આપણાં સાહિત્યિક સામયિકોના સંપાદનકર્મ વિષે કશું કહેવા જેવું નથી ! કારણમાં કેટલાંક કારણો જોઈએ તો સંપાદકે નૈતિક હિમ્મતના અભાવે કેટલીક નબળી કૃતિઓ એક જ સર્જકની હોય તો પણ વધુ સંખ્યામાં પ્રકાશિત કરવી પડી છે, કારણ કે એ સર્જકનું અન્ય સાહિત્યિક સંસ્થાઓમાં પણ વર્ચસ્વ ઘણું ! કેટલીક કૃતિઓ નોકરિયાત સંપાદક પર ઉપરથી ભલામણ-દબાણ આવે એટલે ય જે તે સર્જકની અણગમતી કૃતિઓ ય પ્રકાશિત કરવી પડે ! આપણા મોટા ભાગનાં સાહિત્યિક સામયિકો સાહિત્યિક સંસ્થાના મુખપત્રો છે એટલે એ સંસ્થાના હોદ્દેદારો – મોટાભા-ઓની કૃતિઓની ગુણવત્તા જોયા વિના જ કૃતિ/કૃતિઓની પ્રકાશિત કરવાની લાચારી સંપાદકોની હોય છે ! કેટલીક વાર સંપાદકની આસપાસ ઘેરી વળનારું સર્જકોનું ટોળું હોય છે એટલે સંપાદકની નજરે અન્ય ચહેરાઓ ચડતા જ નથી ! આવા સર્જકોનાં ઓશિંગણ બનતા સંપાદક પણ હોઈ શકે છે. સુરેશ દલાલને સંપાદન માટે ટ્રસ્ટની સ્વતંત્રતા હતી એટલે કેટલાક પ્રસંગે એમણે નૈતિક હિમ્મત બતાવી છે. કહેવાય છે કે રમેશ પારેખે “કવિતા” માટે કેટલાક કરફ્યુ કાવ્યો મોકલ્યા ત્યારે સુરેશ દલાલે એ પરત મોકલતા નોંધ કરી કે “કર ફ્યુ” (ઓછા કર) !
એવું જ સ્વરૂપલક્ષી સંપાદનોમાં ગઝલોનું હરીન્દ્ર દવેનું “મધુવન” જોઇએ તો કેટલીક કૃતિઓ ગઝલેતર પણ લાગે ! (મક્તા-મત્લા, રદીફ-કાફિયા – બે મિસરાથી બનતા શેરની વ્યવસ્થાનો અભાવ વ.) “ઉશનસ્”ની ગઝલોનો ભાગ્યે જ સ્વીકાર થઈ શકે, છતાં ય એમની ગઝલોથી અસંમત થનાર ચિનુ મોદી “ગઝલ ઉસને છેડી”, “ગુજરાતી ગઝલ” વ. સંપાદનમાં એમની કૃતિ સમાવે ! સંપાદનોમાંની ઘણી કૃતિ સંપાદિત પુસ્તક પર બોઝ બનતી અનુભવાય !
સર્જકલક્ષી – સ્વરૂપલક્ષી સંપાદિત પુસ્તકમાં સંપાદકે કોઈ સર્જક – કૃતિનો સમાવેશ ન કર્યો હોય તો એણે સંપાદકીય લેખમાં એના પ્રતીતિકર કારણો જણાવવા જોઈએ.
સંપાદનને બિનજવાબદાર સમજી ડાબે હાથે સંપાદન કરનારનો તોટો નથી; આવા સંપાદકોમાં કેટલાક તો તજ્જ્ઞ પણ હોઈ શકે છે !
તા.ક. આ સંદર્ભે આપણા હાસ્યલેખક વિનોદ ભટ્ટે નોંધેલ એક પ્રસંગ નોંધપાત્ર છે :
એ દિવસોમાં વિનોદભાઈ લેખક તરીકે હજુ નવા જ ગણાય; “નવચેતન” સામયિકમાં એમના લેખો પ્રકાશિત થાય; “નવચેતન”ના તંત્રી અને સંપાદક ચાંપશીભાઈ ઉદ્દેશી.
એક વાર અમદાવાદમાં લાલ દરવાજા પાસે “વીજળીઘર” પાસે બન્ને મળ્યા. ત્યાં જ ચાની હોટલમાં વિનોદભાઈ તંત્રી ચાંપશીભાઈને આગ્રહપૂર્વક ચા-પાણી માટે લઈ ગયા, ચા-પાણી કર્યા બાદ આગ્રહપૂર્વક એના પૈસા પણ વિનોદભાઈએ જ ચૂકવ્યા. ચાંપશીભાઈની સ્પષ્ટવક્તા તરીકેની નૈતિકતાભરી તંત્રીવાણી જૂઓ; એમણે વિનોદભાઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું;
“હવે એક મહિના સુધી “નવચેતન” માટે તારો લેખ ન મોકલીશ.”
આપણા સંપાદકો અને તંત્રીઓને માટે આ પ્રસંગ અને ચાંપશીભાઈના આ શબ્દો દીવાદાંડીરૂપ છે.
તા. ૦૬-૦૮-૨૦૨૨