પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે તા. ૧૮ ઑગસ્ટના રોજ શપથ લેનાર ઇમરાન ખાને ‘નયા પાકિસ્તાન’ની રચના માટે વચન ઉચ્ચારેલ છે. તેમણે કહ્યું કે નયા પાકિસ્તાનની રચના કરતી વખતે મહમદઅલી ઝીણા અને ઇકલાલે સૂચવેલ માર્ગ અપનાવશે. ઝીણાએ પાકિસ્તાનને રૂઢિચુસ્ત ઇસ્લામી રાજ્ય તરીકે જોવાને બદલે ઉદાર મતવાદી લોકશાહી રાષ્ટ્રની કલ્પના કરી હતી. પાકિસ્તાનમાં નવા શાસનની સ્થાપના થઈ રહી છે, તેવા સમયે ભારત અને પાકિસ્તાનનાં બંધારણીય પાસાંઓ વચ્ચે સરખામણી કરવાનું રસપ્રદ રહેશે.
બંધારણ : પાકિસ્તાન બંધારણમાં ‘સર્વશક્તિમાન અલ્લાહ’ અને પાકિસ્તાનના સ્થાપક તરીકે ‘કાયદે આઝમ’ મહંમદઅલી ઝીણાનો ઉલ્લેખ કરાયો છે. ભારતના બંધારણના આમુખમાં ઈશ્વર કે મહાત્મા ગાંધીનો નામોલ્લેખ નથી, કારણ કે બંધારણસભાએ આવો કોઈ ઉલ્લેખ બંધારણમાં કરવાની દરખાસ્ત નકારી હતી. પાકિસ્તાનના બંધારણમાં ‘લઘુમતીઓ, પછાત અને હાંસિયામાં ધકેલાયેલ વર્ગોના કાયદેસરનાં હિતોના પૂરતા રક્ષણનું તેમ જ સ્વતંત્ર ન્યાયતંત્રનું વચન અપાયેલ છે. ભારતના બંધારણમાં લઘુમતીઓને કેટલાક મૂળભૂત અધિકારો પ્રદાન કરાયા છે, પરંતુ તેમાં સ્વતંત્ર ન્યાયતંત્રનું વચન અપાયેલ નથી. ન્યાયતંત્ર સ્વતંત્ર રહે તે માટે બંધારણમાં કેટલાક પ્રબંધો કરાયા છે.’
પાકિસ્તાનના બંધારણમાં ગુપ્તતાનો અધિકાર (Right to Privacy) માન્ય કરાયો છે. ભારતના બંધારણમાં આ અધિકારનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. જો કે આપણી સર્વોચ્ચ અદાલતે ગત વર્ષે એક ચુકાદાથી આ અધિકાર મૂળભૂત અધિકાર તરીકે માન્ય કરેલ છે. ઉપરાંત પાકિસ્તાન બંધારણમાં ૫ થી ૧૬ વર્ષનાં બાળકોના શિક્ષણનો અધિકાર માન્ય કરાયો છે. ભારતના બંધારણમાં ૨૦૦૧ના વર્ષમાં બંધારણમાં ૮૬મા સુધારાથી ૬ થી ૧૪ વર્ષનાં બાળકો માટે નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણની મૂળભૂત અધિકાર તરીકે જોગવાઈ કરાયેલ છે અને તે અંગેનો કાનૂન પણ તા. ૧-૪-૨૦૧૦થી અમલમાં છે.
પાકિસ્તાનના બંધારણમાં માહિતી-અધિકાર (Right to Information)ની બાંયધરી ઉપરાંત માનવ ગૌરવનો ઉલ્લંઘન ન કરી શકાય તથા અધિકાર તરીકે સ્થાન અપાયું છે, જ્યારે ભારતમાં સ્પષ્ટપણે બંધારણમાં માહિતી-અધિકારને સ્થાન અપાયું નથી. સર્વોચ્ચ અદાલતના એક ચુકાદાથી માહિતી-અધિકારને મૂળભૂત અધિકાર તરીકે ગુણાયેલ છે. ઉપરાંત ભારતની સંસદે માહિતી અધિકાર ધારો, ૨૦૦૫ ઘડી તેને લાગુ કરેલ છે.
પાકિસ્તાનમાં અખબારી સ્વાતંત્ર્યને સ્પષ્ટ માન્યતા બંધારણથી પ્રદાન કરાયેલ છે, પરંતુ આ સ્વાતંત્ર્ય ‘ઇસ્લામના ગૌરવ’ને આધીન છે, જ્યારે ભારતીય બંધારણમાં અખબારી સ્વાતંત્ર્યના કોઈ સ્પષ્ટ ઉલ્લેખનો અભાવ છે. સર્વોચ્ચ અદાલતના એક ચુકાદાથી તેને અનુચ્છેદ ૧૯(૧)(એ) હેઠળ વાણી અને અભિવ્યક્તિસ્વાતંત્ર્યના ભાગ તરીકે મૂળભૂત અધિકાર તરીકે સ્થાન મળેલ છે. પાકિસ્તાનમાં ધર્મસ્વાતંત્ર્યનો અધિકાર, અન્ય મૂળભૂત અધિકારો, નીતિમત્તા, જાહેર આરોગ્ય, કાયદો અને વ્યવસ્થાને આધીન છે, પરંતુ આ બાબતે એક તફાવત નોંધવો રહ્યો કે ભારતીય બંધારણ હેઠળ ધર્મસ્વાતંત્ર્યનો અધિકાર, પાકિસ્તાનની માફક, માત્ર નાગરિકોને નહીં, પરંતુ દરેક વ્યક્તિને ઉપલબ્ધ કરાયેલ છે.
ન્યાયતંત્ર : પાકિસ્તાન સરકારની ત્યાંની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂકમાં કોઈ ભૂમિકા હોતી નથી. પાકિસ્તાન-બંધારણ અનુચ્છેદ ૧૭૫ એ(૩)માં માત્ર એટલું જણાવાયેલ છે કે રાષ્ટ્રપ્રમુખ સૌથી સિનિયર ન્યાયાધીશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક કરશે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક, બઢતી અને બદલી બાબતે ઘડેલ કાનૂન National Judicial Appointments Commission. Act,-૨૦૧૪, સર્વોચ્ચ અદાલતે ૨૦૧૫માં ગેરબંધારણીય ઠરાવેલ છે.
પાકિસ્તાનના બંધારણમાં કોઈ ન્યાયાધીશના ગેરવર્તન બાબતે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ, અન્ય બે સિનિયર ન્યાયાધીશો અને વડી અદાલતના બે સિનિયર મુખ્ય ન્યાયાધીશોની બનેલી ન્યાયિક પરિષદ રચવાની જોગવાઈ છે. જો આ પરિષદ એવા તારણ પર આવે કે તે ન્યાયાધીશ પોતાની ફરજો બજાવવા અસમર્થ અથવા ગેરવર્તન બદલ દોષિત છે, તો રાષ્ટ્રપ્રમુખ તરફથી તે ન્યાયાધીશ સામે મહાભિયોગ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જ્યારે ભારતના બંધારણમાં સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતના ન્યાયાધીશ સામે ‘પુરવાર થયેલ ગેરવર્તન અથવા અસમર્થતા’ના કારણસર સંસદને મહાભિયોગ કાર્યવાહી કરવાની સત્તા છે.
ચૂંટણીઓ : પાકિસ્તાનમાં ચૂંટણીપૂર્વે વડાપ્રધાને રાજીનામું આપવાની જોગવાઈ છે. આવા પ્રસંગે વડાપ્રધાન અને વિરોધપક્ષના નેતા મળી રખેવાળ વડાપ્રધાન પસંદ કરે છે. જો તેઓ વચ્ચે આ બાબત અસંમતિ થાય, તો દરેક પોતાના પક્ષે બે નામો સંસદ-અધ્યક્ષને મોકલશે અને તેઓ આ નામો સંસદીય સમિતિને મોકલી આપશે. પાકિસ્તાનમાં ૨૫ જુલાઈ, ૨૦૧૯ના રોજ થયેલ ચૂંટણી અગાઉ રખેવાળ વડાપ્રધાન તરીકે નસીર ઉલ મુલ્કની પસંદગી થઈ હતી અને તેઓ ચૂંટણી સુધી ચાલુ રહ્યા હતા. ભારત અને પાકિસ્તાન, બંને દેશોમાં ચૂંટણીપંચ છે. ભારતમાં ચૂંટણી કમિશનરની પસંદગી સરકાર કરે છે અને તેઓ આઈ.એ.એસ. હોય છે. જ્યારે પાકિસ્તાનમાં ચૂંટણી-કમિશનર સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતના વર્તમાન કે નિવૃત્ત ન્યાયાધીશ હોય છે. અથવા આવા ન્યાયાધીશ બનવાની લાયકાત ધરાવે છે. વડાપ્રધાન, વિરોધપક્ષના નેતા સાથે પરામર્શ કરી ત્રણ નામો, ૧૨ સભ્યોની બનેલી સંસદીય સમિતિને મોકલે છે. આ સમિતિમાં સરકાર અને વિરોધ પક્ષનું સમાન સ્થાન હોય છે. પાકિસ્તાન ચૂંટણીપંચમાં પંજાબ, સિંધ, બ્લુિચસ્તાન તેમ જ ખૈબરપ્રાંતની અદાલતમાંથી એક ન્યાયાધીશ ચૂંટણીપંચ કમિશનર બને છે. પાકિસ્તાનમાં ૨૦૧૭માં કાનૂનથી ચૂંટણીપંચને નાણાકીય સ્વાયત્તતા પણ પ્રદાન કરાયેલ છે, જ્યારે ભારતમાં ચૂંટણીપંચે નાણાં માટે કેન્દ્ર સરકાર પાસે હાથ લંબાવવો પડે છે.
પાકિસ્તાનમાં ચૂંટણી માટે મુસ્લિમ ઉમેદવારો સારાં ચારિત્ર્યનો, પ્રામાણિક અને ન્યાયી વલણ ધરાવતા હોવા જોઈએ. ઉપરાંત તેમને ઇસ્લામનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. તેમણે કોઈ મોટું પાપ આચરેલ હોવું જોઈએ નહીં. નવાઝ શરીફ છેલ્લી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ગેરલાયક ઠરાવાયા હતા. ભારતમાં ચૂંટણી-ઉમેદવાર માટે ઉંમર અને માનસિક સ્વચ્છતા સિવાય અન્ય કોઈ લાયકાત નિયત કરાયેલ નથી.
સરકારની રચના : પાકિસ્તાનમાં વડાપ્રધાન અને પ્રાંતીય મુખ્ય પ્રધાનોને નવા ચૂંટાયેલ ગૃહ ચૂંટે છે. ભારતની માફક ત્યાંના રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલની કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન હોય, તો પણ સરકારની રચનામાં કોઈ ભૂમિકા હોતી નથી. ઇમરાન ખાને તેના હરીફ શાહબાઝ શરીફને રાષ્ટ્રીય ધારાસભામાં પરાજિત કર્યા. ખાનને ૧૭૬ અને શરીફને ૯૬ મત મળ્યા હતા. પાકિસ્તાન બંધારણમાં વડાપ્રધાન કે મુખ્ય પ્રધાને વિશ્વાસનો મત લેવાની કોઈ જોગવાઈ નથી. ૨૦ ટકા સભ્યો અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે. ગૃહની કુલ સભ્યસંખ્યાની બહુમતીથી અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થઈ શકે છે, જ્યારે ભારતમાં ગૃહમાં હાજર અને મતદાન કરતા સભ્યોની સાદી બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ શકે છે.
અનામત બેઠકો : પાકિસ્તાન રાષ્ટ્રીય ધારાસભામાં કુલ ૩૪૨ બેઠકો છે. તેમાં ૬૦ બેઠકો સ્ત્રીઓ અને ૧૦ લઘુમતીઓ માટે અનામત હોય છે. પ્રાંતીય ધારાસભામાં પણ સ્ત્રીઓ અને લઘુમતીઓ માટે અનામત બેઠકો રાખવામાં આવેલ છે. પક્ષોએ ૫ ટકા ટિકિટો સામાન્ય બેઠકોમાં મહિલાઓને આપવી જોઈએ. જો ૧૦ ટકા કરતાં ઓછી મહિલા મતદાન કરે, તો પરિણામ વ્યર્થ થાય છે.
(તા. ૨૨ ઑગસ્ટ, ’૧૮ના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં હૈદરાબાદ નૅશનલ લૉ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ફૈઝાન મુસ્તફાના લેખનો અનુવાદ)
પાલનપુર
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2018; પૃ. 11-12