કલ્પના કરો કે કોઈ એક પરિવારમાં નીતિની એરણે કોઈ ટપારનાર ન હોય, વારનાર ન હોય એ પરિવાર કેવો હોય? આખરે પરિવારથી લઈને દેશ સુધીની સામાજિક સંસ્થાઓ જે તે સંબંધ કે ઓળખના આધારે માણસે રચેલી છે અને તેમાં માણસો વસે છે. માણસ ક્યારે ય સંપૂર્ણ હોય નહીં એટલે માણસની કૃતિ પણ સંપૂર્ણ ન હોય. તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગના ન્યાયે અનેક પ્રકારનાં સારાં-નરસાં વિચારો, વૃત્તિઓ અને વલણો ધરાવતા લોકો લોહીથી રચાયેલા પરિવારોમાં જન્મે છે અને બાકીના પરિવારો(જ્ઞાતિથી લઈને રાષ્ટ્ર સુધીનાં અનેક પ્રકારનાં)માં પ્રવેશે છે. આનો કોઈ ઉપાય નથી. નથી તમે કોઈનો જન્મ રોકી શકતા કે નથી કોઈને પ્રવેશતા રોકી શકતા.
જો એમ હોત તો ઘણાં આદર્શ સમાજ રચાયાં હોત, પણ જગતમાં કોઈ સમાજ ખામીરહિત નથી. પોંડીચેરીમાં મધરે ‘ઓરોવિલ’ નામના એક ગામની કલ્પના કરી હતી જેમાં માત્ર અને માત્ર માણસ વસતા હોય અને તેમની સાથે રહેવાની એરણ માણસાઈની હોય. ત્યાં પણ માણસાઈની એરણે ઓછા ઉતરનારા નીકળી આવે છે અને ઓરોવિલનાં અસ્તિત્વ સામે સંકટ પેદા થતાં રહે છે. પાંચ દાયકા થયા, ઓરોવિલ આજ પણ આદર્શ વિલેજ નથી.
આમ માનવીએ રચેલી કોઈ કૃતિ ખામીરહિત ન હોઈ શકે. આપણી પાસે વિકલ્પ માત્ર એટલો જ છે કે આપણે આંખ, કાન અને બુદ્ધિ(વિવેક)ને જાગતા રાખીએ, ટપારીએ, વારીએ, રોકીએ, આડા ઊભા રહીએ અને જોઈએ તો ઝઘડીએ. આ મારાં છે એટલે મૂંગા રહેશો તો તમારાં પોતાનાં લોહીનાં પરિવારના કેટલાક લોકો મર્યાદા ઓળંગતા જશે. એ પછી એ પરિવાર કેવો નીવડે એ કહેવાની જરૂર નથી. તમે તમારી આસપાસ આવા ઘણાં દયાજનક રુગ્ણ પરિવારોને જોયાં હશે જેના સભ્યો લાજ-શરમ નેવે મૂકીને વર્તતા હોય. એવાં પરિવારની વાયકાઓ તમારે કાને આવી હશે. તમે તમારી દીકરી એવાં પરિવારમાં આપો? બસ, આ અંતિમ માપદંડ છે.
લોહી સિવાયનાં બાકીનાં પરિવારોને રચવા માટે અને રચ્યા પછી ટકાવી રાખવા માટે માણસ બે રસ્તા અજમાવે છે. એક રસ્તો છે ઓળખનો અને બીજો રસ્તો છે ઉદ્દેશનો. આપણે બ્રાહ્મણ છીએ કે હિંદુ છીએ અથવા મુસલમાન છીએ એટલે પરિવાર રચવાનો છે. આ ઓળખ થઈ. આપણે બ્રાહ્મણ છીએ, હિંદુ છીએ કે મુસલમાન છીએ એટલે દેખીતી રીતે મહાન છીએ એ ઓળખને પાકી કરવા માટેનો વરખ થયો. ઉપરનો ઓપ થયો. ધીરે ધીરે વરખનો ચળકાટ મૂળ પદાર્થની જગ્યા લઈ લે. આ ઓળખનું મિથ્યાભિમાન થયું. આપણે મહાન છીએ માટે આપણે આપણી મહાનતા સ્થાપિત કરવી જોઈએ, સરસાઈ મેળવવી જોઈએ અને બીજાઓ પાસે કબૂલ કરાવવું જોઈએ એ ઉદ્દેશ થયો.
પરિવાર-રચનાની આ યાત્રામાં હવે એક મુકામ પર જાગતલોની જરૂર પડે છે. જ્યારે ઓળખને પાકી કરવા જૂઠાણાંનો વરખ ચડાવવામાં આવતો હોય ત્યારે જાગતલોની જરૂર પડે છે. જ્યારે મિથ્યાભિમાન પોષવામાં આવતું હોય ત્યારે જાગતલોની જરૂર પડે છે. જ્યારે મિથ્યાભિમાનનો ઉપયોગ સરસાઈ સ્થાપિત કરવા માટે અને બીજાને ધકેલવા માટે કરવામાં આવતો હોય ત્યારે જાગતલોની જરૂર પડે છે. જ્યારે મિથ્યાભિમાનને અભિમાનમાં ફેરવવા ખોટો ઇતિહાસ લખવામાં આવતો હોય અને સાચો ઇતિહાસ બદલવામાં આવતો હોય ત્યારે જાગતલોની જરૂર પડે છે. જ્યારે કોઈનો હક મારવામાં આવતો હોય ત્યારે જાગતલોની જરૂર પડે છે. જ્યારે કોઈને હેરાન કરવામાં આવતા હોય, રસ્તા વચ્ચે ટોળે વળીને મારવાં આવતા હોય અને વિરોધીઓને મા-બહેનની ગાળો આપવામાં આવતી હોય ત્યારે જાગતલોની જરૂર પડે છે. જ્યારે કોઈના અવાજને ગૂંગળાવવામાં આવતો હોય ત્યારે જાગતલોની જરૂર પડે છે.
પણ આવું બનતું નથી. ‘ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે અને ઇસ્લામ ખતરામાં છે’ એમ કહીને પેદા કરવામાં આવેલા મુસ્લિમ કોમવાદી રાજકારણે ભારતનાં મુસલમાનોને બિચારાઓને ત્રણ દેશમાં વિભાજીત કરી નાખ્યા, પણ કોઈ મુસ્લિમ લીગરે એ સમયે ઝીણાને ટપાર્યા નહોતા કે રોક્યા નહોતા. હકીકતમાં તેમણે વિભાજન ભારતનું નહોતું કર્યું, ભારતીય મુસલમાનોનું કર્યું હતું. પહેલાં બે દેશમાં અને પછી ત્રણ દેશમાં. લાખો નિર્દોષ મુસલમાનોએ વગર વાંકે જીવ ગુમાવ્યો અને કરોડો મુસલમાનોએ ઘરબાર ગુમાવ્યાં. કોઈ મુસ્લિમ કોમવાદી નેતાએ કે મુલ્લાએ નિર્દોષ મુસલમાનોની માફી માગી? માફી જવા દો, રંજ પણ પ્રગટ કર્યો? કોમ સાથે આટલો મોટો ગુનો કર્યો હોવાની કોઈ પીડા ક્યાં ય અનુભવાતી જોઈ?
શા માટે અનુભવે? પાકિસ્તાનની રચના ઇસ્લામ અને મુસલમાન માટે થોડી કરવામાં આવી હતી? એ તો ઇસ્લામ અને મુસલમાનના નામે પોતાના માટે કરવામાં આવી હતી. મુસલમાનો ત્રણ દેશમાં વહેંચાઇ જાય કે ત્રીસ દેશમાં, એ મરે કે જીવે એનાથી શું ફરક પડે છે? જો નિસબત ઇસ્લામ અને મુસલમાન માટેની હોત તો કોઈ એકાદ પાકિસ્તાનવાદી મુસ્લિમ નેતાએ કે મુલ્લાએ ભારતીય મુસલમાનોની માફી માગી હોત. આવડો મોટો દ્રોહ આ ધરતી ઉપર કોઈ પ્રજા સાથે કરવામાં આવ્યો હોય એવી કોઈ બીજી ઘટના યાદ આવતી નથી. ઊલટું પાકિસ્તાનમાં તેને યોગ્ય ઠેરવવા જૂઠો ઇતિહાસ લખવામાં આવી રહ્યો છે અને ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે.
કોઈ રંજ નહીં, કોઈ પીડા નહીં, માફી તો બહુ દૂરની વાત છે. ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે, મુસ્લિમ જગતની શ્રેષ્ઠ પ્રજા છે અને ઇસ્લામ અને મુસ્લિમ સામે જોખમ છે એવા મિથ્યાભિમાની તર્કશાસ્ત્રે જગતના બે ડઝન દેશોમાં મુસલમાનોનું ધનોતપનોત કાઢી નાખ્યું છે. છે કોઈ રંજ? છે કોઈ પીડા? ગ્લાનિની જગ્યાએ એ લોકો ગર્વ અનુભવે છે. જો કોઈ મુસલમાન ગ્લાનિ અનુભવે અને વિરોધ કરે તો તેનું કાસળ કાઢી નાખવામાં આવે અથવા જેલમાં મોકલી દેવામાં આવે. બાકી મુસ્લિમ કોમવાદીઓની અંદરથી કોઈ અવાજ આવે, પોતાને કવરાવે, રાતની નિંદર ઊડાડે એવું જોવા નહીં મળે.
પણ કલ્પના કરો કે જ્યારે ઇસ્લામની અને મુસલમાનની ઓળખની ઉપર મિથ્યાભિમાનનું વરખ ચડાવવાનું શરુ થયું ત્યારે જ જાગતલોએ મોઢું ખોલ્યું હોત તો? ટપાર્યા હોત, વાર્યા હોત, આડે ઊભા રહ્યા હોત તો? તો આખો નિર્દોષ મુસલમાનોએ જીવ ન ગુમાવ્યા હોત.
પણ એવું બનતું નથી. શા માટે બનતું નથી? કારણ એ છે કે આવાં ઓળખનાં અને ઓળખ આધારિત ખાસ પ્રકારના ઉદ્દેશનાં પરિવારો રચાતાં હોય છે ત્યારે જાગતલોને તેમાં પ્રવેશ આપવામાં આવતો નથી. કોઈ પ્રવેશી જાય અને પછી જ્યારે ખબર પડે કે આનો અંતરાત્મા મરતો નથી અને પ્રશ્નો અને શંકાઓ કર્યા કરે છે ત્યારે તેને દૂર કરવામાં આવે છે. સિફતથી દૂર કરવામાં આવે છે. પેલા માણસને જ એમ લાગવા માંડે કે અહીં મજા નથી આવતી. એ પછી જે પરિવાર રચાય એ સરખેસરખાઓનો હોય છે. એક ગાળ બોલે તો બીજો એનાથી મોટી ભૂંડી ગાળ બોલે.
હવે એક નજર જગત ઉપર કરીએ. મુસલમાનોની વાત કહેવાઈ ગઈ છે.
નાઝી કે ફાસીસ્ટ પરિવારમાં કોઈનો અંતરાત્માનો અવાજ ઉઠ્યો હોય એવો એક પણ દાખલો ઇતિહાસમાં જોવા મળે છે?
સામ્યવાદી શાસનમાં કોઈનો અંતરાત્માનો અવાજ ઉઠ્યો હોય એવો એક પણ દાખલો ઇતિહાસમાં જોવા મળે છે ?
રંગભેદીઓમાંથી કોઈનો અંતરાત્માનો અવાજ ઉઠ્યો હોય એવો એક પણ દાખલો ઇતિહાસમાં જોવા મળે છે?
વંશવાદીઓમાંથી, ભાષાવાદીઓમાંથી, પ્રાંતવાદીઓમાંથી કોઈનો અંતરાત્માનો અવાજ ઉઠ્યો હોય એવો એક પણ દાખલો ઇતિહાસમાં જોવા મળે છે?
તદ્દન નજીકના ઇતિહાસની વાત કરીએ તો શ્રીલંકામાં વંશવાદી તમિલોમાંથી કે શ્રીલંકન રાષ્ટ્રવાદી બૌદ્ધોમાંથી કોઈનો અંતરાત્માનો અવાજ ઉઠ્યો હોય એવો એક પણ દાખલો જડે છે?
તપાસી જુઓ જગતનો ઇતિહાસ. તમને સંકુચિત ઓળખ અને તેના પર આધારિત રાજકીય તેમ જ દરેક પ્રકારની સરસાઈ સ્થાપિત કરવાનો ઉદ્દેશ ધરાવતા પરિવારોમાં અંતરાત્માના જાગતલો જોવા નહીં મળે. શક્ય જ નથી. તેમને કાં તો પ્રવેશતા રોકવામાં આવ્યા છે કાં રવાના કરવામાં આવ્યા છે અથવા એવા લોકો ગૂંગળાઈને જતા રહ્યા છે. માટે આપણે ત્યાં ધોળે દહાડે લીન્ચિંગની ઘટના બને, દલિતોને સતાવવામાં આવે, હિન્દુત્વવાદી બળાત્કારીઓનો બચાવ કરવામ આવે, સ્ત્રીઓના અંગોનો ઉલ્લેખ કરીને હિન્દુત્વવાદી ટ્રોલ્સ મા-બહેનની ભૂંડી ગાળો આપે, નિર્દોષ ગરીબ મજૂરોને દોજખમાં ધકેલી દેવામાં આવે, ચીની આક્રમણનો સ્વીકાર જ કરવામાં ન આવે, કાયદાના અમલમાં પક્ષપાત કરવામાં આવે તો પણ સંઘપરિવારમાંથી કોઈ અવાજ ઉઠતો સાંભળવા નહીં મળે. એ શક્ય જ નથી.
તમે કંટાળ્યા નથી એમ ધારીને હજુ આ બાબતે એક વધુ લેખ લખવા ધારું છું.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 જુલાઈ 2020