દર વર્ષે પ્રજાસત્તાક પર્વે પદ્મ પુરસ્કારોની જાહેરાત સરકાર દ્વારા થતી હોય છે ને યોગ્ય વ્યક્તિ સુધી સરકારનું સન્માન પહોંચે એવો આશય તેમાં હોય છે. સરકાર દ્વારા યોગ્ય વ્યક્તિની કદર થાય અને તેને યોગ્ય રીતે પોંખવામાં આવે એ ઉપક્રમની સરાહના જ કરવાની રહે. વર્ષમાં એક વાર પદ્મ પુરસ્કારો જાહેર થાય છે એમાં જાણી જોઈને તો કોઈ નબળી વ્યક્તિનું સન્માન કરવાની ગણતરી ન જ હોય, પણ સરકાર સુધી નબળી વ્યક્તિ પણ પહોંચતી હોય એ સાવ અશક્ય તો નથી. ભલામણ યોગ્ય વ્યક્તિની ન પણ થાય ને એવે વખતે અયોગ્ય વ્યક્તિ પણ પુરસ્કાર સુધી પહોંચે એમ બને, પણ હેતુ તો યોગ્યની કદર કરવાનો જ છે તે વાત ભૂલવા જેવી નથી. એવું પણ બનવા સંભવ છે કે યોગ્ય વ્યક્તિની કદર યોગ્ય સમયે ન થાય ને જ્યારે થાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય, તે છતાં મોડું તો મોડું સન્માન યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે તો તેનો ઉદાર હૃદયે સ્વીકાર કરીને વ્યક્તિ પોતાની ગરિમાનું પ્રમાણ તો આપી જ શકે.
પદ્મ પુરસ્કારોની સ્થાપના 1954માં કરવામાં આવી ને એની ઘોષણા દર વર્ષે ગણતંત્ર દિવસે કરવામાં આવે છે. આ પુરસ્કાર કળા, સાહિત્ય, શિક્ષણ, ચિકિત્સા, રમતગમત, સમાજસેવા, ઉદ્યોગ, વ્યાપાર … જેવાં તમામ ક્ષેત્રોમાં વિશિષ્ટ સેવા બદલ આપવામાં આવે છે. આ પુરસ્કાર જાતિ કે લિંગભેદ વગર કોઈ પણ વ્યક્તિને આપવામાં આવે છે. ડોકટરો અને વૈજ્ઞાનિકો સિવાય, સરકારી કર્મચારીઓ પદ્મ પુરસ્કાર માટે પાત્ર ગણાતા નથી એટલું સારું છે, નહિતર એ સાધારણ લોકો સુધી ખાસ પહોંચ્યા ન હોત ! આ ભલામણો કોઈ પણ નાગરિકથી માંડીને કેન્દ્ર, રાજ્ય પૂર્વ વિજેતાઓમાંથી કોઈ પણ કરી શકે છે ને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જે ઉત્કૃષ્ટ છે તેની સેવાઓ સુધી આ પુરસ્કાર માનભેર પહોંચે.
આ વર્ષે કુલ ચાર વ્યક્તિને પદ્મ વિભૂષણ સન્માન જાહેર કરવામાં આવ્યું, તો 17 વ્યક્તિને પદ્મભૂષણ સન્માનો તથા 107ને પદ્મશ્રી એવોર્ડ જાહેર કરવામાં આવ્યા. ગયાં વર્ષે જેમનું હવાઈ દુર્ઘટનામાં અવસાન થયું તે CDS બિપિન રાવતને મરણોપરાંત પદ્મ વિભૂષણ સન્માન જાહેર થયું તે બધી રીતે યોગ્ય જ હતું. આ ઉપરાંત ભા.જ.પ.ના પૂર્વ નેતા કલ્યાણસિંહ, ગીતા પ્રેસ, ગોરખપુરના પ્રમુખ રાધેશ્યામ ખેમકાને પણ મરણોત્તર પદ્મ વિભૂષણ સન્માન જાહેર થયું. આ ઉપરાંત કાઁગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, માઈક્રોસોફ્ટના સી.ઇ.ઓ. સત્ય નડેલા, એસ.આઇ.આઇ.ના એમ.ડી. સાયરસ પુનાવાલા, સ્વામી સચ્ચિદાનંદ …ને પદ્મ ભૂષણથી સન્માનવામાં આવશે, તો સવજી ધોળકિયા, સોનુ નિગમ, ખલીલ ધનતેજવી જેવા 107ને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
એકંદરે પદ્મ પુરસ્કારો યોગ્ય વ્યક્તિ સુધી પહોંચતા હોય છે, છતાં ક્યારેક તે વિવાદ પણ નોતરતા હોય છે. અગાઉ પણ પદ્મ પુરસ્કારો જે તે વ્યક્તિએ નકાર્યાના દાખલાઓ મળી રહે એમ છે, એ જ રીતે આ વખતે પણ પુરસ્કારો નકારવાનું 26જાન્યુઆરીથી જ શરૂ થઈ ગયું છે. કમનસીબે ત્રણ વ્યક્તિઓએ પદ્મ પુરસ્કારો સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે ને એ ત્રણે બંગાળીઓ છે. વૃદ્ધ સામ્યવાદી નેતા અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય મંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યે કેન્દ્ર સરકાર તરફથી જાહેર થયેલ પદ્મભૂષણ પુરસ્કાર સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. તેમને આવાં પુરસ્કારની જાણ નથી ને કોઈએ તે અંગે જણાવ્યું નથી એમ કહીને ભટ્ટાચાર્યે જણાવ્યું કે મને પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી હોય તો હું તે સ્વીકારવાનો ઇન્કાર કરું છું. પૂર્વ સી.એમ.નાં પત્ની મીરાં ભટ્ટાચાર્યે પતિના નિર્ણયને યોગ્ય ઠેરવતાં કહ્યું છે કે બુદ્ધદેવ શારીરિક રીતે અશક્ત હોય તો પણ નિર્ણયો લેવામાં તે હજી પણ સ્વસ્થ અને મક્કમ છે. સી.પી.એમ. આમ પણ આવાં પુરસ્કારોને નકારતી આવી છે ને અમારું કામ સામાન્ય લોકો માટે છે, એવોર્ડ માટે નથી. સી.પી.એમ.ની કેન્દ્રીય સમિતિના એક સભ્યે પણ કહ્યું કે સામ્યવાદીઓ એવોર્ડ માટે કામ કરતાં નથી. આમ તો બુદ્ધદેવે બંગાળની જનતાને ભા.જ.પ.ના કહેવાતાં જોખમ સામે ચેતવી હોય ત્યારે એ જ સરકાર તરફથી પદ્મભૂષણ પુરસ્કાર અપાય તો પાર્ટીની જ નીતિ રીતિ પ્રમાણે તે ન સ્વીકારાય એમાં જ પાર્ટીનું ગૌરવ જળવાય. ભા.જ.પ.ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે પણ કહ્યું કે દેશે તો બુદ્ધદેવને સન્માનિત કરવાનું નક્કી કર્યું, હવે એ સન્માન સ્વીકારવું કે નકારવું એ તેમણે નક્કી કરવાનું છે.
જાણીતા બંગાળી ગાયિકા સંધ્યા મુખરજીએ પણ પદ્મશ્રી નકાર્યો છે. સંધ્યા મુખરજી પાસે સન્માન અંગે સંમતિ માંગવામાં આવી તો તેમણે નકાર સંદર્ભે પ્રશ્નો ઊભા કર્યા હતા. જેમ કે, કોઈ આ રીતે પદ્મશ્રી આપે છે? શું તેમને મારે વિષે કોઈ જાણકારી નથી? 90 વર્ષે મારે પદ્મશ્રી લેવો હશે? હવે કલાકારની કોઈ ઇજ્જત જ નથી રહી. સંધ્યાની વાતોમાં તથ્ય છે. છેક 1971માં ‘જયજયંતી’ અને ‘નિશિપદ્મ’ માટે શ્રેષ્ઠ ગાયિકાનો રાષ્ટ્રીય પુરસ્કાર સરકારે જ આપ્યો હોય તેને 50થી વધુ વર્ષે પદ્મ પુરસ્કાર આપવાનું યાદ આવે એ વિચિત્ર જ છે ને ! 2011માં રાજ્ય સરકારે ‘બંગવિભૂષણ સન્માન’થી સંધ્યા મુખર્જીનું સન્માન કર્યું હોય ત્યાં 2022માં પદ્મશ્રીનું સન્માન મોડું અને ઓછું છે. દેખીતું છે કે તે સન્માન નકારતાં કહે કે મને પદ્મશ્રીની જરૂર નથી, શ્રોતા જ મારે માટે બધું છે.
પદ્મશ્રી સન્માન નકારનાર ત્રીજા કલાકાર પંડિત અનિંદ્ય ચેટરજી પણ બંગાળી છે. 67 વર્ષનાં આ તબલાવાદકે સ્થાનિક ટી.વી. ચેનલને મુલાકાત આપતા કહ્યું કે હવે આ ઉંમરે પદ્મશ્રી મળવો એ સન્માનજનક નથી. ખરેખર તો આ પુરસ્કાર મને દસ વર્ષ વહેલો મળવો જોઈતો હતો.
આમ પણ ભા.જ.પ.નું શાસન જે રાજ્યોમાં નથી એ રાજ્યોને કોઈકને કોઈક રીતે અન્યાય થયાનું લાગ્યા કરતું હોય છે. આ વખતે પ્રજાસત્તાક દિને કેરળ, તમિલનાડુ અને બંગાળની ઝાંકીનો કેન્દ્ર દ્વારા સ્વીકાર કરવામાં ન આવ્યો, એ વાતે આ રાજ્યોએ અસંતોષની લાગણી વ્યક્ત કરી છે. મોદી અને મમતા વચ્ચે આમ પણ કશ્મકશ ચાલ્યા જ કરે છે. 2021માં પણ બંગાળની ઝાંકીનો ગણતંત્ર પરેડમાં સ્વીકાર થયો ન હતો, આ વખતની ઝાંકી સુભાષચંદ્ર બોઝના 125માં વર્ષ નિમિત્તે હતી, પણ તેનો સ્વીકાર કરવામાં ન આવ્યો. તમિલનાડુના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિને અને બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આ મામલે વડા પ્રધાનને પત્ર લખીને અસંતોષ જાહેર કર્યો, પણ એનું કશું ઉપજ્યું નહીં. વડા પ્રધાનને તેમનાં નિર્ણય પર પુનર્વિચાર કરવાનું પણ કહેવાયું, પણ પરિણામ આવ્યું ન હતું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ખુલાસો પણ કર્યો, પણ મમતાએ વિરોધ એમ કહીને ચાલુ રાખ્યો કે આ નિર્ણયથી રાજ્યના લોકોને દુ:ખ થશે. ઝાંકી રદ્દ કરવાનું કોઈ કારણ પણ જણાવાયું નથી. સુભાષચંદ્ર બોઝનાં પુત્રી અનિતાએ પણ ખેદ વ્યક્ત કરતાં કહ્યું કે મને નથી ખબર કે ઝાંકીને શા માટે સામેલ કરાઇ નથી. તેની પાછળ કોઈ કારણ હોઈ શકે છે. આપણે એ કલ્પના ન કરી શકીએ કે આ વર્ષે જ્યારે મારા પિતા 125 વર્ષનાં થઈ રહ્યા છે, ત્યારે તેમની ઝાંકી સામેલ નથી કરવામાં આવી રહી.
તમિલનાડુએ પણ ઝાંકીને મંજૂરી ન મળતાં પત્ર લખ્યો છે કે લોકોની ભાવનાઓને આઘાત લાગશે. તેમની દેશભક્તિને ઠેસ પહોંચશે. ડી.એમ.કે. પાર્ટીના પ્રવક્તા અન્નાદુરાઈ સરવનેએ સ્પષ્ટ કહ્યું કે અમને શંકા છે કે કેન્દ્ર સરકાર દક્ષિણ ભારતના મહાન લોકો અને અહીંના સાંસ્કૃતિક પ્રતીકોને આગળ વધવા દેવા માંગતી નથી. કેરળને પણ તેની ઝાંકી રજૂ ન કરવા દેવાઈ. ફાઇનલ રાઉન્ડમાં ખુદ જયૂરીએ શ્રીનારાયણ ગુરુની પ્રતિમાવાળી ડિઝાઇન સાથે ઝાંકી તૈયાર કરવાનું કહ્યું, પરંતુ બાદમાં ખબર પડી કે અંતિમ નિર્ણય માત્ર જયૂરીનો નથી હોતો.
બને કે બંગાળના પદ્મ પુરસ્કાર વિજેતાઓને બંગાળની કેન્દ્ર દ્વારા થતી ઉપેક્ષાએ પુરસ્કાર નકારવાનું કારણ પૂરું પાડ્યું હોય.
જો કે પદ્મ પુરસ્કારે રાજનીતિને પણ ગરમાવી છે. કાઁગ્રેસી નેતા ને જમ્મુ–કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણથી સન્માનિત કરવાની વાતે વરિષ્ઠ કાઁગ્રેસી નેતા ને પૂર્વ કાનૂન મંત્રી કપિલ સિબ્બલે અભિનંદન આપતા કહ્યું કે એ વિડંબના છે કે દેશ યોગદાનને માન્યતા આપી રહ્યો છે ને બીજી તરફ કાઁગ્રેસને એમની સેવાઓની જરૂર નથી જણાતી. કાઁગ્રેસી નેતા જયરામ રમેશે બુદ્ધદેવ ભટ્ટાચાર્યના પદ્મ ભૂષણને નકારવાની વાતને આગળ કરતાં ગુલામ નબીને સંભળાવ્યું પણ ખરું, ’તેઓ ગુલામ નહીં, આઝાદ બનવા માંગે છે.’
પદ્મ પુરસ્કારો પાછળ પણ ઘણી રમતો ચાલે છે ને તેનું રીતસરનું લોબિંગ પણ થતું હોય છે, પણ દરવખતે બધા જ પુરસ્કારો ખોટી વ્યક્તિઓને જ અપાય છે એવું નથી. કોઈ એમ નહીં કહે કે બિપિન રાવતને પદ્મવિભૂષણ યોગ્ય પસંદગી નથી. છતાં પુરસ્કાર સ્વીકારવો કે નકારવો એ જે તે વ્યક્તિની પોતાની પસંદગીની વાત છે. બંગાળના પદ્મ વિજેતાઓએ પુરસ્કાર નકારવાના પોતીકાં કારણો પણ આપ્યાં છે ને તે સાવ ખોટાં પણ નથી લાગતાં. એટલું છે કે આ પુરસ્કારને લીધે દેશ તેમના પરિચયમાં મુકાય છે ને તેમના તરફ અહોભાવથી જુએ છે. કોઈ પુરસ્કાર સ્વીકારે કે ન સ્વીકારે, પેલો અહોભાવ તો અકબંધ જ રહે છે.
છેલ્લે, સૌ પદ્મ પુરસ્કાર વિજેતાઓને હૃદયપૂર્વકનાં અભિનંદનો, વંદનો !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 જાન્યુઆરી 2022