૧૬૦૦ની સાલમાં, સર થોમસ સ્મિથેની આગેવાની હેઠળ, લંડનના વેપારીઓના એક જૂથે, રાણી એલિઝાબેથ પાસે અરજ કરી કે પૂર્વ ગોળાર્ધના દેશોમાં વેપાર કરવા માટે શાહી સનદ જારી કરવામાં આવે, જેથી સુદૂર પૂર્વના વેપાર પર સ્પેનીશ અને પોર્ટુગીઝ ઈજારાશાહીને ખતમ કરી શકાય. એલિઝાબેથે મંજૂરી આપી, અને ઓનરેબલ ઇસ્ટ ઇન્ડિયા કંપની અથવા ઇસ્ટ ઇન્ડિયા ટ્રેડીંગ કંપની અથવા બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અથવા જોહ્ન કંપની અથવા કંપની બહાદુર અથવા માત્ર ધ કંપનીનો જોઈન્ટ-સ્ટોક કંપની તરીકે જન્મ થયો. વેપારીઓએ કંપનીમાં ૩૦,૧૧૩ પાઉન્ડનું મૂડીરોકાણ કર્યું હતું, જે આજના ૪૦,૦૦,૦૦૦ પાઉન્ડ થાય. મૂળ એનું નામ ‘ગવર્નર એન્ડ કંપની ઓફ મર્ચન્ટ ઓફ લંડન ઇનટુ ધ ઇસ્ટ- ઇન્ડીઝ’ હતું, જેનો મૂળ ઉદેશ્ય દક્ષિણપૂર્વ એશિયાના ઇલાકાઓમાંથી (જેને ઇસ્ટ-ઇન્ડીઝ નામ આપવામાં આવ્યું) કપાસ, સિલ્ક, ઈન્ડીગો ડાઈ, મીઠું, મરી-મસાલા, ચા અને અફીણનો વેપાર કરવાનો હતો.
શરૂઆતમાં આ કંપનીનાં જહાજો હિન્દ મહાસાગરના પાણીમાં ડચ અને પોર્ટુગીઝ વેપારી જહાજો સાથે લડાઈ કરવા સુધી સીમિત હતાં, પણ ૧૬૧૨માં હજીરા-સુરત પાસે સુવાલીના બીચ પર, પોર્ટુગીઝો પર નિર્ણાયક જીત મેળવીને પહેલીવાર ક્ષેત્રીય પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. એમાં બ્રિટિશ તાજ અને મોઘલ સામ્રાજ્ય, બંનેના આશીર્વાદ હતા. એ જ વર્ષે, કંપનીની વિનંતીથી, એલિઝાબેથના રાજદૂત થોમસ રોએ અને મુઘલ સમ્રાટ નુર-ઉદ-દીન સલીમ જહાંગીર વચ્ચે સુરત અને આસપાસના વિસ્તારોમાં કંપનીના માણસોને રહેવા અને વેપાર કરવા દેવાના કરાર થયા. બદલામાં, જહાંગીરને યુરોપનો માલસામાન મળવાનો હતો.
ત્યારે કોઈને, એલિઝાબેથને કે જહાંગીરને ખુદને, અંદાજ ન હતો કે ૨૫૮ વર્ષ પછી કંપની પૂરા ભારતીય ઉપખંડને બ્રિટિશ તાજને હવાલે કરી દેશે. ૧૬૦૦માં એલિઝાબેથ જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આકાર આપી રહી હતી, ત્યારે ભારતમાં ઉત્તરીય અફઘાનિસ્તાનથી લઈને દક્ષિણમાં ડેક્કનનાં મેદાનો સુધીના ૭,૫૦,૦૦૦ ચોરસ માઈલના સામ્રાજ્ય પર મુઘલોનું રાજ ચાલતું હતું. ૧૬૦૦માં યુરોપને ઈર્ષ્યા આવે તેવી સમૃદ્ધિ મુઘલ સામ્રાજ્યની હતી, ત્યારે દુનિયામાં મુઘલોનો લશ્કરી અને સંસ્કૃતિક વિકાસ ચરમસીમાએ હતો.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અગાઉ ૧૭મી સદીમાં ભારતનું પાણી પીધું હતું, પણ તેમને ફૂલહાર કરીને વધાવ્યા જહાંગીરે. સુવાલી બીચ પરની લડાઈ પછી થયેલા કરાર અંતર્ગત જહાંગીરે, એલિઝાબેથના રાજદૂત થોમસ રોએના નામે એક પત્રમાં લખ્યું હતું, “તમારા શાહી પ્રેમના બદલામાં મેં મારા તાબા હેઠળનાં તમામ રજવાડાં અને બંદરોને આદેશ આપ્યો છે કે તેઓ ઇંગ્લિશ રાષ્ટ્રના વ્યાપારીઓને મારા મિત્ર-દેશના નાગરિકો તરીકે આવકારે. તેઓ જ્યાં ચાહે ત્યાં રહી શકે છે, તેમને કોઈ અવરોધ નહીં નડે અને કોઈપણ બંદરે તે આવે, ત્યારે પોર્ટુગીઝો કે બીજા કોઈ તેમની શાંતિનો ભંગ ના કરે. તેઓ મરજી પડે ત્યાં ખરીદ-વેચાણ કરીને તેમના દેશમાં લઇ જઈ શકે છે. અમારી દોસ્તી અને પ્રેમના બદલામાં તેઓ તેમના જહાજોમાં મારા મહેલને શોભે તેવી ઉત્તમ ચીજો લાવે.”
જહાંગીરની મંજૂરી બાદ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના પશ્ચિમી અને પૂર્વી કિનારાઓ પર થાણા અને ફેકટરીઓ નાખ્યાં. ૧૬૪૭ સુધીમાં, ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતમાં ૨૩ ફેકટરીઓ હતી, જેમાં દરેકમાં ૯૦ કર્મચારીઓ હતા અને તેમનો એક ‘ફેક્ટર’ એટલે કે મુખ્ય વેપારી સાહેબ હતો. એક સદી સુધી કંપનીનું ધ્યાન વેપાર કરવામાં જ હતું, પણ ૧૮મી સદીમાં મુઘલ સામ્રાજ્યની કેન્દ્રિય સત્તા નબળી પડી અને સ્થાનિક રાજ્યો તાકાતવર થયાં, એટલે ઇસ્ટ ઇન્ડિયા કંપની રાજકારણ અને લશ્કરી બાબતોમાં દરમિયાનગીરી કરતી થઇ.
આનું એક મુખ્ય કારણ ફ્રેંચ ઇસ્ટ કંપની હતી, જેને ૧૬૬૪માં ફ્રાંસના નાણામંત્રી જીન-બેપ્ટીસ્ટ કોલ્બર્ટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની હરીફાઈમાં બનાવી હતી અને જે મુખ્યત્વે દક્ષિણ ભારતમાં સક્રિય હતી. એનો એક ડિરેક્ટર, ફ્રાન્કોઇસ કેરોન, ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં ૩૦ વર્ષ કામ કરી ચુક્યો હતો. ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની ૧૭મી સદીમાં સ્થાપવામાં આવી હતી, અને તે નફો રળતી કોર્પોરેશન ઓછી અને કંપની-સ્ટેટ વધુ હતી. ડચ ઇસ્ટ કંપની દુનિયાની પહેલી લીસ્ટેડ કંપની હતી અને આજે દુનિયામાં મલ્ટીનેશનલ કોર્પોરેશનો જે રીતે આધુનિક વેપાર કરે છે, તેનું પહેલું મોડેલ આ ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બનાવ્યું હતું. ડચ કંપની પોતે જ એક સામ્રાજ્ય હતું.
ટૂંકમાં, ત્રણ વૈશ્વિક કંપનીઓ ભારતના વિશાળ રોટલા માટે છીનાઝપટી કરી રહી હતી. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની આ બે ઇસ્ટ ઇન્ડિયા કંપનીઓની હરીફાઈમાં ઊતરીને સ્થાનિક રજવાડાં સાથે સત્તાની ખેલાડી બની ગઈ. ૧૮૦૩માં, જ્યારે તેનો વેપારી સિતારો મધ્યાહ્ને હતો, ત્યારે તેની પાસે ૨,૬૦,૦૦૦ના સૈનિકોનું ખાનગી લશ્કર હતું, જે બ્રિટિશ સૈન્ય કરતાં બે ઘણું મોટું હતું. જેને કંપની રુલ અથવા કંપની રાજ કહે છે, તેની શરૂઆત થઇ ૧૭૫૭માં, જયારે પ્લાસીના યુદ્ધમાં કંપનીએ બંગાળના નવાબ મીર જાફર અને તેના ફ્રેંચ સમર્થકોને હરાવી દીધા અને કઠપૂતળી બની ગયેલા નવાબે રાજ્યની આવક કંપનીના ચરણે ધરવાનું શરૂ કરી દીધું. આજે પણ રાજનીતિમાં કોઈ દગો કરે, તો તેને ‘મીર જાફર’ કહેવામાં આવે છે. કંપનીએ તેનો પહેલો ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સને કલકત્તામાં નીમ્યો, જે સીધો જ બંગાળનો વહીવટ કરતો હતો.
ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું આ રાજ ત્યાંથી શરૂ થયું અને ૧૮૫૮માં તે પૂરું થયું, જ્યારે ૧૮૫૭માં મેરઠમાં કંપનીના સૈન્ય સામે સિપાઈઓએ નાકામ વિદ્રોહ કર્યો. ત્યાં સુધીમાં મુઘલ સામ્રાજ્ય કમજોર પડી ગયું હતું અને દિલ્હીમાં તેના ૮૧ વર્ષના વૃદ્ધ મુઘલ શાસક બહાદુર શાહ ઝફરને, મેરઠના વિદ્રોહીઓએ ‘હિન્દુસ્તાન’નો મહારાજા જાહેર કરી દીધો. બ્રિટિશરોએ ઝફરને રંગૂનમાં દેશનિકાલ કર્યો, અને તે ત્યાં જ મરી ગયો. બીજી તરફ બ્રિટિશ હુકુમતે બ્રિટિશ સંસદમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૮૫૮ પાસ કરીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વિખેરી નાખી અને પૂરા ભારતનો સીધો વહીવટ હાથમાં લીધો. આ બ્રિટિશ વહીવટ અથવા રાજ ૮૯ વર્ષ રહ્યું અને ઓગસ્ટ ૧૯૪૭માં ભારતના વિભાજન સાથે પૂરું થયું.
લંડનના ‘ધ ટાઈમ્સ’ સમાચારપત્રએ ૮ એપ્રિલ, ૧૮૭૩ના રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ‘મૃત્યુનોંધ’ના આ સમાચારમાં લખ્યું હતું, “માનવ જાતિના ઇતિહાસમાં આ વેપારી કંપનીએ જે કામયાબી મેળવી છે, તેવી બીજી કોઈએ નથી મેળવી અને વર્ષોનાં વર્ષ સુધી કોઈ મેળવી પણ નહીં શકે.” કંપની પછી નામ માત્ર પૂરતી જ રહી. ૧૯૮૦ના દાયકામાં રોકાણકારોના એક જૂથે તેના હક્ક ખરીદી લીધા અને કપડાંની કંપની સ્થાપી, જે ૧૯૯૦ના દાયકા સુધી ચાલી. તે પછી સંજીવ મહેતા નામના બ્રિટિશ-ગુજરાતી રોકાણકારે તેને પાછી ખરીદી અને ૨૦૧૦માં પહેલો લક્ઝરી સ્ટોર ખુલ્લો મુક્યો.
આ લેખનો મૂળ હેતુ એ સમજાવાનો છે કે કોર્પોરેટ કંપનીઓ પાસે અમર્યાદ અને અનિયંત્રિત તાકાત આવી જાય તો શું થાય, તેનું આ ઇસ્ટ ઇન્ડિયા કંપની ઉદાહરણ છે. તાજેતરમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની ઉપર ‘અનાર્કી’ નામનું પુસ્તક લખનાર મૂળ સ્કોટીશ ઇતિહાસ લેખક વિલિયમ ડર્લીમ્પલ કહે છે કે, “ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, ત્યારે ભારત વિશ્વનું ત્રીજા ભાગનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પેદા કરતું હતું. કંપનીએ ભારતની અર્થવ્યવસ્થાને લુંટવાનું જ કામ કર્યું હતું. ઇન ફેક્ટ, ભારતીય ભાષાઓમાંથી સૌ પહેલા શબ્દો અંગ્રેજીમાં ગયા, તેમાં ‘લૂંટ’ શબ્દ છે.”
આજે અમેરિકામાં ફેસબુકની તાકાતને લઈને ચિંતાઓ વ્યક્ત થઇ રહી છે અને તેના સી.ઈ.ઓ.ને યુ.એસ. કોંગ્રેસમાં ઊલટતપાસ થઇ ચૂકી છે. ફેસબુક પર આરોપ છે કે તેણે અમેરિકાની ચૂંટણીમાં તેના પ્લેટફોર્મનો ઉપયોગ થવા દીધો છે. ફેસબુક ‘લિબ્રા’ નામનું ખુદનું ડીજીટલ ચલણ લાવી રહ્યું છે, જેનાથી ડોલર, પાઉન્ડ, યૂરો અને અન્ય કરન્સીઓનું ભાવિ ડામાડોળ છે.
ગૂગલ, વોલમાર્ટ અને એક્કોન મોબાઇલ જેવી મલ્ટીનેશનલ કંપનીઓ ખુદ એક સામ્રાજ્યની જેમ ચાલે છે અને નાની-મોટી સરકારોને નચાવે છે.
ઘણી સરકારોના આવી કોર્પોરેટ કંપનીઓમાં સ્વાર્થ હોય છે, અને ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે ૧૭૭૦ના દાયકામાં થયું હતું તેમ, સરકારો ‘બેઇલ-આઉટ’ પેકેજ જાહેર કરીને, તેમને પાછી પગભર કરે છે. આજે ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ ભારત-ચીન જેવાં વિશાળ બજારોમાં હિત ધરાવે છે અને તેમનાં હિત જળવાઈ રહે તે માટે સરકારો સાથે સાઠગાંઠ રાખે છે.
૧૮મી સદીની શરૂઆતમાં વૈશ્વિક જી.ડી.પી.માં મુઘલ સામ્રાજ્યનું યોગદાન ૩૭ ટકા હતું અને ચીનને જરાક પાછળ છોડ્યું હતું, જ્યારે બ્રિટનનું યોગદાન ૩ ટકાથી ઓછું હતું.
આજે કોઈ એમ કહે કે ફેસબુક અમેરિકાનો વહીવટ હાથમાં લઇ લેશે, તો અસંભવ જ નહીં, હાસ્યાસ્પદ જ લાગે. મુઘલ સામ્રાજ્ય સાથે વેપાર કરવા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રચના થઇ, ત્યારે પણ એવું જ લાગ્યું હતું.
સૌજન્ય : ‘ફાયર વૉલ’ નામક લેખકની કટાર, “ ધ ગુજરાત ટુડે” 25 નવેમ્બર 2019
https://www.facebook.com/permalink.php?story_fbid=2435905236737521&id=1379939932334062&__tn__=K-R