સ્ત્રી સંઘર્ષ કરે પણ બેફામ રોષને કાબૂમાં ન લઇ શકે, થાકી જાય. કેમ કે બળ તો, સત્તા છે
ગયા મહિને મેં લખેલું કે ગર્ભપાત અંગે ઘણા લોકો હવે 'પ્રો-ચૉઈસ' થઇ ગયા છે. એ અરસામાં આપણી સુપ્રીમ કૉર્ટે બે કલમો નાબૂદ કરી અને ક્રાન્તિકારી ચુકાદા આપ્યા. 377-સંદર્ભનો ચુકાદો કહે છે, સમલૈંગિક સમ્બન્ધો હવેથી અપરાધ નથી. 497-સંદર્ભનો ચુકાદો કહે છે, વ્યભિચાર હવેથી ગુનો નથી. મને થાય, 'પ્રો-ચૉઇસ' તરફ વધી રહેલું વલણ, કૉર્ટે કરેલી સમલૈંગિક સમ્બન્ધોની તેમ જ વ્યભિચારની પુષ્ટિ, એ ત્રણનો સરવાળો એમ દર્શાવે છે કે એ દરેક બાબતે વ્યક્તિને હવે મૉકળાશ જ મૉકળાશ છે. કેમ કે મોટી વસ્તુ વ્યક્તિસ્વાતન્ત્ર્ય છે. મને મૂંઝવણ થવા લાગેલી. હું વ્યક્તિસ્વાતન્ત્ર્યને તાકીને જોતો'તો ને એ મને ઘડીએ ઘડીએ દાંતિયાં કરતું'તું.
મને થતું, વ્યક્તિ ભારતીય હશે તો પણ આ નવતર કાયદા એને ગમી જવાના. સામાન્ય નાગરિક સરકારને શુંયે પૂછશે. પણ બૌદ્ધિકો પૂછી રહ્યા છે : આ સુદૃઢ કરાયેલું વ્યક્તિસ્વાતન્ત્ર્ય પરિવારમાં વિસંવાદ ઊભો કરનારું ને વિધ્વંસક નથી? દેશમાં રાજનૈતિકથી માંડીને પ્રકાર પ્રકારનાં ગુનાઇત કૃત્યો થાય છે તેનું શું? હું જે છાપું જોઉં છું એ ‘નવગુજરાત સમય'-ના ઍડિટર-ઇન-ચીફ અજય ઉમટે આ અને બીજા અનેક ચુકાદાઓ ટાંકીને એ સમસામયિક 'જ્યુડિશિયલ એક્ટિવિઝમ'-ને 'સલામ' તો ભરી, પરન્તુ સાથોસાથ, 'સુપ્રીમ' સવાલ એ કર્યો કે ભ્રષ્ટ અધિકારીઓ અને રાજકારણીઓ પર લગામ ક્યારે ખૅંચાશે -? વિદ્યુત જોશીએ 'સમુદ્રમંથન'-માં કહ્યું કે LGBTQ હવે કાનૂની અને કુદરતી છે, છતાં સમાજમાં તે હજુ એની ચર્ચા માગે છે. યાદ અપાવી કે સગીરો પશુઓ અને સમ્મતિ વિનાના વયસ્કો સાથેનો સમ્બન્ધ હજી પણ ભારતીય દણ્ડસંહિતા મુજબ ગેરકાનૂની જ છે. સંજય છેલે 'સુપ્રીમ કૉર્ટને 100 – 100 સલામ'-માં ચેતવણી ઉચ્ચારી કે માત્ર કાનૂન બદલવાથી સમાજ નહીં બદલાય. ઉમેર્યું કે એ લોકોને આપણે સ્વીકારીશું કે નહીં એ હવે આપણી અફલાતૂન કસોટી ગણાશે. લતા હિરાણીએ FB પેજ પર પૂછ્યું કે જેમનાં માબાપ વ્યભિચારી હશે એમનાં બાળકોની સ્થિતિ કેવી બનશે? જો કે, ચિન્તા ન કરીએ, કૉર્ટે આ કાયદાને સિવિલિયન નિયમોની અન્તર્ગત રાખ્યો છે. આત્મહત્યા કે છૂટાછેડા સરજાય તો વ્યભિચાર ગુનો બનશે.
બન્ને સરખાં હોય તો નભી જાય. પણ સ્ત્રી 'પ્રો-ચૉઇસ' હોય ને પુરુષ 'પ્રો-લાઈફ' -કે એથી ઊલટું- તો મુશ્કેલીઓ જરૂર સરજાય. પોતામાં વિકસી રહેલા જીવને સ્ત્રી બચાવી લેવા ચાહે પણ સંલગ્ન પુુરુષ માને નહીં ત્યારે સ્ત્રી મક્કમ રહે, રોષ કરે, તો જીતી જાય. પુરુષ 'પ્રો-લાઈફ' રહેવા માગે ત્યારે પણ રોષ તો સ્ત્રીએ જ દાખવવો પડે, ભલે હારી જાય. બન્ને વખતે લડાઇ તો ગર્ભવતીએ જ લડવાની હોય છે. અને, જીત કે હાર પાસે વાત પૂરી નથી થતી. પ્રેમભંગ કે લગ્નભંગ થાય છે, છૂટાછેડા લેવા પડે છે. વ્યભિચારના મામલામાં પણ એવું જ છે. પુરુષ વ્યભિચારે ચડે ત્યારે સ્ત્રી મક્કમતાથી રોષ કરે, તો જીતી જાય. પણ ત્યારે સ્ત્રી પાસે સ્વાતન્ત્ર્ય હોવું જોઇશે. વ્યભિચાર પોતે કરવા જાય ત્યારે પણ એની પાસે સ્વાતન્ત્ર્ય હોવું જોઇશે. સવાલ એ છે કે – સ્ત્રી પાસે સ્વાતન્ત્ર્ય હોય છે ખરું? – એની પાસે એવું આત્મબળ ખરું કે રોષ કરી શકે?
આમ, વ્યક્તિસ્વાતન્ત્ર્ય પ્રશ્નાર્થ નીચે બેસી પડ્યું. દાંતિયાં બંધ થઇ ગયાં. એટલે હું સ્ત્રીરોષની આશામાં જંપી ગયેલો. પણ બીજે દિવસે એને જ વિશેનો એક લેખ "ધ ન્યૂ રીપબ્લિક"-માં મારા વાંચવામાં આવ્યો – "ઑલ ધ રેજ". 'રેજ' એટલે 'રોષ'. એની અમેરિકન સ્ત્રી-લેખક રેબેકા સોલ્નીત (1961- ) કહે છે : નારીરોષ-ને વાચા આપતું સાહિત્ય આ મામલામાં ઘણી સહાય કરી શકે એમ છે : સાહિત્ય સહાય કરે છે સાંભળીને મને બહુ સારું લાગેલું.
સોલ્નીતે ચર્ચામાં ત્રણ સ્ત્રી-લેખકોનાં એક એક પુસ્તકનો હવાલો આપ્યો છે – રેબેકા ટ્રેઇસ્ટર, સોરાયા કેમાલિ, બ્રિટની કૂપર. વાસ્તવિક બનાવોની પાર્શ્વભૂમાં નારીરોષ વિશે લખાયેલાં ત્રણેય પુસ્તકો બિનસર્જનાત્મક છે. ગુજરાતીમાં એવાં ભાગ્યે જ છે એ વાતના ચચરાટ સાથે જણાવું કે આ વિષય પરત્વે ત્રણેય પુસ્તકો ઘણા ચિન્ત્ય વિચારો પૂરા પાડી શકે એમ છે.
પુસ્તકોમાં, મુખ્ય છે : નારીરોષનાં કારણોની પૃચ્છા-પરીક્ષા. પ્રસરીને નારીરોષ ફૅમિનિસ્ટ ઍક્શનમાં ને છેલ્લે #MeToo આંદોલનમાં શક્તિ-સ્વરૂપે આકારિત થયો એ વાત. સવિશેષે અમેરિકન લાઇફમાં, સ્ત્રીઓની ભાવનાઓને શી રીતે મૅનેજ કરાય જજ કરાય એનું મૂલ્ય કરાય એ વાત. અને, ઐક્ય સખ્ય વંશ કે જાતિ વગેરે ભેદોને કારણે નારીજીવનમાં થતી કાપાકાપીની વાત. એમાં, આવા આકર્ષક વિચારો છે : આજે ઘણી બધી સ્ત્રીઓ બદલાઇ ગઇ છે પણ અનેકાનેક પુરુષો નથી બદલાયા : નારીરોષને માન નહીં આપનારો સમાજ સ્ત્રીને વિચારક કર્મશીલ કે મનુષ્ય તરીકેનું માન નથી જ આપવાનો : સ્ત્રી હવે અંગત તેમ જ બિનંગત સંદર્ભોમાં ય રોષ વ્યક્ત કરી શકે છે.
પણ મુશ્કેલી આ છે : સ્ત્રી જ્યારે જેન્ડર વાયોલન્સ સામે રોષ કરે છે ત્યારે એનાથી 'સ્ત્રી' નથી રહેવાતું. લડાયક, ન-ગમતી અને ઉશ્કેરક દીસે છે. કેમ કે સમાજે તો એને હરેક પ્રકારનો આનન્દ આપનારી અને પરમ આજ્ઞાંકિત સમજી રાખી છે ! આમ, રોષ ન કરે તો વેઠે, કરે તો લડાયક દીસે.
તો શું રોષ અનિચ્છનીય છે? સોલ્નીતના વિચારો ક્રમે ક્રમે એ દિશામાં સંચરે છે. એને ઝેનકથાને યાદ આવે છે : સાધુને સમુરાઇ પૂછતો હોય છે : સ્વર્ગ અને નર્ક શું છે, મને સમજાવો : તારા જેવા મૂર્ખને મારે કંઇપણ શું કામ સમજાવવું જોઇએ? : સમુરાઇ સાધુને હણી નાખવાને તલવાર ઉગામી રહ્યો. ધાર અડવામાં હતી, ત્યારે સાધુએ કહ્યું – આ નર્ક છે. સમુરાઇ ખંચકાયો. એના મગજમાં સમજદારી અવતરતી'તી. ત્યારે સાધુએ કહ્યું – આ સ્વર્ગ છે. સોલ્નીત કહે છે : અહીં, પશ્ચિમમાં, અમે લોકો સમુરાઇ જેવાં છીએ. રાજકારણમાં, સામાજિક ચળવળોમાં, ઘરેલુ કે સામૂહિક હિંસાચારમાં, દુ:ખમાત્રના ઉપચાર રૂપે પુરુષ-ક્રોધને અમે અનિવાર્ય ગણી લીધો છે.
પણ ઝેનકથા અવળું સૂચવે છે કે ઉચિત વસ્તુ સમજદારી છે, ક્રોધ દયાપાત્ર છે. સોલ્નીતે બુદ્ધને યાદ કરી લખ્યું છે કે રોષ, વિષ છે. સ્ત્રી સંઘર્ષ કરે પણ બેફામ રોષને કાબૂમાં ન લઇ શકે, થાકી જાય. કેમ કે બળ તો, સત્તા છે. સ્ત્રીએ સાધુને જો એ જ પ્રશ્ન કર્યો હોત ને સાધુએ એને મૂર્ખ કહી હોત, તો એ પણ સમુરાઇની જેમ ક્રોધે ભરાઈ હોત. પણ એણે એમ ન કર્યું હોત કેમ કે એમ કરવા જતાં એને 'મૂર્ખ' ઉપરાન્તનાં બીજાં અપમાન સાંભળવાનો વારો આવ્યો હોત. અથવા એણે અવમાનના કરવાના સાધુના અધિકારને સ્વીકારી લીધો હોત, તો તો એને પોતાને જ થાત કે પોતે દયાપાત્ર છે.
ચર્ચામાં, રોષનું સ્થાન પ્રેમ લે છે. કૂપરનું પુસ્તક રોષવિષયક છે પણ પ્રેમવિષયક પણ છે – ન્યાય અને સમાનતાને માટેનો પ્રેમ -જૂઠને ઉઘાડું પાડવા માટેનો પ્રેમ. મારે પણ એ કહેવું છે વ્યભિચાર LGBTQ ચૉઇસ કે લાઈફ પરત્વે રોષમુક્ત રહેવું બહુ અઘરું છે, છતાં 'પ્રો-લવ' રહેવું. એ મુશ્કેલ નથી. સોલ્નીતે ઉપસંહારમાં એ જ કહ્યું છે : રોષ વૈકલ્પિક છે. જરૂરી છે, પ્રેમ.
= = =
https://www.facebook.com/suman.shah.94/posts/2156755024355399
તારીખ ૧૩/૧૦/૨૦૧૮ના ‘નવગુજરાત સમય'માં પ્રકાશિત આ લેખ સૌજન્યસહ અહીં મૂક્યો છે: