મુન્ના કુરેશી, પરસાદીલાલ લોધી, હસન વકીલ, નાસિર ખાન, અંકુર, સૌરભ, જતીન કશ્યપ, ઈરશાદ ખાન, ફિરોઝ કુરેશી, ભૂપેન્દ્ર રાજપૂત અને રાકેશ : આ કેટલાંક એ નામ છે, જેમણે સિલ્ક્યારા સુરંગ દુર્ઘટનામાં ફસાયેલા ૪૧ શ્રમિકોને જીવના જોખમે બહાર કાઢવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ચાર ધામ યાત્રાને વધુ સુગમ બનાવવા ૯૦૦ કિલોમીટરની એક પરિયોજનાનું કામ ચાલે છે. તેના એક હિસ્સા તરીકે ઉત્તરાખંડના ઉત્તરકાશી ક્ષેત્રમાં સિલ્ક્યારા અને બડકોટ વચ્ચે ૪.૫ કિ.મી. લાંબી એક ટનલ બની રહી છે. તેના કારણે યમુનોત્રીનું અંતર ૨૦ કિ.મી. ઘટશે અને એક કલાક બચશે. આ નિર્માણાધીન સુરંગનો એક હિસ્સો અચાનક ધસી પડતાં તેમાં ૪૧ મજૂરો ફસાયા હતા. સત્તર દિવસના બચાવ કાર્યમાં મોંઘા, ભારે, આધુનિક અને વિદેશી મશીનો જ્યારે વિફળ જતાં લાગ્યા, ત્યારે અંતે છેલ્લા બે દિવસોમાં પરંપરાગત ઓજારોથી કામ કરતા ૧૨ શ્રમિકોના એક જૂથને બચાવ કાર્યમાં જોડવામાં આવ્યું હતું. તેઓ છેલ્લું પંદરેક મીટરનું ખોદકામ વગર મશીને હાથથી કરીને ફસાયેલા શ્રમિકો સુધી પહોંચ્યા અને તેમને હેમખેમ બહાર કાઢ્યા. રેટ-હોલ માઈનર્સ તરીકે ઓળખાતા આ શ્રમિકો જે ખનન કામ કરે છે તેને રેટ-હોલ માઈનિંગ કહેવામાં આવે છે. તે પર્યાવરણને ભારે નુકસાનકારક છે, શ્રમિકો માટે અસુરક્ષિત છે, એટલે ગેરકાયદે અને પ્રતિબંધિત છે. પરંતુ સિલ્ક્યારા સુરંગ દુર્ઘટનામાં ફસાયેલા શ્રમિકો માટે તે તારણહાર બન્યા હતા.
રેટ-હોલ માઈનર્સ એટલે એવા ખાણિયા જે ખાણમાં ઉંદરના દરની જેમ છીછરી કે ઓછી જગ્યામાં ઢાળ પર કે આડું ખોદકામ કરે છે. ઉંદર દર ખોદતા જાય અને માટી પાછળ નાંખતા જાય એમ આ શ્રમિકો પણ અતિ સાંકડી જગ્યામાં ઊભા તો ઠીક બેસી પણ ના શકાય એટલે ઢસડાતા ઢસડાતા, ઘૂંટણભેર કે પેટે સૂઈને કામ કરે છે. પાવડો, કોદાળી, તગારાં, ટોપલાં જેવાં પરંપરાગત, પણ નાની સાઈઝના ઓજારોથી માટી, પથ્થર, ખડકને હાથેથી ખોદવાનું કામ તે કરે છે.
ઉત્તર પૂર્વના રાજ્યોમાં તેમાં ય ખાસ કરીને મેઘાલયની પહાડીઓમાં આવેલી કોલસાની ખાણોમાં કોલસો કાઢવાનું કપરું કામ રેટ-હોલ માઈનિંગ દ્વારા કરવામાં આવે છે. આફ્રિકાના દેશોમાં ખાણના ખોદકામની આ પદ્ધતિ સાવ સામાન્ય છે. મેઘાલયની કોલસાની ખાણોમાં કોલસાનો થર અત્યંત પાતળો હોય છે એટલે ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ખાણિયાઓ ૩ થી ૪ ફૂટ ઊંડે ખોદે છે, નાના ખાડા પાડે છે. પછી જ્યારે તે કોલસાની નજીક પહોંચે છે ત્યારે શરીરે દુબળા – પાતળા પુખ્ત ખાણિયા કે નાનાં બાળકોને અંદર મોકલીને કોલસો કાઢવામાં આવે છે. આ કામ તેઓ દોરડા, રસીઓ કે જાતે બનાવેલી વાંસની સીડી દ્વારા કરે છે.
અતિ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં લગભગ કોઈ જ સુરક્ષા સાધનો વિના કોલસાની ખાણમાં આ ખાણિયા કામ કરે છે. ખાણોમાં હવા-ઉજાસના અભાવે શ્વાસ લેવો કે એક કલાકથી વધુ કામ કરવું મુશ્કેલ હોય છે એટલે વારાફરતી કામ કરે છે. ખાણકામ દરમિયાન તેઓ કોલસાની ધૂળ અને મિથેન ગેસ જેવા હાનિકારક પદાર્થોના સંપર્કમાં આવે છે. તેના કારણે તેમના આરોગ્યને હાનિકારક અસર થાય છે અને શ્વસન સંબંધી સમસ્યાઓનો ભોગ બને છે. ખાણ ધસી પડવાના અને ખાણમાં પાણી ભરાઈ જવાના અકસ્માતો ઘણી વાર બને છે. આ પ્રકારના અકસ્માતોમાં ખાણિયાઓના મોત તો થાય જ છે, પણ તેમના મૃતદેહ પણ હાથ લાગતા નથી.
૨૦૧૧-૧૨ના વરસમાં એકલા મેઘાલયમાં દસ મિલિયન ટન કોલસાનું ઉત્પાદન રેટ-હોલ માઈનિંગથી કરવામાં આવ્યું હતું. ૨૦૦૭થી ૨૦૧૪ના વરસો દરમિયાન દેશમાં ૧૦થી ૧૫ હજાર ખાણિયાઓના મોત થયા હતા. એટલે કામકાજની અમાનવીય સ્થિતિ અને જીવનું જોખમ છતાં રોજગારીના અભાવે આ કામ કરવું પડે છે. સિલ્ક્યારા બચાવ દળમાં સામેલ રેટ-હોલ માઈનર્સના નામો વાંચતા જણાય છે કે તેઓ આદિવાસી, દલિત, પછાત, લઘુમતી અને ગરીબ વર્ગમાંથી આવે છે. ૧૨ રેટ-હોલ માઈનર્સમાંથી ૬ દિલ્હીના ખજૂરી ખાસમાં જે સ્થિતિમાં રહે છે, તે ટી.વી પડદે નજરે જોનારને તેમની સામાજિક-આર્થિક સ્થિતિ અને નજીવા મહેનતાણાનો ખ્યાલ આવ્યો હશે. તેમની મહેનતથી દલાલો અને વચેટિયાઓ માલામાલ થાય છે.
૨૦૧૪માં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે રેટ-હોલ માઈનિંગને કામદારો માટે અસુરક્ષિત, અવૈજ્ઞાનિક અને પર્યાવરણનો વિનાશ કરનાર ગણાવી, કરોડોના દંડ સાથે ગેરકાયદેસર ઠરાવી, પ્રતિબંધિત કરેલ હતી. આ પદ્ધતિથી ખનન કરવાથી નદીઓનાં પાણીમાં એસિડનું પ્રમાણ વધે છે. જળ વિધ્યુત પરિયોજના અને બંધોની મશીનરી ખરાબ થઈ જાય છે. મેઘાલયમાં ખાનગી કંપનીઓ, વ્યક્તિગત અને સામૂહિક ધોરણે થતાં ખનનમાં હજુ પણ આ પ્રથા સક્રિય છે. મેઘાલય સરકારે એન.જી.ટી.ના હુકમને પડકારતાં સુપ્રીમ કોર્ટે દંડની સજા ચાલુ રાખી રાજ્યના કાયદાઓને અનુસરીને રેટ-હોલ માઈનિંગને કેટલાક કિસ્સાઓમાં મંજૂરી આપી હતી.
સિલ્ક્યારામાં હાઈટેક ઈમ્પોર્ટેડ મશીનો કે ઓગર ડ્રિલિંગ મશીન જેવું પરિષ્કૃત ઉપકરણ કામ ના લાગ્યું ત્યારે સુરંગ ખોદકામમાં કુશળ, પ્રતિભાશાળી, અનુભવી અને સક્ષમ એવા રેટ-હોલ માઈનર્સ ખપમાં આવ્યા હતા. ૨૬ કલાકની મહેનત પછી તેઓ જ્યારે ફસાયેલા ૪૧ શ્રમિકો સુધી પહોંચ્યા, ત્યારે સર્વત્ર તેમનો જયજયકાર થઈ ગયો હતો. ઉત્તરાખંડ અને દિલ્હીના મુખ્ય મંત્રીઓએ તેમની મુલાકાત લઈને સન્માનિત કર્યા હતા. વડા પ્રધાને પણ તેમના કામના વખાણ કર્યા હતા. સમાચાર ચેનલો પર જ નહીં, મનોરંજન ચેનલો પર પણ એ જોવા મળ્યા હતા.
પરંતુ આ ગુમનામ નાયકો તે પછી ફરી તેમની બદતર જિંદગીમાં જોતરાઈ ગયા હશે. ગેરકાયદે કોલસો કાઢનારા અને તંત્રની મિલીભગતમાં તેમના શોષણનો વિરોધ દબાઈ ગયો છે કે ભૂલાઈ ગયો છે. તેમની વીર નાયકની છબિ વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. ચારધામ યાત્રીઓની સગવડ માટે બનનારી પરિયોજનામાં હજુ કંઈક ગરીબોના ભોગ લેવાતા રહેશે. એટલે આપણે કોઈ નવી ખાણ કે સુરંગ દુર્ઘટના સર્જાય ત્યાં સુધી શ્રમિકો પ્રત્યેની દયા અને સહાનુભૂતિના આંસુ સાચવી રાખીએ.
e.mail : maheriyachandu@gmail.com