હવે ગયા સપ્તાહે જેમ કહ્યું હતું એમ જો અનેકાંતને સ્વીકારવો હોય તો માખણ જેવા મુલાયમ અને મોકળા મનના બનવું પડે. જો કોઈ અભિમાન, આગ્રહ, ગૃહીતો, પૂર્વાનુમાન, અણગમા હોય તો તમે મોકળા મનના બની જ નહીં શકો. એને માટે જીવનશોધન કરવું પડશે, જીવનને પખાળવું પડશે. માનવી દરેક પ્રકારના સંસ્કારોથી મુક્ત થઈ જાય એટલે તેનું જીવન સાર્થક થઈ જાય. જે તપશ્ચર્યા છે તે એક માત્ર અને એક જ સ્વરૂપમાં સત્યને સત્ય પામવા માટેની નથી, પણ સત્ય સાથે જોડાયેલી એક કરતાં વધુ સંભાવનાઓ સ્વીકારવા જેટલી પાત્રતા માટેની છે. આટલો જ માનવીનો અધિકાર છે.
આમાંથી એક નવો અભિગમ પેદા થયો છે. વૈદિક પરંપરા મહદ્ અંશે ઈશ્વરવાદી છે. ઈશ્વરવાદીઓ જગતના નિયંતા એવા એક ઈશ્વરને માને છે. એ સૃષ્ટિનો જનક છે, કર્તા-ધર્તા છે, સર્વશક્તિમાન નિયામક છે, પાપ-પુણ્યનો હિસાબ રાખે છે વગેરે. ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ નથી ખસતું. મનુષ્ય પાસે ત્રણ વિકલ્પ છે. સાંખ્યબુદ્ધિ દ્વારા પરમતત્ત્વ કે આત્મા અને પરમાત્માનું સ્વરૂપ સમજી લે. બીજો વિકલ્પ છે ભક્તિમાર્ગે ઈશ્વર સાથે એકાકાર થઈ જાય અને ત્રીજો વિકલ્પ છે માલિક અને દાસનો સંબંધ સ્વીકારીને પોતાની પામરતા સ્વીકારી લે.
આમાંથી ફક્ત ઈશ્વરોપાસના જ નથી વિકસી, ગુરૂપાસના, મંત્રોપાસના, ગ્રંથોપાસના વગેરે બીજી અનેક આનુષંગિક ઉપાસનાઓ વિકસી છે. તેમની પ્રસન્નતા સંપાદિત કરવામાં આવે તો તેઓ આપણું જીવન ધન્ય કરી આપે. જ્યારે જિંદગીની સાર્થકતા બીજાની કૃપા પર આધારિત હોય ત્યારે માનવી બે ચીજ કરે. સમર્થની કૃપા મેળવવા તેમને પ્રસન્ન રાખવાના પ્રયાસ કરે અને તે સાથે જ કૃપાવાન નારાજ ન થાય અને તેનો ખોફ ન વહોરવો પડે એ માટે ડરીને રહે. એ સમયના વૈદિક ધર્મને અનુસારનારાઓમાં આ બન્ને તત્ત્વો નજરે પડતાં હતાં અને પછી તો તેમાં અતિરેક પણ જોવા મળતો હતો.
આની સામે જે પરંપરા વિકસી તે નિરીશ્વરવાદી પરંપરા. એ છે તો આત્મવાદી, પણ તે સાથે નિરીશ્વરવાદી પણ છે. આપણે જો આત્મોદ્ધાર કરવો હોય, આપણી અમૂલ્ય જિંદગી ઉજાળવી હોય તો બીજા પર અવલંબન રાખવાની શી જરૂર છે? આપણા નિયામક આપણે પોતે જ કેમ ન હોઈએ? બીજાની પ્રસન્નતા, બીજાની કૃપા, બીજાની ખફા આપણી જિંદગીનું ચાલકબળ શા માટે હોય? બીજું જેના પર અવલંબન રાખવામાં આવે છે તે અંતિમ અને એક માત્ર સત્ય છે કે સત્યનો જાણકાર છે એની કોઈ ખાતરી નથી. સત્ય અલગ અલગ વ્યક્તિને, એકની એક વ્યક્તિને, અલગ અલગ સમયે, અલગ અલગ સ્થળેથી, અલગ અલગ સંદર્ભોમાં; અલગ અલગ સ્વરૂપે નજરે પડતું હોય છે. સત્ય એકાંતિક નથી હોતું, અનેકાંતિક હોય છે અને જો સત્યનું સ્વરૂપ આવું જ અનેકાંતિક જ હોય તો ઈશ્વર સહિત બીજાઓ પર અવલંબન રાખવાનો કોઈ અર્થ નથી.
આમ નિરીશ્વરવાદીઓ વ્યક્તિના સ્વતંત્ર વિકાસમાં માને છે. આ અર્થમાં તે અવલંબનમુક્ત સ્વતંત્ર છે. પ્રત્યેક વ્યક્તિ અથવા જીવ પોતાનો વિકાસ સાધી શકે છે, પોતાનામાં રહેલ રાગ-દ્વેષની ગ્રંથિઓથી મુક્ત થઈ શકે છે, જૈનો માટે સર્વોચ્ચ એવી વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. એ પોતે જ પોતાનો નિયામક છે, સંચાલક છે અને માટે સ્વતંત્ર છે. હું આને નિરીશ્વરવાદી પરંપરા કરતાં પુરુષાર્થી પરંપરા કહું છે. એક છે કૃપાર્થી પરંપરા અને બીજી છે પુરુષાર્થી પરંપરા. મહાવીર, મહાવીર પહેલાંના તીર્થંકરો, બુદ્ધ અને બીજા અનેક જાણીતા અને અજાણ્યા વિચારકોએ આ જે આત્મોદ્ધારની આ જે પુરુષાર્થી પરંપરા વિકસાવી હતી તે શ્રમણ પરંપરા તરીકે ઓળખાય છે. શ્રમણ શબ્દ શ્રમ પરથી બનેલો છે. કોઈની કૃપા નહીં, આપણો પોતાનો શ્રમ. કૃપાર્થી પરંપરા વૈદિક, સનાતન કે બ્રાહ્મણ પરંપરા તરીકે ઓળખાય છે અને પુરુષાર્થી પરંપરા શ્રમણ તરીકે.
એ યુગમાં શ્રમણ-બ્રાહ્મણ (જાતિ નહીં, પરંપરા) યુદ્ધ જામ્યું હતું. કૃપાને પડકારનારો પુરુષાર્થ સ્થાપિત હિતોને માફક આવે એવો નહોતો. વ્યક્તિ કે જીવ પોતે જ સ્વતંત્ર રીતે વીતરાગ અથવા પરમપદ પ્રાપ્ત કરી લે તો પ્રપંચો ચાલે કેવી રીતે? ત્યારે થયેલાં શ્રમણ-બ્રાહ્મણ યુદ્ધનો લાંબો ઇતિહાસ છે જેમાં જવાની જરૂર નથી, પરંતુ ‘સમણસુત્તં’ના આધારે જૈનદર્શનના તત્ત્વજ્ઞાનનો નમૂનારૂપ પરિચય કરાવીને અને તેના બ્રાહ્મણ પરંપરા પર પડેલા પ્રભાવની વાત કરીને આગળ વધીશું.
25 જૂન 2019
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 30 જૂન 2019