નવું કશું લખવું ન સૂઝે એટલે મારી ટેવ પ્રમાણે હું રુમિ પાસે જઉં છું. એ મને એનાં કાવ્યો ધરે છે ને હું એને મારી ભાવ-ભાષામાં અવતારી લઉં છું :
રુમિ કહે છે :
ભીતરની કોમળતા
શોધી લેશે જ્યારે એ ગુપ્ત ઇજાને
દર્દ પોતે જ તોડી નાખશે ખડકને
ને પછી
ઓહ ! આત્મા પ્રગટશે
પ્રગટવા દેજે
++
કશુંક ગુમાવીએ એટલે રોષ થાય. એ વિશે રુમિ કેવું કાવ્ય સરજે છે, સાંભળો :
તારા વિના મેં વાવ્યા હતા કેટલાક પુષ્પછોડવા
એ થઈને ઊભા
કાંટા
મેં જોયો એક મયૂર
બની ગયો
સર્પ
તન્તુવાદ્ય હાર્પ વગાડું છું
પણ જનમે છે
નર્યો ઘૉંઘાટ …
ઊંચા સ્વર્ગે પ્હૉંચી તો ગયો
પણ એ નીકળ્યું
ખદબદતું નર્ક
++
રુમિ પોતાના દુ:ખમાં ડુબકી મારે છે, ત્યારે :
મને એમ છે કે હું તને તન્તુવાદ્યની જેમ
છાતીએ વળગાડી રાખું
ને આપણે બન્ને પ્રેમથી રડી લઈએ …
તારી કાયા મારાથી ભલે દૂર છે પણ
મારા હૃદયથી તારા હૃદય લગીની બારી તો ખૂલ્લી છે
રડી લે તારી બધી જ વેદનાઓને
તારી નિરાશાઓને
કહી દે એમને ફારસીમાં ને પછી ગ્રીકમાં…
તું બેહદ જીવન્ત છું
કહી દે
શી રીતે છું
++
‘પક્ષીપાંખ’ નામના એક કાવ્યમાં રુમિ સરસ આશ્વાસન આપે છે :
તેં ગુમાવ્યું એની વેદના તને દર્પણ ધરે છે
તું શૌર્યથી કામ કરું છું ત્યાં
માની લે કે એ કુરૂપ હશે
પણ જો
ખરેખર તો તું જોવા ઝંખતી’તી એ
એ જ છે તારો હસમુખ ચ્હૅરો
તારી હથેળીઓ ખૂલે છે ને બંધ થાય છે ને ખૂલે છે
મુઠ્ઠી સદા વળેલી હોત કે
હથેળીઓ સદા ખુલ્લી હોત
તને લકવો થઈ જાત
તારી ઘેરી હાજરી હરેકમાં છે
સંકોચમાં અને વિસ્તારમાં
બન્ને બરાબર ગોઠવાયેલી છે
પક્ષીની પાંખોની જેમ
= = =
(November 13, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર