‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના પ્રમુખપદની ચૂંટણીમાં વિજ્યી થયા બાદનો પ્રકાશભાઈ શાહનો તત્ક્ષણ પ્રતિભાવ હતો કે, ‘હું નર્મદ જેવો કડખેદ ન હોઉં પણ ગુજરાત જે રણજિતરામની પરંપરામાં ઉછર્યું તેના એક સિપાઈ તરીકે હું મને જોઉં છું.’ વરિષ્ઠ પત્રકાર, કર્મશીલ-લેખક અને ગુજરાતના એકના એક વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશભાઈ શાહ ન માત્ર રણજિતરામની પરંપરાના સિપાઈ છે; તેમનું છએક દાયકાનું સમગ્ર જાહેરજીવન, સ્વરાજના નહીં તો સ્વરાજની બાકી રહેલી લડાઈના સિપાઈનું પણ છે. ચિરપરિચિત હાસ્ય સાથે તેઓ કાયમ કહેતા જ હોય છે ને કે સરકારો તો આવે અને જાય આપણી નાગરિક અધિકારો, લોકશાહી મૂલ્યો અને સ્વતંત્રતા માટેની લડાઈ તો કાયમ ચાલુ જ રહેવાની છે. રાજકારણથી પરહેજ રાખ્યા વિનાના નવી દુનિયા માટેના, ન્યાયી સમાજરચના માટેના તેમના પ્રયાસોમાં એક અદના સિપાઈનું કડખેદપણું રહેલું છે.
એકસો પંદર વરસ જૂની ‘ગુજરાતી સાહિત્ય પરિષદ'ના પ્રમુખ તરીકે હવે પ્રકાશભાઈ ચૂંટાયા છે એટલે એમની ઓળખમાં પરિષદ પ્રમુખનું છોગું ઉમેરાયું છે, પણ ગાંધી–સર્વોદયવાદી, વિચારક, લેખક, પત્રકાર, અધ્યાપક, કર્મશીલ એવી કોઈ એક કે વધુ ઓળખથી ઓળખાય એવા એ જણ નથી. ખુદ એમના જ શબ્દો છે કે ‘કશામાં બંધાઉં એવું મારું વલણ નથી અને એકેયમાં હું પૂરતો નથી.’
શિક્ષણ અને ઘડતર :
બારમી સપ્ટેમ્બર ૧૯૪૦ના રોજ જન્મેલા પ્રકાશભાઈનું પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદની સરસ્વતી મંદિર હાઈસ્કૂલ મણિનગરમાં થયું હતું. એ આઠમા-નવમા ધોરણમાં ભણતા હતા ત્યારે, ૧૯૫૧-૫૨માં, એમના શિક્ષક હરિશ્ચંદ્ર પટેલ (જે પછી બી.જે.પી.ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ થયા હતા) એમને આર.એસ.એસ.ની શાખામાં લઈ જતાં. ‘ઝીણાના હિંદુ અડધિયા’ઓ સાથેનો વણિક પરિવારના કિશોર પ્રકાશનો સંગ પાંચેક વરસનો રહ્યો. ઘરના વાચન–સંસ્કાર, ખુદમાં રહેલું દૈવત-કૌવત અને કોલેજકાળમાં પુરુષોત્તમ માવળંકરના લેસ્કી ઈન્સ્ટિટ્યૂટના કારણે તેમના જીવનમાં નવો ઉઘાડ થયો. રાધાકૃષ્ણન્નું ‘હિંદુ વે ઓફ લાઈફ’ વાંચતા યુવાન પ્રકાશને જ્યારે આર.એસ.એસ.ના અગ્રણી વકીલસાહેબ (લક્ષ્મણરાવ ઈનામદાર, ‘આમાં બધું છે પણ હિંદુ રાષ્ટ્ર નથી’ એમ જે કહે છે તે ઝબકાર ક્ષણ ઝીલાય છે અને પછી ? આજે તો પ્રકાશભાઈ ગુજરાતમાં સેક્યુલારિઝમનું કાયમી સરનામું બની ગયા છે. તે એટલે સુધી કે બીજા ભલે પ્રકાશભાઈના અમદાવાદના ઘરના સરનામામાં દેરાસર પાસે લખે પ્રકાશભાઈ તો ડાકઘર (અને હવે પોસ્ટ ઓફિસ) પાછળ જ લખે છે !
જાહેરજીવનનાં મૂળિયાં ક્યાં ?
પ્રકાશભાઈના દીર્ઘ જાહેરજીવનના કે તેમના પોલિટિક્સના મૂળિયાં ડિસેમ્બર ૧૯૬૦માં તેમણે શ્રેષ્ઠ વક્તાની પસંદગી કરતી પ્રતિષ્ઠિત મહાદેવ દેસાઈ વકૃત્વ સ્પર્ધામાં આપેલ વક્તવ્યમાં જોઈ શકાય. એમ.એ.ના પહેલા વરસના યુવાન વિદ્યાર્થી પ્રકાશ શાહે જયંતિ દલાલ અને ઈન્દુમતિબહેન શેઠનાં નિર્ણાયકપદે યોજાયેલી એ સ્પર્ધામાં સંસદીય લોકશાહીમાં સીધાં પગલાંને સ્થાન હોઈ શકે ? એવા વિષય પર વક્તવ્ય આપતાં સંસદીય લોકશાહીમાં સીધા પગલાંની ભૂમિકાની હિમાયત કરી હતી, તરફેણ કરી હતી. મહાદેવ દેસાઈ વકૃત્વ સ્પર્ધામાં ગુજરાતભરમાં પ્રથમ આવી, જે સુવર્ણચન્દ્રક મેળવેલો તે પ્રકાશભાઈએ ૧૯૬૨ના ચીનના આક્રમણ સબબ સંરક્ષણ ફાળામાં અર્પણ કરી દીધો હતો.
રાજ્યશાસ્ત્રના અનુસ્નાતક થઈને તેમણે ૧૯૬૫થી ૭૧ના વરસોમાં અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજમાં રાજ્યશાસ્ત્રનું અધ્યાપન કર્યું હતું. અધ્યાપકની સલામત અને મોભાદાર નોકરી છોડી તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિધ્યાનગર સંયોજિત ‘જ્ઞાનગંગોત્રી’ ગ્રંથશ્રેણીમાં ભોગીભાઈ ગાંધી સાથે સહસંપાદક તરીકે જોડાયા હતા. સંસદીય લોકશાહીમાં સીધાં પગલાંનો અમલ એ સમયના તેમના જાહેર કાર્યો અને લેખનમાં જોવા મળે છે.
પ્રકાશભાઈનું મિસાવાસ્યમ
કોલેજના વિદ્યાર્થી તરીકે ભારતના આર્થિક ઇતિહાસના આર.સી. દત્તના પુસ્તકના વાચને ગાંધી રસ્તે નહીં, પણ આર્થિક રસ્તે તેઓ આજીવન ખાદી તરફ વળ્યા. ગાંધીજી રાજાને મળવા જનસામાન્યના પહેરવેશમાં ગયા તે ગાંધીજી પ્રત્યેનું પ્રકાશભાઈનું પહેલું આકર્ષણ પણ લોક સાથેની ગાંધીની એકરૂપતા તેમને વધુ આકર્ષી ગઈ.
રાષ્ટ્રીય કક્ષાએ આચાર્ય કૃપાલાણી અને જયપ્રકાશ નારાયણ સાથે તો પ્રદેશ કક્ષાએ લગભગ સઘળા જાહેરજીવનના અગ્રણીઓ સાથે તેમને નાતો. નવનિર્માણ અને જે.પી. મુવમેન્ટમાં ઘણી સક્રિયતા, ગુજરાતમાં જે.પી. અને આંદોલન વચ્ચેની કડી અને, જનતા મોરચાના સહમંત્રી હોવાના કારણે પણ ઇંદિરાઈ કટોકટી વખતે ગુજરાતમાંથી પહેલા જ ઘાણમાં અને સૌથી લાંબો સમય જેલમાં રહેનારા બે પાંચ પૈકીના પ્રકાશભાઈ હતા. ઇંદિરા ગાંધીએ આંતરિક કટોકટી લાદી અને સઘળા દેશનેતાઓને ‘મિસા' હેઠળ પકડ્યા, ત્યારે ગુજરાતમાં વિપક્ષી એવી બાબુભાઈ પટેલની સરકાર હતી. પરંતુ તે સરકારનું પતન થતાં ૧૩-૧૪ માર્ચ ૧૯૭૬થી ૨૧-૨૨ જાન્યુઆરી ૧૯૭૭ સુધી પાલનપુર અને વડોદરા જેલમાં પ્રકાશભાઈ બંધ રહ્યા.
જો કે એ સમયે અને આજે પણ પ્રકાશભાઈનો મનોભાવ તો એકંદરે હળવાશનો અને ચાલો ત્યારે જેલમાં જઈ આવીએનો રહ્યો છે. પણ જેલ આખરે તો જેલ છે. જેલમાંથી મુક્ત થયા ત્યારે તેમનુ શારીરિક જ નહીં જાહેરજીવનમાં પણ વજન વધ્યું હતું. જેલમાં એમણે મહારાજ લાઈબલ કેસ વાંચેલો, જે ઘણું બધુ ત્યાં વાંચેલું તેમાં ઘણીબધી પૂર્વે વાંચેલી અને પહેલીવાર વાંચવાની થઈ એવી મહાનવલો હતી. ઘણા રાજકીય વિચારના વ્યાખ્યાનો આપ્યાં હતા. ‘મિસા વાસ્યમ’ને કારણે જ પ્રકાશભાઈને એસ.પી. યુનિવર્સિટીએ ‘જ્ઞાન ગંગોત્રી’ ગ્રંથશ્રેણીના સહસંપાદક તરીકે છૂટા કરી દીધા હતા. પણ તેની તો જાણે કે પ્રકાશભાઈને કશી વિસાત જ નહોતી.
લોકમોઝાર લોકઆંદોલનોમાં
લોક મોઝાર રહેતી રાજકીય–સામાજિક-નાગરિક ચળવળો અને સંસ્થાઓ સાથે પ્રકાશભાઈનું કાયમનું જોડાણ રહેલું છે. લોકસ્વરાજ આંદોલન, ગુજરાત લોક સંઘર્ષ સમિતિ, જનતા મોરચો, જનતા પાર્ટી, લોક સમિતિ, લોકસ્વરાજ મંચ, નાગરિક સમિતિ, સેક્યુલર લોકશાહી આંદોલન અને પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટી – તે પૈકીનાં થોડાં નામ છે. અમદાવાદ, ગુજરાત અને દેશની ભાગ્યે જ એવી કોઈ નાગરિક ચળવળ હશે જેની સાથે તેઓ જોડાયેલા ન હોય. જેટલી સજ્જતાથી તેઓ વ્યાખ્યાનો આપે છે એટલી જ પ્રતિબદ્ધતાથી હાથમાં પ્લેકાર્ડ લઈને રસ્તા પર આંદોલન માટે પણ ઊતરે છે.
રાજકારણનો પરહેજ નહીં એટલે ૧૯૮૭માં અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં નાગરિક સમિતિ વતી ચૂંટણી પણ લડ્યા હતા. જો કે ૧૯૭૫માં જનતા મોરચા વખતે એલિસબ્રિજની વિધાનસભા બેઠક કોઈ અપક્ષ નાગરિક ઉમેદવાર માટે મોરારજીભાઈ દેસાઈ ખાલી રાખવા માંગતા હતા. તેમના મનમાં પ્રકાશભાઈનું નામ હતું. પરંતુ ભોગીભાઈ ગાંધી સાથે મળીને પ્રકાશભાઈ વગેરેએ જનતા પાર્ટીમાં નહીં જોડાવાનુ અને ચૂંટણી નહીં લડવાનું નક્કી કર્યું હતું. એટલે એ શક્ય ન બન્યું. જો એમ થયું હોત તો, પ્રકાશભાઈ ૧૯૭૫માં બહુ સહેલાઈથી ધારાસભ્ય થઈ ગયા હોત.
પત્રકાર પ્રકાશ શાહ
ઈમરજન્સી પછી પ્રકાશભાઈના જીવનનો એક બીજો દૌર, પત્રકારત્વનો, શરૂ થયો. ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ જૂથના ‘જનસત્તા’ પત્રો સાથે તેઓ આસિસ્ટન્ટ એડિટર તરીકે જોડાયા અને ૧૯૭૮થી ૧૯૯૦ના પૂરા બાર વરસ કામ કર્યું. તે દરમિયાન અખબારી કોલમ લેખન, તંત્રીલેખ લેખન અને તંત્રી પાનું સંભાળ્યું. એ સમયના તેમના તંત્રી લેખો, એડિટ પેજ પરની સમયના ડંકાની નોંધો, દિશાન્તર કોલમ ગુજરાતી પત્રકારત્વમાં નોખી ભાત પાડનાર હતા. ‘જનસત્તા’, અમદાવાદ અને ‘લોકસત્તા’ વડોદરામાં રેસિડેન્ટ એડિટરની જવાબદારી પણ નિભાવી. થોડો સમય ટાઈમ્સ ગ્રુપના ગુજરાતી અખબારના તંત્રી હતા. ૨૦૦૩થી એકાદ દાયકો નવા ગુજરાતી દૈનિક ‘દિવ્ય ભાસ્કર’ના એડિટ પેજ એડવાઈઝર અને તંત્રીલેખની કામગીરી બજાવી હતી. ‘દિવ્ય ભાસ્કર’માં કોલમ લેખન લગભગ ૨૦૧૯ના મધ્ય સુધી ચાલ્યું. ‘સમકાલીન’ (૧૯૮૪થી ૨૦૦૩), ‘ગુજરાતમિત્ર’(૧૯૯૨થી ૨૦૦૩)માં પણ કોલમ લેખન કર્યુ હતું. પૂર્વે અને આજે ‘ગુજરાત ટુડે’ દૈનિકમાં સાપ્તાહિક કટાર લેખન કરે છે. 'વિશ્વ માનવ’ અને ‘અખંડ આનંદ’માં સંપાદન – લેખન કરી ચૂકેલા પ્રકાશભાઈ એપ્રિલ ૧૯૯૩થી વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.
પરિષદ અને પ્રકાશભાઈ
ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે પ્રકાશભાઈનો ભાવનાત્મક સંબંધ તો કિશોરાવસ્થાથી છે. પરંતુ છેલ્લા ત્રણેક દાયકાથી તેમનું પરિષદ સાથે સક્રિય સંધાન છે. ૧૯૯૦થી ૧૯૯૮ સુધી પ્રકાશભાઈ પરિષદના મંત્રી અને ૧૯૯૯થી ૨૦૦૩ સુધી પરિષદના ઉપપ્રમુખ હતા. પરિષદની મધ્યસ્થ સમિતિ અને કારોબારીમાં તેઓ ચૂંટાતા રહ્યા છે. ૧૯૬૪-૬૫માં સાહિત્ય પરિષદના મુંબઈ અધિવેશનમાં તેમણે ‘ક.મા. મુનશીની નવલકથાઓ અને રાષ્ટ્ર ચેતના’ પર લેખ વાંચેલો. ‘ગુજરાતી નવલકથામાં સ્વરાજ ચેતના’ અને ‘સાહિત્ય અને રાષ્ટ્ર’ વિશે તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદમાં વિભાગીય અધ્યક્ષ તરીકે વ્યાખ્યાનો આપ્યા હતાં. હવે ૨૦૨૧થી ૨૦૨૩ના ત્રણ વરસો માટે તેઓ સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.
સ્વતંત્રતા અને સ્વાયત્તતા માટેની લડત
‘ગુજરાત સાહિત્ય અકાદમી'ની સ્વાયત્તતા પરિષદની ચૂંટણીનો મુદ્દો પ્રકાશભાઈને કારણે વિશેષરૂપે ઉભર્યો હતો. પત્રકાર કે લેખકની જ નહીં માણસ માત્રની સ્વતંત્રતામાં તેઓ માને છે. માત્ર સંસ્થાની સ્વાયત્તતા નહીં આંતર-બાહ્ય સ્વાયત્તતા પર પ્રકાશભાઈ ભાર મૂકે છે. તેમાંથી તેઓ ખુદ પસાર થઈ ચૂક્યા છે. કટોકટી વખતે જેલવાસને કારણે તેમને ‘જ્ઞાનગંગોત્રી’માંથી છૂટા કર્યા હતા. તે પછી ગુજરાતમાં અને દેશમાં બિનકૉન્ગ્રેસી સરકારો હતી. ગુજરાતમાં બાબુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને કેન્દ્રમાં એચ.એમ. પટેલ નાણાં મંત્રી હતા. તેઓ બંને ‘જ્ઞાનગંગોત્રી’ની હાઈપાવર કમિટીમાં સભ્યો હતા, ગુજરાત સરકારે કટોકટીના કારણે છૂટા કરેલાને વચ્ચે બ્રેક ગણ્યા વિના નોકરીમાં લેવાનો ઠરાવ કર્યો હોવા છતાં, યુનિવર્સિટી અમલ કરતી નહોતી. ગુજરાતના શિક્ષણ મંત્રી નવલભાઈ શાહને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કોઈ કામસર મળવા આવ્યા ત્યારે તેમણે પ્રકાશભાઈના મુદ્દે તેમના વલણ અંગે વાત કરી, પણ ઉમેર્યું કે યુનિવર્સિટીની સ્વાયત્તતા અને અધિકારોનો વિચાર કરીને અમે કશો આદેશ કરતા નથી. એટલે યુનિવર્સિટીની સ્વાયત્તતા પ્રકાશભાઈને નોકરી પરત અપાવી ન શકી ! ‘ટાઈમ્સ’ જૂથના ગુજરાતી અખબારમાં તંત્રી તરીકે જોડાવાનું થયું ત્યારે પ્રકાશભાઈએ તેના માલિકને કહેલું, ‘બધી જગ્યાએ એડિટોરિયલ ફ્રીડમના (તંત્રીની સ્વતંત્રતાના) સવાલો હોય છે અને હું નોકરિયાત માણસ નથી એટલે એ પ્રશ્ન મને વધારે નડે’. એ સમયે તો આશ્વાસન મળ્યું પણ બહુ લાંબુ ન ટક્યું ને પ્રકાશભાઈએ ‘ટાઈમ્સ’માંથી રાજીનામું આપ્યું.
બૌદ્ધિકનો કવિ –અભિગમ
ઉર્વીશ કોઠારી સાથેની દીર્ઘ મુલાકાતમાં પ્રકાશભાઈએ તેમના વારસા અંગે કહ્યું છે કે, ‘ચાલુ દુનિયામાં રહીને નવી દુનિયા માટે થોડા જ્વલનશીલ પણ સરખા વિચારો મૂક્યા એવું કંઈક હું કરી શક્યો હોઉં તો મને ગમે’. હા, પ્રકાશભાઈ તમે આવું ઘણું કર્યું છે અને હજુ કરતા રહેવાના છો એની ખાતરી છે, કેમ કે તમે જ તો કહ્યું છે ને કે ‘શ્વાસ છે ત્યાં સુધી હિસાબ આપવો રહે છે.’
કાકાસાહેબ કાલેલકરે ઉમાશંકર જોશીને કહ્યું હતું કે ‘તું કવિ છે પરંતુ તારો અભિગમ બૌદ્ધિક છે.’ પ્રકાશભાઈ માટે એમ કહી શકાય કે તેઓ બૌદ્ધિક છે પરંતુ તેમનો અભિગમ કવિનો છે. એમની મધુર બેચેની સમજાય છે પણ તેમની ઉદારતા ? તંત્રી અને પ્રમુખ તરીકેની જ નહીં માણસ તરીકેની એમની ઉદારતા મર્યાદા ન બની જાય તેવી આશા સાથે પરિષદના નવા પ્રમુખ પ્રકાશભાઈ શાહને શિવાસ્તે પંથાન.
(“બી.બી.સી. – ગુજરાતી”, 27 ઑક્ટોબર 2020)
e.mail : maheriyachandu@gmail.com