૧૧મી મે ૧૯૫૧ના દિવસે પ્રભાસ પાટણમાં સોમનાથના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે મંદિરમાં ભગવાન શિવજીની પ્રતિષ્ઠા કર્યા પછી તેમના ભાષણમાં કહ્યું હતું કે સોમનાથનું મંદિર બાંધવાનું કામ પૂરું થયું, હવે આપણે લોકોનાં સુખ અને સમૃદ્ધિનાં મંદિરો બાંધવાનાં છે. રાષ્ટ્રપતિએ પહેલાં તેમના ભાષણમાં સોમનાથનું મંદિર શા માટે બાંધવું જરૂરી હતું એ સમજાવ્યું હતું. ભગવાન સોમનાથનું મંદિર તોડવામાં આવ્યું ત્યારે ભારતીય પ્રજા પર વજ્રાઘાત થયો હતો. ત્યારથી લઈને આજ સુધી સોમનાથનું મંદિર પાછું બંધાય એ દરેક ભારતીયનું સ્વપ્ન હતું. “This faith and creative energy are more powerful than all arms, all the armies and all the emperors of this world.” એ પછી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે સોમનાથની ઘટનામાં ઇતિહાસનો અમૂલ્ય પાઠ સમાયેલો છે અને તે ધાર્મિક અસહિષ્ણુતા અંગેનો છે. “Consequence but to produce bitterness and immorality among men. This is the lesson of history and I would like all my countrymen to grasp it firmly.” એ પછી તેમણે કહ્યું હતું કે સોમનાથ દ્વારા રાષ્ટ્રીય સન્માન સ્થાપિત કરી લીધા પછી હવે આપણે પ્રજાની સુખાકારીનાં મંદિરો બાંધવાનાં છે.
તેમણે ત્રણ વાત કહી હતી.
એક. સોમનાથનું મંદિર તોડ્યું એને કારણે ભારતીય માનસે આઘાત અનુભવ્યો હતો અને એ આઘાત દૂર કરવો જરૂરી હતો. તેમણે ભારતીય શબ્દ વાપર્યો હતો, હિંદુ શબ્દ નહોતો વાપર્યો. હિંદુ માનસે આઘાત અનુભવ્યો હતો અને હિંદુ હ્રદય ઘવાયું હતું એમ કહ્યું હોત તો તે અસત્ય ન ગણાત, બલકે તે જ સત્ય હતું. હિંદુઓને છોડીને ભાગ્યે જ બીજા વિધર્મીઓએ આઘાત અનુભવ્યો હશે. જેમણે આઘાત અનુભવ્યો હશે એ વ્યક્તિગત રીતે સામૂહિક રીતે નહીં. આમ છતાં ય તેમણે ભારતીય શબ્દ વાપર્યો હતો કારણ કે ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાગરિકોમાં પ્રથમ નાગરિક છે એટલે હિંદુ તરીકે ન બોલી શકે.
બે. તેમણે કહ્યું હતું કે ધાર્મિક સહિતની દરેક પ્રકારની અસહિષ્ણુતાની કિમંત હોય છે અને એ ચૂકવવી જ પડતી હોય છે એમ ઇતિહાસ શીખવે છે. માટે સોમનાથ જેવી ઘટના (તોડવાની અને ઘાવ રૂઝવવા પાછું બાંધવાની એમ બેઉ) પાછી ન બને એ માટે ભારતીય પ્રજાએ સહિષ્ણુતાપૂર્વક સાથે જીવતા શીખવું જોઈએ.
ત્રણ. તેમણે પ્રારંભમાં અને અંતમાં એમ બે વાર કહ્યું હતું કે સોમનાથનું મંદિર બની ગયું હવે આપણે પ્રજા બે પાંદડે થાય એ રીતનાં સુખાકારીનાં મંદિરો બાંધવાનાં છે. સોમનાથનું મંદિર એકવચનમાં છે અને સુખાકારીનાં મંદિરો બહુવચનમાં છે. મંદિર બંધાઈ ગયું. હવે આપણે રાષ્ટ્રીય આઘાતમાંથી બહાર નીકળી જવાનું છે અને પ્રજાકલ્યાણના કામે લાગી જવાનું છે એમ ભારતના પહેલા રાષ્ટ્રપતિ આપણને કહી ગયા હતા.
ડૉ. રાજેન્દ્ર પ્રસાદનાં ભાષણમાં શરમ, સંકોચ, ભય અને વિવેક એમ દરેક ભાવ પ્રગટ થાય છે. શરમ એટલા માટે કે દેશ હજુ તાજો આઝાદ થયો હતો અને એ પણ લોહિયાળ વિભાજન સાથે. નિરાશ્રીતોને થાળે પડવાના હતા. આ ઉપરાંત અન્નનું સંકટ એવડું મોટું હતું કે કેન્દ્રના કૃષિ અને અન્ન પુરવઠા પ્રધાન કનૈયાલાલ મુનશીના ટેબલ પર રોજ જે તે પ્રાંતમાં અન્નની તાતી જરૂરિયાત હોવાની જાણકારી આપનારા અને તાત્કાલિક અન્ન પુરવઠો માગનારા પત્રો આવતા હતા. એ એવો કપરો સમય હતો કે કોઈ કૃષિ અને અન્ન પુરવઠા પ્રધાન બનવા માગતું નહોતું. હાલત એવી ખરાબ હતી કે પાકિસ્તાન પાસેથી ઘઉં ખરીદવાનું ભારત વિચારતું હતું. એટલે પાકિસ્તાનમાં કરાંચીથી નીકળતા ‘ડોન’ નામના અખબારે પ્રાણપ્રતિષ્ઠાના ત્રણ દિવસ પહેલા આઠમી મેના અંકમાં તંત્રીલેખ લખીને કનૈયાલાલ મુનશીની ઠેકડી ઊડાડી હતી. પ્રાથમિકતા મંદિર કે પ્રજાનું પેટ?
આવો પ્રશ્ન માત્ર ‘ડોન’ અખબારે નહોતો ઉઠાવ્યો. આપણા કવિ ઉમાશંકર જોશીએ તેમના સામયિક ‘સંસ્કૃતિ’માં આ જ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને પ્રાણપ્રતિષ્ઠાના સોમનાથના જલસાની તો આકરી ટીકા કરી હતી. આ સિવાય જવાહરલાલ નેહરુથી લઈને અદના સમજદાર હિંદુઓ સુધીના સૌ કોઈ લોકો પ્રશ્ન કરતા હતા કે મંદિર દાયકો મોડું બન્યું હોત તો શો ફરક પડત? પ્રાથમિકતા હજાર વરસ પહેલાનાં માનસિક સંકટને દૂર કરવાની કે સામે નજરે પડતા વર્તમાન ભૌતિક સંકટને દૂર કરવાની. મંદિરવાળાઓ આનો ગળે ઊતરે એવો ખૂલાસો આપી શકતા નહોતા અને અંદર બેઠેલા હિંદુને રોકી પણ શકતા નહોતા.
સંકોચ એટલા માટે કે દેશમાં અભૂતપૂર્વ સંકટની ઘડીએ હિંદુ બનીને મંદિર બાંધવા દોડી ગયેલા લગભગ બધા જ લોકો કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા હતા, ગાંધીજીના અનુયાયી હતા અને સરકારમાં હોદ્દેદારો હતા. લગભગ અડધી કેબીનેટ અવિધિસર રીતે મંદિર બાંધવાના કામે લાગી ગઈ હતી. સેક્યુલર ભારતના શાસક થઈને પહેલી તકે હિંદુ બની જઈએ ત્યારે જગત આપણને કઈ રીતે જોતું હશે અને ઇતિહાસ આપણને કેમ મુલવશે એવા પ્રશ્નો તેમને સતાવતા હતા. મંદિર બંધાવનારાઓમાંથી ત્રણ જણ તો બંધારણ ઘડનારાઓમાંના હતા અને પાછા બંધારણસભામાં મુખ્ય ભૂમિકાએ હતા. હજુ વરસ પૂર્વે ભારતને સેક્યુલર રાષ્ટ્ર તરીકેનો આકાર આપનારાઓ હિંદુ તરીકે વર્તતા હતા એ જોઈને ‘ડોન’ અખબારના તંત્રીલેખમાં આની પણ યાદ અપાવવામાં આવી છે અને તેનું શીર્ષક જ “ધ ‘સેક્યુલર’ વે” એવું કટાક્ષ કરનારું આપ્યું હતું. માટે સોમનાથનું મંદિર તોડવાને કારણે આઘાત હિંદુઓને લાગ્યો હોવા છતાં રાષ્ટ્રપતિ હિંદુની જગ્યાએ ભારતીય શબ્દ વાપરે છે.
ભય એટલા માટે કે, ખબર નહીં કોમવાદીઓ આનો કઈ રીતે ઉપયોગ કરશે! હિંદુઓનો એક ઘા રૂઝવવાનું પરિણામ હવે પછી બીજાને એક પછી એક ઘા મારવામાં તો નહીં પરિણમે? હવે હિંદુ બહુમતીમાં છે, શાસન મુખ્યત્વે હિંદુઓના હાથમાં હશે, સંસદીય લોકતંત્રમાં મતોનું રાજકારણ હશે અને અંગ્રેજોએ ઘાવ-પ્રતિઘાવનો લખી આપેલો લાંબો ઇતિહાસ છે. ભારતવિભાજનની ગમખ્વાર ઘટના હજુ તાજી છે એ જોતાં સોમનાથ કોમવાદનો દરવાજો ખોલી આપવામાં તો નિમિત્ત નહીં બને?
વેરાવળમાં સોમનાથનું મંદિર બંધાતું હતું ત્યારે ૧૯૪૯ના નવેમ્બર મહિનામાં અયોધ્યામાં બાબરી મસ્જિદના મધ્ય ગુંબજમાં હિન્દુત્વવાદીઓ રામલલ્લાની છબી મોડી રાતે ઘૂસાડી આવ્યા હતા. એટલે સિલસિલાની શરૂઆત તો થઈ જ ગઈ હતી. એ ઘટના પછી મંદિર બંધાવનારાઓને અંદેશો આવી ગયો હશે કે જેને ઘા રુઝાવવા નથી એના ઘા ક્યારે ય રુઝાતા નથી. એમને એ વાતનો પણ ભય લાગ્યો હશે કે તેમને મંદિરના રાજકારણના પાયોનિયર તરીકે યાદ રાખવામાં આવશે. એ પણ એ લોકો જે કૉન્ગ્રેસના દિગ્ગજ નેતાઓ હતા, ગાંધીજીના અનુયાયી હતા અને બંધારણ ઘડનારા હતા.
વિવેક એટલા માટે કે તેમને જાણ હતી કે અસ્મિતાઓ જ્યારે વકરે છે ત્યારે રાષ્ટ્રોનું પતન થાય છે. પ્રજાકીય સુખાકારી બાજુએ રહી જાય છે અને લોકોને ભાવનાઓના નામે તારસ્વરે જીવાડવામાં આવે છે. પ્રજાના ખાલી પેટનો ઢોલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમને કાયદાના રાજની જરૂરિયાત સમજાતી હતી. માટે રાજેન્દ્રબાબુએ કહ્યું હતું કે સોમનાથનું મંદિર બાંધવાનું કામ પૂરું થયું, હવે આપણે લોકોનાં સુખ અને સમૃદ્ધિનાં મંદિરો બાંધવાનાં છે. બસ, હવે થોભી જવાનું છે.
એમ લાગે છે કે તેમની અપેક્ષા ખોટી ઠરી અને શંકા સાચી ઠરી!
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 નવેમ્બર 2019