કેરળના ૧૪ જિલ્લામાંથી ૧૨ જિલ્લા પાણી નીચે છે, અને પૂરનાં પાણી અઠવાડિયા કરતાં વધુ સમય વીતી જવા છતાં, ઓસરતાં નથી. કેરળની ૪૪ નદીઓ પર બંધાયેલા ૩૯ બંધમાંથી ૩૪ બંધ ઓવર ફ્લો થઈ રહ્યા છે, અને દરવાજા તો બધા જ બંધના ખોલી નાખવામાં આવ્યા છે. એક સાથે લગભગ બધા જ બંધના દરવાજા ખોલવા પડ્યા એને કારણે પડોશમાં તામિલનાડુના જિલ્લાઓ પણ પ્રભાવ હેઠળ આવ્યા છે. વેધશાળા કહે છે કે કેરળમાં સીઝનનો જેટલો વરસાદ પડે છે એના કરતાં આ વખતે ૩૦ ટકા વધુ વરસાદ પડ્યો છે. પહેલી જૂનથી લઈને અત્યાર સુધીમાં સરેરાશ કરતાં ત્રીસ ટકા વધુ અને હજુ તો ઓગસ્ટ અડધો માંડ વીત્યો છે. ત્રીસ ટકાનો વધારો એ ઘણો મોટો વધારો કહેવાય. આવાં પ્રચંડ પૂર છેલ્લે ૧૯૨૪માં આવ્યાં હતાં એમ કહેવામાં આવે છે, પણ ૧૪માંથી ૧૨ જિલ્લાઓમાં એક સાથે પૂર આવ્યાં હોય એવું ૧૯૨૪માં નહીં બન્યું હોય. બીજું ૧૯૨૪ પછી બીજી વખત એવાં પ્રચંડ પૂર આવતાં ૯૪ વરસ લાગ્યાં હતાં પણ હવે લખી રાખજો એટલો સમય નહીં લાગે.
કેન્દ્ર સરકારે પાંચસો કરોડ રૂપિયાની રાહત આપી છે. બીજાં રાજ્યો પણ મદદ મોકલી રહ્યાં છે. અનેક સ્વયંસેવી સંસ્થાઓ અને ધનપતિઓનું ધન મળી રહ્યું છે, પણ અત્યારે તાત્કાલિક પ્રાથમિકતા ફસાયેલા લોકોને બચાવવાની તેમ જ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી તેમને ખસેડવાની છે. એ સાથે તેમને તાત્કાલિક રાહત પહોંચાડવાની પ્રાથમિકતા છે. લગભગ આખા રાજ્યમાં એક સાથે આવું કરવું પડ્યું હોય, એવું આજ સુધીમાં બન્યું નથી એટલે વિશાળ ભૂભાગમાં વ્યાપક બચાવકાર્ય તેમ જ રાહતકાર્યનો લશ્કરને પણ અનુભવ નથી. જો કે આવો અવસર હવે પછી આવતાં વાર નહીં લાગે, પણ અનુભવ મળી જશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.
ડિઝેસ્ટર મેનેજમેન્ટ(ડી.એમ.)ની વાત હું દાયકાઓથી સાંભળતો આવ્યો છું. આવી યંત્રણા વિકસાવવામાં આવી એને પણ દાયકા કરતાં વધુ સમય થઈ ગયો છે. જગત આખામાં એની યંત્રણા વિકસી છે અને સફળ રીતે કામ કરે છે. સમૃદ્ધ દેશોમાં પરિણામ આપનારા મોડ્યુલ્સ પણ ઉપલબ્ધ છે. કઈ કઈ જગ્યાએ સાવધાન રહેવું જોઈએ એની માર્ગદર્શિકા પણ ઉપલબ્ધ છે. જેમ અમેરિકામાં પ્રચંડ મોટું વાવાઝોડું આવે અને દસ લોકો પણ માર્યા નથી જતાં એવું આપણે પણ કરી શકીએ એમ છીએ.
અભાવ પૈસાનો નથી, ટેકનોલોજીનો પણ નથી, અભાવ છે ઈરાદાનો. આ એવો દેશ છે જ્યાં ઉનાળાની ગરમી સહન નહીં થઈ શકવાથી, ઠંડી નહીં સહી શકવાથી, ટ્રેનમાં જગ્યા નહીં હોવાના કારણે પડી જવાથી, ટ્રેન ઓળંગવા જતાં કપાઈ જવાથી, ધુમ્મસના કારણે રસ્તો નહીં દેખાવાને કારણે થતા અકસ્માતોથી, ખરાબ રસ્તાઓનાં કારણે થતા અકસ્માતોથી, મકાન પડી જવાથી, ઝાડ પડવાથી, શહેરોમાં ભેખડ ધસી પડવાથી, નાસભાગને કચડાઈ જવાથી અને કુદરતી કોપથી દર વરસે અંદાજે એક લાખ માણસ મરે છે. આ મોત નથી, કમોત છે. કુદરતનો માર તો હજુ ય સમજાય, પણ નાસભાગમાં પણ લોકો મરણ પામે અને એ પણ વરસોવરસ એવું તો ભારતમાં જ બને. વિકસિત દેશો તો તેની પ્રજાને કુદરતના મારથી પણ બચાવી લે છે. કયા મોઢે આપણે બુલેટ ટ્રેનનાં સપનાં જોઈએ છીએ? શરમાવું જોઈએ એની જગ્યાએ આપણે ખોટા દેખાડા કરીને પોરસાઈએ છીએ.
વડા પ્રધાન વિમાન કે હેલિકોપ્ટરમાં બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોનું હાવાઈ નિરીક્ષણ કરતા હોય એવી તસ્વીર તમે જોઈ હશે. કોઈ અમેરિકન પ્રમુખની આવી તસ્વીર તમે જોઈ છે? બીજા કોઈ પણ સમૃદ્ધ દેશોના વડાની તસ્વીર જોઈ છે? ૯/૧૧ની ઘટના બની ત્યારે અમેરિકન પ્રમુખ ન્યુ યોર્ક નહોતા દોડી ગયા. પ્રમુખ શું કોઈ પ્રધાન ન્યુ યોર્ક નહોતા ગયા. ન્યુ યોર્કના મેયર બચાવકાર્યનું નિયમન કરતા હતા. સગી આંખે હોનારત જોઈ લેવાથી બચાવકાર્ય કે રાહતકાર્યની ક્ષમતા વધવાની છે? ઊલટું નેતાઓ એમાં બાધા પહોંચાડે છે. વડા પ્રધાન કે મુખ્ય પ્રધાનના આવ્યા પછી તેમના કારણે જો ક્ષમતા વધતી હોય, તો એનો એક અર્થ એવો થાય કે જ્યાં સુધી બોસ ન આવે ત્યાં સુધી કામ કરવામાં નોકરશાહી માનતી નથી. તેનો બીજો અર્થ એવો થાય કે સાહેબોને નોકરોની આવડત અને નિસ્બત પર ભરોસો નથી. આ બધો દેખાવ છે અને એ આઝાદી મળી ત્યારથી ચાલી રહ્યો છે. વડા નરેન્દ્ર મોદી ચીલા તોડવામાં માને છે, પણ આ ચીલો તેઓ તોડવાના નથી. જો ન જાય તો વિપક્ષો તેમને અસંવેદનશીલનું લેબલ મારશે એટલે વડા પ્રધાને એ માટે પણ જવું પડે.
કુદરતની લાતો તો હવે પડતી જ રહેવાની. પહેલાં હોનારતો એટલા અંતરે આવતી કે તેના નામે સમયખંડને ઓળખી શકતો. હવે હોનારતો વારંવાર આવશે. કોઈ બીજો ઉપાય જ નથી. કુદરત લૂંટાઈ રહી છે અને વળતરમાં તેને કાંઈ આપવામાં આવતું પણ નથી. બીજું કુદરતને આપવાવાળો માનવી કોણ? નદીઓની વાત કરીએ તો શહેરીકરણ થઈ રહ્યું છે અને રેતીની જરૂર છે. લાકડાંની જરૂર છે. ખડી મેળવવા ડુંગરના પથ્થરો તોડવા જરૂરી છે. જમીનની જરૂર છે એટલે જંગલો કાપવાં પડે છે. આને કારણે પૂર આવવાના જ છે.
શાસકો જ્યારે પર્યાવરણ બચાવવાની વાત કરે છે, ત્યારે તેઓ ઢોંગ કરતા હોય છે. તેમને પણ ખબર છે કે શહેરીકરણની પ્રક્રિયાને રોકી શકાય એમ નથી. જરૂરિયાતો રોકી શકાય છે, પરંતુ એ ઉત્પાદકો રોકવા દેતા નથી. સરકાર સમાજ અને પર્યાવરણને નુકસાન પહોંચાડનારી નકામી જરૂરિયાતો રોકી શકે છે, પરંતુ આજકાલ તો સરકાર ઓછા શાસનને શ્રેષ્ઠ શાસન કહે છે. વાત એમ છે કે તેમના હાથ કોર્પોરેટ કંપનીઓએ બાંધેલા છે એટલે તેઓ ઓછા શાસનની વાત કરે છે.
પ્રગતિની વ્યાખ્યા અને વિકાસનો ઢાંચો જ્યાં સુધી નહીં બદલાય, ત્યાં સુધી હોનારતોથી બચી શકાય એમ નથી. ઊલટો હવે તેમાં ઉત્તરોત્તર વધારો જ થવાનો છે. પર્યાવરણ બચાવવાની ગુરુચાવી જ્યારે હાથ લાગવાની હશે ત્યારે લાગશે, અત્યારે અસરકારક ડિઝેસ્ટર મેનેજમેન્ટ દ્વારા માનવીના અને અન્ય જીવોના જાન તો બચાવી જ શકીએ. પશ્ચિમના દેશો કરી શકીએ તો આપણે કેમ ન કેરી શકીએ?
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની દૈનિક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 અૉગસ્ટ 2018
કાર્ટૂન સૌજન્ય : "ધ હિન્દુ", 20 અૉગસ્ટ 2018