સર્વોચ્ચ અદાલતની તાકીદ
મુક્ત સમાચાર અને સ્વતંત્ર અભિપ્રાયની સોઈ વિના મીડિયાની ભૂમિકા બેમતલબ બની રહેશે અને સરવાળે સરકાર સહિત સૌએ વેઠવાનું રહેશે.
જોઈએ, મહિના પછી સામાન્ય સરકારશ્રીનો વાન કેવોક ઉઘડે છેઃ સર્વોચ્ચ અદાલતે એડિશનલ સોલિસિટર જનરલને કહ્યું છે કે, પત્રકારોના ડિજિટલ ઉપકરણો મનમુરાદ કબજે ન લેવાય તે માટે ચોક્કસ માર્ગદર્શક સિદ્ધાંતો ઘડવા જરૂરી છે. આમ તો, સર્વોચ્ચ અદાલતે ઠાવકાઈથી કહ્યું છે કે, તમે કહો તો અમે ઘડી આપીએ. પણ આ કામગીરી ખરું જોતાં સરકાર તરફથી થવી જોઈએ.
ફાઉન્ડેશન ફોર મીડિયા પ્રોફેશનલ્સ અને કેટલાંક સુપ્રતિજ શિક્ષણસેવીઓએ કરેલી જનહિત યાચિકાના સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને એક મહિનાની મુદ્દતમાં માર્ગદર્શક રૂપરેખા રજૂ કરવા કહ્યું છે, ત્યારે એ સંભારવું જરૂરી છે કે 2017માં સર્વોચ્ચ અદાલતના નવ, રિપીટ, નવ ન્યાયમૂર્તિઓની બેન્ચે બંધારણની 21મી કલમ અને આનુષંગિક જોગવાઈઓ લક્ષમાં રાખી ‘રાઇટ ટુ પ્રાઇવસી’ પર મહોર મારી છે. ખાનગીપણાનો આ અધિકાર બંધારણીય ખોળાધરીપૂર્વકનો છે એમ પણ ત્યારે અસંદિગ્ધપણે કહેવાયું હતું.
આજે છ વરસ પછી વાસ્તવિકતા એ છે કે, સરકારી એજન્સીઓની ઘોંસ ને ભીંસ સામે પત્રકાર માત્રનાં ડિજિટલ ઉપકરણો, પછી તે લેપટોપ હોય કે મોબાઈલ અગર કોમ્પ્યૂટર, અસહાય ને અરક્ષિત છે. એડિશનલ સોલિસિટર એસ.વી. રાજુએ તબિયતથી કહ્યું કે, હાલના ક્રિમિનલ પ્રોસીજર કોડમાં સંબંધિત બધી જ જોગવાઈઓ છે અને પત્રકારો તેને ધોરણે વળતું રક્ષણ માગી શકે છે. વળતી વાસ્તવિકતા જોડે એ છે કે, સરકારી એજન્સીઓ જ્યારે ત્રાટકે છે અને બધું કબજે લે છે ત્યારે જે તે ડિજિટલ ઉપકરણધારીને કશું જ રક્ષણ મળતું નથી. સમાચાર સ્રોતથી માંડી તેની અંગત ને જાહેર ઉપયોગની કેટલી બધી માહિતી એમાં સંઘરાયેલી હોય છે, પણ ઉપકરણ કબજે લેવાય ત્યારે તે બેક અપ પણ લઈ શકતો નથી એ દુર્દૈવ વાસ્તવ છે.
આખો સવાલ ખરું જોતાં રાજ્યને પદરના ગરાસ પેઠે જોતી સરકારી માનસિકતાનો અને એને જોરે ઠેકાઠેક કરતી એજન્સીઓની મનસ્વિતાનો પણ છે. માર્ગદર્શક રૂપરેખાની તાકીદ કરતાં જસ્ટિસ કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશ ધુલિયાએ કરેલ ટીકાટિપ્પણ આ સંદર્ભમાં અધોરેખિતપણે ટાંકવાં જોગ છે. એમણે કહ્યું કે, પોલીસ, ઇ.ડી. (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને સી.બી.આઈ. એવી રીતે પેશ આવે છે કે જાણે સત્તા સઘળી એના ખિસ્સામાં છે. આજે ફોર્થ એસ્ટેટ – ચોથી જાગીર ગણાતા પત્રકારત્વની કામગીરી આ સંજોગોમાં વાણી અને અભિવ્યક્તિના અધિકારની દૃષ્ટિએ કેવી સ્થિતિમાં મુકાઈ શકે તે વિચારતાં કંપારી વછૂટે છે.
ખરી વાત જો કે, એ છે કે, પત્રકારત્વ પોતે પણ અત્યારે કટોકટી અને પડકારમાંથી પસાર થઈ રહ્યું છે. સત્તામાનસ તરફથી ઊભા થતાં નાનામોટા અવરોધ મુક્ત માહિતી અને સ્વતંત્ર અભિપ્રાયની એની કામગીરીને ખોડંગાવી શકે તે કોઈપણ કાળે થતું રહેતું હોય છે. બીજી પાસ, સોશિયલ મીડિયાના વિકાસ સાથે ઊભી થયેલી વિલક્ષણ પરિસ્થિતિ એ છે કે બંને મીડિયા એકબીજાની સચ્ચાઈ અને સ્વતંત્રતાનાં સામસામાં પ્રતિમાન પૂરાં પાડે છે. એક બાજુ, છપાયેલમાં ભરોસો મૂકતું પરંપરામાનસ અને બીજી બાજુ વિકલ્પે ઊભરી રહેલ સોશિયલ મીડિયા, આ બંને એકમેકનાં પૂરક બની રહી, એકબીજાને અંગે સંસ્કારક (કરેક્ટિવ) ભૂમિકા ભજવી શકે તે જરૂરી છે. પરંપરામાનસ પ્રિન્ટ મીડિયાને કેટલેક અંગે ફેરમૂલવવા તરફ વળી રહ્યું છે એ પણ વાસ્તવિકતા છે. આ સંજોગોમાં ડિજિટલ ઉપકરણો બાબતે ભીંસ અને ઘોંસની, સર્વોચ્ચ અદાલતની ભાષામાં કહીએ તો કરોડરજ્જુ સોંસરી કંપારીને, સરકારી એજન્સીઓની તાસીર પત્રકારત્વની છબીને નકો નકો બનાવી મૂકે એથી ખોવાનું સમાજે છે, અને લાંબે ગાળે સમાજના હિસ્સા તરીકે રાજકીય-શાસકીય અગ્રવર્ગે પણ, ટૂંકનજરી લાભગાળો પસાર થયા પછી વેઠવાનું રહે છે. કારણ કે, સાચા સમાચારને સ્વસ્થ સ્વતંત્ર અભિપ્રાય વિનાના શૂન્યાવકાશમાં એક તબક્કે ખુદ સરકારોને પણ અંધારામાં આથડવું રહે છે.
એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુના માધ્યમથી સર્વોચ્ચ અદાલતે મોકલેલ સંદેશ પકડાય તે એના સહિત સૌના હિતમાં હશે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 08 નવેમ્બર 2023