૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરી એ બે દિવસોમાંથી કયો દિવસ વધુ મહાન, એવો જો પ્રશ્ન પૂછવામાં આવે તો મારો જવાબ છે ૨૬ જાન્યુઆરી. કારણ?
કારણ કે ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટે ભારતને આઝાદી મળી હતી અને ૧૯૫૦ની ૨૬ જાન્યુઆરીએ ભારતની પ્રજાને એટલે કે મને અને તમને આઝાદી મળી હતી. પહેલી આઝાદી સત્તાંતરણના સ્વરૂપની હતી જેમાં અંગ્રેજોએ સત્તા ભારતના નેતાઓને સોંપી હતી. અંગ્રેજો એને ટ્રાન્સફર ઑફ પાવર તરીકે ઓળખાવતા હતા.
ભારતમાં સત્તાંતરણ પહેલી વાર નહોતું થયું. બે-અઢી હજાર વરસના રાજકીય ઇતિહાસમાં સેંકડો વખત અને કદાચ હજાર કરતાં વધુ વખત ભારતમાં સત્તાંતરણ થયું હશે. એક રાજાના હાથમાંથી બીજો રાજા રાજ છીનવી લે એ સત્તાંતરણ હતું, પણ એ સત્તાંતરણને આઝાદી તરીકે ઓળખાવવામાં નહોતું આવતું, વિજય તરીકે ઓળખાવવામાં આવતું હતું. શૂરવીર રાજવીઓ સત્તા આંચકી લઈને પોતાનું સામ્રાજ્ય વિસ્તારતા હતા અને સમ્રાટ તરીકે પોતાને સ્થાપિત કરતા હતા. અશોકથી લઈને અકબર સુધીના શાસકો સમ્રાટ હતા, લોકનેતા નહોતા. ઇતિહાસમાં કોઈ શાસકે આઝાદી શબ્દ વાપર્યો પણ નથી. છત્રપતિ શિવાજી મહારાજ પહેલા શાસક હતા જેમણે ઈસવી સન ૧૬૪૫માં હિન્દવી સ્વરાજ (હિન્દીઓનું અર્થાત ભારતીયોનંી સ્વરાજ) એવો શબ્દ વાપર્યો હતો. શિવાજી મહારાજ મધ્યકાલીન યુગના સૌથી મહાન ભારતીય હતા, પણ હિન્દુત્વવાદીઓએ હિન્દવી સ્વરાજને હિન્દુઓનું સ્વરાજ બનાવીને પોતાના જેવડા નાના બનાવી દીધા છે. અત્યારે બિચારા સરદાર પટેલ હાથમાં સપડાયા છે.
તો પછી ૧૯૪૭ની પંદરમી ઑગસ્ટના સત્તાંતરણને આઝાદી તરીકે કેમ ઓળખાવવામાં આવી રહ્યું છે? કારણ કે એમાં ભારતની પ્રજા સાથે એક પવિત્ર વાયદો હતો. વાયદો એવો હતો કે ભારતની પહેલી પેઢીના શાસકો સત્તા મળતાંની સાથે બનતી ત્વરાએ એને લોકો સુધી પહોંચાડશે. સત્તાના લાભ નહીં, સત્તા સ્વયં. પ્રજાએ તેમના પર ભરોસો મૂક્યો હતો અને સત્તાંતરણ માટેની લડાઈમાં નેતાઓને સાથ આપ્યો હતો. એ પ્રજાકીય લડત હતી એટલે એને આઝાદી તરીકે ઓળખાવવામાં આવે છે. ભારત પર વિદેશીઓનું શાસન હતું એ મુખ્ય કારણ નહોતું. જો એમ હોત તો અઢારમી અને ઓગણીસમી સદીમાં સ્વદેશી શાસકો (પેશવાઓ, હૈદર, ટીપુ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વગેરે) જ્યારે વિદેશી અંગ્રેજો સામે લડતા હતા ત્યારે ભારતની પ્રજાએ સ્વદેશી શાસકોને મદદ કરવી જોઈતી હતી. એવું બન્યું નહોતું, કારણ કે પ્રજાકીય આઝાદી નામની કોઈ ચીજ અસ્તિત્વ ધરાવે છે એની ભારતના લોકોને હજી જાણ નહોતી.
ભારતને આઝાદી મળી એ પછી જગતના બીજા સો કરતાં વધુ દેશોને આઝાદી મળી હતી અને એમાં ઘણા એવા દેશો હતા જેની આઝાદી પ્રજાકીય આઝાદી હતી અર્થાત પ્રજાએ નેતાઓ સાથે મળીને લડીને મેળવેલી આઝાદી હતી. કેવાં મહાન વર્ષો હતાં એ! પરંતુ એ પછી વિશ્વાસઘાતનો યુગ શરૂ થયો હતો. પહેલી પેઢીના નેતાઓએ સત્તા મેળવ્યા પછી સત્તા લોકો સુધી પહોંચાડવામાં આડોડાઈ કરી હતી. સત્તાના લાભ મળે છેને, સત્તા અર્થાત સ્વતંત્રતા સાથે શું કામ છે? લાભ મેળવો અને રાજી રહો, શાસકોની સરમુખત્યારી સામે સવાલ નહીં ઉઠાવવાનો. જો વધારે અસંતોષ પેદા થાય તો ધર્મ, વંશ, ભાષા, જ્ઞાતિ કે બીજી અસ્મિતાઓનો ઉપયોગ કરવાનો અને આપણી અસ્મિતા (એટલે કે બહુમતી કોમની અસ્મિતા) ખતરામાં છે એની બુમરાણ મચાવવાની. જો કોઈ વધારે ટેં-ટેં કરે તો તેને દેશદ્રોહી, ધર્મદ્રોહી કે જે કોઈ અસ્મિતાનો ઉપયોગ કરવામાં આવતો હોય એ અસ્મિતાનો દ્રોહી હોવાની ગાળો આપવાની. (ચતુર વાચકને સમાનતા નજરે પડતી હશે.)
તો ગઈ સદીમાં જગતના સોએક દેશોમાં પહેલી પેઢીના શાસકોએ આઝાદીના નામે સત્તા મેળવ્યા પછી સત્તાને લોકો સુધી પહોંચાડવામાં આડોડાઈ કરી હતી, પરંતુ ભારત એમાં અપવાદ છે. ભારતના પહેલી પેઢીના શાસકોએ હજી ભારતને આઝાદી મળે એ પહેલાં સત્તાને લોકો સુધી પહોંચાડવા માટેની તજવીજ શરૂ કરી દીધી હતી. છેક ૧૯૪૦માં કનૈયાલાલ મુનશીને ગાંધીજીએ જગતના લોકશાહી દેશોનાં બંધારણોનો તુલનાત્મક અભ્યાસ કરીને એક નોટ બનાવવાનું કહ્યું હતું. ૧૯૪૬માં બંધારણસભાની સ્થાપના કરવામાં આવી હતી. નિસરણી જેવા અને ભેદભાવમાં માનનારા સમાજને આઝાદી મળે અને ઉપરથી પ્રજાને સત્તા આપવામાં આવે એનો સૌથી વધુ ભય દલિતો અનુભવતા હતા. યાતનાઓનો લાંબો ઇતિહાસ અને કંપાવનારો વર્તમાન તેમની સામે હતો. એટલે તો તેઓ આઝાદીના આંદોલનમાં ભાગ નહોતા લેતા, બલકે ભારતને આઝાદી મળે એનો વિરોધ કરતા હતા. ભેદભાવમાં માનનારો પરંપરાગત સમાજ આધુનિક રાજ વિકસાવી શકે એ વાતે તેમને ભરોસો નહોતો બેસતો.
દલિતોને આશ્વસ્ત કરવા મહાત્મા ગાંધીએ ડૉ. આંબેડકરને જ કહ્યું હતું કે બંધારણનો મુસદ્દો તમે તૈયાર કરો. છેવાડાના માણસને ન્યાય આપનારું બંધારણ ઘડો. એવું બંધારણ ઘડો જેમાં સત્તાના લાભ છેવાડાના માણસ સુધી તો પહોંચે જ, પરંતુ છેવાડેનો માણસ સત્તામાં ભાગીદાર બને. માત્ર લાભ નહીં, સત્તા સ્વયં. બીજા દેશોમાં આવું નહીં બન્યું અને ભારતમાં બન્યું, કારણ કે ભારતમાં ગાંધીજી હતા. ગાંધીજીને બ્રાહ્મણની બ્રાહ્મણશાહી, મરાઠાની મરાઠાશાહી, હિન્દુની હિંદુશાહી, મુસલમાનની મુસ્લિમશાહી, આર્યોની આર્યશાહી, દ્રવિડોની દ્રવિડશાહી વગેરે તમામ શાહીઓ ભારતની નાગરિકશાહીમાં વિલીન થઈ જાય એની સામે જરાય વાંધો નહોતો. બધી જ અસ્મિતાઓ આથમી જાઓ, ભારતના નાગરિકની અસ્મિતા અમર તપો એવી ગાંધીજીની ભૂમિકા હતી.
આજકાલ આખો દેશ ગાંધીજીને શા માટે ધિક્કારે છે એનો જવાબ અહીં મળી જશે. ગાંધીજીએ તમામ અસ્મિતાશાહીઓને ઢીલી પાડી દીધી હતી અને કોઈ પણ પ્રકારની સામૂહિક ઓળખ વિનાની નાગરિકશાહી સ્થાપી આપી હતી એ વાતે આપણને પેટમાં દુખે છે. આપણને હિન્દુ બનીને રહેવું છે, બ્રાહ્મણ બનીને રહેવંુ છે, મરાઠા બનીને રહેવું છે, મરાઠી કે ગુજરાતી બનીને રહેવું છે, દ્રવિડ કે આર્ય બનીને રહેવું છે જેમાં આ માણસ આડો આવે છે.
તો આપણી પહેલી પેઢીના શાસકોએ પ્રજા સાથે પવિત્ર વાયદો કર્યો હતો કે ભારતને આઝાદી મળતાંની સાથે જ સત્તાને લોકો સુધી પહોંચાડશે અથવા લોકોને સત્તામાં ભાગીદાર બનાવશે. ૧૯૫૦ની ૨૬ જાન્યુઆરીએ વાયદો નિભાવવામાં આવ્યો હતો અને ભારત પ્રજાસત્તાક બન્યું હતું. પ્રજાસત્તાક એટલે પ્રજાની સત્તા, પણ એ સમૂહની નહીં વ્યક્તિની. ભારતીય રાજનું મૂળભૂત એકમ વ્યક્તિ છે, સમૂહ નથી. ભારતમાં નાગરિક આઝાદ છે, નાગરિક સાવર્ભૌજમ છે, નાગરિક મતના અધિકાર દ્વારા સત્તાધીશ છે, નાગરિકની સુરક્ષા એ રાજ્યની પવિત્ર ફરજ છે, નાગરિકના નાગરિક અધિકારોના રક્ષણની વિશેષ જવાબદારી સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે, આમ નાગરિક સર્વસ્વ છે.
પરંતુ આ તો ગાંધીજી, નેહરુ અને ડૉ. આંબેડકરની કલ્પનાના ભારતની વાત થઈ. આ ભારતના બંધારણમાં રેખાંકિત ભારતની વાત થઈ, વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા વરવી છે અને હવે તો ડરાવનારી છે. હરિયાણામાં ‘પદ્માવત’ ફિલ્મનો વિરોધ કરનારા રાજપૂતોએ સ્કૂલ-બસ પર હુમલો કર્યો એ એનું પ્રમાણ છે, પણ એની વાત હવે પછી, ક્યારેક.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 26 જાન્યુઆરી 2018