રાષ્ટ્રવાદ બે પ્રકારના હોય છે એક સાત્ત્વિક અને બીજો તામસિક. આમાં તામસિક રાષ્ટ્રવાદ સહજસાધ્ય છે કારણ કે તેનાં પાયામાં ધર્મ, ભાષા અને વંશ જેવી ઓળખો રહેલી હોય છે. આ એક એવું રસાયણ છે જે એક જ ધર્મના એક જ ભાષાના અને એક જ વંશના લોકોને જોડી આપવાનું અને જોડી રાખવાનું કામ કરે છે. મારું અને અમારું એવો ભાવ આપણાં કરતાં વધારે પ્રબળ હોય છે. સાત્ત્વિક રાષ્ટ્રવાદ એટલો સહજસાધ્ય નથી કારણ કે તેનાં પાયામાં સહિયારાપણાનું અને બંધારણ આધારિત નિષ્ઠા રહેલી હોય છે. એમાં આપણાંપણાનો સહિયારાપણાનો ભાવ વિકસિત કરવો પડે છે. આપણી ભૂમિમાં જે જે લોકોનો જન્મ થયો એ આ ભૂમિનાં સંતાન છે અને માટે આપણાં પોતાનાં છે.
હવે વિડંબણા એવી છે કે તામસિક રાષ્ટ્રવાદીઓ સાત્ત્વિક રાષ્ટ્રવાદની આડે વિઘ્નો પેદા કરે છે અને તેને સફળ થવા દેતા નથી એ તો ખરું, પણ તામસિક રાષ્ટ્રવાદ સહજસાધ્ય હોવા છતાં પણ સફળ નીવડતો નથી કે નીવડ્યો નથી. ભારતીય ઉપખંડની વાત કરીએ તો પાકિસ્તાને તેની સ્થાપના સાથે જ ઇસ્લામિક રાષ્ટ્રવાદ સ્વીકાર્યો હતો, પરંતુ પૂર્વ પાકિસ્તાનને સાથે રાખી શક્યું નહીં. ૧૯૪૭માં પૂર્વ બંગાળ ઇસ્લામ ધર્મને બચાવવા ભારતથી અને પશ્વિમ બંગાળથી જુદું પડીને પાકિસ્તાનમાં જોડાયું અને ૧૯૭૧માં બંગાળી ભાષા બચાવવા પાકિસ્તાનથી અલગ થયું. અત્યારે બંગલાદેશમાં બંગાળી ભાષાકીય રાષ્ટ્રવાદ અને ઇસ્લામિક રાષ્ટ્રવાદ વચ્ચે અથડામણ ચાલી રહી છે. શ્રીલંકામાં સિંહાલા રાષ્ટ્રવાદ પ્રબળ છે અને તેને પરિણામે શ્રીલંકાની જે હાલત થઈ છે એ તમે જાણો છો. મ્યાનમાર(બર્માં)માં બૌદ્ધ રાષ્ટ્રવાદ પ્રબળ છે અને તેની હાલત પણ તમે જાણો છો. આવું જ જગત આખામાં જ્યાં જ્યાં ધર્મ, ભાષા કે વંશ આધારિત રાષ્ટ્રવાદ પ્રબળ છે ત્યાં અરાજકતા જોવા મળે છે.
આની સામે ભારતે ભારતીય રાષ્ટ્રવાદ સ્વીકાર્યો હતો જે હિન્દુત્વવાદીઓને સ્વીકાર્ય નથી. ભારતીય રાષ્ટ્રવાદ એટલે સર્વસમાવેશક રાષ્ટ્રવાદ. ભારતમાતાનાં પ્રત્યેક સંતાનને ભેદભાવ વિના ભારતીય તરીકે સ્વીકારવાના. એમાં બહુમતી પ્રજાની ધાર્મિક કે સાંસ્કૃતિક ઓળખો કોઈ રાજકીય પ્રભાવ ન પાડે. અહીં મેં વાપરેલો શબ્દપ્રયોગ ધ્યાનમાં રાખશો. માત્ર રાજકીય અને સત્તાકીય બાકી બહુમતી પ્રજાનો સાંસ્કૃતિક પ્રભાવ તો રહેવાનો જ.
ભારતે સર્વસમાવેશક અને અવિરોધી સાત્ત્વિક ભારતીય રાષ્ટ્રવાદ સ્વીકાર્યો એનું પરિણામ આપણી સામે છે. જો ભારતે હિન્દુ રાષ્ટ્રનો માર્ગ સ્વીકાર્યો હોત તો ભારતની હાલત અને આબરૂ પાકિસ્તાન જેવી હોત. એની થોડી ઝાંખી અત્યારે મળવા માંડી છે. વિકાસના અને સભ્ય સમાજનાં પ્રત્યેક ઇન્ડિકેટર્સમાં ભારત નીચે સરકી રહ્યું છે. સરકાર ઇન્કાર કરે એનો અર્થ એવો નથી કે જગતે તેનો સ્વીકાર કરી લીધો છે. એમાં કોઈ શંકા નથી કે ભારતે જે કોઈ સિદ્ધિ મેળવી છે એ સાત્ત્વિક રાષ્ટ્રવાદને કારણે. માત્ર ભારત જ નહીં જગતનાં દરેક દેશને આ વાત લાગુ પડે છે. સાત્ત્વિક રાષ્ટ્રવાદી દેશો અપવાદ વિના સફળ દેશો છે અને તામસિક રાષ્ટ્રવાદી દેશો અપવાદ વિના નિષ્ફળ દેશો છે.
પણ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ સ્વભાવતઃ સાત્ત્વિક ન હોઈ શકે, કારણ કે તે આવિરોધી હોઈ શકે નહીં અને જ્યાં વિરોધ હોય ત્યાં સાત્ત્વિકતા સંભવ નહીં. ગાંધીજીના અસહકારનાં આંદોલનનો પણ તેમણે વિરોધ કર્યો હતો. બીજું બહુમતી કોમના અસ્મિતા આધારિત રાજકીય સરસાઈ ઇચ્છનારાઓ રાષ્ટ્રવાદની ભાવનાનો દુરુપયોગ કરશે. એ ક્યારે ય સખણા રહેશે નહીં અને સાત્ત્વિક રાષ્ટ્રવાદને અંદરથી કોરી ખાવાનો પ્રયાસ કરતા રહેશે. માટે રાષ્ટ્રવાદ ગમે તેટલો ઉપયોગી હોય, હૃદયસ્પર્શી હોય, અપીલિંગ હોય, તેને સાત્ત્વિક રાખવાનો પ્રયાસ કરવામાં આવતો હોય, પણ એ અંતે તો જોખમી છે. રવીન્દ્રનાથે રાષ્ટ્રવાદને જોખમી તરીકે ઓળખાવ્યો છે.
રવીન્દ્રનાથ અને મહાત્મા ગાંધી વચ્ચેની ચર્ચા ૧૯૨૦ના દાયકાની છે. એ પછી ગુરુદેવે રાષ્ટ્રવાદ વિષે ત્રણ વ્યાખ્યાનો આપ્યાં હતાં જે વૈશ્વિક વૈચારિક ધરોહરમાં સ્થાન પામે છે. વાત એમ હતી કે સાંસ્થાનિક દેશોને તેની આઝાદી માટેની લડતમાં રાષ્ટ્રભાવનાની જરૂર હતી. એ સિવાય લોકોને જોડવા કેવી રીતે અને આંદોલિત કેવી રીતે કરવાં? બીજી બાજુ રવીન્દ્રનાથે જે ચેતવણી આપી હતી એનો પણ ડર હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આઝાદીની લડાઇમાં ભાગ નહોતો લીધો કારણ કે તેને ભારતને આઝાદ કરાવામાં રસ નહોતો, હિન્દુઓને કહેવાતા વિધર્મીઓથી આઝાદ કરવામાં રસ હતો. ભારતને આઝાદી મળ્યા પછી હિન્દુઓની આઝાદી માટે તેઓ આઝાદી પહેલાં થઈ તૈયારી કરતા હતા. આવું જ પાકિસ્તાનમાં બન્યું હતું. પાકિસ્તાનની સ્થાપના પછી પાકિસ્તાનને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા ઈસ્લામવાદીઓ સક્રીય થયા હતા.
એક બાજુ રાષ્ટ્રનિર્માણ માટે સાત્ત્વિક રાષ્ટ્રવાદની જરૂર અને બીજી બાજુ રવીન્દ્રનાથે ચેતવણી આપી હતી એમ રાષ્ટ્રવાદમાં તામસિકતા ઉમેરવાનો ભય. તામસિક રાષ્ટ્રવાદીઓ સતત ઓળખ આધારિત બહુમતી રાષ્ટ્રવાદ લાદવાનો પ્રયાસ કરતા રહેવાના અને એમાં તેમને સફળતા પણ મળી શકે છે. જો એમ બને તો? અને આજે એવું બની પણ રહ્યું છે. વિશ્વનો સૌથી સમૃદ્ધ, પ્રગતિશીલ અને અઢીસો વરસ જૂની લોકશાહી ધરાવતો દેશ અમેરિકા પણ તામસિક રાષ્ટ્રવાદનો શિકાર છે. જો આવું બને તો અરાજકતા અવશ્યભાવી છે અને ગમે તેવો દેશ નિષ્ફળ નીવડી શકે.
આના ઉપાયરૂપે રાષ્ટ્રવાદની હજુ એક કલ્પના વિકસિત કરાવામાં આવી જે બંધારણીય રાષ્ટ્રવાદ (constitutional nationalism) તરીકે ઓળખાય છે. જે કોઈ ઓળખ હોય એ ઘરની અંદર કે પોતાનાં સમાજ પૂરતી મર્યાદિત રાખવાની અને ઘરની બહાર એક માત્ર રાષ્ટ્રીય ઓળખ નાગરિક તરીકેની અપનાવવાની. પ્રત્યેક નાગરિકે બંધારણની મર્યાદામાં જીવવાનું. ટૂંકમાં સાત્ત્વિક હોય કે તામસિક બન્ને પ્રકારના લોકોએ બંધારણીય રાષ્ટ્રને સ્વીકારવાનું અને તેની મર્યાદામાં જીવવાનું.
પણ શું બંધારણીય રાષ્ટ્રવાદ અભડાઈ ન શકે એવો અજેય છે? તે અકસીર છે? આની થોડી વાત હવે પછી.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 05 નવેમ્બર 2023