કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ૧૪મી સપ્ટેમ્બરે હિન્દી દિવસના ઉપલક્ષમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જેમ, એક દેશ એક ટેક્સ, એક દેશ એક ચૂંટણીની દેશને જોડવા માટે જરૂરી છે એમ એક દેશ એક ભાષાની પણ દેશને જરૂર છે. તેમના આવા વક્તવ્યની સાથે જ દક્ષિણમાંથી અને પૂર્વમાંથી અને કેટલાક પ્રમાણમાં બાકીના ભારતમાંથી પણ વિરોધનો વંટોળ ઊઠ્યો છે.
તેમને એ જ તો જોઈએ છે. જમ્મુ અને કાશ્મીર અંગે અભૂતપૂર્વ અને ઐતિહાસિક પગલું ભર્યું હોવા છતાં આર્થિક સંકટની ચર્ચા છેડો મૂકતી નથી અને દિવસોદિવસ એના વિષે જ ચર્ચા થઈ રહી છે. એક તો આર્થિક સંકટ ઊંડું છે, વ્યાપક છે, જાગતિક છે અને જટિલ છે અને તેમાં તેને હાથ ધરવાની આજના શાસકોમાં આવડત નથી. અત્યારના શાસકો તેજસ્વી લોકોથી લઘુતાગ્રંથિ અનુભવે છે, એટલે આવડત વિનાના લોકો આર્થિક સંકટમાંથી દેશને બહાર કાઢવાના ફાંફા મારતા રહે છે, પણ ફાવતા નથી. ઓછામાં પૂરું ચન્દ્રયાન – ૨ નિષ્ફળ નીવડ્યું નહીં તો એની સફળતા લોકોને દેશપ્રેમના નશામાં રાખવામાં મદદરૂપ થઈ શકત, પણ એ તક પણ હાથમાંથી ગઈ.
વીતેલા જમાનામાં બાળક ભૂખ્યું થયું હોય અને ભૂખથી રડતું હોય ત્યારે માતા બાળકને અફીણ ચટાડીને સુવડાવી દેતી. એ જ્યારે આવું કરતી હશે ત્યારે તે નાછૂટકે, ભારે હ્રદયે, છાતી પર પથ્થર મૂકીને આવું કરતી હશે. મા છે ને! આજે જે રાષ્ટ્રવાદનો અને દેશભક્તિનો અમલ પીવડાવામાં આવે છે એ પ્રજાને નાશામાં રાખવા માટેનો છે અને એને માટે કોઈ પીડા અનુભવતું નથી. પ્રજાને એમ લાગવું જોઈએ કે દેશ મજબૂત બની રહ્યો છે અને દેશને મજબૂત બનાવવા માટે દેશપ્રેમના ઘૂંટડા પીવડાવા જરૂરી છે. દીકરો ભલે બેકાર રખડતો હોય, પણ દેશને એક રાષ્ટ્ર એક ભાષા પણ અનિવાર્ય છે એની પ્રતીતિ કરાવવી જોઈએ. બસ, હવે વિરોધ કરનારાઓને તેમની જગ્યા બતાવી દો. દેશભક્તો કામે લાગી જશે અને બે ટંકના રોટલાના પ્રશ્નને ભૂલી જશે.
આમ છતાં અમિત શાહની વાત સાથે હું સંમત છું. એમાં કોઈ શંકા નથી કે આખા દેશને જોડનારી દેશમાં સર્વસ્વીકાર્ય ભાષા (જેને આપણે રાષ્ટ્રભાષા કહીએ છીએ) હોવી જોઈએ. આ દેશમાં આનો ગાંધીજી કરતાં વધુ આગ્રહ બીજા કોઈએ નહોતો રાખ્યો એ હું ખાતરીથી કહી શકું એમ છું. ગાંધીજીના અક્ષરદેહમાં એક હજાર કરતાં વધુ વખત ગાંધીજી રાષ્ટ્રભાષાની વકીલાત કરતા જોવા મળે છે. દેશની તમામ પ્રજા એક ભાષાને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારે તેની સામે વાંધો શા માટે હોવો જોઈએ? અને સ્વાભાવિકપણે રાષ્ટ્રભાષા એ જ ભાષા બનવી જોઈએ જે દેશની વધુમાં વધુ પ્રજા બોલતી હોય.
સમસ્યા અહીંથી શરૂ થાય છે. કઈ ભાષા રાષ્ટ્રભાષા બનવી જોઈએ? ગાંધીજીએ કહ્યું હતું જે લોકો એક ભાષાકીય પ્રાંતમાંથી બીજા ભાષાકીય પ્રાંતમાં વિચરે છે તેમને વ્યવહાર ચલાવવા માટે કોઈ એક ચોક્કસ ભાષાની જરૂર પડે છે. આ દેશમાં અમુક પ્રજા એવી છે જે સતત વિચરણ કરતી રહે છે અને તેમણે વ્યવહાર ચલાવવા માટે ભાષા વિકસાવી છે. એ ભાષાને હજુ વધુ સમૃદ્ધ કરવી જોઈએ અને તેને રાષ્ટ્રભાષા બનાવવી જોઈએ. એ પ્રજા છે; સાધુઓ, ફકીરો, યાત્રીઓ અને દેશભરમાં ભટકીને ધંધો કરનારી ભટકતી કોમો.
હવે એ તો હકીકત છે કે સાધુઓ, ફકીરો, સૂફીઓ, યાત્રિકો અને ભટકતી કોમો કોઈ એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં નહોતી જતી, પણ દેશના દરેક ભાષાકીય પ્રાંતમાંથી બીજા દરેક ભાષાકીય પ્રાંતમાં વિચરતી હતી. ઉત્તરના લોકો દક્ષિણમાં જતા હતા અને દક્ષિણના લોકો ઉત્તરમાં જતા હતા. આ કોમ ચારેય દિશામાં વિચરણ કરતી હતી. આ દેશમાં જ્યોતિર્લિંગો ક્યાં ક્યાં છે અને શક્તિપીઠો ક્યાં ક્યાં છે એ ગૂગલ મૅપ પર જોઈ જશો તો ખ્યાલ આવશે કે હિંદુ યાત્રાળુઓનું વિચરણ કેવું ચારે દિશાનું હતું. મેં મારા ગામમાં પતરાંની ટ્રંકને રંગનાર શીખોને જોયા છે. અલીગઢી તાળાં વેચનારા ઉત્તર પ્રદેશના મુસલમાનોને જોયા છે. ટૂંકમાં એક જગ્યાએ બેસીને ભાષાનું ઊંડું અધ્યયન કરનારા ભાષાવિદ્ પંડિતને એકબીજા સાથે જોડનારી વ્યવહાર ભાષાની જરૂર નથી પડતી, પણ વિચરણ કરનારાઓને પડે છે. તેમની એ જરૂરિયાત છે. આમ જરૂરિયાત ભાષાની માતા છે. એ ભાષાને જન્મ પણ આપે છે અને તેનું પોષણ પણ કરે છે.
આ વાત અત્યંત મહત્ત્વની છે અને તેને સમજી લેવાની જરૂર છે. સંસ્કૃત વિશ્વની સૌથી સંપૂર્ણ અને સમૃદ્ધ ભાષા છે, પરંતુ તેનો ખપ રહ્યો નથી એટલે તે લોકસુલભ બની શકતી નથી. આપણો તેને માટેનો ગમે તેવો પક્ષપાત હોય, પણ તે લોકભાષા નહીં બને. સત્ય તો એ છે કે પંડિતોએ તેને લોકસુલભ લોકભાષા બનવા ન દીધી એટલે તેનો ખપ મટી ગયો. આને સામે છેડે અંગ્રેજી દુનિયાની સૌથી વધુ અશાસ્ત્રીય ભાષા છે, પણ તે અનિવાર્ય ભાષા બની ગઈ છે, કારણ કે તેનો ખપ છે. સંસ્કૃત-પ્રેમીઓએ અંગ્રેજી ભાષામાં સંસ્કૃત શીખવવું પડે છે એનાથી મોટો ખપનો વિજય કેવો હોય!
માટે ગાંધીજીએ કહ્યું હતું કે આવા દેશભરમાં પ્રવાસ કરનારાઓની ભાષાને રાષ્ટ્રભાષા તરીકે અપનાવવી જોઈએ અને પછી તેમાં સાહિત્યિક ખેડાણ કરીને તેને હજુ વધુ સમૃદ્ધ કરવી જોઈએ અને જો એમ કરવામાં આવશે તો સદીના અંતે એ ભાષા સમૃદ્ધ રાષ્ટ્રભાષા બની જશે. અહીં ઉપયોગ કરવામાં આવેલા બંને શબ્દો પર ધ્યાન આપશો. ‘સમૃદ્ધ’ અને ‘રાષ્ટ્રભાષા.’ કોઈ પણ ભાષા રાષ્ટ્રભાષા ત્યારે જ બને જ્યારે તે ઉપયોગમાં લેવાતી હોય અને ઉપયોગમાં લેનારા હોય. એવી ભાષા જે લોકોની હોય, લોકસુલભ હોય અને જરૂરિયાતમાંથી જન્મી અને વિકસી હોય. એક વાર લોકસુલભ ભાષાને અપનાવી લીધા પછી તેને સમૃદ્ધ કરી શકાય છે. ભાષા વધુને વધુ વપરાશથી અને સાહિત્યિક ખેડાણથી સમૃદ્ધ થતી હોય છે. અંગ્રેજી આનું ઉદાહરણ છે. એક ભાષા જો અશાસ્ત્રીય હોવા છતાં પણ લોકપ્રિય અને સમૃદ્ધ બની શકે તો ભારતની રાષ્ટ્રભાષા શા માટે ન બને?
તો કઈ ભાષા રાષ્ટ્રભાષા બનવી જોઈએ? ગાંધીજીની વ્યાખ્યા મુજબ તો એ જ ભાષા રાષ્ટ્રભાષા બની શકે જે વિચરતી કોમોની જરૂરિયાતમાંથી વિકસી હોય. જે વપરાતી હોય અને લોકસુલભ હોય. જે દરેક પ્રાંતના લોકો જરૂર પડે ત્યારે વાપરતા હોય. એવી ભાષા એટલે સમગ્ર હિંદુસ્તાનની હિન્દુસ્તાની ભાષા.
પણ આ દેશને કોઈ આભડનારો એરુ હોય તો એ અસ્મિતાઓનો એરુ છે જે દરેક ભારતીયના ખાટલામાં ફીંડલું વળીને પડ્યો હોય છે. અલગ અલગ પ્રસંગે ક્યારે કયો એરુ આભડશે એની કોઈ ખાતરી નહીં. અત્યારે હિન્દુ-અસ્મિતા અને રાષ્ટ્રવાદનો એરુ આભડી રહ્યો છે. એ પહેલા જ્ઞાતિ અને પ્રદેશના એરુ આભડતા હતા. પાશ્ચાત્ય શિક્ષણ મેળવ્યા પછી કેટલાક લોકોની અંદર અસ્મિતાનું જાગરણ થયું અને તેઓ સ્વાભાવિકપણે સહિયારા વારસાને નકારવા લાગ્યા. સહિયારા વારસાને નકારવો એ અસ્મિતા માટેની અનિવાર્ય શરત છે. સંન્યાસીની ઓળખ મેળવવી હોય તો સંસારી કપડાં ફગાવીને ભગવા અપનાવવા પડે. જે હિંદુસ્તાની ભાષા રાષ્ટ્રભાષા બનવાની હતી તેની બાબતમાં પણ એવું જ બન્યું.
કેટલાક હિંદુ પંડિતોને એમ લાગ્યું કે આ જે હિંદુસ્તાની ભાષા છે તેમાંથી ફારસી, અરબી અને ગ્રામીણ શબ્દો દૂર કરવા જોઈએ, તેને શુદ્ધ સંસ્કૃતનિષ્ઠ કરીને એ ભાષાને પરિષ્કૃત કરવી જોઈએ. આપણો પોતાનો ભાષાકીય વારસો એટલો સમૃદ્ધ હોય ત્યારે ઉછીના શબ્દો લેવાની જરૂર જ ક્યાં આવી? અંગ્રેજોને આ વાત ભાવતી લાગી હતી. તેમણે કલકત્તામાં ફોર્ટ વિલિયમમાં હિંદુ પંડિતોને એકઠા કરીને એક દફતર ખોલી આપ્યું હતું. એ દફતર પૂરો સમય કામ કરતું હતું અને પંડિતોને પગાર આપવામાં આવતો હતો. તેમણે અંગ્રેજોના આશ્રયે હિંદુઓ માટે જે અલાયદી ભાષા વિકસાવી હતી એ હિંદી. આમ ખડી બોલી ભાષાકીય પ્રયોગશાળામાં ઉત્પાદિત કરવામાં આવેલી ભાષા છે, લોકો દ્વારા બોલાતી સ્વાભાવિક ભાષા નહોતી.
અંગ્રેજોએ આવી સવલત મુસલમાનોને પણ કરી આપી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે ભારતના મુસલમાનોએ જો કહેવાતી હિંદુસ્તાની પણ વ્યવહારમાં હિંદુ ઓળખમાં ઓગળી ન જવું હોય તો તેમણે પણ પોતાની અલાયદી ભાષા વિકસાવવી જોઈએ. તેમને પણ કહેવામાં આવ્યું હતું કે જુઓ હિંદુઓ પોતાની ભાષા વિકસાવવા લાગ્યા છે. તેમને પણ ફોર્ટ વિલિયમમાં હિંદુસ્તાની ભાષામાંથી સંસ્કૃત શબ્દો હટાવીને ઉર્દૂ ભાષાને મુસલમાનોની ભાષા તરીકે વિકસાવવા દફતર ખોલી આપવામાં આવ્યું હતું. એક જ દીવાલની બન્ને બાજુએ બેસીને હિંદુઓ અને મુસલમાનો એકબીજાના સહિયારાપણાનો છેદ ઉડાડતા હતા અને અંગ્રેજો તેમના નમ્ર સેવક બનીને વીંઝણો નાખતા હતા. જગતમાં આવી પ્રજા મળે બીજે ક્યાં મળે જે હોંશે હોંશે એકબીજાનાં કપડાં ઊતારતી હોય.
આમ જે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાનાં અરમાન સેવવામાં આવે છે એ ફોર્ટ વિલિયમમાં મેન્યુફેક્ચર્ડ કરવામાં આવેલી ભાષા છે, લોકોની ભાષા નથી. જે હિન્દીને રાષ્ટ્રભાષા સમજવામાં આવે છે એ ભારતના કોઈ પ્રદેશમાં બોલવામાં આવતી નથી. ઉત્તરના હિન્દી ભાષિક પ્રદેશોમાં પણ નહીં. મહર્ષિ પાણિનિ ધાતુપાઠ અને શબ્દ રચવાની પ્રક્રિયા શીખવાડતા ગયા છે એટલે જ્યાં અટકો ત્યાં ‘અભિયંતા’ જેવા મોઢામાં ચાવી ન શકાય એવા શબ્દો પંડિતો ઘડી કાઢે છે. પાણિનિની કૃપાથી કૂવો એટલો અખૂટ પાણીનો ભરેલો છે કે જોઈએ એટલા શબ્દો ઘડીને હવાડામાં નાખતા રહો, પછી તેને કોઈ વાપરનારા હોય કે ન હોય.
આનું પરિણામ આજે આપણી સામે છે. કૃત્રિમ હિન્દી રાષ્ટ્રભાષા બની શકી નહીં. બંધારણ સભામાં ખૂબ ચર્ચા થઈ પણ સર્વસંમતિ ન બની શકી. અત્યારની હિન્દી ભાષા ભારતની રાષ્ટ્રભાષા નથી, પણ સત્તાવાર ભાષા (ઓફિશિયલ લેન્ગવેજ) છે અને એ પણ અંગ્રેજી પછીના ક્રમે. સરકારી કામકાજ અંગ્રેજીમાં થાય છે જેનો કૃત્રિમ હિન્દીમાં અધિકારીઓ અનુવાદ કરે છે. દક્ષિણની અને પૂર્વની પ્રજા આત્યારની હિન્દીને સ્વીકારવા તૈયાર નથી. દક્ષિણની ક્યાં વાત કરો, ઉત્તર ભારતીયો સરકારી પરિપત્ર સમજવા માટે અંગ્રેજીનો આશ્રય લે છે.
આની જગ્યાએ ગાંધીજીએ કહી હતી એ જરૂરિયાતમાંથી નીપજેલી અને પ્રજાને જોડનારી ભાષા તરીકે હિંદુસ્તાનીને સ્વીકારવામાં આવી હોત તો તેને ભારતની દક્ષિણ અને પૂર્વ સહિતની આખા દેશની પ્રજાએ સ્વીકારી હોત. ગાંધીજીએ તો હિંદુસ્તાની પ્રચારસભાની સ્થાપના પણ કરી હતી અને દક્ષિણમાં હિંદુસ્તાની શીખવવા જનારા સ્વયંસેવકો તૈયાર કર્યા હતા. તામીલો હિંદુસ્તાની શીખવા પણ લાગ્યા હતા. જો ગાંધીજીની સલાહ સ્વીકારવામાં આવી હોત તો હિંદુસ્તાની અત્યારે રાષ્ટ્રભાષા હોત અને તેમાં સાહિત્યિક ખેડાણ થયું હોત તો ગાંધીજીના અનુમાન મુજબ અત્યારે તે સમૃદ્ધ પણ બની ચૂકી હોત. પણ હિન્દુત્વવાદીઓ તો ઠીક, હિન્દી સાહિત્યકારોએ પણ તેમને ફાવવા નહીં દીધા.
આમ સૌથી પહેલો ખુલાસો અમિત શાહે એ વાતનો કરવો જોઈએ કે એક દેશ એક ભાષામાં કઈ ભાષા આખા દેશની ભાષા બનશે? ભાષા એ કોઈ કાશ્મીરની જમીનનો ટુકડો તો નથી કે લશ્કર મોકલીને કબજે રાખી શકાય. એને માટે તો લોકોના મન જીતવા પડે.
18 સપ્ટેમ્બર 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 19 સપ્ટેમ્બર 2019