જાન્યુઆરી 2022માં જેમનું અવસાન થયું હતું તે વિયેતનામી ઝેન ગુરુ તિક ન્યાત હન્હએ, 1987માં, એક પુસ્તક લખ્યું હતું, ‘બીઈંગ પીસ.’ શીર્ષક પરથી સમજાય છે તેમ, આ પુસ્તકમાં આપણી આસપાસમાં ચાલતી ઊથલાપાથલ વચ્ચે શાંતિ અને સ્વસ્થતાથી કેવી રીતે રહી શકાય તેની વાતો છે. વિયેતનામમાં બે દાયકા સુધી (એક બાજુ ચીન અને સોવિયત અને બીજી તરફ અમેરિકાના સમર્થનથી) લોહિયાળ યુદ્ધ ચાલ્યું હતું. તિક ન્યાત હન્હ આ લડાઈના સાક્ષી હતા, અને એ અનુભવના આધારે તેમણે ‘બીઈંગ પીસ’ નામનું આધ્યામિક ક્લાસિક પુસ્તક લખ્યું હતું.
એ યુદ્ધમાં ચારેતરફ હિંસા ચાલતી હતી અને લોકો એકબીજાના દુ:શ્મન થઇ ગયા હતા, ત્યારે તિક ન્યાત હન્હએ સંસારમાં માણસોથી લઈને પશુ-પંખીઓ અને પ્રકૃતિ એકબીજા સાથે જોડાયેલાં છે તે વાત પર ભાર આપવા માટે ધ ઓર્ડર ઓફ ઇન્ટરબીઈંગ નામનો એક સમુદાય સ્થાપ્યો હતો. તેનો ઉલ્લેખ કરીને તેઓ આ પુસ્તકમાં લખે છે;
“બે વૈશ્વિક વિચારધારાઓ વચ્ચેના સંઘર્ષમાંથી જન્મેલા વિયેતનામ યુદ્ધ દરમિયાન ઓર્ડર ઓફ ઇન્ટરબીઇંગનો જન્મ થયો હતો. વિચારધારાઓ અને સિદ્ધાંતોના નામે લોકો મરી જાય છે અથવા મારી નાખે છે. જો તમારી પાસે બંદૂક હોય, તો તમે એક, બે, ત્રણ, પાંચ લોકોને ગોળી મારી શકો છો; પરંતુ જો તમારી પાસે કોઈ વિચારધારા હોય અને તે જ અંતિમ સત્ય છે તેમ માનીને તેને વળગી રહો, તો તમે લાખો લોકોને મારી શકો છો. માનવજાત દૃષ્ટિકોણો પ્રત્યેની આસક્તિથી પીડાય છે; ‘તમે જો આ શિક્ષાનું પાલન નહીં કરો, તો હું તમારું માથું કાપી નાખીશ.’ સત્યના નામે આપણે એકબીજાને મારીએ છીએ. દુનિયા આ સ્થિતિમાં અટવાઈ ગઈ છે.”
તિક ન્યાત હન્હએ એમાં એક અગત્યની વાત કહી હતી, જે આપણને આજે પણ એટલી જ લાગુ પડે છે; ‘માનવજાત દૃષ્ટિકોણો પ્રત્યેની આસક્તિથી પીડાય છે.’ આસક્તિ માત્ર ખાવા-પીવાની કે ઇન્દ્રિય સુખની જ નથી હોતી, આસક્તિ વિચારો, વિચારધારાઓ, માન્યતાઓ, અભિપ્રાયો, મતો અને દૃષ્ટિકોણોની પણ હોય છે. આપણે આપણા વિચારોને ખૂબ પ્રેમ કરીએ છીએ. હું મારા વિચારને બીજામાં વિચાર કરતાં સર્વશ્રેષ્ઠ માનું છું. હું એ વિચારને બીજા પર થોપું તો જ તેની શ્રેષ્ઠતા જળવાઈ રહે છે અને એમાંથી જ સંઘર્ષ સર્જાય છે.
એટલા માટે રાજકારણ માણસના માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જર્મન વિચારક ફ્રેડરિક નિત્શેનું એક પ્રચલિત સૂત્ર છે; એક રાજકારણી માણસોને બે વર્ગમાં વિભાજીત કરી દે છે : સાધન અને દુ:શ્મનમાં. નિત્શે રાજકીય જનઆંદોલનોની વિરુદ્ધમાં હતો. તે માનતો હતો કે રાજકારણીઓ તેમની સત્તા માટે અમુક લોકોને તેમના સમર્થક (સાધન) બનાવી દે છે, અને અમુક લોકોને દુ:શ્મન બનાવી દે છે. જેથી આંદોલન વ્યાજબી ઠરે. નિત્શેને એકલ વ્યક્તિની ક્ષમતામાં વિશ્વાસ હતો પણ રાજકારણીઓ તેને ટોળામાં ભેળવી દઈ તેને નપુંસક બનાવી દે તે પસંદ નહોતું.
નિત્શે રાજકારણને નફરત કરતો હતો. એ માનતો હતો કે પાર્ટી પોલિટિક્સ વ્યક્તિની વિચારવાની શક્તિને હણી નાખે છે. નિત્શે બ્લેક એન્ડ વ્હાઇટ, ગૂડ એન્ડ બેડ, હોટ એન્ડ કોલ્ડ એવા દ્વૈતમાં માનતો નહોતો. એ કહેતો હતો કે ચીજો મિક્સ એટલે કે ગ્રે હોય છે, તેને આવી રીતે બે જ દૃષ્ટિએ ન જોવાય. એ કહેતો હતો કે તમામ રાજકીય વિચારધારાઓ અંતત: હિંસક જ હોય અને એમાં લોકોનો ભોગ લેવાય છે. એ અર્થમાં નિત્શે એક અરાજકતાવાદી હતો.
2017માં ડચ સંશોધકોએ રાજકારણના સમાચારો અને માણસોની સુખાકારી વચ્ચે શું સંબંધ છે તે જાણવા માટે એક અભ્યાસ કર્યો હતો. તેમણે શોધી કાઢ્યું હતું કે ટેલિવિઝનમાં જેટલા નકારાત્મક સમાચારો આવતા હતા, તેના દર્શકોમાં સરેરાશ સુખનો ભાવ 6.1 ટકા ઘટતો હતો.
અમેરિકન સાઈકોલોજીકલ એસોસિયેશનના એક અભ્યાસ અનુસાર, રોજે રોજ રાજકીય સમાચારોને ’આરોગવા’નો સ્ટ્રેસ લોકોના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને નકારાત્મક અસર કરી શકે છે. રાજકારણ લોકોના જીવનમાં ભારે સ્ટ્રેસનું કારણ બની શકે છે. રાજકારણ ચૂંટણીની મોસમ દરમિયાન દર પાંચ વર્ષે લોકોને અસર કરે છે તેવું નથી – તે આપણા રોજ બ રોજના જીવનમાં ઘૂસી ગયું છે, અને આપણને તેની ખબર નથી.
લોકો રાજકરણના સમાચારો પ્રત્યે આટલા આસક્ત હોય છે તેનું કારણ એ છે કે રાજકારણ બુનિયાદી રૂપે તર્ક કે વિવેકબુદ્ધિ આધારિત નહીં, પણ લાગણીઓ આધારિત હોય છે. માણસો લાગણીઓથી પ્રેરિત હોય છે અને પોતાની લાગણીઓને ઉચિત ઠેરવવા માટે બુદ્ધિનો સહારો લે છે. આને વિચારોની આસક્તિ કહે છે. આપણે એવું માનીએ છીએ કે આપણા વિચારો વાસ્તવિક છે અને આપણે તે પ્રમાણે વર્તીએ છીએ, પરંતુ વિચારોની અવરજવર અનંત હોય છે. તે સ્થાયી નથી હોતા, પરંતુ આપણે આપણને ગમતા વિચારો સાથે લગાવ પેદા કરીને તેને કાયમી બનાવીએ છીએ.
બીજી રીતે કહીએ તો, આપણે આપણા વિચારોના કંટ્રોલમાં હોઈએ છીએ અને આપણે કેવી રીતે વિચારીએ છીએ તે અનુસાર આપણે લોકો, પરિસ્થિતિઓ અને ચીજવસ્તુઓ પ્રત્યે લાગણીઓ અને દૃષ્ટિકોણ કેળવીએ છીએ. આ પ્રકારના દૃષ્ટિકોણ વાસ્તવિકતાનું નિરૂપણ નથી કરતા, પણ આપણને અનુકૂળ હોય તે રીતે તેનું અર્થઘટન કરે છે.
જૂઠ અને કલ્પના વચ્ચે એક જ બારીક તફાવત છે. જૂઠ એટલી એવી વાત, જે આપણને ખબર છે કે સાચી નથી, અને છતાં બીજી વ્યક્તિને છેતરવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. કલ્પના એટલે એવી વાત, જેને આપણે સાચી માનીએ છીએ, અને બીજી વ્યક્તિ પણ એમાં માને, એટલા માટે તેનો પ્રચાર કરીએ છીએ.
દાખલા તરીકે રાજકીય વિચારધારાઓ એક રીતે જૂઠ છે, કારણ કે આપણે તેની સચ્ચાઈને તટસ્થ રીતે પુરવાર ના કરી શકીએ, પરંતુ કરોડો લોકો તેમાં માનતા થઈ જાય, તો પછી તેને જૂઠ કહેવું અઘરું થઈ જાય છે. બીજી રીતે કહીએ તો, જે જૂઠમાં બહુ બધા લોકો સાગમટે માનતા થઈ જાય, પછી તે ‘સત્ય’ બની જાય છે. રાજકીય વિચારો એટલે જ પ્રચલિત હોય છે. એટલા માટે રાજકીય પક્ષો અને સરકારો હંમેશાં ખૂબસૂરત ભવિષ્યની કલ્પનાઓ ઘડીને સમુદાયો પર પ્રભાવ કાયમ કરે છે. માણસ વિચારધારાઓની કલ્પનાઓમાં માને છે, અને એટલે જ એક વિચારધારા બીજી વિચારધારા સામે યુદ્ધ પણ કરે છે.
રાજકારણમાં બહુમતી લોકોને આત્યંતિક, સામા છેવાડાનાં વલણ વધુ પસંદ હોય છે. આપણે કોઈ વિચાર કે વ્યક્તિની અત્યન્ત વાહવાહી કરીએ છીએ અથવા અત્યંત ટીકા કરીએ છીએ. આપણે ભાગ્યે જ આપણને ગમતી કે ન ગમતી વાત અથવા વ્યક્તિ માટે સંતુલિત સ્ટેન્ડ લઇ શકીએ છે.
બુનિયાદીરૂપે આપણે કબીલાઈ વૃત્તિવાળા છીએ. આપણે આ કે તે કબીલામાં આપણું સ્થાન શોધી લઈએ છીએ. આ ઈવોલ્યુશનરી વૃત્તિ છે. આપણી આઇડેન્ટિટી આપણા ગ્રૂપ પર નિર્ભર કરે છે, એટલે આપણે આ કે તે તરફનું સ્ટેન્ડ લઈએ છીએ. એમાં વિચારોની ગુણવત્તા ગૌણ બની જાય છે.
આખી દુનિયા અભિપ્રાયો પર ચાલે છે. પૃથ્વી પર જેટલા લોકો છે તેટલા અભિપ્રાયો છે. દરેકને દરેક વસ્તુઓ અને દરેક વ્યક્તિઓ વિશે અભિપ્રાયો છે. અભિપ્રાયો ધારણાઓ અને પૂર્વગ્રહો પેદા કરે છે અને આપણને એક પરપોટામાં કેદ કરે છે. દરેક વિશે અભિપ્રાયો હોવા અને બધું કેમ ચાલે છે તે જાણવું અનિવાર્ય નથી. બહુ જાણીએ એટલે બહુ સમજણ આવે એવું નથી. ઘણીવાર કશું ન જાણવાનું પણ મહત્ત્વનું હોય છે.
અસલમાં જાણકાર માણસને ખબર છે કે શું જાણવું જરૂરી છે અને શું બિનજરૂરી. ગણિતમાં કહે છે કે વેરિયેબલ્સ (સંખ્યા, તત્ત્વો) જો અનંત હોય, તો પ્રોબ્લેમ સોલ્વ જ ન થાય. જો મર્યાદિત અને સૂચક વેરિયેબલ્સ હોય, તો જ દાખલો સોલ્વ થાય. તેવી રીતે આપણામાં જો અનંત અભિપ્રાયો હોય, તો તે અંતત: નિરર્થક સાબિત થાય છે, કારણ કે તેથી નિર્ણય પર આવવાનું મુશ્કેલ થઈ જાય છે. અભિપ્રાયોમાંથી આઝાદી એ સુપરપાવર છે.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 10 સપ્ટેમ્બર 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર