ગુજરાતી ભાષાના વરિષ્ઠ સાહિત્યકાર શ્રી પ્રવીણ દરજીને ઈ.સ. ૨૦૧૪નો ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ એનાયત થવાના પ્રસંગે મને સૌપ્રથમ યાદ આવે છે શ્રી રઘુવીર ચૌધરીના અમદાવાદ ખાતેના મહાદેવનગર સોસાયટીના નિવાસસ્થાને એક વાતચીતમાં ઉચ્ચારેલા શબ્દો : ‘તમારા અક્ષર પ્રવીણ દરજી જેવા જ છે.’ ત્યારથી પ્રવીણ દરજી પ્રત્યેનું મારું આકર્ષણ આરંભાયેલું, કારણ એટલું જ કે હું મારા અક્ષર માટે ભારે આકર્ષણ અનુભવતો હતો. પ્રવીણ દરજીના અક્ષરો જોવાનો પ્રસંગ તો હમણાં જ આવ્યો, પરંતુ તેમના ‘ચીસ’ કાવ્યસંગ્રહનું અવલોકન ‘ગ્રંથ’માં કરવાનું બન્યું હતું. તે સમયે તેમની અછાન્દસ અભિવ્યક્તિ આશાસ્પદ જણાઈ હતી.
આજે ‘ચીસ’ના સર્જકને તેમની દીર્ઘ સાહિત્યયાત્રા માટે ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ લેખાતો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થાય છે, તેથી ખૂબ આનંદની લાગણી ઊભરાય છે. ૪૦થી વધુ વર્ષોમાં પથરાયેલી તેમની આ સાહિત્યયાત્રામાં કવિતા, લલિતનિબંધ, ચિંતનાત્મક નિબંધ, પ્રવાસ-નિબંધ, હાસ્યનિબંધ, વ્યક્તિવિશેષ-ચરિત્રાત્મક લેખો, વિવેચન, સંશોધન-સિદ્ધાંત ચર્ચા, અનુવાદ, સંપાદન, પ્રૌઢ-બાલવિષયક સાહિત્ય, પ્રસન્ન પુષ્પવાચનમાળા વગેરેનો, લગભગ ૧૨૫ જેટલાં પુસ્તકોનો સમાવેશ થાય છે. આ પુસ્તકો પૈકી ૧૨ જેટલાં પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ વગેરે દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યાં છે. પ્રસ્તુત સુવર્ણચંદ્રકપૂર્વે અનેક મહત્ત્વનાં પારિતોષિકો, ચંદ્રકો, ઍવૉડ્ર્ઝથી આ કવિ, નિબંધકાર, વિવેચક, સંશોધક, ચિંતક પોંખાયા છે. કારણ એટલું જ કે સાહિત્ય, શિક્ષણ, સમાજ, સંસ્કૃિત અને વહીવટી ક્ષેત્રે પૂરાં સમર્પિત રહીને તેમણે પોતાની પ્રવૃત્તિને સમુચિત આકાર આપ્યો છે. તેમની લોકચાહનાનું રહસ્ય છે તેમનો મિલનસાર સ્વભાવ, બહુશ્રુત, ઉદ્યમી અને મૂલ્યનિષ્ઠ પ્રતિભા. તેમને ‘પદ્મશ્રી’ ઍવૉર્ડ પણ પ્રાપ્ત થયો છે.
પ્રવીણ દરજીનો જન્મ પંચમહાલ જિલ્લાના મહેલોલ ગામમાં ઈ.સ. ૨૩ ઑગસ્ટ, ૧૯૪૪ના રોજ થયો હતો. એ રીતે તેઓ ‘ઑગસ્ટ – પ્રતિભા’ છે. તેમનાં બાનું નામ ચંચળબા અને પિતાનું નામ શનિલાલ. પ્રાથમિક શિક્ષણ મહેલોલમાં થયું, માધ્યમિક શિક્ષણ વેજલપુરમાં થયું અને ઉચ્ચશિક્ષણ ગોધરા તથા મોડાસાની કૉલેજોમાં થયું. ઈ.સ. ૧૯૬૫માં બી.એ. અને ઈ.સ. ૧૯૬૭માં એમ.એ. તે રીતે જોતાં તેઓ મારા સહપાઠી ઠર્યા – સતીશ વ્યાસ તથા વિજય શાસ્ત્રીની જેમ. મારા અધ્યાપકો ડૉ. ઈશ્વરલાલ ર. દવેને તેમના જીવનના અંતિમ દિવસોમાં એક વાર મળવાનું બન્યું, ત્યારે વાતવાતમાં તેમણે કહ્યું હતું કે “તે દિવસોમાં અમે કોઈને ફર્સ્ટક્લાસ આપતા ન હતા.” એવા દિવસોમા ગુજરાત યુનિવર્સિટીમાં બી.એ. તેમ જ એમ.એ. બંને કક્ષાએ પ્રથમ વર્ગમાં પાસ થનાર પ્રવીણ દરજી સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે પાસ થયા હતા. અભ્યાસમાં આવી તેજસ્વી કારકિર્દી માટે કેમ આદર અને અહોભાવ ન જાગે? બાળક, કિશોર અને કુમાર અવસ્થામાં પણ પ્રવીણ દરજીએ પોતાની વાચન-અભ્યાસ વગેરેની લગનનો ઘનિષ્ટ પરિચય પોતાના પરિસરમાં સૌને કરાવેલો. શિક્ષકોને પણ આ તેજસ્વી બાળકની પરખ થયેલી. આ તમામ લોકોએ આ પ્રતિભાબીજને માવજતથી વિકસાવ્યું. પોતાના ગામની જે ઓટલી પર બેસીને પોતાની અભ્યાસનિષ્ઠા પ્રવીણ દરજીએ પ્રગટ કરેલી તે એટલી ‘ભણેશરીની ઓટલી’ તરીકે જાણીતી બની. પ્રગાઢ વાચનપ્રેમ અને અભિવ્યક્તિની તાજગીસભર ઊર્જા તેમનાં પ્રતિભાલક્ષણો છે. તેનું સ્વાભાવિક પરિણામ તે તેમનું વિશાળ ગુણવત્તાભર્યું ગદ્ય-પદ્ય સર્જન-વિવેચન સાહિત્ય-કવિતામાં ‘ચીસ’ પછી ઉત્સેધ, ઇઓ, ગ્રીનબેલ્ટ અને પૂર્વાભાસ. ગદ્યમાં લલિતનિબંધ ‘લીલાં પર્ણ’ પછી બીજા પંદર સંગ્રહો. એવું જ ચિંતનાત્મક નિબંધ અંગે, પચીસ સંગ્રહો. એક બે પ્રવાસ-નિબંધના પુસ્તક, એક-બે હાસ્યનિબંધનાં પુસ્તક ઉમાશંકર જોશીના સૂચનથી ‘નિબંધ : સ્વરૂપ અને વિકાસ’ એવો પીએચ.ડી. માટેનો અભ્યાસગ્રંથ કર્યો, ડૉક્ટરેટ મેળવી અને તેમનો અભ્યાસ વખણાયો. તેઓ માત્ર નિબંધસર્જક નહીં, નિબંધ અંગેના ય અભ્યાસી/ તજ્જ્ઞ. બીજાં પણ વિવેચનો અને અન્ય સાહિત્ય. ઉત્સ્ફૂર્ત અને ધ્યાનપાત્ર.
જેવા તેજસ્વી વિદ્યાર્થી એવા જ સંનિષ્ઠ અધ્યાપક એવમ્ આચાર્ય. તેમનું કાર્યક્ષેત્ર લુણાવાડા. તેમની અભ્યાસી તરીકે સુવાસ ગુજરાત, સમગ્ર ભારત તેમ જ વિદેશમાં ફેલાયેલી છે. જેટલા તેઓ સંવેદનશીલ સર્જક રહ્યા છે એવા જ સામાજિક અને સહકારી પ્રવૃત્તિ બૅન્ક-વહીવટ વગેરે ક્ષેત્રોમાં સંકળાયેલા રહ્યા છે. તેમની પ્રશસ્ય સેવાઓની નોંધ લેવાઈ છે. તેમની ઉજ્જ્વળ કારકિર્દી તથા કુશળ વહીવટી સૂઝનું પ્રતિબિંબ તેઓ જ્યારે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડના ચૅરમેન પદે રહ્યા હતા, ત્યારે તે કાર્યમાં બરાબર ઝિલાયું હતું. ગુજરાત રાજ્યના ગ્રંથનિર્માણ બૉર્ડને દેશમાં પ્રથમક્રમે મૂકી આપ્યું હતું તે એક યશકલગી સમાન બાબત ગણાય.
ત્રણ પ્રસંગોએ પ્રવીણ દરજીને સાંભળવા અને ક્ષણાર્ધ માટે મળવાનું બન્યું છે. ભાવનગર ગદ્યસભાના ઉપક્રમે શામળદાસ કૉલેજ, ભાવનગરમાં, અને પછીથી (કે પહેલાં?) સરદાર સ્મૃિતના પાછળના ભાગે આવેલ નાના ખંડમાં ગ્રંથનિર્માણ બોર્ડનાં પુસ્તકોનું વેચાણ / પ્રદર્શન ભાવનગર ખાતે યોજાયું હતું ત્યારે ચૅરમેન તરીકે પ્રવીણ દરજી ઉપસ્થિત હતા અને મહુવા ખાતે અસ્મિતાપર્વમાં એક વક્તા તરીકે તેઓ આવ્યા હતા. રૂબરૂ સાંભળ્યાનો આનંદ અને ક્ષણાર્ધ મળ્યાનો સંતોષ તેમની આકર્ષક ઊંચાઈ અને નોંધપાત્ર એવી વિશાળ આંખો. કોઈ અધ્યાત્મપંથના યાત્રી હોય તેવો ભાસ થાય તેવું તે સમયે લાગેલું.
તેમનું પદ્ય એવમ્ ગદ્ય વાંચવું ગમે તેવું હોય છે. ‘ગુજરાત સમાચાર’ અને ‘જલારામદીપ’માંની તેમની કૉલમ નિયમિત જોવાનું બને છે. ઈઆ (કાવ્યસંગ્રહ) અને ‘નિરાવૃત્તિ’, ‘બજંતા નૂપુર’, ‘અણસરખી રેખાઓ’, ‘નિબંધસંગ્રહો’ વંચાઈ રહ્યા છે. અનેક કાવ્યો, અનેક ગદ્યખંડો ફરીફરીને વાંચવા ગમે તેવાં છે. પોતાનાં બા અને બાપુજી અંગેના નિબંધો ઝેરોક્ષ નકલ કરીને મિત્રોમાં વહેંચવાનું મન વધ્યું છે. આટલી પ્રસન્નતા સાથે આજની તકે પ્રવીણ દરજીને હાર્દિક અભિનંદન પાઠવું છું.
ભાવનગર
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2016; પૃ. 13