દુનિયામાં બહુ બધું એવું છે, જે તત્કાળ બદલાવું જોઈએ. એવું જ દરેક વ્યક્તિમાં પણ છે. ૨૦૦ વર્ષથી પુસ્તકો એટલે જ લખાય છે અને વંચાય છે, જેથી આપણામાં સુધારો આવે. દુનિયામાં, અને આપણી અંદર, બદલાવ લાવવા માટેનો સૌથી લોકપ્રિય ઉપાય પુસ્તકો વાંચવાનો રહ્યો છે. દૂરથી જોઈએ તો એવું લાગે કે પુસ્તકોએ આ દિશામાં જબરદસ્ત પ્રગતિ સાધી છે. અમુક પુસ્તકોએ માનવ ઇતિહાસમાં ચાર ચાંદ લગાવી દીધા છે. છતાં, ૩,૫૦,૦૦૦ વર્ષ જૂના હોમો સેપિયન્સ(ડાહ્યા માણસ)ના અદ્દભુત વિકાસ પછી પણ, આપણે એટલા જ નઠારા રહ્યા છીએ, જેટલા જંગલમાં અને ગુફામાં હતા.
દુનિયામાં એક એકથી ચડે તેવાં પુસ્તકો હોવા છતાં, માણસમાં અમુક બાબતો જરા ય બદલાઈ નથી. અંદરથી એ એટલો જ જાહિલ, હિંસક, સ્વાર્થી, ભાવનાશૂન્ય અને અતાર્કિક રહ્યો છે. પુસ્તકોથી હોમો સેપિયન્સ સુધારી ગયો હોત, તો આ પૃથ્વી ક્યારની સ્વર્ગ બની ગઈ હોત. પુસ્તકોથી દુનિયા બદલાતી નથી. કેમ?
કારણ એ છે કે મોટા ભાગના લોકોનાં જીવનમાં પુસ્તક વાંચવું અને જીવવું, એ બંને વચ્ચે મોટું અંતર રહે છે. પુસ્તક ગમે તેટલું અસાધારણ હોય, એ ખુદ કોઈ બદલાવ લાવી ના શકે. પુસ્તકમાં કોઈ મહાન આઈડિયા હોય, શ્રેષ્ઠ આદર્શ હોય કે ઉત્તમ વિચાર હોય, પણ હકીકતમાં એ કથની જો કરણીમાં ના આવે, વિચાર જો વ્યવહારમાં ના આવે, તો એ મહાનતા નકામી છે. જીવન ત્યારે જ બદલાય, જ્યારે તમે જે વાંચ્યું છે, શીખ્યા છો, સમજ્યા છો, તે રોજીંદા જીવનમાં લાગુ પડ્યું હોય.
ઘણાં વાચકોને એવું કહેતાં સાંભળ્યા છે કે, મહાન લેખકને ફકત વાંચવાના હોય, નજીક જઈને ઓળખવના ના હોય. આ એટલા માટે કે લોકો લખવા માટે, બોલવા માટે તો કંઈ પણ લખતા-બોલતા હોય છે, પણ એ જીવતા નથી. જીવવાનું તો એ જ ૩,૫૦,૦૦૦ વર્ષ જૂના હોમો સેપિયન્સ જેવું જ હોય છે. દુનિયામાં ઘણાં સુંદર પુસ્તકો લખનારા લેખકો નઠારા રહ્યા છે, અને ઉત્તમમાં ઉત્તમ પુસ્તકોને શો-કેસમાં રાખનારા લોકો બદથી બદતર જીવ્યા છે. દુનિયા એટલે બદલાતી નથી.
ઘરમાં પુસ્તક છે કે નહીં તે મહત્ત્વનું નથી, એ જીવનમાં ઊતર્યું છે કે નહીં તે અગત્યનું છે. જેમ એક માણસ ઉત્તમ પુસ્તકોને જીવે છે, તેવી જ રીતે એક સમાજ ઉત્તમ પુસ્તકોના ઉત્તમ આઈડિયાને કાયદાઓમાં, સંસ્થાઓમાં, આર્થિક વ્યવસ્થાઓમાં, વેપારમાં અને સરકારમાં ઉતારે છે. બદલાવ આ રીતે આવે છે. મનમાં કોઇ પણ ક્રાંતિકારી વિચાર હોય, જમીન પર એનો ટેસ્ટ કરવામાં ના આવે તો, એ ક્રાંતિ વાંઝણી રહી જાય છે. પુસ્તકો જો સમાજના વ્યવહારમાં ના આવે તો, એનો પાવર નકામો છે.
ઇસુ પૂર્વે ૩૮૦માં સોક્રેટીસના સંવાદ, 'રિપબ્લિક'માં, પ્લેટોએ કહ્યું હતું કે, "ફિલોસોફરો જો રાજા નહીં બને, અથવા રાજાઓ ફિલોસોફર નહીં બને, ત્યાં સુધી દુનિયા ઠેકાણે નહીં પડે." પ્લેટોનો કહેવાનો મતલબ એમ હતો કે, ચિંતકોએ એવી કલ્પના બંધ કરવી જોઈએ કે, આઈડિયા દુનિયામાં પરિવર્તન લાવે છે. એ આઈડિયા જો સંસ્થામાં ઊતરે, તો એ બદલાવ લાવી શકે. એ સંદર્ભમાં, પુસ્તક એ આઈડિયા છે અને રાજાશાહી એ સંસ્થા છે.
એક વ્યક્તિ પુસ્તક વાંચ્યાં પછી ખુદના માટે કેવા કાનૂન, નિયમ, આદર્શ, વ્યવસ્થા અને શિસ્ત લાવે છે, તેના પર પુસ્તકની સફળતાનો આધાર છે.