પત્રકારત્વના વિદ્યાર્થીઓને સમાચાર કોને કહેવાય તે શિખવતાં કહેવામાં આવે છે કે કૂતરું માણસને કરડે તે સમાચાર નથી, પણ માણસ કૂતરાને કરડે તે સમાચાર છે. કૂતરું માણસને કરડે તે સાવ નાની અમથી કે સમાચાર મૂલ્ય વગરની ઘટના હશે ત્યારે સમાચાર વિશેની આ સમજ કદાચ સાચી હશે. પરંતુ આજે તો કૂતરાં કરડવાથી, ખાસ તો શહેરી વિસ્તારોમાં , લોકો એટલા ત્રાહિમામ્ છે કે કોઈ અખબાર તેના રિપોર્ટરને કૂતરાં અને ગાયના ત્રાસ અંગેના સમાચારની બીટ ફાળવે તો હવે નવાઈ નહીં.
કૂતરું માનવીનું વફાદાર અને રક્ષક સાથી છે. તેનો માલિક અને તેના પરિવાર સાથે ભાવનાત્મક સંબંધ રચાય છે. તાલીમથી તે વધુ સજ્જ બને છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં ૬.૨ કરોડ રખડતાં શેરી કૂતરાં છે તો ૩.૧૦ કરોડ પાળેલાં કૂતરાં છે. એકલા અમદાવાદ શહેરમાં આશરે પોણા ચાર લાખ આવારા કૂતરાં છે. એટલે કે પચાસ અમદાવાદીએ એક કૂતરું છે. આમ તો માનવી અને કૂતરાંનું સહઅસ્તિત્વ વરસો પૂરાણુ છે, પરંતુ હમણાં હમણાંથી તેમની વચ્ચે અંતર વધ્યું છે.
શ્વાનની સોબત તે રીઝે તો ય અને ખીજે તો ય માનવી માટે દુ:ખદાયી છે. તેના ઘણા અજીબ કિસ્સા બને છે. ૨૦૧૫માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનો પાલતુ શ્વાન તેમના પત્ની શર્મિલા ઠાકરેને કરડ્યો હતો. કહે છે કે તેમનો પગ થોડો ડોગીના શરીર પર આવી ગયો એટલે તે ખિજાયો અને શર્મિલામેડમના ચહેરા પર બચકા ભર્યાં. કૂતરાંના દાંતે ચહેરાના હાંડકાંને એવું તો કરડી ખાધું હતું કે પાંસઠ ટાંકા લેવા પડ્યા અને પછી પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી.
અમેરિકી પ્રેસિડન્ટ જો બાઈડનના જર્મન શેફર્ડ પ્રજાતિના બે પેટ ડોગ્સ મેજર અને કમાન્ડરે વ્હાઈટ હાઉસના સ્ટાફ અને સિક્રેટ સર્વિસના લોકો પર ડઝનબંધ હુમલા કર્યા પછી તેમને વ્હાઈટ હાઉસમાંથી તગેડી મૂકવા પડ્યા છે. હમણાં ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપ્રમુખ માલ્દોવનાની સત્તાવાર મુલાકાતે હતા તે દરમિયાન પ્રેસિડેન્ટ ભવનમાં ફરી રહ્યા હતા ત્યારે માલ્દોવનાના રાષ્ટ્રપ્રમુખના પાંચેક પેટ ડોગ્સ બાંધેલા જોઈને ઓસ્ટ્રિયન પ્રમુખ તેમને વહાલ કરવા લાગ્યા તો એક ડોગીએ તેમને બચકુ ભર્યું. આ ઘટનાથી યજમાન દેશના પ્રમુખ બહુ મુંઝાઈ ગયા તેમણે વારંવાર માફી માંગી અને વધુ ભીડ જોઈને કૂતરું કરડ્યાનો ખુલાસો કર્યો. અમેરિકન બુલી પ્રજાતિના ડોગ્સના હુમલાથી બ્રિટનનમાં ચૌદ લોકોના મોત થયા પછી વડા પ્રધાન ઋષિ સુનકે આ નસ્સલનાં કૂતરાં પર એક વરસ માટે પ્રતિબંધ મૂક્યો છે. કાઁગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમના માતા સોનિયા ગાંધીએ એક પેપ ગિફ્ટ કર્યું .રાહુલે તેનું નામ નૂરી રાખ્યું એટલે મુસ્લિમ નેતાઓને તે મુસ્લિમ દીકરીઓનું અપમાન લાગ્યું. ૨૦૨૩ના અંતિમ મહિને ૫૭ ટકા જેટલી ભારે બહુમતીથી પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા ઓસ્ટ્રિયાના વર્તમાન પ્રમુખે તેમનો વિજ્ય તેમના પાળેલા કૂતરાઓને અર્પણ કર્યો હતો. કટ્ટર જમણેરી અને અરાજક મૂડીવાદી તરીકે જાણીતા આ રાષ્ટ્રપ્રમુખે સોંગદવિધિથી પરત ફરતાં રસ્તામાં તેમનો કાફલો એક ડોગીને જોઈને થોભાવી દીધો હતો અને તેને રમાડવા લાગ્યા હતા.
પાળેલાંની જેમ રખડતાં કૂતરાં કરડવાના અને હુમલાના પણ અજાયબ બનાવો બને છે. ગયા વરસના નવેમ્બરમાં કચ્છના એક ગામે હડકાયું કૂતરું ભેંસની પાડીને કરડ્યું. પાડીને હડકવાની અસર થઈ તે દરમિયાન તેણે ભેંસ માતાનું દૂધ પીધું . ભેંસના માલિકે ભેંસનું દૂધ ગામમાં સવાસો ઉપરાંત લોકોને વેચ્યું હતું. એટલે તે સૌને પણ હડકવાની અસર થવાની ભીતિ ઊભી થતાં સૌને રસી મૂકાવવી પડી હતી. બાળકો, વૃદ્ધો, શારીરિક રીતે કમજોર વ્યક્તિઓ અને મહિલાઓ શેરીશ્વાનના હુમલાઓનો સવિશેષ ભોગ બને છે .ઘણાના મૃત્યુ પણ થયા છે. પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગરના શેરી ડાઘિયાઓએ તો એક વાનરને ફાડી ખાધો હતો.
ભારતમાં વરસે કૂતરા કરડવાના લગભગ પોણા બે કરોડ બનાવો બને છે. આ આંકડામાં નોંધાયેલા અને વણનોંધાયેલા બનાવોનો સમાવેશ થાય છે. લોકસભા પ્રશ્નના જવાબમાં ૨૦૨૦થી ૨૦૨૨ના ત્રણ વરસોમાં દેશમાં કુલ ૮૫.૧૪ લાખ કૂતરા કરડવાના બનાવો સરકારી ચોપડે નોંધાયા હોવાનું જણાવાયું છે. આ ગાળામાં ગુજરાતમાં ૭.૯૩ લાખ કેસો બન્યા હતા. એ હિસાબે દેશમાં રોજના પોણા આઠ હજાર અને ગુજરાતમાં સવા સાતસો લોકોને કૂતરાં કરડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે ભારતમાં હડકવાને કારણે દરા વરસે ૨૦,૦૦૦ લોકોના મોત થાય છે. હડકવાને લીધે સમગ્ર વિશ્વમાં થતાં મોતમાં ભારતનો હિસ્સો એક તૃતીયાંશ છે. વળી ભારતમાં હડકવાથી થતાં મોતના કુલ કિસ્સામાં અડધા કરતાં વધુ મોત પંદર વરસથી નીચેની ઉંમરના બાળકોનાં હોય છે.
અનુભવીઓ અને નિષ્ણાતોના મતે કૂતરાંઓના આક્રમક બનવાના, લોકો પર હુમલા કરવાના અને કરડવાના કારણોમાં – મોસમમાં બદલાવ, હોર્મોન્સમાં ફેરફાર, ગલુડિયાના જન્મ સમયે માદા શ્વાન તેના રક્ષણ માટે વધુ સજાગ, લોકો દ્વારા કૂતરાંની પજવણી, ઉશ્કેરણી કે માર મારવો, કૂતરાંના ખોરાકમાં થયેલો ફેરફાર, મેટિંગ સિઝન હોવી, ટીનેજરો દ્વારા તેને છંછેડવા-નો સમાવેશ થાય છે. આ કારણો ઘટી શકે કે દૂર થઈ શકે તો કૂતરાનો ત્રાસ ઘટાડી કે દૂર કરી શકાય અને માનવી સાથેનું તેનું સહઅસ્તિત્વ બની રહે.
ભારતની પેટ ડોગ ઈકોનોમીનું કદ આ દાયકાના અંતે ૨૨,૦૦૦ કરોડનું થવાની સંભાવના હોય, મહાનગર મુંબઈમાં પેટ ડોગના ટ્રેનરનો કલાકનો ચાર્જ મ્યુઝીક ટીચર કરતાં બે ગણો હોય ત્યારે શું પાળેલાં કે શું રખડતાં – તમામ કૂતરાં વિશે સરકાર અને સમાજે ગંભીર બનવું પડશે. કૂતરાંને પકડીને દૂર મૂકી આવવાથી તેની સંખ્યા ઘટતી નથી કે તેને મારી નંખાતા નથી. તેથી તેની વસ્તી નિયંત્રિત કરવા માટે ખસીકરણ એક ઉપાય છે. તેનાથી કૂતરાંની વસ્તી ઘટી છે પણ તે કરડવાના બનાવો ઘટ્યા નથી. એન્ટી રેબિક્સ વેક્સિન અને ખસીકરણ માટે અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લાં ત્રણ વરસોમાં ૯.૧૯ કરોડનો ખર્ચ કર્યો હતો. પરંતુ ધાર્યું પરિણામ મળ્યું નથી.
હવે તો કૂતરાંનો ત્રાસ ન્યાયની દેવડીએ પહોંચ્યો છે અને દેશની સર્વોચ્ચ અદાલત સુધી ગયો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રખડતાં કૂતરાના હુમલાનું નાણાંકીય વળતર માન્ય રાખ્યું છે. અદાલતે પીડિતના શરીર પરના કૂતરાના એક દાંત દીઠ રૂ.૧૦,૦૦૦ અને જો માંસ બહાર આવ્યું હોય તો ૨ ઈંચના ઘા માટે રૂ.૨૦,૦૦૦ ઠેરવ્યા છે. આ ચુકાદામાં માનવીના પશુથી રક્ષણની રાજ્ય સરકારોની જવાબદારી નક્કી કરી છે. પહેલાં બોમ્બે હાઈકોર્ટે અને પછી સુપ્રીમ કોર્ટે રખડતાં કૂતરાંને ખાવાનો અને નાગરિકોને તેમને ખવડાવવાનો અધિકાર માન્ય રાખ્યો છે. રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ભારત સરકાર ૨૦૩૦ સુધીમાં દેશમાંથી હડકવા નાબૂદ કરવા સંકલ્પબધ્ધ છે અને ૯૭ ટકા હડકવાના કેસો કૂતરાં કરડવાથી થાય છે ત્યારે આ કૂતરાંનું શું કરીશું ?
e.mail : maheriyachandu@gmail.com