એક અઠવાડિયામાં ત્રણ વયોવૃદ્ધ મહાનુભાવોને આપણે ગુમાવ્યા. પહેલા લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજી, એ પછી ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને હવે પત્રકારત્વમાં ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા કુલદીપ નાયર. મારા મતે દેશના શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન હતા અને દેશના અત્યાર સુધીના શ્રેષ્ઠ સ્પીકર સોમનાથ ચેટરજી હતા. દાદાસાહેબ માવલંકર કે અનંત શ્યામ આયંગર કે બીજા કોઈ પણ સ્પીકર સ્વતંત્રતા, તટસ્થતા અને સંસદીય નીતિનિયમોની જાણકારીમાં સોમનાથદાની બરાબરી ન કરી શકે. સોમનાથ ચેટરજીના અવસાન પછી ત્રીજા જ દિવસે અટલ બિહારી વાજપેયીનું અવસાન થયું હોવાના કારણે સોમનાથદાના મૃત્યુની ઘટના ઢંકાઈ ગઈ હતી.
કુલદીપ નાયરને ભારતીય પત્રકારત્વના ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે એ તેમની તીક્ષ્ણ મેધાને કારણે કે તેમની અનનુકરણીય શૈલીને કારણે નહીં, પરંતુ હિંમત અને સપાટી નીચેના રાજકીય પ્રવાહોને પકડી પાડવાની ક્ષમતાને કારણે. તીક્ષ્ણ મેધા ગિરિલાલ જૈન અને શામલાલ જેવા પત્રકારો ધરાવતા હતા તો શૈલી ફ્રાંક મોરાયસ કે વિનોદ મેહતા ધરાવતા હતા. કુલદીપ નાયર આમાંના કોઈ ગુણ નહોતા ધરાવતા. ઊલટું હિન્દુસ્તાની ભાષામાં વિચારીને અંગ્રેજીમાં લખનારી તેમની ટિપિકલ ભારતીય દેશી અંગ્રેજી શૈલીની ઉચ્ચભ્રૂ પત્રકારો ઠેકડી ઉડાડતા હતા. કુલદીપ નાયરનો જન્મ અત્યારના પાકિસ્તાનમાં સિયાલકોટમાં થયો હતો અને તેમનું શાળાકીય શિક્ષણ ઉર્દૂ માધ્યમમાં થયું હતું. વિભાજન પછી દિલ્હીમાં સ્થાયી થયા પછી કુલદીપ નાયરે તેમની પત્રકારત્વકીય કારકિર્દી પણ ઉર્દૂ અખબારમાં સંવાદદાતા તરીકે કરી હતી. આમ તેમની દેશી અંગ્રેજી શૈલી હંમેશાં ઓક્સબ્રિજ પત્રકારોને સુગ ચડે એવી હતી.
કુલદીપ નાયર કોઈ મેધાવી પત્રકાર પણ નહોતા. શામ લાલ કે ગિરિલાલ જૈનને વાંચીએ ત્યારે તેઓ વિવિધ દ્રષ્ટિકોણનો વિશાળ કેનવાસ રચી આપતા એવું કુલદીપ નાયરમાં ક્યારે ય નહોતું બનતું. કુલદીપ નાયરનું પત્રકારત્વ એટલે રાજકીય સમીકરણો અને સતત બદલાતા રહેતા સમીકરણોની લગભગ સચોટ માહિતી આપતું પત્રકારત્વ. આને કારણે એ યુગના રાજકારણીઓ પણ કુલદીપ નાયરની બાય લાઈન (પછી એ તેમના નામની સ્ટોરી હોય કે કોલમ હોય) પર નજર રાખતા. એ પછી તો રાજકારણીઓ તેમને અંદરની ખબર આપતા રહ્યા અને એ રીતે કુલદીપ નાયર વાંચવા જ પડે એવા અનિવાર્ય પત્રકાર બની ગયા હતા. એમ કહેવાય છે કે એ જમાનામાં વડા પ્રધાનનું કાર્યાલય પણ વડા પ્રધાનના કહેવાથી કુલદીપ નાયરને ફોલો કરતું. આજની જેમ ટ્રોલ્સને નહીં, એક માતબર પત્રકારને એ સમયના વડા પ્રધાનો ફોલો કરતા.
તેમની આ ખૂબીના કારણે કલકત્તાના ‘સ્ટેટ્સમેન’ના સંચાલક રુસી ઈરાનીએ અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના માલિક રામનાથ ગોએન્કાએ ઓક્સબ્રિજ પત્રકારોને બાજુએ મૂકીને કુલદીપ નાયરને તંત્રી બનાવ્યા હતા. બહુ મોટી નવાજેશ હતી એ જમાનામાં કુલદીપ નાયર માટે. એ પહેલાં વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ તેમની મીડિયા સલાહકાર તરીકે નિમણૂક કરી હતી. બધા માટે ખપ એ વાતનો હતો કે ભારતીય રાજકારણના આંતરિક પ્રવાહોની બારીકીઓ તેઓ પકડી શકતા હતા. આ બધી પ્રતિષ્ઠાઓ તેમને ત્યારે હાથ લાગી હતી જ્યારે કુલદીપ નાયર હજુ ચાલીસીના પણ નહોતા થયા.
વિદ્વાન શૈલીબાજ નહીં, પરંતુ હાર્ડ કોર પત્રકારને મળેલી આ સિદ્ધિ હતી. કહો કે પત્રકારત્વની ઓક્સબ્રિજ સંસ્કૃિતની વચ્ચે દેશી ધીંગા પત્રકારે પોતાની જગ્યા બનાવી હતી. એ દિવસોમાં કુલદીપ નાયરે ખૂબ અસૂયાનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય સમાજ ઉપરની પાયરીએ ઉચ્ચભ્રૂથી નીચે ઊતરતા ક્રમે નિસરણી જેવો છે અને તેમાં પત્રકારો અપવાદ નથી. કોઈ પણ ભારતીય એમાં અપવાદ નથી. અંગ્રેજી ભાષા જેમના પગ ચુમતી હોય એવા બહુશ્રુત ઓક્સબ્રિજ પત્રકારોની વચ્ચે એક દેશી યુવાને જગ્યા બનાવી હતી. ઉચ્ચભ્રૂ પત્રકારો કેબિનની બહાર નહોતા નીકળતા, એપોઇન્ટમેન્ટ વિના કોઈને નહોતા મળતા અને અંગ્રેજી સિવાય દેશી ભાષામાં (આવડતી હોવા છતાં) વાત નહોતા કરતા. આના બીજા અંતિમે કુલદીપ નાયર નેતાઓના રસોયા સાથે પણ સંપર્ક ધરાવે. કોંગ્રેસમાં વિભાજન થવાનું છે અને ઇન્દિરા ગાંધીને વડા પ્રધાનપદેથી હટાવવા કોંગ્રેસના વયોવૃદ્ધ નેતાઓએ તિરુપતિમાં મળીને યોજના બનાવી છે, એ સ્ટોરી સૌ પ્રથમ કુલદીપ નાયરે આપી હતી. વિદ્વાન પત્રકારો વિવેચનની થીસિસો ભલે રચતા હોય, પણ હથોડો તો કુલદીપ નાયરે માર્યો હોય.
ધીંગા પત્રકાર કુલદીપ નાયર લોકતંત્ર, સેક્યુલરિઝમ અને સમાનતા જેવાં આધુનિક મૂલ્યો માટે પ્રતિબદ્ધ હતા. એટલે તો તેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો હતો અને જેલવાસ વેઠ્યો હતો. તેમણે દેશપ્રેમીઓની માફક ઇન્દિરા ગાંધીની માફી નહોતી માગી કે નહોતી તેમણે સહયોગ કરવાની ઓફર કરી હતી. બીમારીના નામે પેરોલ પર છૂટવાનો પણ તેમણે પ્રયાસ નહોતો કર્યો. સાવ છેલ્લે જેમને છોડવામાં આવ્યા હતા તેમાં કુલદીપ નાયર એક હતા. એ સમયે મોટાભાગના પત્રકારો સરકાર સામે ઘૂંટણિયે પડી ગયા હતા જેમ આજે જોવા મળે છે. ફરક એટલો છે કે ત્યારના પત્રકારો ડરેલા હતા, જ્યારે આજના પત્રકારો વેચાયેલા છે. કુલદીપ નાયરને ૯૫ વરસનું દીર્ઘાયુ મળ્યું એમાં તેમને આજના દિવસો પણ જોવાના આવ્યા.
કુલદીપ નાયરે આજના વસમા દિવસોમાં પણ પોતાનું ટમટમિયું ક્યારે ય બુઝાવા નહોતું દીધું. મૃત્યુ પર્યંત તેઓ લખતા રહ્યા હતા. દેશ-વિદેશના ૮૫ અખબારોમાં તેમની કોલમ છપાતી હતી અને તેમની છેલ્લી કોલમ તેમના મૃત્યુ પછી છપાઈ છે. તેઓ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની બાબતે આગ્રહી અને સક્રિય હતા. બે દેશના લોકો વચ્ચે સંબંધો વિકસે એ માટે તેઓ પ્રયત્નશીલ હતા. ૧૪મી ઓગસ્ટની રાતે કુલદીપ નાયર વાઘા બોર્ડર પર કેટલાક લોકોને લઈને મીણબત્તી સાથે દોસ્તીનો પયગામ લઈને જતા અને સામેથી પાકિસ્તાન તરફથી પણ કેટલાક લોકો આવતા હતા. અત્યારે તો આ દર વરસે ઊજવાતી વાર્ષિક ઘટના બની ગઈ છે. કુલદીપ નાયરની એવી ઈચ્છા હતી કે જેમ ૧૯૮૯માં જર્મનીમાં બર્લિનમાં બન્યું હતું, એમ સરહદની બન્ને બાજુએ લાખો લોકો જમા થયેલા હોય અને તેઓ બોર્ડરને હોવા છતાં, નિરસ્ત કરી નાખવાની માગણી કરતા હોય. તેમની હયાતીમાં તો એવો દિવસ નહીં આવ્યો, પણ આપણે તેમના સ્વપ્નને સાકાર કરવા મથતા રહીએ એ તેમને આપવામાં આવેલી અંજલિ ગણાશે.
સૌજન્ય : ‘કારણ તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 25 અૉગસ્ટ 2018