ઉત્તરાખંડ, યુનિફોર્મ સિવિલ કોડ / કોમન સિવિલ કોડ (U.C.C./C.C.C) લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય બન્યું છે. ધ્વનિ મતથી યુનિફોર્મ સિવિલ કોડ બિલ વિધાનસભામાં પસાર થયું છે ને તેને રાજ્યપાલની મંજૂરી મળશે તો કોમન સિવિલ કોડ કાયદા તરીકે રાજ્યમાં લાગુ થશે. ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કર ધામીએ બંધારણના ઘડવૈયાઓએ જે સપનું સેવ્યું હતું તે કોમન સિવિલ કોડ તરીકે ધરતી પર ઇતિહાસ રચી રહ્યું છે – તેના સાક્ષી બનવા બદલ ગૌરવની લાગણી અનુભવી હતી ને અપેક્ષા રાખી હતી કે U.C.C./C.C.C. અન્ય રાજ્યો પણ લાગુ કરશે. ધામીએ એમ પણ કહ્યું કે આ કાયદાનો ઉદ્દેશ તુષ્ટિકરણનો નહીં, પણ સમાજમાં સમાનતા લાવવાનો છે. રાજ્યપાલની મંજૂરી મળશે તો લિવ ઇન રિલેશનશિપ પર કાનૂની સકંજો કસાશે. લિવ ઇન હવે રજિસ્ટર કરાવવાનું થશે ને તેમ નહીં થાય તો 6 મહિનાની સજા અને 25,000ના દંડની જોગવાઈ આ નવા કાયદામાં છે. આ સિવાય પતિ કે પત્ની જીવિત હોય એ સ્થિતિમાં બીજા લગ્ન ગેરકાનૂની ગણાશે. સિવિલ કોડ લગ્ન અને સંપત્તિ સંબંધી કેસમાં લાગુ થઈ શકે છે. અત્યાર સુધી ધર્મ, જાતિ રીતરિવાજ, પરંપરા આધારિત અલગ અલગ કાયદાઓ હતા. એ સંદર્ભે મુસ્લિમો માટે મુસ્લિમ પર્સનલ લૉ હતો, તો હિન્દુઓ માટે હિન્દુ મેરેજ એક્ટ લાગુ થતો હતો. એવી જ રીતે શીખ, ઈસાઈ માટે પણ પર્સનલ લૉ હતા.
ભવિષ્યે દેશમાં કોમન સિવિલ કોડ લાગુ થાય તો જાતિ, ધર્મના અલગ અલગ કાયદા નાબૂદ થશે ને બધાને જ સમાન કાયદો લાગુ થશે. તે લાગુ કરતી વખતે જાતિ/ધર્મને અલગ રીતે ન જોતાં, દરેકને સામાન્ય નાગરિક તરીકે જ જોવાશે. સાધારણ રીતે મુસ્લિમ પુરુષ ચાર લગ્ન કરી શકે છે, પણ કોમન સિવિલ કોડ લાગુ થાય તો તે ચાર લગ્ન નહીં કરી શકે. એ જ રીતે કોઈ હિન્દુ, પત્ની હયાત હોય તો બીજી પત્ની કરી શકતો નથી. એટલું છે કે કોમન સિવિલ કોડ આખા દેશમાં લાગુ થાય તો સ્ત્રીઓને તથા સંતાનોને ઠીક ઠીક રક્ષણ મળી શકે એમ છે.
અત્યારે તો ઉત્તરાખંડમાં U.C.C. લાગુ થયો છે, તો ત્યાં શું ફેર પડશે? કોઈ પણ જાતિ, ધર્મની વ્યક્તિને મિલકતમાં જે તે વ્યક્તિનાં મૃત્યુ પછી પણ, સમાન અધિકાર મળશે. તે પુત્ર હોય કે પુત્રી, બંનેનો મિલકત પર સમાન અધિકાર રહેશે. મરણોત્તર સંદર્ભે, પત્ની અને બાળકો વચ્ચે સમાન વહેંચણી મિલકતની થશે. એ ઉપરાંત વ્યક્તિનાં માતાપિતાને પણ મિલકતમાં સમાન અધિકાર મળશે. અગાઉ આ હક માત્ર મૃતકની માતા પૂરતો જ સીમિત હતો, તે હવે વધુ વ્યાપક થશે.
U.C.C. મુજબ લગ્નના એક વર્ષ પહેલાં કોઈ પણ યુગલ છૂટાછેડા માટે કોર્ટમાં જઇ શકશે નહીં. લગ્ન કોઈ પણ ધાર્મિક વિધિથી થયા હોય તો પણ, છૂટાછેડા કાનૂની પ્રક્રિયાથી જ શક્ય બનશે. છૂટાછેડાની બાબતમાં એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે પતિ-પત્ની પાસે અલગ થવાનાં સરખાં કારણો કે આધાર હોય તે જરૂરી છે. કારણો કોઈ એકને જ હોય તો છૂટાછેડા મળી શકશે નહીં. છોકરીઓ લગ્ન પહેલાં ગ્રેજ્યુએટ થઈ શકે એ માટે ઉંમર 21ની કરવાની વાત છે, તે સિવાય અન્ય જાતિ-ધર્મ માટે છોકરીઓની લગ્નની ઉંમર 18ની હશે. બીજી અનેક જોગવાઇઓ C.C.C.માં થઈ હશે, પણ લિવ ઇન રિલેશનશિપ અંગે આ કાયદો વધુ કડક થવા જઇ રહ્યો છે. ઉત્તરાખંડમાં જે કોઈ લિવ ઇન-માં રહેતાં હોય તેમણે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. હવે લિવ ઇનથી થતાં બાળકને પણ કાનૂની રક્ષણ મળી શકે એમ છે. બાળકને પિતા અને માતાનું નામ મળશે. એક તબક્કે લિવ ઇન રિલેશનશિપની નોંધણીના વિચારને સુપ્રીમકોર્ટે મૂર્ખામીભર્યો ગણાવ્યો હતો તે સંદર્ભે કોઈ લિવ ઇન સંદર્ભે કોર્ટમાં જાય તો કાયદો કેટલું રક્ષણ કરશે તે પ્રશ્ન જ છે. તે એટલે પણ કે લિવ ઇનમાં સૂચવાયેલા આ ફેરફારો તેને લગ્નથી ખાસ અલગ રાખે એમ નથી. લગ્ન અને લિવ ઇન વચ્ચે ખાસ ભેદ જ ન રહેવાનો હોય તો તે અલગ અલગ રાખવાનો કોઈ અર્થ ખરો? ગમ્મત તો એ પણ છે કે લિવ ઇનમાં થયેલા ફેરફારો અનુસૂચિત જનજાતિના લોકોને લાગુ પડશે નહીં. અત્યારે તો સમાન નાગરિક ધારો માત્ર ઉત્તરાખંડના આદિવાસીઓને લાગુ પડશે નહીં. રાજ્યમાં થારુ, બોક્સા, રાજી, ભોટિયા અને જૌનસારી સમુદાયોમાંથી તમામને આ કાયદાથી દૂર રાખવામાં આવ્યા છે. આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ તેમના રાજ્યના આદિવાસીઓને કોમન સિવિલ કોડ-C.C.C.થી દૂર રાખવાની જાહેરાત કરી છે.
કેન્દ્રની ભા.જ.પ. સરકારે સત્તામાં આવવા પહેલાં અયોધ્યામાં રામમંદિર, 370ની નાબૂદી જેવી વાતો ચૂંટણી ઢંઢેરામાં કરી હતી, તેમાં યુનિફોર્મ સિવિલ કોડની વાત પણ હતી. સારી વાત એ છે કે ભા.જ.પે. આપેલા વાયદાઓ પાળ્યા છે. 2024ની ચૂંટણી ટાણે જ ઉત્તરાખંડે કોમન સિવિલ કોડ લાગુ કર્યો છે, તો દેખીતું છે કે અન્ય ભા.જ.પ. શાસિત રાજ્યો પણ તેને અનુસરે. એકાદ રાજ્યમાં કોમન સિવિલ કોડ લાગુ પડે તેટલા પરથી આખા દેશ પરની તેની અસરોનું અનુમાન થઈ શકે નહીં. બીજી મહત્ત્વની વાત એ કે બંધારણમાં આનુષાંગિક સુધારા કર્યા વગર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનું વાજબી નથી. કોમન સિવિલ કોડથી પર્સનલ લોઝ નાબૂદ થાય ને જે તે ધર્મ કે જાતિના લોકોને મળતા બંધારણીય અધિકારો ચાલુ રહે ને બંધારણની કલમ 25માં ધાર્મિક સ્વાતંત્ર્યનો સ્પષ્ટ ઉલ્લેખ હોય, તો ગૂંચ વધે એમ બને. આખા દેશમાં કોમન સિવિલ કોડ લાગુ થાય એ ઇચ્છનીય છે, પણ આગળ ઉપર તે લાગુ કરવા જતાં મુશ્કેલીઓ વધવાની શક્યતાઓ છે. આજે તો ભા.જ.પ. કેન્દ્રમાં પૂરતું વર્ચસ્વ ધરાવે છે ને 2024ની ચૂંટણીમાં વાતાવરણ પૂરેપૂરું ભા.જ.પ.ની તરફેણનું છે, પણ કોમન સિવિલ કોડ લાંબો સમય પ્રભાવી રહે એવું લાગતું નથી, તેનું કારણ એ છે કે આ દેશ અનેક ધર્મ, સંપ્રદાય, જાતિમાં વહેંચાયેલો છે અને દરેકને જે તે ધર્મ પાળવાનો બંધારણે અધિકાર આપ્યો છે. દેશમાં એક જ જાતિ કે ધર્મ હોય તો કોમન સિવિલ કોડ લાગુ કરવાનું સરળ થઈ પડે, પણ બંધારણીય અધિકારની રુએ દરેક જાતિ-ધર્મને તેનાં અલગ આચાર વિચાર ને કર્મકાંડો છે, રીતરિવાજો છે, સંસ્કારો છે. એ પ્રકારે આઝાદી પછીનાં 77 વર્ષથી વધુના સમયગાળામાં દરેકની માન્યતાઓ બંધાઈ છે, દૃઢ થઈ છે. આવી દૃઢતા પછી, કોમન સિવિલ કોડ જડબેસલાક રીતે લાગુ કરવાથી, વૈયક્તિક અધિકારો પર તરાપ મારવા જેવું થશે ને એ બધા ધર્મ-જાતિના લોકોને મંજૂર ન હોય એમ બને.
ઉત્તરાખંડમાં હજુ તો કાયદો લાગુ થયો નથી, પણ વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. U.C.C.ની ગમે એટલી અનિવાર્યતા હોય તો પણ, તે એવે ટાણે લાગુ કરાય છે કે ઘણાંને તે પ્રોપેગેન્ડા જ લાગે. આ એટલે પણ શંકાસ્પદ છે કે એમાં કેટલુંક સગવડિયું પણ છે ને એટલે જ પારદર્શિતા ઓછી છે, જેમ કે, બધા માટે આ કોડ સમાન રીતે લાગુ કરવાની વાત હોય તો આદિવાસીઓને એમાંથી બાકાત રાખવાનું શું કારણ છે? કારણ એટલું અજાણ્યું નથી જ કે અટકળ થઈ ન શકે. વાત એ નથી, પણ કોમન સિવિલ કોડ બધાને જ સરખી રીતે લાગુ કરવાનો મુખ્ય હેતુ હોય તો તેમાં સરકાર જ અપવાદ કરે તો બીજા અપવાદ વધારે એમાં નવાઈ નથી.
કોમન સિવિલ કોડનો વાંધો મુસ્લિમોને વધારે છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનું માનવું છે કે યુનિફોર્મ સિવિલ કોડ મુસ્લિમો પર અત્યાચાર સમાન છે. તે એટલે કે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મુકાતા કાયદેસરના છૂટાછેડા વગર એકથી વધુ લગ્નનો અધિકાર કે મિલકતની શરિયત મુજબની વહેંચણીનો અધિકાર જેવા કેટલાક અધિકારો મુસ્લિમોએ જતા કરવા પડે એમ છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ તો કોમન સિવિલ કોડને મુસ્લિમોને તેમના ધર્મથી દૂર કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. TMC સાંસદ સૌગત રોયે પણ રોકડું કરી દીધું છે કે U.C.C. પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં થાય. આ કાયદાથી પોતાને અલગ રાખવાની આદિવાસીઓએ એવી કોઈ માંગ કરી હોવાનું ધ્યાનમાં નથી. જો માંગ ન કરી હોય ને સરકારે મત બેંકને આધારે આ નિર્ણય લીધો હોય તો અન્ય જાતિ-ધર્મના લોકો પોતાને આ કાયદાથી અલગ રાખવાની માંગ કરે તો તેની છૂટ સરકાર આપશે? જો U.C.C. મહિલા સશક્તિકરણની દિશામાં મહત્ત્વનું પગલું હોય, તો આદિવાસી મહિલાઓ તેમાંથી બાકાત રહે એ ઈચ્છવા જેવું ખરું? અરે, રામલલાના 56 ભોગમાં આદિવાસી ભોજનનો સમાવેશ કરવાની વાત હોય તો કોમન સિવિલ કોડમાંથી આદિવાસીઓને બાકાત રાખવાનું વાજબી છે? એમ લાગે છે કે પારદર્શિતાને મામલે કોમન સિવિલ કોડમાં ક્યાંક કશુંક ખૂટે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 ફેબ્રુઆરી 2024