RSSના સરસંઘચાલક મોહન ભાગવતે ગયા અઠવાડિયે મુંબઈનું શૅરબજાર જ્યાં આવેલું છે એ જીજીભોય ટાવરની મુલાકાત લીધી હતી.
આ ઘટના આશ્ચર્યજનક હતી એના કરતાં ખુલાસાજનક હતી. મોહન ભાગવતે શૅરદલાલોને સલાહ આપી હતી કે તેમણે અર્થતંત્રની વિદેશી ફિલસૂફી અપનાવવાની જગ્યાએ ભારતીય ફિલસૂફી અપનાવવી જોઈએ એટલું જ નહીં, ભારતીય પદ્ધતિએ આર્થિક આયોજનો કરવાં જોઈએ. જીજીભોય ટાવરમાં રાખવામાં આવેલા આખલાનાં શિંગડાં પર પણ હાથ ફેરવતાં-ફેરવતાં તેમણે આ મૂલ્યવાન સલાહ આપી હતી. શૅરબજારના સંચાલકો અને ઉપસ્થિત દલાલોએ તાળીઓ પાડીને મોહન ભગવતની સલાહની કદર કરી હતી. મહેમાનને મૂંઝવણમાં મૂકવા નહીં એવો આપણે ત્યાં સૌજન્યપૂર્વકનો રિવાજ છે એટલે કોઈ દલાલે પૂછ્યું નહીં કે સાહેબ આવ્યા છો તો ભેગાભેગ ભારતીય અર્થશાસ્ત્ર અને આર્થિક વહેવારની પદ્ધતિ પણ સમજાવતા જાઓ.
વાત પાછી આટલેથી પતતી નથી. અર્થશાસ્ત્રની ફિલસૂફી માત્ર ભારતીય નહીં, પ્રાચીન પણ હોવી જોઈએ. એટલી પ્રાચીન એટલી પ્રાચીન કે કોઈ વિદેશી માઈના લાલે ભારતમાં પગ નહોતો મૂક્યો એ પહેલાંની. કોઈ પણ પ્રકારની ભેળસેળ વિનાની અસ્સલ હિન્દુ. બાકી આવો જો આગ્રહ રાખવામાં ન આવે તો મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ અર્થશાસ્ત્રનું ભારતીય તત્ત્વજ્ઞાન આપતા ગયા છે. વળી કઠણાઈ, જ્યાં જુઓ ત્યાં ગાંધી અને નેહરુ રસ્તામાં સામા ભટકાય છે. આ બેનું કરવું શું? અર્થશાસ્ત્ર પણ તેમણે છોડ્યું નથી. એક તો તેઓ (ગાંધી-નેહરુ) વેદવિદ્યાશૂન્ય મ્લેચ્છ અને ઉપરથી વિદેશમાં ભણી આવેલા આધુનિક. અસ્સલની એરણે ઓછા પડે. ગાંધી અને નેહરુની આર્થિક ફિલસૂફી જાણવામાં રસ હોય તો બે વાક્યમાં જણાવી દઉં. ગાંધીજી ગામડાંને કેન્દ્રમાં રાખનારી ગ્રામસ્વરાજની ફિલસૂફીમાં માનતા હતા અને નેહરુ મિશ્ર અર્થતંત્રની. તેમની ફિલસૂફી વિશે મતભેદ હોઈ શકે, પરંતુ તેમનામાં દેશની જરૂરિયાતને પારખીને વિકલ્પ શોધવા જેટલી શક્તિ તો હતી જ.
એમ તો દેશ આઝાદ થયો એ પહેલાં, એ દરમ્યાન, એ પછી અને હવે તો કદાવર સ્વરૂપમાં RSS વિદ્યમાન રહ્યો છે. ગાંધી અને નેહરુની માફક તેઓ પણ વેદ, ઉપનિષદ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, અન્ય ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરીને કહી શક્યા હોત કે અસ્સલ હિન્દુ કે ભારતીય અર્થશાસ્ત્ર કેવું હોય. સામ્યવાદીઓ, સમાજવાદીઓ, મૂડીવાદીઓ પોતપોતાની આર્થિક ફિલસૂફી લઈને ત્યારે આગળ આવ્યા હતા; પરંતુ સંઘે અર્થશાસ્ત્રની કોઈ થીસિસ વિકસાવી હોય એવું જાણમાં નથી. એટલે તો સંઘની સ્થાપના પછી ૯૩ વરસે સરસંઘચાલકે કહેવું પડે છે કે અર્થતંત્રની ભારતીય ફિલસૂફી વિકસાવવી જોઈએ. માર્ક ધ વર્ડ. વિકસાવવી જોઈએ. બીજાએ વિકસાવવી જોઈએ, તેમની પાસે આપવા માટે કંઈ જ નથી. આ જે બૌદ્ધિક નાદારી છે એ અકળાવનારી છે.
૨૮ વરસ થયાં ભારતે આર્થિક સુધારા કર્યે. એના વિરોધમાં સંઘે સ્વદેશી જાગરણ મંચની સ્થાપના કરી હતી. ૨૮ વરસ થયાં, પણ મંચે કોઈ વૈકલ્પિક અર્થતંત્રની થીસિસ પ્રોડ્યુસ નથી કરી કે કોઈ રાષ્ટ્રવ્યાપી આંદોલન નથી કર્યું. એક પણ નહીં. એ કામ પણ ગાંધીવાદી ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી ધરમપાલે કર્યું હતું.
તો પછી પોતાને કંઈ જ કહેવાનું નહોતું તો મોહન ભાગવત શૅરબજારમાં ગયા શા માટે હતા? આત્મગૌરવ માટે. સંઘના ગૌરવનું પ્રદર્શન કરવા માટે. જ્યાં સુધી કેન્દ્રમાં BJPની સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર નહોતી આવી ત્યાં સુધી સંઘના સરસંઘચાલકો એમ માનતા હતા કે તેમનું કામ સંઘની બાંધણીનું છે. એવું તાકાતવાન હિન્દુ સંગઠન રચવું કે એક દિવસ BJPને સ્પષ્ટ બહુમતી સાથે રાજ કરવાનો મોકો મળે. આને કારણે તેઓ પાછળ રહીને કામ કરતા હતા. સીધા લોકોમાં જઈને કામ કરતા હતા. લોકો પ્રભાવિત થાય એ માટે સાદગીભર્યું જીવન જીવતા હતા. સંઘ સાંસ્કૃિતક સંગઠન છે અને એને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી એમ કહેવામાં આવતું હતું.
હવે BJPને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે ત્યારે મોહન ભાગવતના તેવર બદલાઈ ગયા છે. હવે તેઓ સંગઠક નહીં, શાસક હોવાનો ગર્વ અનુભવે છે. કેન્દ્ર મેં હમારી સરકાર હૈ. કેન્દ્રના પ્રધાનોની કામગીરીનું રિપોર્ટકાર્ડ માગવામાં આવે છે અને કેન્દ્ર સરકારના પ્રધાનો રિપોર્ટકાર્ડ હાથમાં લઈને ભાગવતના દરબારમાં હાજર પણ થાય છે. મોહન ભાગવત ઝેડ-પ્લસ સિક્યૉરિટીનો આનંદ માણે છે જે વાસ્તવમાં ભયનું પ્રદર્શન છે. તેઓ નાગપુર કરતાં દિલ્હીમાં વધુ રહે છે. સંઘે ક્યારે ય ઇવેન્ટો નહોતી કરી, પરંતુ મોહન ભાગવત સંઘની દરેક બેઠકને દર્શનીય ઇવેન્ટમાં ફેરવે છે. ઇવેન્ટ આજની રાષ્ટ્રીય બીમારી છે. દરેક બાબતે તેમને કાંઈક કહેવાનું છે, પછી શૅરબજાર કેમ ન હોય. મહેનતના દિવસો પૂરા થયા, હવે ભોગવવાના દિવસો આવ્યા છે એટલે જાણે-અજાણે તેમનાં ચાલચલન બદલાઈ ગયાં છે.
આનું પરિણામ હવે નજરે પડી રહ્યું છે. ઉપર શૅરબજારની ઘટના ખુલાસાજનક છે એમ જે કહ્યું એ ખુલાસો હવે મળે છે. એકલા મોહન ભાગવત સત્તા શા માટે ભોગવે? બીજા શા માટે નહીં? ડૉ. તોગડિયા કહે છે કે VHP માટે મેં ભોગ આપ્યો છે એટલે એમાં મારું ચાલવું જોઈએ. ડૉ. તોગડિયાને કાઢવા VHPમાં ચૂંટણી યોજવી પડી અને તોગડિયા અત્યારે સંઘપરિવારના સભ્ય હોવા છતાં સંઘપરિવારની સામે ઉપવાસ પર ઊતર્યા છે. એ પહેલાં RSSના ગોવા યુનિટે સંઘના નેતૃત્વ સામે બળવો કર્યો હતો. બળવાનું કારણ ગોવાની સરકાર પર સંઘના ગોવાના નેતાઓની હોવી જોઈતી વગનું હતું. અમારા રાજ્યની સરકારનો અને પક્ષના એકમનો દોરીસંચાર અમે કરીશું, દિલ્હી કે નાગપુરવાળા કોણ? કહેવાનું તાત્પર્ય એ હતું કે તમે દોરીસંચાર કરીને સત્તા ભોગવો તો અમે શા માટે નહીં?
RSSમાં ૯૧ વરસમાં જે નહોતું બન્યું એ છેલ્લા ૧૪ મહિનામાં બન્યું છે. ગોળવલકર ગુરુજીએ બાળાસાહેબ દેવરસને બાજુએ હડસેલ્યા ત્યારે દેવરસે ૨૧ વરસનો અરણ્યવાસ ચૂપચાપ ભોગવ્યો હતો અને ઊંહ નહોતું કર્યું. મોટા ભાગના લોકોને તો સંઘમાં આવું બન્યું હતું એની જાણ પણ નહીં હોય. આવી પ્રતિષ્ઠા હતી સંઘની શિસ્ત અને સાદગીની, પણ હવે યુગ બદલાયો છે. મોહન ભાગવત ઝેડ-પ્લસ સિક્યૉરિટી માણતા હોય, પ્રધાનોની ખબર લેતા હોય, વિમાનોમાં ઊડતા હોય, શૅરબજારના દલાલોને પણ સલાહ આપતા હોય, ચિંતન-બેઠકોને પણ ઇવેન્ટોમાં ફેરવતા હોય તો એની અસર તો થાયને? હિન્દુઓની કાળગણતરી મુજબ અત્યારે કળજુગ ચાલે છે અને સંઘનો મંત્ર છે- સંઘૌકલિયુગે એટલે કલિયુગની અસર સંઘ પર વર્તાઈ રહી છે. હવે સંઘમાં બળવા થવા લાગ્યા છે.
કૂવામાં હોય એ હવાડામાં આવે એવી કહેવત છે. સંઘનો કૂવો સાવ ખાલીખમ છે એટલે અત્યારે જ્યારે સંપૂર્ણ બહુમતી સાથે સત્તા મળી છે ત્યારે હવાડામાં સત્તાનાં પ્રદર્શનો બહાર આવી રહ્યાં છે. એટલે તો જીજીભોય ટાવરમાં આખલાનાં શિંગડાં પર હાથ ફેરવતાં-ફેરવતાં કહ્યું હતું કે તમારે ભારતીય આર્થિક ફિલસૂફી વિકસાવવી જોઈએ. ૯૩ વરસે, તમારે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 19 અૅપ્રિલ 2018