તારીખ ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ડાંગ મુકામે પ્રવાસ કરવાની ઈચ્છા થઈ ને એ અંગે જાણીતાં લેખિકા અને “ભૂમિપત્ર”નું અંતિમ પૃષ્ઠ સુંદર રીતે સંભાળતાં આશાબહેન વીરેન્દ્ર સાથે મારી વાત થઈ ને તરત જ એમણે મને પોતાને ઘેર આવવાનું નિમંત્રણ પાઠવ્યું. એટલું જ નહીં, ત્રણ દિવસના કાર્યક્રમનું સુંદર આયોજન કરવાની પણ ઈચ્છા સામેથી પ્રગટ કરી ને મારે તો દોડવું ’તું ને ઢાળ મળ્યો.
ખડકી મુકામે : સુજાતાબહેન શાહ જોડે દર્શનાબહેન ધોળકિયા અને આશાબહેન શાહ
૧૨ની રાત્રે મારી ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અત્યારે કચ્છ યુનિવર્સિટીમાં મુલાકાતી વ્યાખ્યાતા તરીકે કામ કરતી જીલ ડાભી અને હું – અમે બંને ડાંગ ભણી જવા રવાના થયાં. અમારું ઉતરાણ આશાબહેનને ત્યાં જ હતું. રેલવે સ્ટેશને જાણીતાં હાસ્ય લેખિકા કલ્પનાબહેન દેસાઈ પણ બહુ હોંશભેર અમને લેવા આવેલાં. આશાબહેને જ એમને સાથે જોડાવાનું નિમંત્રણ આપેલું અને કલ્પનાબહેને એ તરત સ્વીકારી લીધેલું. એ દિવસે આશાબહેનને ત્યાં જ તૈયાર થઈને અમો નીકળી પડેલાં ડાંગ ભણી ..
આખા ય રસ્તે પ્રકૃતિનું અપાર સૌંદર્ય વણાયેલું હતું અને ખાસ કરીને ત્યાંની આદિવાસી પ્રજાની સાદાઈ, એની સરળતા, કુદરત સાથે કામ કરવાની એની આવડત – એ બધું જોઈને હું વધારે દંગ થઈ ગઈ. ‘ડાંગી’ સ્ટોરમાં આ પ્રદેશનું જ ઉત્પાદન જોયું. બોટનિકલ ગાર્ડન, શબરીધામ, ગીરાધોધ અને પંપા સરોવરનું સૌંદર્ય અમોએ મનભરીને માણ્યું.
‘ડાંગી સ્ટૉર’ને આંગણે : દર્શનાબહેન ધોળકિયા, આશાબહેન શાહ, કલ્પનાબહેન દેસાઈ તથા જીલબહેન ડાભી
આ બધું જોવામાં આશાબહેન અને કલ્પનાબહેનનો જે સથવારો હતો એને કારણે આખી વાત બદલાઈ જતી હતી. અને હા અમારા સારથી તરીકે સમાજશાસ્ત્રના પ્રોફેસર જીતેન્દ્ર વસાવા હતા કે જેઓ આ જ વિસ્તારના રહેવાસી હતા. એમને કારણે અમને અજાણી એવી કેટલી ય જગ્યાઓનું જ્ઞાન મળ્યું – જે અમે એકલાં નીકળી પડ્યાં હોત તો કદાચ ક્યારે પણ ન મળત.
[ડાબેથી] કોકિલાબહેન વ્યાસ, હિમાંશીબહેન શેલત, દર્શનાબહેન ધોળકિયા, આશાબહેન શાહ, જીલબહેન ડાભી, સંધ્યાબહેન ભટ્ટ, દક્ષાબહેન વ્યાસ તથા તરલાબહેન શાહ
(ડાબેથી) મનીષભાઈ મિસ્ત્રી, દક્ષાબહેન વ્યાસ, સંધ્યાબહેન ભટ્ટ, આશાબહેન શાહ, કોકિલાબહેન વ્યાસ, કલ્પનાબહેન દેસાઈ, હિમાંશીબહેન શેલત, તરલાબહેન શાહ, દર્શનાબહેન ધોળકિયા તેમ જ જીલબહેન ડાભી
બીજો દિવસ મારા માટે વધારે અગત્યનો હતો – એટલા માટે કે વર્ષોથી વાલોડ મુકામે જુગતરામભાઈ દવેની નિશ્રામાં જેમણે ધૂણી ધખાવી હતી એવાં દંપતી તરલાબહેન શાહ – બાબુભાઈ શાહની મુલાકાત થવાની હતી. (અત્યારે તરલાબહેન બાબુભાઈ વતી પણ કામ કરે છે) જોગાનુજોગ તરલાબહેન સંબંધે મારાં મામાનાં દીકરી પણ ખરાં! હું વર્ષોથી એમને જાણતી હતી કે, એક ખૂણે બેસીને તેઓ કેવું ઝીણું કાંતે છે. એકાદ વખત મારે ત્યાં જવાનું થયું છે પણ આ વખતે એમણે બહુ સરસ એક ઉપક્રમ રચ્યો. ગુજરાતી સાહિત્યની જાણીતી એવી લેખિકાઓને હિમાંશીબહેન શેલતની રાહબરીમાં એમણે એકઠાં કર્યાં. હિમાંશીબહેને તો સામેથી અમારી સાથે રહેવાય અને તરલાબહેનને મળાય એટલે આવવાનું સ્વીકાર્યું. એ અમારી સાથે પ્રવાસમાં વલસાડથી જ જોડાયાં. તરલાબહેને વ્યારાથી દક્ષાબહેન વ્યાસને અને બારડોલીથી સંધ્યાબહેન ભટ્ટને બોલાવી લીધેલાં, કોકીલાબહેન વ્યાસ તો ત્યાં હતાં જ. એક મહાસંમેલન જેવું વાતાવરણ ત્યાં રચાઈ ગયું. વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની મને તક મળી અને તરલાબહેનને ૮૫ પછીની ઉંમરે એટલાં ટટ્ટાર અને વિધાયક જોઈને સાનંદ આશ્ચર્ય થયું. એમનો સૂક્ષ્મ પ્રભાવ આ પ્રદેશ પર કેવી રીતે છવાયેલો છે એ જાણી પ્રસન્નતા પણ થઈ. કોકીલાબહેનનાં દોહિત્રી માધવી પણ ખૂબ પર્યાવરણ પ્રેમી, એ પણ ઘરબાર મૂકીને વેડછી અને વાલોડમાં વૃક્ષ વાવવાની હોડમાં જોડાયાં હતાં.
ધ્વજવંદન, પિંડવળ : અતિથિ વિશેષ દર્શનાબહેન ધોળકિયા
ત્રીજા દિવસે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમ નિમિત્તે પિંડવળ અને ખડકી મુકામે જવાનું થયું. નાના બાળકોની હકારાત્મક ભૂમિકા, જીવન પ્રત્યેનો શિક્ષકોનો પ્રેમ આ બધું જોઈને સ્તબ્ધ થઈ જવાયું. પિંડવળ પછી જવાનું થયું ખડકી, જ્યાં સુજાતાબહેન કામ કરે છે. નદી કિનારે હતી એ સંસ્થા. આ સંસ્થાનું પવિત્ર વાતાવરણ અને એમાં થતો એ નીરવ સંવાદ .. સંસ્થાનું વાતાવરણ અને સુજાતાબહેનની વાતો સાંભળીને અવાક થઈ જવાયું. આ પ્રદેશ જોઈને એમ લાગ્યું કે ગાંધીજી ત્યારે પણ સદ્દભાગી હતા કે એમને જબરજસ્ત ટીમ સાંપડી. એમની ક્ષરદેહે અત્યારે ઉપસ્થિતિ નથી ત્યારે પણ એમના સિદ્ધાંતોને અનુલક્ષીને એમના પછીની ચોથી પેઢી આજે એટલા જ ઉત્સાહથી અહીંયા કાર્યરત છે, સમર્પિત છે. પાછા ફરતાં નંદીગ્રામ મુકામે મકરંદભાઈની અંતિમ યાદગીરીની મુલાકાત લીધી અને એ ક્ષણે એમની ક્ષરદેહની અનુપસ્થિતિએ મને ઘેરા શૂન્યાવકાશમાં મૂકી દીધી. કુંદનિકાબહેન સાથે સાત ડગલાં ભરવાનો લાભ મેળવ્યો. મકરંદભાઈ હજુ હમણાં જ ભર્યા માહોલની વચાળેથી ઉઠ્યા હોવાનો અહેસાસ અનુભવ્યો ને એમની ઉપસ્થિતિની અગાઉ અનુભવેલી સભરતા તાજી થઈ.
નંદીગ્રામની જાતરા : મકરન્દભાઈ દવે તથા કુન્દનિકાબહેન કાપડિયાના થાનકે – (ડાબેથી) વીરેન્દ્રભાઈ શાહ, દર્શનાબહેન ધોળકિયા, જીલબહેન ડાભી તથા આશાબહેન શાહ
સમગ્ર રીતે આ પ્રવાસનો નિષ્કર્ષ મારે તારવવો હોય તો મને એમ લાગ્યું કે પ્રાચીનકાળના ઋષિઓ પ્રકૃતિની નિશ્રામાં આત્માના કલ્યાણ અર્થે જે રીતે એકાગ્ર થઈને જાતને તપાસતા હતા, આત્મનિરીક્ષણ કરતા હતા અને એ રીતે મોક્ષ પ્રાપ્તિની સાધનામાં લાગેલા રહેતા હતા અને જોગાનુજોગ તેઓ વિદ્યાર્થીઓને ભણાવતા પણ હતા. સૌ કોઈનું આત્મકલ્યાણ કરાવવામાં સિંહ ફાળો આપતા હતા – એનો વારસો આજે જુદી રીતે એ પછી સવજીભાઈ, આશાબહેન ને સંધ્યાબહેન જેવાં અધ્યાપકો હોય કે પછી તરલાબહેન જેવો આજનો વેડછીનો વડલો હોય. એવા લોકો જે ચૂપચાપ આજે ત્યાં કામ કરે છે એમને જોઈને પ્રાચીન ઋષિઓની સાધના આજે કેવી તો જુદા અર્થમાં ત્યાં પરિવર્તિત થઈ છે એ જોવાનો મોકો મને મળ્યો.
કુટુંબ, પરિવાર, સમાજના નીતિ-નિયમો સૌ કાંઈ બાજુ પર મૂકીને આ લોકો માત્ર ને માત્ર પોતાના કામને કેટલા તો પ્રતિબધ્ધ થઈને ચાહે છે, મહાત્માના સિદ્ધાંતોને અનુસરે છે એનું દર્શન થયું. એટલું જ નહીં પણ બીજા લોકો પણ મહાત્માનો વિશ્વાસ કરે એવી અનાયાસ સાધના એમના દ્વારા એ પ્રગટ કરે છે – એ જોઈને મૌન થઈ જવાય. બહારની દુનિયા જાણે કે ભોગવિલાસમાં તરબતર છે અને એની વચ્ચે એક એવી જગા છે કે, જેમાં લોકો જુદી રીતે સમાજ સાથે રહ્યા છે એવું મને લાગ્યું.
ચાલતી ગાડીએ હિમાંશીબહેન પાસેથી પણ અમુક વાતો જાણવા મળી. એમના બાળપણમાં આચાર્ય વિનોબાએ તેમની સંસ્થા જીવન ભારતીની મુલાકાત લીધેલી અને બધા પાસેથી કંઈક કંઈક નાનકડી પ્રતિજ્ઞા કરાવેલી અને હિમાંશીબહેનથી ત્યારે કહેવાઈ ગયું કે, “હું ક્યારે ય પણ ભેદભાવ નહીં રાખું, બધાંને સમાન માનીશ.” ત્યારે હિમાંશીબહેનને માથે હાથ ફેરવતા વિનોબા આ ગાડીમાં એ ક્ષણે મને સાક્ષાત્ થયા. અને મન ભરાઈ આવ્યું કે આ લોકોનો પ્રભાવ કેટલો બધો વ્યાપક રીતે પડ્યો અને એ પેઢી ઉપર જે આજે ૭૦ ઉપરની ઉંમરમાંથી પસાર થઈ રહી છે ! ઘણા બધા વાળાઢાળા આ લોકોએ જોયા છે ત્યારે પણ આ ગુરુજને આપેલી મંત્રદીક્ષાને તેઓ કેવી તો ચૂપચાપ સાચવી રહ્યા છે, એમની સુવાસને ફેલાવતા રહ્યા છે. આ બધું જોતા હું એ નક્કી જ ન કરી શકી કે, આખા પ્રદેશની બહાર ફેલાયેલી સુંદરતાને પ્રણામ કરવાં કે અંદરના સૌંદર્ય લઈને જીવતાં આ મહાનુભાવોને. એ બે વચ્ચે જાણે અહીંયા હરીફાઈ ચાલી રહી હતી. મારા જેવા ત્રણ – ચાર દિવસ આ રીતે રખડવા નીકળી પડ્યા હોય અને કુદરત કે આ સંસ્થાઓની પ્રશંસા કરે એ મને નર્યો દંભ લાગે કારણ કે ત્યાં રહેવું, ત્યાની મુશ્કેલીઓમાંથી પસાર થવું એ કાચા પોચાનું કામ નથી. બલકે મને એમ લાગ્યું કે આવા કેટલાક ચોક્કસ લોકોની નિયતિ જ આવી હોય છે. એનું અનુકરણ કરીને કોઈ સામાન્ય વ્યક્તિ આવી ઘટનાઓમાં ઝંપલાવી ન શકે કે કૂદકો પણ મારી ન શકે. એટલે આ બધાને જોઈને મને જ્ઞાનદેવની એક સરસ કવિતા જેનો, ‘જ્ઞાનદેવ ચિંતનિકા’માં વિનોબાએ અનુવાદ કર્યો છે એ યાદ આવી ગઈ કે, ‘અમે નિત્ય સંન્યાસી છીએ, બધું જ છોડતાં છોડતાં અમે છેવટે છોડવાની ભાવના પણ છોડી’. બહાર અખંડ પ્રવૃત્તિ અને અંદર અખંડ નિવૃત્તિ. છોડવાની ભાવના પણ જેની છૂટી ગઈ છે એવા આ લોકોને મળીને મને એમ લાગ્યું કે કુદરત ઉપર પણ એમણે પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે.
વનસ્થલી મુકામે
ડાંગની ભવ્ય પ્રકૃતિ આ સૌ પાસે જાણે નતમસ્તક થઈ ગઈ છે. કોઈ જ પરિચય વિના ત્રણ ત્રણ દિવસ પોતાના ઘરના સભ્યની જેમ અમને સંભાળીને રાખતાં આશાબહેનથી માંડીને સુજાતાબહેન અને આશાબહેનના પતિ વીરેન્દ્રભાઈ કે જેમણે આ સંસ્થાઓ અને આ સંસ્થાના લોકોને જોઈને પોતાનું કામ છોડીને આ સંસ્થાને ચરણે બેસવાનું પસંદ કર્યું અને એવી તો કેટકેટલી વાતો થઈ કે જે એમણે અંગતભાવે મારા સાથે વહેંચી અને હા, આશાબહેનનાં મિત્ર ડોક્ટર દંપતી સરોજબહેન અને એમના પતિ કાંતિભાઈ કે જેમણે મકરંદભાઈથી માંડીને બધાની વૈદકીય સેવા કરી. એમનો આ બધા પ્રત્યેનો પ્રેમ અને પોતાની વિદ્યા આ સૌ માટે વપરાઈ એનો અહોભાવ અને મારા જેવા બિલકુલ અજાણ્યા લોકોની સાથે બેસવાની અને સાહિત્યની ઉપાસના કરવાની એમની ધગશ એ બધું જોઈને એમ લાગ્યું કે, પ્રકૃતિએ તો ડાંગના લોકોને પોતાની નિર્મળતાનો ચેપ લગાડ્યો છે.
આ ત્રણ દિવસ મેં અનુભવેલી નિર્મળતા જો મને નિર્મળ થવા ભણી દોરશે તો હું આ પ્રવાસને આ સાર્થક ગણીશ. અંતે આ સૌને મહાત્મા લાઉત્સેનું એક વિધાન અર્પણ કરું છું : “મહાન વ્યક્તિત્વોનાં પગલાં પક્ષી જેવાં હોય છે.” અર્થાત્ પક્ષીને પગલાં જ હોતાં નથી. એ તો અનંત આકાશમાં વિહરતું હોય છે – કોઈ છાપ છોડ્યા વિના. આ સૌનાં આવાં ઉડયનને સૌ વતી મારાં પ્રણામ.
સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર