પંજાબમાં ભગવંત માન મુખ્ય મંત્રી થયા તે સાથે જ કામે લાગ્યા છે. 19 માર્ચે કેબિનેટની પહેલી મીટિંગ મળી એમાં જ 25,000 સરકારી નોકરીઓને સરકારે મંજૂરી આપી દીધી છે. આમાં 10,000 નોકરીઓ પંજાબ પોલીસના જુદા જુદા પદની હશે, તો 15,000 અન્ય વિભાગ, બોર્ડ અને નિગમોની હશે. એ સાથે જ 26 માર્ચે માન સરકારે બીજો મહત્ત્વનો નિર્ણય લીધો – વન વિધાયક, વન પેન્શન. મુખ્ય મંત્રી ભગવંત માને જાહેર કર્યું કે પૂર્વ ધારાસભ્યોને હવેથી એક જ કાર્યકાળ માટે પેન્શન મળશે. મતલબ કે પૂર્વ ધારાસભ્ય ગમે એટલી વખત ચૂંટણી જીત્યા હોય, તો પણ પેન્શન એક જ કાર્યકાળનું મળશે. આ બહુ સાહસિક અને આવકાર્ય નિર્ણય છે. બનતું હતું એવું કે જેટલી વખત ધારાસભ્યની ટર્મ પૂરી થાય તેટલી વખત પેન્શન આગલા પેન્શનમાં ઉમેરાતું જતું હતું. કોઈ ધારાસભ્ય પાંચ વખત જીતે ને પછી હારી જાય કે તેને ટિકિટ ન મળે તો પણ તેનું પેન્શન ચાલુ રહેતું ને જેટલી ટર્મ પૂરી કરીને નિવૃત્તિ લીધી હોય તેમાં, પહેલી ટર્મનાં પેન્શનમાં પછીની ટર્મનું પેન્શન ઉમેરાતું જતું ને એ રકમ લાખોમાં જતી. માનના જ કહેવા પ્રમાણે એ રકમ 5.25 લાખ સુધી જતી પણ જોવાઈ છે. ધારાસભ્યને એક કાર્યકાળ માટે 75,000 પેન્શન મળે છે. તે પછી આગળની દરેક ટર્મના 66 ટકા પેન્શનના મળે છે. શિરોમણી અકાલી દળના પ્રકાશ સિંહ બાદલ 11 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એમણે જો કે પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન લેવાની ના પાડી છે, એ આવકાર્ય બાબત છે. માનનું માનવું છે કે આ રીતે વધારાનાં પેન્શનનો બોજ સરકારી તિજોરી પર પડે છે ને એ ઓછો કરવા એક જ કાર્યકાળનું પેન્શન આપવાનું સરકારે નક્કી કર્યું છે. ફેમિલી પેન્શનમાં પણ કાપ મૂકવાનું સરકારે નક્કી કર્યું છે, કારણ એ રકમ પણ સરકારને વધારે લાગી છે.
એક તરફ બેરોજગારી વધતી જતી હોય, શિક્ષિતો નોકરીને બદલે લાઠી ખાતાં હોય ને છતાં નોકરીનાં ઠેકાણાં ન હોય તે સંજોગોમાં એક જ ધારાસભ્ય એકથી વધુ પેન્શનનો લાભ ઉઠાવે એ કોઈ રીતે યોગ્ય નથી. કેટલાક એવા પણ છે જે સાંસદ રહી ચૂક્યા હોય ને પછી ધારાસભ્ય થાય કે તેથી ઊલટું હોય, તો તેને બે પેન્શન મળે છે. એક જ પેન્શન આપવાનું નક્કી થાય તો કરોડો રૂપિયા બચે ને તેનો લોક કલ્યાણમાં ઉપયોગ થઈ શકે એ જોતાં માનના નિર્ણય માટે માન થાય. ‘આપ’ સરકારના આ નિર્ણયથી કાઁગ્રેસ અને અકાલી દળને આંચકો લાગે એમ બને, કારણ આ નીતિથી કેપ્ટન અમરિન્દર સિંહ, રાજિન્દર કૌલ ભટકલ, લાલસિંહ જેવાનાં પેન્શન પર સીધો કાપ પડશે, કારણ તેઓ એકથી વધુ ટર્મ માટે ધારાસભ્ય થયા હતા. પાંચ વખત ધારાસભ્ય થયેલા બલવિંદર સિંહ ભુંદડ ને સુખદેવ ધીંડસાને સવા બે લાખ પેન્શન તો મળે જ છે, પણ તે સિવાય રાજ્ય સભાના સભ્ય તરીકે અલગથી પગાર, પેન્શન ને ભથ્થાં પણ મળે છે.
આમ તો કોઈ સાંસદ કે ધારાસભ્ય કોઈનાં ગજવામાંથી કૈં કાઢી નહીં જ લેતા હોય, આ બધું કાયદા દ્વારા જ નક્કી થયું હોય છે. એ જુદી વાત છે કે આ બધું નક્કી કરનારા પાછા આ જ લોકો છે, પગાર વધારો, ભથ્થાં કે પેન્શન વધારો નક્કી કરતી વખતે, બીજાં અનેક વાંધા હોય તો પણ, વિપક્ષો એક થઈ જાય છે. આમાં થોડી વિચિત્રતાઓ પણ છે. જેમ કે પંજાબમાં એકથી વધુ વખત પેન્શન લેવાતું હતું, જ્યારે ગુજરાતમાં ધારાસભ્યને પેન્શન જ નથી. હવે જે ભ્રષ્ટ છે તેણે તો તળિયું કરી લીધું હશે, પણ કેટલાક એવા મંત્રીઓ ને ધારાસભ્યો પણ છે જે કોઈ લાભ નિવૃત્તિ કાળમાં મેળવતા નથી અને ઘણી કંગાળ દશામાં દિવસો કાઢતા હોય છે. એમ કહેવાય છે કે લાલબહાદુર શાસ્ત્રી વડા પ્રધાન તરીકે ગુજરી ગયા ત્યારે તેમને માથે દેવુ હતું. આવા ગુજરાતમાં પણ ઘણા હશે. એમને માટે ગુજરાત સરકારે પેન્શનની યોજના ઘડવી જોઈએ. જેણે રાજ્ય માટે ખરેખર કૈં કર્યું હોય તેને માટે રાજ્ય કૈં જ ન કરે એ પણ બરાબર નથી. એક રાજ્યમાં પેન્શન હોય ને એક રાજ્યમાં ન હોય ને બંને રાજ્યો ભારતમાં જ હોય ત્યારે આશ્ચર્ય થાય.
એકવાક્યતા તો સાંસદોના પગાર સંદર્ભે પણ નથી. એપ્રિલ 2020માં, 1954ના કાયદાનું સુધારેલું પગારનું ધોરણ, જાન્યુઆરી, 2021ના રોજ રાજ્યસભા સેક્રેટરીએ બહાર પાડ્યું છે, એમાં 9 પ્રકરણોમાં પગાર, ભથ્થાં, ટ્રાવેલિંગ એલાઉન્સ, ડેઇલી એલાઉન્સ, કોન્સ્ટીટ્યુઅન્સી એલાઉન્સ, ઓફિસ એક્સ્પેન્સ એલાઉન્સ, હાઉસિંગ, ટેલિફોન, મેડિકલ ફેસિલિટીઝ, વિદેશયાત્રાના લાભો .. વગેરે વિષે વિગતે વાતો કરવામાં આવી છે. એક એપ્રિલ, 2020 ને રોજ કોરોના સંદર્ભે સાંસદોએ પગારના 30 ટકા એ વર્ષ માટે આપવાની વાત કરેલી તે સુધારો પણ એમાં છે. સાંસદો અને ધારાસભ્યોને અપાતો પગાર, સેલરી હેડ નીચે ગણાતો નથી, પણ તે ‘ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ’ તરીકે ગણાય છે, પણ ડેઇલી એલાઉન્સ અને કોન્સ્ટીટયુઅન્સી એલાઉન્સ જેવા ઘણા એલાઉન્સિસ કરમુક્ત છે. આ ઉપરાંત રેલયાત્રા, સ્ટીમર યાત્રા, એર યાત્રા જેવી ઘણી સગવડો સાંસદો, ધારાસભ્યો, પતિ કે પત્ની સહિત, નિયત મર્યાદામાં ભોગવે છે. જો અપાતો પગાર, પગારને નામે જ ઓળખાવાતો હોય તો તેને ‘ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ’ ગણવાનું અકળ છે. પગાર પણ કરમુક્ત ગણાય છે. જો કે ઇન્કમ ફ્રોમ અધર સોર્સ તરીકે પગાર ગણાતો હોવાથી ટી.ડી.એસ.ની કલમ લાગુ પડતી નથી. 2018 ને હિસાબે સાંસદોને દર મહિને 1,40,000 ફિક્સ મળે છે. જો કે આ ફિક્સ પે રાજ્ય પ્રમાણે જુદા જુદા છે. જેમ કે, સૌથી ઓછો પગાર મિઝોરમના સાંસદનો 47,000 છે, જ્યારે સૌથી વધુ તેલંગાણાનો 2,50,000 છે. દિલ્હીનો 2,10,000 છે જ્યારે ગુજરાતનો 65,000 છે. એમાં કોન્સ્ટીટ્યુઅન્સી ને ઓફિસ એલાઉન્સ 45, 45 હજાર આવી જાય. એમ કહેવાય છે કે પગાર ઉપરાંત 1,51,833 દર મહિને એલાઉન્સ મળે છે. ફિક્સ સેલરી અને એલાઉન્સ ગણતરીમાં લઇએ તો એક સાંસદ 35 લાખની આસપાસનો પડતો હોય છે. એમાં કમાલ એ છે કે એના પર કોઈ ટેક્સ નથી લાગતો.
આ ઉપરાંત 50,000 યુનિટ લાઇટ, 1,70,000 કોલ્સ, રહેવાનો બંગલો (અંદરના ફર્નિચર, એ.સી. સહિત) વગેરે ફ્રી મળે છે. આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ્સ, વીમો, પેન્શન ગાડી … વગેરે પણ ફ્રી મળે છે. એક રિટાયર્ડ આઇ.એ.એસ. તો ત્યાં સુધી કહે છે કે સાંસદોનું ને ધારાસભ્યોનું તો પેન્શન પણ કરમુક્ત છે. એવું ન હોય તો પણ સાંસદોને પેન્શન પર ટેક્સ ભરવાનું કાનખજૂરાના પગથી વધારે નહીં જ હોય. એ ઉપરાંત નિવૃત્તિ પછી પણ સાંસદો, ધારાસભ્યોને ઘણી સગવડો ને રાહતો ચાલુ રહેતી હોય છે. એ લાભ અન્ય પેન્શનરોને છે? તો સવાલ એ થાય કે બીજાં વૃદ્ધોને પાછલી જિંદગીમાં ટેક્સથી લૂંટવાનું યોગ્ય છે? વર્ષો સુધી પગાર ને ભથ્થાં પર ટેક્સ ભર્યો હોય તેવા પેન્શનરોને પેન્શન પર કરમુક્તિ આપવામાં સરકારે નાનમ ન અનુભવવી જોઇએ.
જે પગારદાર છે તે જ કદાચ વધુ પ્રામાણિક છે, ટેક્સ ભરવામાં. તે અપ્રામાણિક થઈ શકે એમ પણ નથી, કારણ તેનો પગાર ઢાંક્યો ઢંકાતો નથી ને તેની ટેક્સ ભરવાની જવાબદારી ઊભી થાય જ છે, જ્યારે સાંસદો, ધારાસભ્યોને તો પગાર જ મળતો નથી, તેને પગાર અપાય છે ખરો, પણ તે ગણાય છે, ઇન્કમ ફ્રોમ અધર સોર્સ તરીકે. સાંસદો કે ધારાસભ્યોનો પગાર કરમુક્ત છે. આમ તો સાંસદોને અપાતા પગારના, 1954થી ચાલી આવતા કાયદામાં ટેક્સની જવાબદારી અંગે ખૂલીને વાત થઈ નથી. હા, સાંસદોના કયાં એલાઉન્સિસ કરમુક્ત છે તેની વાત છે, પણ પગાર કરપાત્ર છે કે કેમ એની સ્પષ્ટતા નથી. એમ માની લઇએ કે સાંસદોનો પગાર કરપાત્ર છે, તો પણ જેટલા એલાઉન્સિસ એમને માટે કરમુક્ત છે તે આંકડો એટલો મોટો છે કે એ ટેક્સ ભરે તો પણ ઘણી આવક ટેક્સના દાયરાની બહાર જ રહે, છતાં ઇન્કમટેક્સ ભરવામાંથી સાંસદોને બાદ રખાયા છે તે ખરું. એ પણ ખરું કે 1954ના વખતોવખત સુધારાયેલા પગારના કાયદામાં સાંસદો એકથી વધુ પેન્શન મેળવવા હકદાર છે એમ પણ જણાવાયું છે.
એવી કોઈ નોકરી નથી જેમાં પાંચ વર્ષમાં પેન્શન શરૂ થઈ જાય. ધારાસભ્ય અને સાંસદનું પદ જ એવું છે કે પાંચ વર્ષે નિવૃત્તિ આવે તો પેન્શન શરૂ થઈ જાય. એ પછી ફરી ચૂંટાવ અને ટર્મ પૂરી કરો કે ન કરો, વળી પેન્શન શરૂ થઈ જાય ને એ અધિકારપૂર્વક મેળવવાનો વાંધો પણ નથી, કારણ, એવું જ ઠરાવાયું છે. એમાં કશું અજુગતું પણ નથી. આ લાભ બીજી કોઈ નોકરીમાં આટલો નથી. હવે તો બધેથી પેન્શન કાઢવાની ફિકરમાં જ છે સરકાર કે જેથી નિવૃત્તની કોઈ જવાબદારી જ ઉપાડવાની ન રહે. આમ એક પણ વખત કોઈને પેન્શન ન આપવાની પેરવીમાં સરકાર છે ને બીજી તરફ એકથી વધુ વખત સાંસદોને કે ધારાસભ્યોને પેન્શન આપવાનો તેને જરા જેટલો પણ સંકોચ નથી.
એ સંકોચ પહેલી વખત પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માનને થયો ને એમણે ધારાસભ્યને એક જ વખત પેન્શનનો હક માન્ય રાખ્યો. ખરેખર તો આ ફેરફાર સાંસદો માટે પણ આવવો જોઈએ. ત્યાં વર્ષોથી એકથી વધુ વખત પેન્શન માન્ય છે ને સાંસદો તે સ્વીકારે પણ છે. આ સ્થિતિ બદલાય એમ ઈચ્છીએ.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 માર્ચ 2022