હવે એ દિવસો દૂર નથી કે સવારે ઊઠીને છાપું વાંચીએ તો એવા સમાચાર વાંચવા મળે કે આજથી ગાંધી આશ્રમમાં ૧૦ રૂપિયા એન્ટ્રી ફી લેવામાં આવશે. હૃદયકુંજ જોવાના ૧૦ રૂપિયા એકસ્ટ્રા, મ્યુઝિયમના ૨૦ રૂપિયા અને મગનનિવાસના ૨૫ રૂ., જેમાં દિવસના ત્રણ ભાગમાં ફિલ્મ બતાવવામાં આવશે. ૭ઃ૩૦ વાગ્યે રિવરફ્રન્ટની સીડી પર બેસી જવાનું ‘સર્વધર્મ વૉટર શો’, જેના ૫૦ રૂ.. પ્રાર્થના થાય છે ત્યાં લાઈવ બેન્ડ અને વિનોબાજી જ્યાં રહેતા ત્યાં ફુડકોર્ટ, પાણીની બોટલ એમ.આર.પી. મુજબ અને શોપિંગમાં up to 50% Off વડા પ્રધાન રેંટિયો ફક્ત ૯૯૯ રૂ.
થોડા દિવસ પછી વળી પાછું છાપામાં આવે કે કોચરબ આશ્રમમાં ઉપરના માળે જવાની સીડી તૂટી જતા આશ્રમની મુલાકાતે આવેલ દંપતીનું નીચે પડી જતાં મૃત્યુ. આશ્રમનાં સંચાલક ફરાર. હાલ આશ્રમ સરકારી કબજા હેઠળ.
એક વિશિષ્ટ સમાચાર ૨૦૨૦ કોર્પોરેશન ઇલેક્શન નિમિત્તે, અમદાવાદ શહેરની તમામ મ્યુનિસિપલ શાળાઓને ઇન્ટરનેશનલ કક્ષાની બનાવવામાં આવશે. તેનું સંચાલન કોઈ વિશિષ્ટ દંપતીને સોંપવામાં આવેલ છે. જેમની પાસેથી વર્ષે ૧૦૦૦ રૂપિયા ભાડા પેટે લેવામાં આવશે. શાળાઓના નામ બદલીને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ ૧, ૨, ૩ … કરવામાં આવશે. ભલે પછી શાળામાં પ્રાથમિક શિક્ષણ મફત ન હોય (સૌથી મોંઘું હોય), ભલે બાળકોને માતૃભાષા શિખવવામાં પણ ન આવે. જેમાં નાના-મોટા ઉદ્યોગ કે કૃષિ વિશે માહિતી પણ આપવામાં ન આવે. જ્યાં શિક્ષણમાં સ્વાવલંબન ન હોય પણ આ મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ અને નેતાઓનાં દીકરા-દીકરીઓને એડમિશન માટે લાઈનમાં ન ઊભા રહેવું પડે તેના માટે ખાસ વેઇટિંગ લોજ્જ જરૂર હશે.
આથી પણ સંતોષ ન થયો હોય તો ૨૦૨૨માં સરકાર તેમના છેલ્લામાં છેલ્લા વિરોધીઓને મનાવવા અને ન માને તેમને ચૂપ કરવા એવો પણ ફતવો બહાર પાડે કે ‘ગૂજરાત વિદ્યાપીઠના આધુનિકરણ માટે રૂપિયા ૨૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.’ વિદ્યાપીઠને સેન્ટ્રલી એસી બનાવવામાં આવશે. રેસ્ટોરન્ટ બનાવાશે, ખાસ મહેમાનો માટે એસી ગેસ્ટ હાઉસ, ઇન્ટરનેશનલ કક્ષાના માસ્ટર કોર્સિસ શરૂ કરશે ઓપન થિયેયર બનાવશે વગેરે વગેરે … ખેર, આપણે સહુ જાણીએ છીએ તેમ ૫૦ કરોડ રૂપિયા વિરોધીઓને મનાવવામાં અને ચૂપ કરાવવા, અને ૫૦ કરોડ ઉપરી અધિકારીઓનાં પેટમાં જશે. બાકી રહ્યા ૧૦૦ કરોડમાં અંગત કોન્ટ્રાક્ટરો અને ડિઝાઈનરો પાસે સસ્તામાં ઉપર ઉપરથી બધું બંધાવી દેવામાં આવશે.
હવે એ દિવસો સુધી નથી કે ‘નવજીવન પ્રેસ’માં ગોડ્સેની આત્મકથા છપાય અને પ્રજ્ઞાબહેન ઠાકુરના હસ્તે તેનું વિમોચન થાય. વિમોચન સ્થળ ‘અહિંસા શોધ ભવન, ગૂજરાત વિદ્યાપીઠ’ અને કદાચ એવું પણ બને કે આત્મકથામાં ગોડસેના શબ્દો હોય કે ગાંધીને ગોળી મારવા તેમને નેહરુએ મોકલ્યા હતા કારણ કે ગાંધીએ આઝાદી બાદ કૉંગ્રેસને વિભાજિત કરવા કહ્યું હતું, જે નેહરુ નહોતા ઇચ્છતા.
છેલ્લે, ખાસ ગુજરાતી રવીશકુમાર પ્રેસન્ટસ, મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ઇવેન્ટ દરમિયાન ટેરેસ પર વિદેશી મહેમાનો માટે ખાસ વાઇન, વ્હીસ્કી અને સ્કોચ પાર્ટી રાખવામાં આવશે, ડિનર પ્લેટ ફક્ત ૭૦૦૦ રૂપિયા. પોરબંદરને ડ્રાય ‘સ્ટેટ’ ડિક્લેર કરવામાં આવશે.
૨૦૨૪ ઇલેક્શન ન પણ થાય. સરકાર જરૂરી નથી સમજી રહી. ખોટો આટલો મોટો ઇલેક્શન ખર્ચ સરકારને ખબર જ છે કે ૫૪૩ સીટ્સ તેમની જ છે. કદાચ એકાદ સીટ્સ પર ગાંધીજી પોતે ઊભા રહે તો તેમના માનમાં સામે કોઈ ઉમેદવાર ઊભો રાખવામાં આવશે નહીં. ૨૦૨૫માં સમાચાર મળે કે “રાજઘાટમાં ગાંધી સમાધિ ચારે ય બાજુથી નેતાઓની સમાધિઓથી ઘેરાઈ જતા બાપુએ બહાર જવા રજા માંગી છે. જે મંજૂર કરવામાં આવેલ છે.’
જય હિન્દ, જય જગત.
આંબાવાડી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2019; પૃ. 15