રાજકારણી ચૂંટણીનાં પડઘમ વાગે છે, ત્યારે મને સાહિત્યકારણી ચૂંટણી વિશેનો મારો એક પૂર્વપ્રકાશિત લેખ યાદ આવે છે. અહીં મૂકું છું, નહીં કે અદેખાઓ કહે છે એમ એ લેખ જૂનો હોવાથી વાસી થઈ ગયો છે એટલે મૂક્યો છે; ના, હું એવું વીકલિ કૉલમિયું નથી લખતો જે આવતા અઠવાડિયા પહેલાં ક્યારનું ય પતી ગયું હોય. મારાં દરેક again પણ પ્રસ્તુત અને સાર્થક હોય છે. આ લેખ લગરીક ઉમેરણ સાથે, બસ, મિત્રોની વિચારમૉજ માટે મૂક્યો છે.
°°°°
કોઇપણ ચૂંટણીમાં મતદાર સર્વેસર્વા ગણાય — પ્રાઇમ મૂવર. એટલે પાયાનો સવાલ એ કે એની પાસે શું હોય તો એને મતદાન માટે લાયક ગણી શકાય? કોઇપણ ચૂંટણીમાં ઉમેદવાર પણ મતદારના જેવો જ મહત્ત્વનો એકમ. એટલે પાયાનો સવાલ એ પણ થાય કે ઉમેદવારની શી લાયકાત. રાજકારણી ચૂંટણીમાં તો મતદાર અને ઉમેદવારની લાયકાતો નક્કી હોય છે. તદનુસાર, કોઇપણ વ્યક્તિ મતદાર હોઇ શકે. ગરીબ તવંગર ઘરડો જુવાન બુધ અબુધ પ્રબુદ્ધ, હર કોઇ, મતદાર તરીકે ખુશી ખુશીથી યોગ્ય ગણાય. તદનુસાર, કોઇપણ વ્યક્તિ ઉમેદવાર હોઇ શકે. શાણા સજ્જનો કે જેલમાં જઇ આવેલા દુર્જનો પણ આરામથી યોગ્ય યોગ્ય જ લેખાય.
પણ આપણે તો સાહિત્ય-વાળા; આપણી ચૂંટણી સાહિત્યકારણી; જરા જુદા ધ્યાનથી નક્કી કરવું પડે કે એમાં મતદારની તેમ જ ઉમેદવારની લાયકાતો શી હોઇ શકે.
દીવા જેવું સ્પષ્ટ છે કે સાહિત્યકારણી ચૂંટણીમાં મતદાર અને ઉમેદવાર, બન્ને, સાહિત્યકાર હોવા જોઇએ. જો કે તેઓ સાહિત્યકાર છે એમ નક્કી શી રીતે થાય? એ રીતે કે એમની એક-બે ચૉપડીઓ પ્રકાશિત થઇ હોય. જો કે ચૉપડીઓ તો રસોઇકામની પણ હોય છે — રાંધણને પણ ‘કળા’ કહેવાય છે. મીડિયામાં ઍડ-બિઝનેસ પણ ‘આર્ટ’ કહેવાય છે. છાપાંના તન્ત્રીઓ સમ્પાદકો રીપોર્ટરો કૉલમનવીસો પણ રાતદિવસ ‘સ્ટોરી’ સર્જે છે. એ બધું વાઙ્મય પણ સાહિત્ય છે. તો એઓને સાહિત્યકાર ગણાય કે નહીં? ના? ભલે, સ્વીકારી લઇએ કે વાઙ્મય સમસ્ત નહીં પણ સાહિત્યિક સર્જકતા અને લેખનક્ષમતા સાથે સંકળાયેલું જે સાહિત્યકલા કહેવાય છે એવું લખનારાઓને જ સાહિત્યકાર ગણવાના છે.
તો પણ સવાલો થવાના; જેવા કે : કોઇ એક-બે ચૉપડીઓથી અને કોઇ બીજો ૪૦-૫૦ ચૉપડીઓથી સાહિત્યકાર ગણાયો છે, તો એ બેમાં કશો ફર્ક કરવાનો કે નહીં? : ૪૦-૫૦-વાળાના વાચકો સાવ થોડા હોય અને એક-બેવાળાના અનેક હોય, તો મતદાર કે ઉમેદવાર તરીકે એ બેમાંથી કોને વધારે લાયક ગણવાનો? : આ સવાલો ન ટાળી શકાય એવા છે.
કોઇપણ સાહિત્યકારમાં રસ પડવાનું મૂળ કારણ તો એની સર્જકતા છે, લેખનશક્તિ. પણ એકલા એ જ કારણે એ લાયક થઇ જ જાય એવો નિયમ નથી. કેમ કે સાહિત્યના મામલામાં એના રીસિવરની — એટલે કે વાચકની — એટલી જ નિર્ણાયક ભૂમિકા હોય છે. રચના વંચાય ત્યારે જ સમ્પન્ન થઈ કહેવાય. લેખક અને વાચક, બન્ને, સરખા ભાગીદાર છે. એટલે તો વાચનને કોઇ કોઇ વિદ્વાનો નર-નારીના જાતીય સમાગમ સાથે સરખાવે છે !
જો કે મોટેભાગે બને છે જુદું : રચના જોડે વાચકો હાવરાબાવરા થઇ ચડી બેસતા હોય છે. સમાગમ ન લાગે. સાહિત્યકારની સૃષ્ટિ મહાન હોય કે ન હોય, વિવેચકોએ વખાણી હોય કે ન હોય, વાચકો એનાં અર્થઘટન પોતાની રીતે જ કરવાના. હરસુખ નામનો કવિ મહાન ગણાયો કેમ કે વાચકોએ એનાં અમુક રીતનાં અર્થઘટન કર્યાં. પણ હરસુખ એમ ન પણ ગણાયો કેમ કે વાચકોએ એને અમુક રીતે ન વાંચ્યો. તાત્પર્ય એ કે હરસુખની સાહિત્યકાર તરીકેની છબિ એ જાતના પ્લસ-માઇનસથી બની છે.
આપણામાંના અમુકોએ ગોવર્ધનરામને એવી રીતે વાંચ્યા જેથી એ એમને ગ્રેટ લાગ્યા પણ અમુકોને ન લાગ્યા કેમ કે એમણે એમને જુદી રીતે વાંચ્યા. હરસુખની જેમ કાલિદાસ કે શેક્સપીયરની મહાકવિ કે મહાન નાટ્યકાર તરીકેની છબિઓ પણ એવા પલ્સ-માઇનસથી રચાઇ છે. કોઇ સાહિત્યકારો જન્મથી ‘મહા’ કે ‘ન-મહા’ નથી હોતા. વાચકોનાં અર્થઘટનોથી હોય છે. દરેક સાહિત્યસમાજમાં છબિ-નિર્ણાયક વાચકોની આવી એક જમાત આપોઆપ પ્રગટી આવી હોય છે. અમેરિકન સાહિત્યસિધ્ધાન્તવિદ સ્ટૅનલિ ફિશ (1938– ) એને અર્થઘટનકારી ‘ઇન્ટરપ્રિટિવ કૉમ્યુનિટી’ કહે છે — વાચકોની જમાત. ‘જમાત’ શબ્દ ન ગમે તો, મંડળી. એમના કહેવાનો સાર એ છે કે વાચક પોતાની મંડળીના સહભાગી એકમ તરીકે રચના અને રચનાકારનાં અર્થઘટન કરે છે — નહીં કે એકલદોકલ વ્યક્તિ તરીકે.
Stanley Fish / સ્ટૅનલિ ફિશ (1938 — )
આ શાસ્ત્રાર્થનો સંદેશ એ છે કે આપણે પણ આપણે ત્યાંની વાચકમંડળી વડે નિર્ણિત સાહિત્યકારોને સુ-યોગ્ય ગણીને ચાલી શકીએ. તેઓને ચૂંટણીમાં મતદાર અને ઉમેદવાર ગણી શકીએ. એ સાહિત્યકારો હમેશાં તરી આવે, દેખાય જ. શોધવાનો પ્રશ્ન ન રહે. સાહિત્યસિવાયના હેતુથી લખનારા આપોઆપ બાદ થઇ જાય. અમુકને જ મન્ત્રી કે પ્રમુખ બનાવવાની પેરવીઓ કરવાનું રહે નહીં.
આ ચૂંટણી સાહિત્યકારણી એટલે એમાં પ્રચાર ન હોય. કેમ કે ઉમેદવાર સ્વયંપ્રકાશિત હોય. એણે મત માગવાના હોય? ના. રાજકારણીઓની જેમ મતદારોને એણે લાલચો આપવી પડે? ના. કેમ કે મતદાર સ્વયંસંચાલિત હોય. ઉમેદવાર વિશેનો એનો મત બારોબારનો નહીં પણ એના પોતાનાં અર્થઘટનોથી ઘડાયો હોય. આમ વાચકમંડળી વડે નિર્ણિત સાહિત્યકારો ચૂંટાયા હોય તો સાહિત્યનાં કામોની ભૂમિકા પણ સાહિત્યિક અર્થઘટનોથી રચાવાની. ભળતા હેતુઓને એમાં જગ્યા નહીં મળવાની.
જો કે ઝળહળ ઝળહળ સળગતો કેમ કે ભડ ભડ બળતો સવાલ એ છે કે આપણે ત્યાં આવી કશી વાચકમંડળી છે ખરી –? વાચકો જ ક્યાં છે ! ભારોભારનો અભાવ છે ! માત્ર ૧૨-૧૫ સાહિત્યકાર-મોવડીઓની મંડળીથી ગુજરાતી સાહિત્યનું ગાડું ગબડતું રહે છે. એમાંના કેટલાક સ્વકીય પધ્ધતિએ કામો કરે છે. મોટાભાગના સંસ્થાકીય પદ્ધતિએ કરે છે — કોઇ આ સંસ્થા સંભાળે છે, કોઇ તે. એઓને નિર્ણાયક વાચકમંડળી કહી શકીએ. કેમ કે ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો એમના વડે થયેલાં અર્થઘટનોને આભારી છે.
એ કારણે એ ૧૨-૧૫ની મંડળીને ધ્યાનથી જોવાની જરૂર ખરી. જુઓ, શું જણાય છે? : સ્વકીય પધ્ધતિના મોવડીઓ સાહિત્યિક આદર્શવાદથી પીડાય છે. સંસ્થાકીય પદ્ધતિના મોવડીઓ સાહિત્યિક વ્યવહારવાદથી પીડાય છે. આદર્શવાદીને પૂછશો તો કહેશે : હું દલિત કે નારીવાદી સાહિત્યને નથી સ્વીકારી શકતો. હું નવલકથાને નાહકની મજૂરી લેખું છું : વ્યવહારવાદીને પૂછશો તો કહેશે : વિશ્વ-સાહિત્ય ફાલતુ છે — અંગ્રેજી કોને આવડે છે? પંચાત મૂકો, ઘરદીવડા શા ખોટા છે ! કહેશે, ગઝલને આજે હું અનિવાર્ય ગણું છે. મારે મન અછાન્દસ બકવાસ છે : એકને ગ્રામજીવનલક્ષી સાહિત્ય નિ:સામાન્ય લાગે. બીજો નગરજીવનલક્ષીને વખોડ્યા કરે. એક ‘હા’ પાડે એટલે જ બીજો ‘ના’ પાડે !
મને એક રમૂજી વાયકા યાદ આવે છે : બલવન્તરાય ઠાકોરને ન્હાનાલાલ જોડે બનતું નહીં. તે ઠાકોર હમેશાં લગભગ આવું કહેતા — એ ન્હાનિયાને પૂછી આવો; એ જેની ‘હા’ કહે, મારી એમાં ‘ના’ સમજો ! (ઠાકોર મોટા વિદ્યાપુરુષ છતાં ‘ન્હાનાલાલ’-ને ઠેકાણે અણછાજતો શબ્દ વાપરતાં ખંચકાયેલા નહીં ! એમની પાસે સમર્થક કારણો હશે …)
ટૂંકમાં, આ મંડળી સજ્જ ખરી પણ કુણ્ઠિત-સીમિત ખાસ છે. સર્વસમાવેશક નથી –સાહિત્યપદાર્થને એની અખિલાઇમાં ન જોઇ શકે, હમેશાં ભેદોને સ્થિર કરે. હવે આને પણ સ્ટૅનલિ ફિશ નિર્ણાયક વાચકમંડળી કહે તો મારાથી એમને ના નહીં પડાય.
કેમ કે કયો સાહિત્યકાર મતદાર કે ઉમેદવાર થવાને લાયક છે એ તો આ મંડળીને પૂછ્યે જ જાણી શકાય. એમની અર્થઘટનદૃષ્ટિમતિ અનુસાર એમના વડે પ્લસ-માઇનસ થયેલી છબિઓનું આલ્બમ એમની પાસે હાજર જ છે.
કમનસીબી એ છે કે જેમ જેમ આલ્બમ ખૂલતું ચાલે છે, છબિઓ એમની ને એમની જ નીકળે છે ! તો પછી, એમ નથી લાગતું કે ચૂંટણીથી મેલ કરવત મોચીના મોચીવાળો જ ઘાટ થવાનો …? …
જો કે સાહિત્યકારણી ચૂંટણી નદીકિનારે જે વિરલ ઠેકાણે સંભવે છે ત્યાં હમણાં તો નથી થવાની. અને, આપણે ક્યાં મિડ-ટર્મ પોલમાં માનીએ છીએ? – વિજેતા અને વિજયાનુસારીઓને માંડ બે-ત્રણ વર્ષ મળ્યાં હોય ત્યાં !
= = =
(Nov 19, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર