થોડા દિવસ પહેલાં બાળાઓ અને સ્ત્રીઓ પર થતા અત્યાચારો વિષે લખેલું, જેમાં મોટા ભાગના અત્યાચારો કુટુંબીઓ કે નિકટના સ્વજનો-પરિચિતો દ્વારા કરવામાં આવે છે, એ હકીકત વિષે ધ્યાન દોરેલું. તો સવાલ એ થાય કે કુટુંબ કે પરિવાર કોને કહીશું?
આ સવાલ કોઈને પણ પૂછશો તો કહેશે, પરિવાર એટલે લોહીના સંબંધે જોડાયેલ વ્યક્તિઓ જેમ કે માતા-પિતા, સંતાનો, ભાઈ-બહેનો એક છત નીચે રહે તે. પૂર્વીય દેશના લોકોને પૂછીએ તો તેમાં પિતાના ભાઈના અને પોતાના ભાઈઓના પરિવારનો ય સમાવેશ થયો હશે. દરેક સંસ્કૃતિમાં પરિવાર વ્યક્તિ તે મજ સમાજ માટે અત્યંત મહત્ત્વનું એકમ બની રહ્યું છે. સંયુક્ત કુટુંબોની અસર વ્યક્તિની સ્વતંત્રતા અને સલામતી પર સકારાત્મક અને નકારાત્મક હોય છે; તો વળી વિભક્ત અને ભગ્ન કુટુંબોના પણ લાભાલાભ અનુભવાય છે. પરિવારને સમાજના એક સ્વાભાવિક અંગરૂપ મજબૂત એકમ તરીકે જોવામાં આવતું હતું. બ્રિટનમાં બીજા વિશ્વયુદ્ધ બાદ 1945માં બેવરેજના કલ્યાણ રાજ્યની યોજના શ્વેત પ્રજાના વિભક્ત પરિવારને કેન્દ્રમાં રાખીને ઘડવામાં આવી હતી.
જ્યારે પૂછવામાં આવે કે “તમારે પરિવાર છે?” ત્યારે સામાન્ય રીતે પતિ, પત્ની અને બે કે ત્રણ બાળકોના બનેલ એકમની વાત કરતા હોઈએ છીએ. શું દરેકને માટે એવો એક પરિવાર હોવો જરૂરી છે? કેટલાક લોકોને આવા પારંપરિક ઢાંચામાં જીવવું ગૂંગળાવનારું લાગતું હોય છે. જ્યારે મોટા ભાગના લોકોને વ્યક્તિ વયસ્ક થાય એટલે પોતાની પસંદગીની વ્યક્તિ સાથે વિવાહ સંબંધથી જોડાય, બાળકો પેદા કરી તેમને ઉછેરીને સંસ્કારી નાગરિક બનાવે તે જીવનનો સ્વાભાવિક ક્રમ લાગે છે. પરિવારના સભ્ય હોવાથી લોકો તમને આદરથી જુએ અને તમને પણ કુટુંબની હૂંફ મળે જે એક પ્રકારની સ્વમાન અને સલામતીની લાગણી બક્ષતી હોય છે. કુટુંબના સભ્યો એક લોહીથી બંધાયેલા હોય, જેમનો સમાન ઉછેર એક ઢબે થયો હોય, સરખા વિચારો અને સમાન મૂલ્યો એ તેમની સમાન મૂડી હોય એટલે પરિવાર એક એવું જૂથ છે જેના સભ્યો સુખે-દુ:ખે એકબીજાને સહાય કરે.
કુટુંબ સમાજની ધરી છે. હિન્દુ ધર્મની માન્યતા મુજબ ગૃહસ્થાશ્રમ અન્ય ત્રણેય આશ્રમોને ધારનાર એક અત્યન્ત મહત્ત્વનું એકમ હોવાથી ઘણું માન ધરાવે છે. આ બધી જ વાતો પરિવાર નામના એકમની ઉજળી બાજુ દર્શાવે છે. પરિવારમાં રહેવું એ શા માટે આટલું મહત્ત્વનું ગણાય છે? માનવ કુળના સાતત્યની જાળવણી અને નૈતિક મૂલ્યોની સાચવણી હેતુ સદીઓથી પરિવાર નામની એક સંસ્થાને સમાજે ઘણું મહત્ત્વ આપ્યું છે અને તે યોગ્ય જ છે.
પરિવારનાં સ્વરૂપ અને કાર્યો વિષે વિચાર કરતાં ખ્યાલ આવશે કે તેમાં સત્તાની વહેંચણી થતી હોય છે અને તેનાથી અસમાનતા પણ ઉત્પન્ન થતી હોય છે; જેને પરિણામે પરિવારની વ્યાખ્યા બદલાતી જોવા મળે છે. જેમ કે એક સમયે લગભગ બધા સમાજોમાં સંયુક્ત કુટુંબનું અસ્તિત્વ સ્વાભાવિક અને એક માત્ર સ્વરૂપ માનવામાં આવતું હતું. કાળક્રમે વડીલોનું સત્તાધારી વલણ અને તેને પરિણામે બીજી પેઢીના છીનવતા અધિકારો દૂર કરવા વિભક્ત કુટુંબ પ્રથા પ્રચલિત થઇ જે હવે પરિવારની મુખ્ય વ્યાખ્યા બની રહી છે. પરિવાર સમાજનો અંતરંગ હિસ્સો છે અને બંને પરસ્પરને સારી અને બૂરી અસર કરનાર હોય છે. મોટા ભાગના લોકોને પોતાના પરિવાર પાસેથી અત્યંત સુખદ અનુભૂતિઓ સાંપડી હોય છે, તો કેટલાકનું જીવન દુઃખમાં રોળાઈ ગયું હોય છે. આવા પરિવારો વ્યક્તિમાં હતાશા અને સમસ્યાત્મક વર્તનભાત પેદા કરીને સમાજ માટે પ્રશ્નો ઊભા કરે છે. આથી જ તો વ્યક્તિગત તેમ જ સામાજિક સ્તરે જીવનના ઘટનાક્રમ સમજવા પરિવારનું જીવનમાં સ્થાન સમજવું જરૂરી છે.
પરિવાર એક એવો ખ્યાલ છે જે કેટલાંક મૂલ્યોની જાળથી ગૂંથાયેલ સંગઠન છે, કે જેમાં ઈચ્છાઓ અને કૈંક અંશે ભયનો પણ સમાવેશ થતો હોય છે. મોટા ભાગના લોકો પરિવારને એક શક્તિશાળી આદર્શ એકમ તરીકે જુએ અને તેથી જ તો પારિવારિક બાબતો વિષે કાજી થયા વિના વાત કરવી મુશ્કેલ બને છે. એક પરિવારના સભ્યોનો પરસ્પરનો વ્યવહાર સાચો છે કે ખોટો, ન્યાયી છે કે અન્યાયી તેની મુલવણી કરવી કઠિન હોય છે કેમ કે કુટુંબ એ અત્યન્ત નિકટની અને પરિચિત વ્યક્તિઓના સમૂહની એક એવી હસ્તી છે જેના વિષે લોકો સામાન્ય રીતે ચર્ચા નથી કરતા હોતા.
આજકાલ સમાજમાં વધતા જતા ગુનાઓ, માનસિક બીમારીઓ, યુવાનોમાં વધતું આત્મહત્યાનું પ્રમાણ વગેરે મુદ્દાઓની ચર્ચા દરમ્યાન ‘વિઘટિત કુટુંબ વ્યવસ્થા કારણભૂત છે’ એમ સતત સાંભળવા મળે છે. કેટલાક ઉદાહરણો અહીં પ્રસ્તુત છે:
સમાજની સમતુલા જોખમાય ત્યારે અન્ય પરિબળોની સાથે સાથે કુટુંબ વ્યવસ્થાનો તેમાં શો ફાળો છે તે પણ જોવાય તે જરૂરી છે. પરિવારમાં કેટલાક સભ્યો દ્વારા ભોગવાતી સત્તા અને તેનું ચુસ્તપણે કરાવાતું પાલન અસમાનતા પેદા કરે, જેનાથી ઉપર ઉલ્લેખ કર્યો તેમાંના કોઈ પ્રશ્નો ઊભા થઇ શકે. સ્થાનિક કાઉન્સિલ અને દેશની નીતિ અને કાયદાઓ ઘડવામાં આ બાબતો ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. જ્યારથી પરિવારની વ્યાખ્યામાં સંતાનો સાથે તેનાં વૃદ્ધ માતા-પિતાનો સમાવેશ થતો અટક્યો ત્યારથી તેમને માટે વૃદ્ધાશ્રમો અને નર્સિંગ હોમની વ્યવસ્થા કરવી સરકાર અને ખાનગી સંગઠનો માટે એક ફરજ બની ગઈ. નિકટ સંબંધોવાળા પરિવારો અને સમાજનો ઢાંચો બદલાયો ત્યારથી યુવાન પેઢીને નડતા કેટલાક પ્રશ્નો હલ કરવા વડીલો અને પાડોશીઓ મદદરૂપ થતા, તેને બદલે વિશિષ્ટ તાલીમ પામેલા કાઉન્સેલરોની મદદ ઊભી કરવી પડી છે. જાહેર માહિતીના-પ્રસારણના સાધનો મારફત પરિવારોનાં રોજિંદા જીવનમાં સહાયભૂત થનારા તેમ જ દખલગીરી કરનારા અનેક જૂથ ઊભરી આવ્યા છે.
મોટા ભાગના પરિવારોના વડીલો, સામાજિક કાર્યકરો અને વહીવટકર્તાઓ પાસેથી ‘હવે પરિવારની પરિભાષા જ બદલાઈ ગઈ છે’ એવું વિધાન વારંવાર સાંભળવા મળે છે. પણ આવી ભાવનાત્મક સંસ્થાઓના અર્થ ગમે ત્યાંથી ટપકી નથી પડતા, આપણે જે રીતે જીવન જીવીએ છીએ તેના પરથી નવા નવા અર્થો ઊભરતા હોય છે. આપણે જે સંયોગોમાં રહીએ તેના સંદર્ભો બદલાય અને પરિણામે પરિવાર જેવી અત્યંત રોજિંદી અને સ્વાભાવિક લાગતી હસ્તીનો માયનો પણ બદલાય. વિકસિત સમાજોમાં કુટુંબના સભ્યોના એકબીજા સાથે અથવા દૂર રહેવાની પરિસ્થિતિ, કેટલાક ભૌતિક પરિબળો, સંદેશ અને વાહન વ્યવહારનાં સાધનો, જાહેર પ્રસારનાં માધ્યમો અને કાયદાકીય તથા સંસ્થાકીય માળખા પણ પરિવારના બંધારણ અને તેની ઉપયોગિતા પણ સારી કે બૂરી અસર કરતા હોય છે.
એક બીજી વાત પણ નોંધવા યોગ્ય છે. પરિવારોનું માળખું જ મૂળે એવું હતું અને છે કે તેમાં કેટલીક બાબતો ‘બહારના બીજા લોકો’થી ગોપનીય રાખવાની અપેક્ષા હોય છે, તેમને પારિવારિક બાબતોમાં દખલ કરવાની પરવાનગી નથી હોતી. એ રીતે જોઈએ તો દરેક પરિવારને પોતાનું અલગ વિશ્વ હોય છે. પરિણામે સુખી પરિવાર સમાજને આશીર્વાદરૂપ નીવડે, પરંતુ કોઈ કોઈ કિસ્સાઓમાં તેની સત્તા વ્યક્તિગત સલામતી અને સ્વતંત્રતાને જોખમમાં મૂકી દે અને તે વિષે બૃહદ્દ કુટુંબ, પાડોશ, અન્ય સામાજિક સંસ્થાઓ કે સરકારી સંગઠનો કઇં મદદ ન કરી શકે એ પણ સંભવ છે. પરિવારના લાભો અગણિત છે તે સર્વસ્વીકાર્ય બાબત છે, છતાં જીવનની કેટલીક કરુણ પરિસ્થિતિઓ અને ઘટનાઓ પણ ત્યાં જ બનવા પામે છે. પરંતુ પરિવાર હોવો એ કુદરતી છે, તે વ્યક્તિના ભલામાં જ અમુક નિયમોનું પાલન કરે-કરાવે છે એવી ધારણાઓ હજુ પણ જળવાઈ રહેવાને કારણે વ્યક્તિ કે સમાજને હાનિકારક હોય તેવા વલણને બદલવા વિશેષજ્ઞો અને નીતિ ઘડનારાઓ માટે એક પડકાર ઊભો થતો હોય છે.
પરિવાર સમાજનું એક અનિવાર્ય અને જરૂરી અંગ મનાતું આવ્યું છે, જે વ્યક્તિ અને સમાજને ઘડનારું અને તેથી લાભદાયી જ હોય તેવી માન્યતા રહી છે. આમ છતાં છેલ્લા કેટલાક દાયકાઓથી જાણે એ માન્યતામાં ધરખમ બદલાવ આવતો અનુભવાય છે. એક બાજુથી પરિવાર શબ્દ મધુર લાગણીઓ અને નૈતિક મૂલ્યો સાચવનાર સંગઠનનું દ્યોતક લાગે છે તો બીજી બાજુ એવા સવાલો પણ પુછાઈ રહ્યા છે કે પરિવારો સમાજ માટે કઈ રીતે લાભદાયી કાર્યો કરે છે? શું ઔદ્યોગિક ક્રાંતિ બાદ પરિવારોનું માળખું બદલાયું નથી? દુનિયા આખીમાં પરિવારોનું સરખું સ્વરૂપ ઉપસવા લાગ્યું છે? તેનું એક ઉદાહરણ લઈએ. પહેલાં પશ્ચિમના દેશોમાં વિભક્ત કુટુંબ પ્રથા વધુ પ્રચલિત હતી, હવે પૂર્વીય દેશોમાં પણ એ જ સ્થિતિ જોવા મળે છે. ઘરડાઘર એ પશ્ચિમી સમાજની ઊભી કરેલી વ્યવસ્થા હતી જે આજે ભારતમાં અનેક સ્થળોએ ફૂટી નીકળેલી જોવાં મળે છે. આથી જ તો કદાચ પરિવારની સ્પષ્ટ વ્યાખ્યા નિશ્ચિત કરવાની જરૂર ઊભી થઇ છે, જેથી સામાજિક નીતિઓ ઘડનારા અને અલગ અલગ વ્યવસાયના તજ્જ્ઞો તેને અનુરૂપ કાયદાઓ ઘડી શકે અને રાજ્ય પોતાના નાગરિકોને તેમની જરૂરિયાત મુજબની સવલતો પૂરી પાડી શકે.
પરિવારના સભ્યો વચ્ચેની વાતચીતમાં સામાન્ય સંજોગોમાં વ્યક્તિ પોતાના પરિવાર માટે શું લાગણી અનુભવે છે, તેના દરેક સભ્ય પ્રત્યે તેની શી ફરજો છે કે લગ્ન વગેરે જેવા પ્રસંગે કોને આમંત્રણ આપવું વગેરે મુદ્દાઓનો સમાવેશ થતો હોય છે. જ્યારે સમાજના ધારાધોરણથી અલગ હઠીને કોઈ સભ્ય જુદું પગલું ભરે, ત્યારે પોતાના પરિવારમાં કોનો સમાવેશ કરવો, કોને બાતલ ગણવા, કોને વારસા હકમાંથી કાઢી મૂકવા વગેરે જેવા વિવાદ ઊભા કરે તેવા પ્રશ્નો ચર્ચાતા હોય છે, જે પરિવારને કાં તો એક સૂત્રે બાંધે અથવા છિન્નભિન્ન કરી નાખે. પરિવાર નામની સંસ્થા ઇતિહાસ અને સંસ્કૃતિ માટે ઘણી મહત્તા ધરાવે છે. એક ખાસ પ્રકારના સમૂહને આપણે પરિવાર તરીકે ઓળખીએ છીએ, જેના સભ્યોને આપણે જોઈ શકીએ છીએ પરંતુ, પરિવારને જોઈ નથી શકતા. ઘણા કિસ્સાઓમાં લોકો પોતાના પરિવારના સભ્યોમાં જન્મના બંધનથી બંધાયેલા કે કાયદેસરના સંબંધોમાં સમિવિષ્ટ ન હોય તેવા લોકોની ગણતરી પણ કરતા હોય છે. આમ જુઓ તો માનવ જાતે બનાવેલ આ એક એવું સંકુલ છે જે વડીલો અને સંતાનોનો સમુચ્ચય જ છે. ખરેખર તો પરિવાર એ કોઈ ઠોસ વસ્તુ કે હસ્તી નથી પણ પરસ્પરના સંબંધોને ખાસ અર્થ આપીને એકબીજા સાથે જોડાવાની એક પરંપરા છે.
ઔદ્યોગિક ક્રાંતિ બાદ શહેરીકરણ વધવાની સાથે વ્યવસાયને અંગે પોતાના મૂળ પરિવારથી દૂર રહેવાનું વધ્યું તેથી પરિવારની રચના અને તેનો અર્થ ઘણો બદલાયો. આમ છતાં પરિવારને લાગતા પ્રસંગો જેમ કે જન્મ, લગ્ન, માંદગી અને મૃત્યુ હજુ પણ દરેકના જીવનમાં અત્યંત મહત્ત્વ ધરાવે છે. સામાન્ય રીતે માતાનું કામ ઘરને એક પરિવાર બનાવવાનું હોય છે. એક સુંદર પરિવાર બનાવવા બે મુખ્ય પ્રક્રિયા હોય છે : એક, પરસ્પર વચ્ચે સાથ સહકાર ભર્યા સંબંધ કેળવવા, સુમેળભર્યો વ્યવહાર કરવો, ઘરના સભ્યોને એક સાંકળે બાંધીને એક અર્થપૂર્ણ એકમ બનાવવું, અને બીજું, પરિવાર માટે એક સ્પષ્ટ સીમા રેખા દોરવી જે સમાજના અન્ય સંકુલો કરતાં તેને ભિન્ન રાખે અને તેની ઓળખ કાયમ રહે. કોઈ પરિવાના સભ્યો નિકટ છે અને એક છે તે શાના પરથી પારખી શકાય? એક ઘરમાં સાથે રહેવું, સાથે ભોજન લેવું, સાથે રમતો રમવી કે ફરવા જવું અને એ રીતે સાથે સમય વિતાવવો વગેરે લક્ષણો પારિવારિક ઐક્ય અને સુસંવાદિતાની સાબિતી આપતા હોય છે. બાળકોનો જન્મ અને તેમની હાજરી પરિવારના ગઠનને વધુ મજબૂત બનાવતું હોય છે. જે લોકોને આવા પારંપરિક ઢાંચામાં ઢળવાનું મંજૂર નથી હોતું તેઓને કુટુંબ અને સમાજથી અળગા પાડી દેવામાં આવે તેવું પણ બને.
પરિવારનાં સ્વરૂપમાં ચાહે ગમે તે બદલાવ આવે, તેની વ્યાખ્યાઓ ભલે બદલે, પણ વ્યક્તિ અને સમાજ માટે એ એકમ હંમેશ એક નવી પેઢીઓને જન્મ આપી, કેળવીને સંસ્કૃત નાગરિકો આપનાર એકમ કાયમ બની રહે એ જોવાનું રહેશે અને તો જ માનવ સંસ્કૃતિ ટકશે.
(મુખ્ય સ્ત્રોત: ઓપન યુનિવર્સીટીનો અભ્યાસક્રમ)
e.mail : 71abuch@gmail.com