સવારે સવારે મુખપોથીએ ચારેક વરસ પર પ્રકાશિત એક તસવીરની યાદ અપાવી, અને આ લખવાનો ધક્કો વાગ્યો. તસવીર, જો કે, ઘણાં વરસ પહેલાંની, 1955ની, છે અને એમાં ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલ ને વિદુષી રોમિલા થાપર લંડનની એક સભામાં મંચ પર જોડાજોડ બેઠેલાં છે. રસેલ વક્તા છે અને અધ્યક્ષતા રોમિલા કરી રહ્યાં છે.
આ જૂની તસવીર 2019માં કેમ એકાએક ફરતી થઈ હશે? એવું બનેલું કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી કહેતાં જે.એન.યુ.ના સત્તાવાળાઓએ એ દિવસોમાં રોમિલા પર સત્તાવાર પત્ર પાઠવી એમનો સી.વી. માંગ્યો હતો. ત્યારે ખાસાં સિત્યાસી વરસ વટી ગયેલાં રોમિલા જે.એન.યુ.નાં પ્રોફેસર એમરિટસ છે. યુનિવર્સિટીએ એમને આજીવન સન્માનરૂપે આ પદ અર્ઘ્યવત્ એનાયત કરેલું છે. પણ 2016-’17થી ચોક્કસ સંજોગોમાં જે.એન.યુ. અને કેન્દ્રીય સત્તાપ્રતિષ્ઠાન વચ્ચે જે વિશેષ પરિસ્થિતિ નિર્માણ થઈ છે એમાં એલાને જંગને ધોરણે પ્રોફેસર એમરિટસનો સી.વી. માંગવાની હવાલદાર માનસિકતા પ્રગટ થતી હતી. તે વખતે આ વિદુષીનાં કદ ને કાઠીની એક ઝાંખી રૂપે કોઈકે એ તસવીર ફરતી કરી હશે.
અહીં રોમિલા થાપરનાં ઇતિહાસજ્ઞાન વિશે અને એને પડકારતા મુદ્દા, કશાંયની ખરાઈખોટાઈ કરવાનો આશય નથી. એ સ્વતંત્ર ચર્ચાનો વિષય છે. માત્ર, અધ્યાપકીય અદબના સંદર્ભમાં આટલો ઉલ્લેખ કર્યો છે એટલું જ.
જે.એન.યુ. વિવાદની વિગતોમાં નહીં જતાં અહીં જે વિગતમુદ્દો દર્જ કરવા ઇચ્છું છું તે એ છે કે જ્યારે રાષ્ટ્રવાદ ને દેશદ્રોહ જેવાં ટીકાત્મક અવલોકનો જે.એન.યુ. સામે ઉછળ્યાં ત્યારે ત્યાંના અધ્યાપક સંઘે 2016ના ફેબ્રુઆરી-માર્ચમાં એક સરસ વ્યાખ્યાનમાળા યોજી, રાષ્ટ્રવાદને લગતાં વ્યાખ્યાનોની. આ બધાં વ્યાખ્યાનો યુટ્યૂબ પર છે અને What The Nation Really Needs to Know (Harper Collins) એ શીર્ષકે ગ્રંથસ્થ પણ થયાં છે. એમાં એક વ્યાખ્યાન રોમિલા થાપર અગર મૃદુલા મુખર્જી કે પ્રભાત પટનાયક આદિનાં વિચારવલણોથી જુદું પડતું, બીજા કે કંઈક અંશે ત્રીજા વિચારનુંયે છે. આમેય આ સઘળાં વ્યાખ્યાનો ઢાંચાઢાળ નથી પણ પોતપોતાની રીતેભાતે વિલસે છે. પણ હું વાત બીજા બલકે ત્રીજા પ્રકારનાં વિચારવલણવાળા વ્યાખ્યાનની કરતો હતો. વ્યાખ્યાતા હતા મકરંદ પરાંજપે. જે.એન.યુ.ના સેન્ટર ફૉર ધ ઇંગ્લિશ સ્ટડીઝ સાથે એ સંકળાયેલા છે અને વર્તમાન શાસન દરમ્યાન કેટલોક સમય સિમલાના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍડવાન્સ્ડ સ્ટડીઝના નિયામક પણ હતા. હવે એમનું આ વ્યાખ્યાન એક સ્વતંત્ર પુસ્તકરૂપે વિકસી આપણી સામે આવ્યું છે – JNU, Nationalism and Indias’ Uncivil War.
ભીખુ પારેખે Debating Indiaના પહેલા જ પ્રકરણમાં આપણે ત્યાંની વાદપદ્ધતિનો અચ્છો ખયાલ આપ્યો છે. હકીકતે, એક અર્થમાં તે અમર્ત્ય સેનના The Argumentative Indianની સાથે મૂકીને વાંચવાવિચારવાવાગોળવા જેવું પુસ્તક છે. ભીખુ પારેખે ઠીક જ કહ્યું છે, પ્રાસ્તાવિક વચનોમાં, કે સેનનું પ્રસ્તુત શીર્ષક આપણા જાહેર વિમર્શના એક હિસ્સા રૂપ બની ગયું છે. અલબત્ત, સેને કરેલી ચર્ચા બહુધા આપણી પરંપરામાં બે વિચારકો અગર વિચારશાળાઓ વચ્ચે પ્રવર્તતા મતભેદો ફરતે છે. બીજી બાજુ, આપણે ત્યાં વિશાળ સમુદાય સમક્ષ ધારાધોરણસર ચાલતી અને અંતે એક નિર્ણય પર ઠરતી જાહેર ચર્ચાનીયે પ્રણાલિ છે. (કેમ કે, પર્યુષણના દિવસોમાં લખી રહ્યો છું, ગણધરવાદનું સહજ સ્મરણ થઈ આવે છે.)
એન.સી.ઈ.આર.ટી. – નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રીસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગે એના લાંબા કાળમાં અભ્યાસક્રમ ને પાઠ્યપુસ્તકલેખન વિશે જે પદ્ધતિ વિકસાવવાની કોશિશ કરી છે એમાં પિયરરીવ્યૂ પ્રકારની જોગવાઇઓથી સહવિચાર અને વિમર્શનો ઠીકઠીક અવકાશ રહેતો આવ્યો છે. હમણાં હમણાં જો કે વિચારધારાકીય પ્રશ્નવશ ઊહાપોહ ચાલે છે. ચાલુ પાઠ્યક્રમને કોરોનાકાળની અનવસ્થાને લઈને તેમ જ કંઈક ટુંકાવવાની ભૂમિકાએ સત્તાવાર રજૂઆત મુજબ ‘રેશનલાઇઝ’ કરવાની કોશિશ થઈ છે. ઇતિહાસ વિશે જરી વિશેષ ઉત્સાહ હશે તોપણ બીજા વિષયોમાંયે કંઈ ને કંઈ વિવાદી મુદ્દા માલૂમ પડે છે. રેશનલાઇઝ કર્યા પછી પણ દાવો તો મૂળ પુસ્તકનો જ હોઈ લેખકોનાં નામ યથાવત્ રાખ્યાં છે. હવે કેટલાક લેખકોએ એમનાં નામ પૂર્વવત્ ચાલુ રાખવા અંગે અસંમતિ અને નારાજગી વ્યક્ત કર્યાના હેવાલો છે. એમનું કહેવું એમ છે કે સમગ્ર ચિત્ર રેશનલાઇઝ કરી ટુંકાવાતાં જે સામે આવે છે એનાથી જાગતો પ્રતિભાવ ટુંપાવાયાંનો છે. એ સંજોગોમાં એની સાથે અમારાં નામ પૂર્વવત સાંકળવામાં કોઈ શિષ્ટાચારનો ખયાલ હોય તોપણ અમને તે અન્યાયકારી વરતાય છે; કેમ કે જે તે ઝોક નવા સંજોગોમાં ઊપસે છે તે અમને અભિમત નથી.
બીજી પાસ, આ અંગે તરેહવાર જાહેર ચર્ચા ચાલે છે જેમાં વિગતવિશદ સહભાગિતા કરતાં વધુ તો વિચારધારાવશ અથવા ખરું પૂછો તો નકરી પક્ષગત સામાસામી વરતાય છે. અમર્ત્ય સેન ને ભીખુ પારેખે નિતાન્ત ભારતીય પરંપરાનો જે ચિતાર પોતપોતાને છેડેથી આપ્યો છે એની સામે આ એક વરવું ચિત્ર ઉપસાવે છે. જે. કૃષ્ણમૂર્તિ જે અર્થમાં અનલર્નિંગ પર ભાર મૂકે છે એ અર્થમાં નહીં તોપણ આપણે કેવળ અનધ્યયનવશ આસપાસના કોલાહલમાંથી જે ખયાલો અધ્ધરપધ્ધર બાંધ્યા હોય એની અફરાતફરીનો માહોલ બને છે એટલા એક સાદા મુદ્દાસર અનલર્નિંગ જરૂરી બને છે.
નમૂના દાખલ, આપણા જાહેર વિમર્શમાં લગભગ પર્યાયી ટીકા બલકે આળરૂપ બની રહેલ ‘ડાબેરી’ સંજ્ઞા જુઓ. બિપનચંદ્રે રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય ચળવળને સમજવાની દૃષ્ટિએ પાયાનું કામ કર્યું છે. એને ડાબેરી કહી ઉતારી પાડવાનું વલણ હાલ જે માનસ બન્યું છે એનું ઉત્તમ નિદર્શન પૂરું પાડે છે. બિપનચંદ્રનું સ્થાપિત સામ્યવાદી પક્ષ સાથે એક સંધાન જરૂર રહ્યું, પણ એમનું એક મોટું અર્પણ રૂઢ કંઠીબંધો સામ્યવાદી મત ગાંધીની ગજભૂમિકાને રજ કરીને જોતો હતો એને વિગતવિશદ ઠમઠોરવાનું ને ગાંધીપ્રદાનની મૂલ્યવત્તા સ્થાપી આપવાનું છે. ભારતમાં સામ્યવાદી હિલચાલના અગ્રપુરુષ લેખે ઇતિહાસપ્રતિષ્ઠ શ્રીપાદ અમૃત ડાંગેની માર્કસવાદ-સામ્યવાદ અંગેની સમજની દામોદર કોસંબી સરખા માર્કસવાદી ઇતિહાસકારે બરાબરની ખબર લીધી છે. ઉમાશંકર અને દર્શકને પોતપોતાની વિચારચર્યામાં માર્ક્સીય કુમક મળેલી છે એનાં ઓસાણ આપણને ભાગ્યે જ હોય છે. ત્રિઉર પૈકીના રામપ્રસાદ શુક્લના માર્ક્સસેવનની આપણને કદાચ ખબર જ નથી. મતલબ, ગાંધીવાદી-માર્કસવાદી જેવા પ્રયોગો ખપના હોય તોપણ આપણી સમજ એક નુઆન્સ્ડ અભિગમ – સૂક્ષ્મ અર્થચ્છાયાવિવેક માગે છે.
પણ જાહેરજીવનમાં ક્યાં છે નુઆન્સ્ડ અને ધોરણસરના સંવાદવિવાદ? જો સરકાર, સત્તાપક્ષ અને એનાં બૌદ્ધિક અગર બૌદ્ધિકવત્ મંડળો સંવાદ વાસ્તે ખુલ્લાં પેશ આવતાં હોત તો કદાચ એવૉર્ડ વાપસીનો આખો અધ્યાય જ લખાયો ન હોત. કમનસીબે, હજી પણ સત્તાવલણ ‘ટૉકિંગ ટુ’ નહીં પણ ‘ટૉકિંગ ઍટ’ તરેહનું છે. બે’ક મહિના પર ઍવૉર્ડ વાપસી મુદ્દે પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ અંગેની સંસદીય ખડી સમિતિનો હેવાલ સદનના પટલ પર મુકાયો તે આ સંદર્ભમાં જોવા જેવો છે. રાજ્યસભાના દસ અને લોકસભાના એકત્રીસ મળી કુલ એકતાલીસમાંથી ઓગણચાલીસ સાંસદોની તોતિંગ બહુમતીએ કહ્યું છે કે એવૉર્ડ વાપસી જેવા ‘અણછાજતા બનાવો’ એવૉર્ડની એકંદર આબરૂ અને મોભાને હાણ પહોંચાડે છે અને એવૉર્ડ-સન્માનિત અન્ય પ્રતિભાઓને ઝાંખી પાડે છે. આનું વારણ શું. તો કહે, એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે સન્માનિત પ્રતિભાઓની આગોતરી સંમતિ ઉપરાંત બાંહેધરી પણ મળી રહે કે ભવિષ્યમાં તેઓ તે પરત નહીં કરે. એટલું જ નહીં એ પણ સ્પષ્ટ થઈ જવું જોઈએ કે ‘એવૉર્ડ પરત કરનારને ભવિષ્યમાં આવા કોઈ એવૉર્ડ બાબતે લક્ષમાં લેવામાં નહીં આવે.’
જે બે સાંસદો જુદા પડ્યા એમણે કહ્યું છે કે એવૉર્ડવાપસી એક વિરોધરીતિ છે તે આપણે સમજવું જોઈએ. આ ઉપરાંત આપણે એક સમિતિ તરીકે ખરેખર તો સરકારને આગ્રહપૂર્વક ભલામણ કરવી જોઈએ કે એણે વિરોધ પાછળના વાસ્તવિક મુદ્દાને સમજી એના ઉકેલનો પ્રયાસ કરવો જરૂરી છે.
અહીં દેશની વડી સાહિત્ય અકાદેમી સંબંધે થોડીક જિકર જરૂરી બને છે. સંબંધિત સહુને ખયાલ હોવો જોઈએ કે અકાદેમી એક સ્વાયત્ત સંસ્થા છે. જવાહરલાલ નેહરુ વડાપ્રધાનના હોદ્દાની રૂએ નહીં પણ લેખક તરીકે એના પહેલા ચુંટાયેલા પ્રમુખ હતા. સરકારે ત્યારે અકાદેમી સ્થાપવાની પહેલ જરૂર કરી હતી, પણ વાંસોવાંસ વિધિવત્ સ્પષ્ટતા પણ કરી હતી કે 1860ના સોસાઇટી ઍક્ટ મુજબ નોંધાયેલી આ સ્વતંત્ર સંસ્થા હશે. એનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને એના પર બેસતા લેખકો રાજ્યના પ્રતિનિધિ નથી. સરસ કહ્યું હતું જવાહરલાલે કે વડા પ્રધાન નેહરુ અને અકાદેમી પ્રમુખ નેહરુ જુદા પડે તો હું અકાદેમી પ્રમુખ સાથે રહેવું પસંદ કરીશ.
આજે આ એવૉર્ડવાપસી અંગેનો હેવાલ અકાદેમી સમક્ષ એક પડકારતક લઈને આવે છે. તે શું એ હેવાલ સંદર્ભે સ્વતંત્ર સંવાદભૂમિકા લઈ પોતાનું હોવાપણું પુરવાર કરશે? દેશનો જાહેર વિમર્શ એકહથ્થુ એકલઠ્ઠ હંકારાઈ રહ્યો છે, મૅન્યુફૅક્ચર્ડ કન્સેન્ટનો માહોલ બની રહ્યો છે ત્યારે, કાશ, અકાદેમી કશીક સાર્થક સંવાદપહેલ કરી શકે!
પ્રગટ : ‘પ્રમુખીય’, “પરબ”; સપ્ટેમ્બર 2023
e.mail : prakash.nireekshak@gmail.com