સર્વોદય પરિવાર ટ્રસ્ટ, ધરમપુર તાલુકાના પિંડવળ ખાતે, છેલ્લા પાંચ દાયકાથી, આદિવાસી પ્રજાના સર્વાંગી ઉત્કર્ષ અર્થે મથામણ કરે છે તે વાત ગુજરાતથી અજાણી નથી. કાંતિ શાહ એક તરફ ‘ભૂમિપુત્ર’ના અંકનું એકાંતરે સંપાદન કરતા, બાકીનો બધો સમય પિંડવળને ફાળવતા. પ્રતિવર્ષ કેટલું કામ થયું, તેમાં વ્યાપક સમાજનો કેટલો સહયોગ પ્રાપ્ત થયો, તેનો હિસાબ પણ તેઓ તૈયાર કરીને ઘણાને મોકલતા રહેતા. બધું જ કામ નિષ્ઠાપૂર્વક અને પારદર્શકતાથી થતું. આ કામને ૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં હતાં, એટલે ટ્રસ્ટીમંડળે સુવર્ણ જયંતી વર્ષ (૧૯૬૮-૨૦૧૮)ની ઉજવણીનો વિચાર કર્યો. તા. ૨૩-૨૪/૨/૨૦૧૯ના બે દિવસો આ માટે નક્કી કર્યા. અમે પણ મિત્રો સાથે તેમાં સહભાગી થયા.
૧૯૬૮માં પિંડવળમાં ડૉ. નવનીતભાઈ ફોજદારે થાણું નાખ્યું. ૧૯૭૩થી ત્યાં જ ઠરીઠામ થયા. બીજા વર્ષે કાંતાબહેન અને હરવિલાસબહેન ઉપરાંત કાંતિ શાહ પણ તેમાં જોડાયાં. પ્રવૃત્તિની શરૂઆત પહેલાં થઈ, સર્વોદય પરિવાર ટ્રસ્ટની નોંધણી તો તે પછી ૧૮-૪-૧૯૭૫ના રોજ થયેલી. શરૂઆતના કાર્યનો આરંભ સ્વાભાવિકપણે જ આદિવાસી દરિદ્રનારાયણો માટે આરોગ્યની સેવાઓથી થયો. ધીર ધીરે વિસ્તારના લોકોની જરૂરિયાતો ધ્યાનમાં આવતી ગઈ અને નવાં કામો ઉમેરાતાં ગયાં. ખાવા માટે અનાજ, ખેતઉપજનું શોષણ અટકાવવા માટે ખાવટી, ઘાસનાં કાચાં છાપરાંની જગ્યાએ મૅંગ્લોરી પાકાં નળિયાં, પ્રાથમિક શિક્ષણ, ખાદીકામ, વ્યસનમુક્તિ, વૃક્ષારોપણ, મહિલા-જાગૃતિ અને લોકશિક્ષણ પણ ઉમેરાયાં, સુપેરે પાર પડ્યાં.
આજે તો પાયાના ચાર સ્તંભોમાંથી કોઈ હાજર નથી. નવનીતભાઈ ૭૨ વર્ષની ઉંમરે ૨૦૦૬માં ગયા, કાંતાબહેન ૨૦૦૦માં, હરવિલાસબહેન ૨૦૧૦માં અને કાંતિભાઈ ૨૦૧૨માં ગયાં. ચારે ય જણ મૂળ મુંબઈનાં. ભૂદાન-આંદોલનનાં વર્ષો દરમિયાન વિનોબાની હાકલ સાંભળીને બંને બહેનોએ નોકરી અને ઘર છોડેલાં. કાંતિભાઈએ ૧૯૬૦માં મુંબઈ છોડી આંદોલનમાં ઝંપલાવ્યું, ‘ભૂમિપૂત્ર’ તથા યજ્ઞ પ્રકાશનની જવાબદારી સંભાળી. ધરમપુર મુંબઈથી ૨૩૦ કિલોમીટર દૂર, ધરમપુરથી પિંડવળ બીજા ત્રેવીસ, ડુંગરાઓ ખૂંદતાં પિંડવળ બાજુનાં ગામોમાં પહોંચેલા. ડુંગરાઓની ઊતર-ચઢ, ધૂળિયા કાચા રસ્તા અને છૂંટાછવાયાં ઝૂંપડાં. વિસ્તાર વધુ ઊંડાણનો. વળી, સહેલી સભ્યતાથી સાવ અલિપ્ત. નવનીતભાઈ ૧૯૬૦માં તબીબીશાસ્ત્રનું ભણેલા. સંકલ્પ એવો થઈ ગયેલો કે વિદ્યા વેચાય નહીં. વળી, વડનગરના સર્વોદય આગેવાન ડૉ. દ્વારકાદાસ જોષીની સાથે આરોગ્ય અને સર્વોદય બંનેનું કામ કરેલું, તેથી અહીં આવીને કામમાં ખૂંપી ગયા.
વલસાડ ખાતે આશાબહેન વિરેન્દ્ર શાહ દંપતી આ પ્રવૃત્તિ સાથે જોડાયેલાં છે. વિરેન્દ્રભાઈ ટ્રસ્ટી છે. આશાબહેન હરિશ્ચંદ્ર બહેનોની વિદાય પછી ‘ભૂમિપુત્ર’ના છેલ્લા પાને સંપાદિત વાર્તા રજૂ કરે છે. ઘણા લોકો ‘ભૂમિપુત્ર’માં બે બાબતો અચૂક વાંચે. પહેલા પાનેથી શરૂ થતો વિનોબાનો વિચાર, જેનું સંપાદન કાંતિભાઈ કરતા તેમના ગયા પછી રાજપીપળા પાસે માંગરોળ રહેતા મહેન્દ્ર ભટ્ટ કરે છે. પછી વાંચે છેલ્લા પાનાની વાર્તા. હરિશ્ચંદ્ર બહેનોએ વાચકોને વાર્તાનું જે ઘેલું લગાડ્યું તેમાં આશાબહેને ઉમેરણ કર્યું. આશાબહેને આ કામ ઉપાડ્યાને વર્ષો થયાં. યજ્ઞપ્રકાશને આ વાર્તાઓનાં ઘણાં સંપાદનો ‘વીણેલાં ફૂલ’ નામે પ્રગટ કર્યાં છે, જે પણ ખૂબ વંચાય છે, વેચાય છે. આ દંપતીએ બહારથી આવતા મહેમાનોની વ્યવસ્થા ઉપાડી લીધેલી, તે એવી સરસ કે વલસાડ સ્ટેશને વાહનો હાજર, તેમના ફ્લૅટ નીચે ગરમાગરમ ભોજન પણ ઉપલબ્ધ. બધાંને પ્રેમપૂર્વક જમાડી પિંડવળ સુધી પહોંચાડવાની જવાબદારી એમની, ત્યાં બે દિવસનો કાર્યક્રમ એટલે રાત્રિ-નિવાસની સગવડ કરવી પડે. બહારના મહેમાનોને ધરમપુર ખાતેના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં ઉતારો અપાયેલો. બધી જ સુવિધાઓ પર્યાપ્ત. એક કાળે ‘ભૂમિપુત્ર’ના સંપાદનમાં બે જણ સક્રિય હતાં : જગદીશ શાહ અને કાંતિ શાહ. ઘણા બંનેને ભાઈઓ સમજે. લોહીનો સંબંધ નહીં પણ સખ્ય તો ભાઈઓનું જ. બંને આજે નથી. જગદીશભાઈના બે દીકરા કપિલ અને ભરત. એક સજીવ ખેતીનું કામ કરે છે, બીજા નિસર્ગોપચારનું. એ ભરતભાઈ અમારી વ્યવસ્થામાં ખડેપગે. બહારથી જે મહેમાનો આવેલા એ બધાને કુટુંબ દીઠ એક ભેટ સ્વીકારવા વિનંતી કરાયેલી. ભેટમાં હતો એક ખાદીનો બગલથેલો, તેમાં કાંતિ શાહે હરિશ્ચંદ્ર બહેનો વિશે લખેલા પુસ્તક ‘એકત્વની આરાધના’ની ડીલક્સ આવૃત્તિ. વળી કોઈને ખાદી ખરીદવી હોય, તો તેની પણ વ્યવસ્થા. સમારોહમાં બે મુખ્ય મહેમાનો હતા : રમેશ સંઘવી અને રીમા નાણાવટી. રમેશભાઈ-જ્યોતિબહેન કચ્છથી આવેલાં. ‘શાશ્વત ગાંધી’ દ્વૈમાસિકને કારણે હવે તેઓ વધુ જાણીતાં છે. રીમા નાણાવટી હવે ઇલાબહેન ભટ્ટને કારણે જાણીતા ‘સેવા’ સંસ્થાના મુખ્ય અગ્રણી છે. તેઓ બીજી બે મહિલાઓને પણ લઈને આવેલાં.
ધરમપુર અને કપરાળા મહારાષ્ટ્રની સરહદની અડોઅડ છે. સૌથી વધુ વરસાદ અહીં પડે છે. કુલ ૨૩૭ ગામો અને લગભગ ત્રણ લાખની વસતી. ભૌગોલિક દૃષ્ટિએ તળાટ અને ડુંગરાળ બે કુદરતી વિસ્તારો. એમાં ડુંગરામાં પૂરી વસતિ આદિવાસી. તેમાં કુંડણા, વારલી અને કોળચા આદિવાસીઓ. બોલી પણ પૂરી ગુજરાતી નહિ, મરાઠી છાંટવાળી. પ્રદેશ રળિયામણો અને પ્રજા કુપોષિત. સરકાર દવાખાનાં કે નિશાળ શરૂ કરે, તો કર્મચારી ન મળે, મળે તો ત્યાં રહે નહીં, આવા વિકાસના પ્રશ્નો. આવા પ્રદેશમાં આ કાર્યકરોએ જે કામ કર્યું છે, તે જોઈએ તો જ સમજાય. બહેન સુજાતાના ખભે હવે આ બધો ભાર છે. તે ખડકી ખાતે કામ કરે છે. જે પિંડવળથી વધુ વીસ કિલોમીટર દૂર છે. ગુજરાતનું છેલ્લું ગામ નાર-પાર અહીંની નદીઓ, નદીપાર નાસિક જિલ્લો, સુજાતાને સહયોગીઓ સારા મળ્યા છે તેમાં છે : ગણેશ પરમાર, રમેશ ભોયા, સવજીભાઈ અને હિરા મહાલા. સુજાતા ઉપરાંત ટ્રસ્ટીઓમાં નવ જણ. વિક્રમ સવાઈ શરૂઆતથી આ કામ સાથે જોડાયેલા હોવાને કારણે ટ્રસ્ટના પ્રમુખ છે. મંછુભાઈ ગાંવિત આજીવન શિક્ષક અને અહીંના આદિવાસી. નવનીતભાઈએ કામ શરૂ કર્યું, ત્યારથી એમના અડીખમ સાથીદાર. બિલપુડીમાં જુગતરામકાકાનો વારસો લઈને આવેલું દંપતી ભીખુ વ્યાસ અને કોકીબહેન પણ ત્રણ દાયકાથી કામ કરે છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં અમારી આગળ બેઠેલા મંછુભાઈ – ભીખુભાઈ અહીંની વાતોમાં એટલા તો મશગૂલ કે બહારથી આવેલા અમને એમની વાતચીત વ્યવધાનરૂપ લાગે!
આગલી સાંજે નારાયણ દેસાઈની ગાંધીકથાની સંગીત-ટુકડીનાં ભદ્રાબહેન સવાઈ અને નરેન્દ્ર શાસ્ત્રીએ સંગીતની રસલહાણ કરાવેલી. આપણા જાણીતા-માનીતા લેખક-ગીતકાર હમણાં એમની ‘તત્ત્વમસિ’ નવલકથા પરથી ઊતરેલી ‘સેવા’ ફિલ્મને કારણે વધુ જાણીતા થયેલા ધ્રુવ ભટ્ટ બે વર્ષ કાંતિભાઈ પાસે રહી ગયેલા. અહીંની શૈક્ષણિક પ્રવૃત્તિમાં સામેલ થયેલા. એમણે થોડી અમારી સાથે તો વધુ આદિવાસી બાળકો સાથે વાતો કરી. મૂળ સૂર એટલો જ કે આ પ્રજાને આપણી વાતી શીખવવાને બદલે એમની વાતોમાંથી ઘણું શીખવા જેવું છે. તે પછી આશાબહેને કસ્તૂરબા ગાંધીનો જાડી સફેદ ખાદીની સાડી પહેરીને જે એકપાત્રી અભિનય કર્યો. તે તો બધાંની આંખો ભીની કરી ગયો, કાયમનું સંભારણું બની ગયો. પુત્ર અને પતિ બંનેના અત્યાગ્રહો વચ્ચે પિસાતી માતાનું જે વક્તવ્ય હતું, એ કદાચ એમણે જે તૈયાર કર્યું હશે. પછી વાત કરતાં ખબર પડી કે આ ભજવણી અગાઉ પણ બે-ત્રણ વાર અન્યત્ર પણ થઈ ચૂકી છે.
પહેલા દિવસની સાંજનું સંચાલન ટ્રસ્ટીઓમાં સક્રિય પ્રકાશ સી. શાહના પુત્રવધૂએ કહેલું. આ પ્રકાશ દંપતીની સક્રિયતા વલસાડથી પિંડવળ સુધી બધે વરતાતી રહી હતી. અહીંના કાર્યકરો અને ઉજ્જ્વળ કારકિર્દીએ પહોંચેલા વિદ્યાર્થીઓનાં સન્માન થયાં.
બીજા દિવસે સવારે સર્વોદય પરિવારના ચારે ય સ્થાપકોની પુણ્યસ્મૃતિમાં જે વડલો રોપાયો છે, તે હવે પૂર્ણપણે વિકસી રહ્યો છે. એને ઉપાસના સ્થળ કહે છે. ત્યાં પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ. પછી મંચ પર સાંસ્કૃતિક કાર્યક્રમો અને વક્તવ્યનો શુભારંભ. વક્તવ્યો ઓછાં અને નૃત્યો ઝાઝાં. આદિવાસી બાળકોને સહભાગી બનાવવાનો વિચાર એટલો વ્યાપક કે કાર્યક્રમ બપોરના બે સુધી ચાલ્યો! પેલા બે મુખ્ય મહેમાનોને માંડ અંતભાગે દસ-દસ મિનિટ મળી.
એકંદરે આખા પરિસરમાં જે વિધાયક ઊર્જાનો સંચાર થયો, એ જ પ્રાપ્તિ. આખી વાતને અને કામને દીપક બાવસ્કરની નાનકડી ફિલ્મમાં જે રીતે મૂકવામાં આવી, તે દાયકાઓના માહોલને વણી લેનારી હતી. શહેરોમાં રહેનારા આપણે રોજરોજ જે નિરાશા લણીએ છીએ, તેનાથી તદ્દન વિપરીત એવી અદ્ભુત ઊર્જા અંકે કરીને અમે ધરમપુરનાં અન્યા કામો જોવા આગળ વધ્યાં.
E-mail : dankesh.03920@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2019; પૃ. 13-14