આ લેખ-શ્રેણીમાં ૨૨ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ નિત્શેની 'વિલ ટુ પાવર' -'સત્તૈષણા'- વિભાવના વિશેનો એક મણકો રજૂ કરેલો. આજે એમની 'ઍપોલોનિયન-ડાયોનિસિયન' વિભાવના વિશેનો એક ઑર મણકો રજૂ કરું છું :
૨ : 'ઍપોલોનિયન-ડાયોનિસિયન' – ઍપોલોપરક અને ડાયોનિસસપરક.
સાહિત્યપદાર્થના વિચારવિમર્શ વખતે તેમ જ અન્ચ વિમર્શ-પરામર્શ વખતે ચર્ચામાં આપણે કેટલાંક જોડકાં પ્રયોજીએ છીએ : બુદ્ધિ અને હૃદય. ઊર્મિ અને વિચાર. જ્ઞાનજગત અને ભાવજગત. તાર્કિકતા અને અતાર્કિકતા. વ્યવસ્થા અને અંધાધૂંધી. પશ્ચિમની પરમ્પરામાં આવું એક જોડકું છે – 'ઍપોલિનિયન અને ડાયોનિસિયન' – ઍપોલોપરક અને ડાયોનિસસપરક.
ગ્રીક પુરાણગાથામાં દેવ ઝીયસના બે દીકરાની કથા આવે છે. એક છે, ઍપોલો અને બીજો છે, ડાયોનિસસ. વાત એમ છે કે પાછળથી એ બન્ને પણ દેવ ગણાયા. ઍપોલો તર્ક અને તર્કપુર:સરના ચિન્તનનો દેવ. ડાયોનિસસ અતાર્કિકતા અને અંધાધૂંધીનો એટલે કે હૃદય અને મૂળ વૃત્તિઓનો દેવ.
માણસ તરીકે આપણે જાણીએ છીએ કે ઘડીમાં આપણે મગજથી જીવીએ છીએ તો ઘડીમાં હૃદયથી. અમુક વખતે ચિત્ત ચોખ્ખુંચણાક હોય છે. અમુક સંજોગોમાં હૃદયમાં નર્યો ડખો જામ્યો હોય છે.
કેમ કે કેટલીયે વાર આપણે બુદ્ધિને બાજુએ હડસેલીને હૃદયનો પક્ષ કરીએ છીએ. કેટલીયે વાર આપણને અંધાધૂંધી પરવડતી નથી, આપણે વ્યવસ્થાના પક્ષકાર થઈ જઈએ છીએ.
ગુજરાતી સાહિત્યકારોને જ્ઞાનજગતની સરખામણીએ ભાવજગત વધારે વ્હાલું લાગતું હોય છે. ‘સમૂળી ક્રાન્તિ’-ના લેખક મશરૂવાળાને ઍપોલોપરક કહી શકાય -જો કે એ જ ગાંધીયુગમાં અમુકોને તેઓ અળખામણા થઈ પડેલા. કલાપીને ડાયોનિસસપરક કહી શકાય – જો કે ઘણાઓને એમનામાં વધારે પડતી લાગણી બલકે લાગણીની પોચટતા વરતાયેલી. જ્યારે, બલવંતરાયે તો 'ઊર્મિપ્રધાન કવિતા'-ની સરખામણીએ 'વિચારપ્રધાન કવિતા'-ની તરફદારી કરેલી. વગેરે.
ટૂંકમાં, પ્રયોજીએ છીએ જોડકાં પણ પક્ષ લઈ બેસીએ છીએ કોઈ એકનો. એમાંથી પક્ષાપક્ષી મતમતાન્તરો વાદવિવાદ અને ઝઘડા જન્મે છે બલકે એક દિવસ એમાંથી રાજકારણ પ્રગટી આવે છે અને આપણે જાણ્યે-અજાણ્યે એમાં સંડોવાઈ જઈએ છીએ.
નોંધપાત્ર વાત એ છે ગ્રીક પ્રજાએ આ બન્ને દેવોને એકસમાન ગણેલા.
એકમેકની સામે નહીં મૂકેલા. બન્નેને એકબીજના હરીફ નહીં ગણેલા.
આ જોડકું પશ્ચિમના ચિન્તકોને તેમ જ સાહિત્યવિચારકોને ગમ્યું છે.
નિત્શેએ પોતાના ‘ધ બર્થ ઑફ ટ્રેજેડી’ ગ્રન્થમાં કલાઓની વાત કરતાં, શિલ્પકલાને ઍપોલોપરક કહી છે. સંગીતકલાને એમણે ડાયોનિસસપરક કહી છે. આ બન્ને કલારૂપો, શિલ્પ અને સંગીત, ઘણા સમય સુધી સમાન્તરે વિકસ્યાં હતાં. પણ સમયાન્તરે બન્ને એક થઈ ગયાં અને નવું જ કલારૂપ પ્રગટ્યું જે ‘ટ્રેજેડી’ કહેવાયું. ટ્રેજેડી ઍપોલોપરક પણ છે, ડાયોનિસસપરક પણ છે. એમાં આવતું વૃન્દગાન ડાયોનિસસપરક છે; સંવાદ ઍપોલોપરક છે. ભાવ-ભાવનાનો છાક સંવાદથી સંતુલનમાં આવી જાય છે, માણસો સરખા થઈ જાય છે.
નિત્શે દર્શાવે છે કે માણસને થતો રહેતો સ્વપ્નોનો અનુભવ ઍપોલોપરક છે. જ્યારે, દારૂ પીવાથી થતો અનુભવ ડાયોનિસસપરક છે. એમનું કહેવું એમ છે કે આપણે સર્વથા સીધાસાદા મનુષ્યો નથી. બને કે તમે ઍપોલોપરક હોવ, સમજદાર અને જવાબદાર. બને કે તમે ડાયોનિસસપરક હોવ, કશી ચિન્તા વગરના, બેપરવા, છકેલા. ક્યારેક તમે એકદમના વફાદાર અને રૂઢિચુસ્ત હોવ – ઍપોલોપરક. પરન્તુ સાથોસાથ, તમે પ્રયોગ અને પરાક્રમ ઝંખતા હોવ – ડાયોનિસસપરક.
આ જોડકાનું શું થઈ શકે?
નિત્શેની દૃષ્ટિએ જીવનમાં ખૅંચાખૅંચી છે, સંઘર્ષ. જુઓને, એક તરફ, આપણે સુખાકારી ઇચ્છીએ છીએ, માનમરતબાથી જીવવા ચાહીએ છીએ. ધાર્યું પાર પાડવા તર્કભરપૂર ધમાચકડીને વળગેલા રહીએ છીએ, પ્રચણ્ડ પુરુષાર્થમાં મચેલા રહીએ છીએ. બીજી તરફ, આપણે હૃદયરસભરી નિરાંત શાન્તિ અને સંતોષ ઇચ્છીએ છીએ. પણ નિત્શે એમ કહે છે કે એ ખૅંચાખૅંચીને વળગી રહો, આ જે જીવનસંઘર્ષ છે, એને ભેટો. વાતનો સાર એ કે આ જોડકાને આપણે જોડકું જ રાખવું અને એને પ્રેમપૂર્વક આવકારભાવથી જોવું. કોઈ એક તરફ નહીં, બન્ને તરફ રહેવું ….
= = =
'પાગલ ફિલસૂફ નિત્શે’ – શ્રેણીમાં વિશેષ હવે પછી …
(૨૩ નવેમ્બર ૨૦૧૯ : યુઍસે)