આવા કિસ્સામાં ગુનાની ગંભીરતા ઓછી કરનારા મુદ્દા જોઈને જામીન આપી દેવાય, તે વાજબી ગણાય?
આખરે કોઈ યુવતી પોતાના પુરુષ મિત્રની સાથે ટાઇટ જીન્સ અને ટીશર્ટ પહેરીને મોડી રાત્રે ફિલ્મ જોવા શા માટે જાય છે? શું આનાથી સ્વચ્છંદ સંબંધો જાહેર નથી થતા? તેણે પોતાનાં માતા-પિતા અને કૉલેજને જણાવ્યું શા માટે નહીં? તે એવી ખાલી બસમાં શા માટે બેઠાં, જેમાં છ લોફર સિવાય બીજું કોઈ નહોતું? આ કેવું અવિવેકી, દુ:સાહસી અને બેજવાબદાર વર્તન હતું? બસમાં બેઠેલા લોકોએ દુષ્કર્મ કરીને અને સાથે રહેલા યુવકને માર મારીને તો ખોટું જ કર્યું, પણ તમે તેમના માટે ઉત્તેજક સ્થિતિ શા માટે ઊભી થવા દીધી?
જ્યારે તેઓ ઉત્તેજિત થઈ ગયા, તો પછી આસારામ બાપુના કહ્યા અનુસાર તેમને ભાઈ કહીને તેમના કાંડે રાખડી બાંધવાની રજૂઆત કેમ ન કરી? એ બધું નિરર્થક જાય, તો પછી શાંતિથી બધું થવા કેમ ન દીધું? આનાથી તું હિંસા અને મોત-માંથી ઉગરી શકી હોત. બીજું એ કે, તારે તો બોયફ્રેન્ડ પણ હતો, કદાચ અંતરંગ સંબંધોની આદત પણ હશે. તેવામાં ઘાતક સંઘર્ષ કરવાની જરૂર શું હતી?
કાશ! એ મૂરખ છોકરાઓએ તને મારી ન નાખી હોત, તો તેમને થોડી હળવી સજા સંભળાવાઈ હોત, જેને મુલતવી રાખી શકાઈ હોત, કારણ કે ત્યારે આવા કિસ્સાઓની પહેલાં કે પછી થનારી ગંભીર હિંસા ન થઈ હોત. બનવાજોગ છે કે એ છોકરાઓ પણ બેંગલુરુની ઇન્સ્ટિટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરોસાયન્સ(નિમહાન્સ)માં રહેલા દેશના સૌથી મોટા મનોવૈજ્ઞાનિકો પાસેથી કાઉન્સેલિંગ પછી સામાન્ય જિંદગીમાં પરત ફરી શક્યા હોત. અદાલતોએ પણ કદાચ નિમહાન્સના ડાયરેક્ટરને એ કામ પ્રાથમિકતાના ધોરણે કરવાનું કહ્યું હોત. આ એવી વીતકકથા છે, જેમાં આઠ જિંદગીઓ અને એટલા જ પરિવારોને ખાઈમાં ધકેલી દેવામાં આવ્યા.
સમગ્ર દેશને હચમચાવી નાખનારા નિર્ભયાકાંડ વિશે આવું લખવાને કારણે તમે મારા પર રોષે ભરાયા હો, તો મારો પ્રયાસ સફળ થયો. ચાલો, નિર્ભયા કાંડના એક વર્ષ પછી હરિયાણાના સોનિપતમાં બનેલી ઘટના જોઈએ. ઓ.પી. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની બોયફ્રેન્ડ પર બ્લેકમેલ અને તેના મિત્રો સાથે અનેક વખત દુષ્કર્મનો આરોપ મૂકે છે, જેમાં એક પરિસ્થિતિ તો સામૂહિક દુષ્કર્મ જેવી પણ હતી. પહેલાં છોકરાએ પોતાની નિર્વસ્ત્ર તસવીરો મોકલી, પછી તેને પોતાની તસવીરો મોકલવા માટે કહ્યું. પછી તેને ધમકી આપી કે તે એ તસવીરોને કેમ્પસમાં બધાને અને તેનાં માતા-પિતાને બતાવી દેશે. તેણે આ બધું એક મેજિસ્ટ્રેટની સામે નિર્ભયાકાંડ પછી ઘડાયેલા એક કાયદાના સંદર્ભે સી.આર.પી.સી. કલમ 164 હેઠળ નોંધાવ્યું. તેણે એમ પણ કહ્યું કે બોયફ્રેન્ડે તેને બ્લેકમેલ કરીને તેને એક સેક્સ ટૉય ખરીદીને તેનો ઉપયોગ કરવા માટે પણ ફરજ પાડી, જેને તેણે સ્કાઇપ પર જોયું.
નીચલી અદાલતનાં જજ સુનીતા ગ્રોવરે યુવતીના આરોપો માન્ય રાખ્યા. ત્રણ છોકરાઓને દુષ્કર્મ, બ્લેકમેલ, આઈ.ટી. કાયદાના ઉલ્લંઘન સહિત અનેક આરોપો માટે ગુનેગાર ઠેરવાયા અને દુષ્કર્મ માટે 20 વર્ષની સજા સહિત અન્ય સજાઓ પણ ફટકારવામાં આવી. દોષિતોએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અપીલ કરી. અલબત્ત, બે અઠવાડિયાં પહેલાં હાઈકોર્ટની બેન્ચે આ કિસ્સામાં ગુનાની ગંભીરતા ઓછી કરનારા અમુક મહત્ત્વના મુદ્દા જોઈને દુષ્કર્મ/બ્લેકમેલના દોષિતોને જામીન આપી દીધા. બેન્ચે સ્પષ્ટ કહ્યું છે કે આ આદેશમાં તે જે કહી રહ્યા છે, તેની અપીલ પર કોઈ અસર ન પડવી જોઈએ.
જો કે, આપણે ત્યાં અપીલની પ્રક્રિયામાં સમય લાગે છે. માટે સારું એ રહેશે કે આ યુવાનોને છોડી દેવામાં આવે. તેઓ નવેસરથી જિંદગી શરૂ કરે, અભ્યાસ પૂરો કરે, જરૂર પડે તો અદાલતની મંજૂરી લઈને વિદેશ પણ જાય. છોકરાઓનું દિલ્હીની એઇમ્સમાં કાઉન્સેલિંગ કરવામાં આવે. એઇમ્સના ડાયરેક્ટરને આદેશ આપવામાં આવ્યો કે તેઓ સમગ્ર પ્રક્રિયાનો રિપોર્ટ અદાલતને આપતા રહે.
જજોની બુદ્ધિમત્તા પર સવાલ ઉઠાવવાનો મારો જરા પણ આશય નથી. ફરિયાદીની પૃષ્ઠભૂમિ, વ્યવહાર, દોષિતો સાથેના તેના સંબંધોના આધારે તેમણે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. ચર્ચાને કોઈ અવકાશ જ નથી. પણ અહીં મેં કાયદાનાં તજ્જ્ઞ, મારાં સાથી અપૂર્વા વિશ્વનાથની મદદથી આદરણીય જજોના 12 પાનાંના આદેશમાંથી અમુક અંશ કાઢ્યા છે:
પીડિતાની જુબાની અને દલીલો દર્શાવે છે કે ત્રણ આરોપીની સાથે તેને અંતરંગ સંબંધ રહ્યા છે અને કોઈ પણ તબક્કે તેણે પોતાની માનસિક પરિસ્થિતિ કૉલેજના અધિકારીઓ કે વાલીઓ અથવા મિત્રોની સામે જાહેર કરવાનો પ્રયત્નો નથી કર્યો. દલીલ વખતે પીડિતાએ માન્યું કે હોસ્ટેલના રૂમની તપાસમાં વૉર્ડનને કોન્ડોમ મળ્યા હતા, પરંતુ વાલીઓને તેની જાણ કરવામાં આવી નહોતી. તેણે સ્વીકાર્યું કે તેને ‘ક્લાસિક’ સિગારેટ પીવાની આદત છે. તેણે નશાકારક પદાર્થ લેવાની વાત સ્વીકારી પણ કહ્યું કે એ તેણે પોતાની મરજીથી નથી લીધા. આ પદાર્થ ‘જોઇન્ટ’ હતા. આ સમગ્ર ઘટનાક્રમ યુવાનોની પતનશીલ માનસિકતા દર્શાવે છે, જેમાં નશાકારક પદાર્થો, દારૂ, અંતરંગ સંબંધો અને ચરિત્રહીનતાના કીચડમાં ખૂંપેલા સંબંધો બંધાય થાય છે. આશ્ચર્યની વાત નથી કે આપણી સામે એવી કથા છે, જેમાં ચાર યુવાન જિંદગીઓ અને એટલા જ પરિવારો રસાતળમાં પહોંચી ગયા છે.
પીડિતાનું બયાન મિત્રો સાથે તેના અનૌપચારિક સંબંધ તથા એવા સંબંધોમાં દુઃસાહસ અને પ્રયોગશીલતાની કહાણી જેવું છે. આ તથ્યો સજા મુલતવી રાખવા માટેની અરજી પર વિચાર કરવાનું અકાટ્ય કારણ દર્શાવે છે અને સમગ્ર ઘટનાક્રમ એ ખૌફનાક હિંસા નથી દર્શાવતો, જે આવી ઘટનાઓ પહેલાં અને પછી સામાન્ય રીતે થાય છે. હવે તો તમે આ લેખની શરૂઆતમાં લખેલા અંશોનો આશય સમજાઈ ગયો હશે. મારી દલીલ સ્વયંસ્પષ્ટ કરે છે. ફરીથી કહું છું કે હું જજોના તર્ક સામે સવાલ નથી ઉઠાવી રહ્યો. હું કોઈ પિતૃસત્તાક વ્યવસ્થાની કે નૈતિકતાની દુહાઈ પણ નથી આપતો. હું માત્ર યુવાનોના શારીરિક સંબંધો અને જીવનશૈલીની પસંદગી મુદ્દે વધારે સંવેદનશીલ બનવાનું સૂચન કરું છું.
જોનાથન કેપ્લનની 1988ની એવૉર્ડ વિનિંગ ફિલ્મ ‘ધ એક્યૂઝ્ડ’ જોવી સારી શરૂઆત હોઈ શકે છે. જૂડી ફોસ્ટર દ્વારા અભિનીત સામૂહિક દુષ્કર્મની શિકાર બનેલી પાત્ર વર્કિંગ વુમન છે. લિયો રોસી દ્વારા અભિનીત બચાવ પક્ષનો સાક્ષી પૂછે છે, ‘દુષ્કર્મ? આ વેશ્યા છે … તેને આ બધું પસંદ છે. હવે બીજાને દોષ આપી રહી છે.’ 1988ની ફિલ્મમાં આ દલીલને સ્વીકારાતી નથી. શું તેને 2017માં, વાસ્તવિક જિંદગીમાં સ્વીકારવી જોઈએ?
સૌજન્ય : ‘વૈચિત્રયમ્’, “દિવ્ય ભાસ્કર”, 27 સપ્ટેમ્બર 2017