કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘પી.એમ. કૅર્સ ફંડ’ની રચના કરી, તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે. જ્યારે ‘વડા પ્રધાન રાષ્ટ્રીય રાહતફંડ’ નામે એક રાહતફંડ વર્ષોથી હતું ત્યારે આ નવું ફંડ શા માટે ઊભું કરવામાં આવ્યું એવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે. જૂનું ફંડ હજુ પણ યથાવત્ છે, તે બંધ કરી દેવામાં આવ્યું નથી. તેથી આ બંને ફંડ કેવા પ્રકારનાં છે તેની સાદી સમજ મેળવવાની જરૂર છે.
‘વડા પ્રધાન રાષ્ટ્રીય રાહતફંડ’ની રચના 1948માં પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી. તેનો ઈરાદો કોઈ પણ આપત્તિ સામે લોકોને રાહત પૂરી પાડવાનો છે. જો કે, તે સમયે ઈરાદો પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને સહાય કરવાનો હતો. આ ફંડને સરકારના બજેટ સાથે કોઈ લેવાદેવા નથી અને બજેટમાંથી કોઈ રકમ તેમાં આપવામાં આવતી પણ નથી. સરકારી કંપનીઓનું દાન તેમાં સ્વીકારવામાં આવતું નથી. જો તેમાં નાણાં પડ્યાં હોય તો તેનું રોકાણ બેંકોમાં અને અન્ય નાણાં સંસ્થાઓમાં કરવામાં આવતું રહ્યું છે. તેમાં માત્ર ખાનગી દાન જમા થાય છે અને તેને આવકવેરામાંથી મુક્તિ આપવાની જોગવાઈ પણ છે. તેમાં ઓછામાં ઓછું રૂ. 100નું દાન આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે.
વડા પ્રધાનની કચેરી દ્વારા તેનું સંચાલન થાય છે. વડા પ્રધાન હોદ્દાની રૂએ આ ફંડના અધ્યક્ષ છે. તેની રચના સંસદના કોઈ કાયદા દ્વારા કે કોઈ સરકારી ઠરાવ દ્વારા કરવામાં આવી નથી. એટલે કે તે કાનૂની કે સરકારી સંસ્થા નથી અને તેથી તે સંસદને જવાબદાર પણ નથી. સંસદમાં કદી આ ફંડના અહેવાલ રજૂ થતા નથી. તેનું ‘કેગ’ દ્વારા ઑડિટ પણ થતું નથી. ખાનગી સી.એ. દ્વારા તેનું ઑડિટ થાય છે. લગભગ 15 દિવસ અગાઉ તેનું ઑડિટ કઈ કંપની કરે છે તેનું નામ તેની વેબસાઈટ પર હતું, પણ તે છેલ્લા ત્રણ દિવસથી હઠાવી લેવામાં આવ્યું છે. એટલે તેનું ઑડિટ કોણ કરે છે તેની ખબર આજે પડતી નથી.
1985માં આ ફંડની સંચાલન સમિતિએ વડા પ્રધાનને તેનું સંપૂર્ણ સંચાલન સોંપી દીધું હતું અને તેમને ફંડના સચિવ નીમવાની પણ સત્તા આપી દેવામાં આવી હતી. જ્યારે આ ફંડની રચના કરવામાં આવી ત્યારે કૉન્ગ્રેસ પક્ષના પ્રમુખને તેની સંચાલન સમિતિમાં લેવામાં આવ્યા હતા અને તેઓ હજુ પણ તેના સભ્ય છે. આ બંને ઉપરાંત ‘વડા પ્રધાન રાષ્ટ્રીય રાહતફંડ’માં નાયબ વડા પ્રધાન, નાણાં પ્રધાન, તાતા ટ્રસ્ટના પ્રતિનિધિ અને વેપાર-ઉદ્યોગના મંડળ ‘ફિક્કી’ના પ્રતિનિધિનો સમાવેશ થાય છે.
આ ફંડનો 2009-10થી 2018-19નો ઑડિટ થયેલો હિસાબ છે તે દર્શાવે છે કે છેલ્લાં દસ વર્ષ દરમિયાન ફંડમાં જેટલું દાન મળ્યું છે, તેના કરતાં ખર્ચ ઘણું ઓછું થયું છે અને તા.16-12-2019ના રોજ ફંડમાં રૂ. 3800.44 કરોડ જમા છે. જો કે, આ ફંડમાં કોણે કેટલી રકમ આપી અને કઈ બાબતો માટે ફંડમાંથી ખર્ચ થયું તે પણ તેની વેબસાઈટ પર જણાવાયું નથી. માત્ર કુલ આવકજાવકના તથા સિલકના આંકડા આપવામાં આવ્યા છે. વણવપરાયેલી રકમનું રોકાણ બૉન્ડ વગેરેમાં પણ કરવામાં આવે છે.
‘વડા પ્રધાન રાષ્ટ્રીય રાહતફંડ’ એક ટ્રસ્ટ છે, તે સરકારી ફંડ છે જ નહિ અને સાથે સાથે તે નોંધાયેલું ટ્રસ્ટ પણ નથી. એટલે તેમાં વડા પ્રધાનને તે ફંડ વાપરવાની અમાપ સત્તા મળે છે અને વડા પ્રધાન આ ફંડ વિશે કોઈને પણ જવાબ આપવા બંધાયેલા છે જ નહિ. તે સ્થાપ્યું ત્યારથી આમ જ ચાલ્યું છે. એટલે કે તેમાં સંસદ કે લોકો પ્રત્યે કોઈ પણ પ્રકારે ઉત્તરદાયિત્વ ઊભું થતું નથી. માહિતી અધિકાર ધારા હેઠળ જ્યારે માહિતી માગવામાં આવી ત્યારે મનમોહન સિંઘની સરકાર અને મોદીની સરકાર બંનેએ તેની આવકજાવકની વિગતવાર માહિતી આપવાનો ઇન્કાર જ કર્યો છે.
વર્તમાન વડા પ્રધાનની ઓફિસ પાસે આ ફંડ વિષે માહિતી માગવામાં આવી ત્યારે તેણે એવો જવાબ આપ્યો હતો કે ફંડમાં આવેલા દાનની માહિતી જાહેર કરવાનું “જાહેર હિતમાં નથી” અને તેમાં “દાતાઓની ગુપ્તતા”નો ભંગ થાય છે. તેની સામે અપીલ થતાં કેન્દ્રીય માહિતી પંચે એમ કહ્યું ખરું કે દાતાઓને વાંધો ના હોય તો સંસ્થાઓનાં અને ખાનગી નામ જાહેર થઈ શકે. જો કે, તેણે પણ ફંડના લાભાર્થીઓની વિગતો જાહેર કરવા માટે આદેશ આપ્યો નહોતો. છતાં, આ આદેશ સામે પણ ફંડ દિલ્હીની વડી અદાલતમાં અપીલમાં ગયું હતું અને ફંડે મે-2018માં એમ કહ્યું હતું કે માહિતી અધિકારના કાયદા મુજબ આ ફંડ કોઈ જાહેર સત્તામંડળ છે જ નહિ અને તેથી કોઈ હિસાબો રજૂ કરવાનું તેને માટે ફરજિયાત હોઈ શકે નહીં.
હવે કોરોના મહામારીના માહોલમાં વડા પ્રધાને નવા ‘પી.એમ. કૅર્સ ફંડ’ની રચના કરી છે અને તેમાં એક જ સપ્તાહમાં રૂ. 6,500 કરોડ જમા થયાનો એક અંદાજ છે. તેમાં મહાનુભાવોથી માંડીને સૌ કોઈ દાન આપી રહ્યું છે. 2014-15થી 2018-19 દરમ્યાન ‘વડા પ્રધાન રાષ્ટ્રીય રાહતફંડ’માં જેટલી રકમનું દાન આવ્યું હતું તેના ત્રણ ગણા કરતાં પણ આ વધુ રકમ છે. આ ફંડમાં લઘુતમ રૂ. 10નું દાન પણ આપી શકાય છે.
પી.એમ. કૅર્સ ફંડ એક જાહેર ટ્રસ્ટ છે અને તે તા. 27-03-2020ના રોજ નોંધાયેલું છે એમ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની એક અખબારી યાદી જણાવે છે. તેમાં વડા પ્રધાન અને બીજા ત્રણ કેન્દ્રીય નાણાં, સંરક્ષણ અને ગૃહ પ્રધાનો છે, તેટલા માત્રથી તે સરકારી ટ્રસ્ટ બની જતું નથી. આ ફંડ પણ ખાનગી ટ્રસ્ટ જ કહેવાય. આ ટ્રસ્ટનું ડીડ એટલે કે ટ્રસ્ટની સ્થાપના માટેનો કરાર પણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. એટલે ખરેખર તે કેવા પ્રકારનું ટ્રસ્ટ છે તેની ખબર પડતી જ નથી. માત્ર પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા એક અખબારી નિવેદન કરીને ટ્રસ્ટની રચના વિષે માહિતી આપવામાં આવી છે તેટલું જ.
આ નવા ફંડમાં બધી સત્તાઓ વડા પ્રધાન પાસે નથી એમ કહેવાય છે, પણ તેમની પાસે ફંડના ઉપયોગની મંજૂરીની આખરી સત્તાઓ તો છે જ. આ ફંડને 13 નિષ્ણાતોની સલાહકાર સમિતિ જાહેર આરોગ્યના સંદર્ભમાં હાલ સહાય કરશે એમ સરકાર દ્વારા કહેવાયું છે. તેને પરિણામે આ નવું ફંડ વધુ પારદર્શક બનાવાયું છે, એમ કહેવાય છે. તેના સલાહકાર બોર્ડમાં 10 સભ્યો હશે એમ પણ જણાવાયું છે. આમાંથી એક પણમાં કૉન્ગ્રેસના પ્રમુખનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને તેથી કૉન્ગ્રેસ તેનો વિરોધ કરે છે, એમ પણ ભા.જ.પ. દ્વારા કહેવામાં આવે છે.
પ્રશ્ન એ છે કે જો જૂનું ફંડ ખાનગી હતું, તો નવું પી.એમ. કૅર્સ ફંડ પણ ખાનગી જ છે અને તેનું ખાનગી સી.એ. દ્વારા જ ઑડિટ થશે અને ‘કેગ’ દ્વારા નહિ. તેનો અહેવાલ પણ સંસદમાં રજૂ નહીં જ થાય. કારણ કે તે પણ કોઈ કાયદા દ્વારા કે સરકારી ઠરાવ દ્વારા રચવામાં આવ્યું નથી. એટલે કે તે બંધારણીય કે કાનૂની સંસ્થા છે જ નહીં. આ ફંડમાં પણ દાતાઓ કોણ છે અને કોણે કેટલી રકમ આપી છે તથા ફંડનો લાભ કઈ આપત્તિમાં કયા અસરગ્રસ્ત વિસ્તારોને કે લોકોને કેટલો ક્યારે મળ્યો છે તે જાહેર થશે નહીં.
વળી, પી.એમ. કૅર્સ ફંડમાં સરકારી અને ખાનગી કંપનીઓની કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સી.એસ.આર.ની રકમ દાનમાં આપવામાં આવે તેવો પરિપત્ર પણ મોદી સરકારે બહાર પાડ્યો છે. કંપનીઓ પોતાની સામાજિક જવાબદારી નિભાવવા સી.એસ.આર. ફંડ ઊભું કરે અને સમાજના હિત માટે વાપરે તેની જોગવાઈ તો કંપની ધારા-2013ની કલમ-135માં કરવામાં આવી છે. એટલે કે તે એક કાનૂની ફંડ છે. ઉપરાંત, સરકારી કંપનીઓ પણ આ ફંડમાં દાન આપે તો તે સરકારની જ રકમ કહેવાય. વળી, સાંસદો તેમના સાંસદ ફંડની રકમ પણ પી.એમ. કૅર્સ ફંડમાં આપી શકે છે એવું જણાવાયું છે. અત્યાર સુધીમાં સાંસદોએ રૂ. 365 કરોડની રકમ તો તેમાં દાન પણ કરી દીધી છે. આ સાંસદ ફંડ આમ જુઓ તો સંપૂર્ણપણે સરકારી છે. સરકાર જ સાંસદોને તેમના મતવિસ્તારમાં વિકાસનાં કામોમાં વાપરવા માટે તે રકમ આપે છે. એટલે સરકારના ફંડનો ઉપયોગ વડા પ્રધાન અને ત્રણ પ્રધાનો કરે અને છતાં તેઓ કોઈ રીતે કોઈને પણ, સંસદને કે કેગને કે સામાન્ય લોકોને જવાબદાર રહે જ નહિ, તેવો કારસો નવું પી.એમ. કૅર્સ ફંડ સ્થાપીને રચવામાં આવ્યો છે.
આ અપારદર્શકતા શંકા પ્રેરનારી છે. કેવી રીતે? 1980ના દાયકામાં મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસના મુખ્ય પ્રધાન એ.આર. અંતુલેનાં ‘ઇન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાન’ અને ‘કોંકણ ઉન્નતિ મંડળ’ નામનાં બે ખાનગી ટ્રસ્ટમાં જેમને રાજ્ય સરકાર દ્વારા સિમેન્ટ અને ખાંડ ઉદ્યોગ માટે લાયસન્સ આપવામાં આવ્યાં, તેમની પાસેથી દાન લેવામાં આવ્યું હતું. આવું પી.એમ. કૅર્સ ફંડમાં નહિ થાય તેની શી ખાતરી? જમીનો, નદીઓ, પર્વતો, ખાણો વગેરે ભાડાપટે લેવા કંપનીઓને પી.એમ. કૅર્સ ફંડમાં દાન આપવાનું નહિ કહેવામાં આવે તેની શી ખાતરી? આ આજે કે કાલે ગમે ત્યારે અને ગમે તેના શાસનમાં થઈ શકે છે.
એનો અર્થ એ જ છે કે પી.એમ. કૅર્સ ફંડ એટલા માટે રચવામાં આવ્યું કે જેથી તેમાં ઉદ્યોગજગતના પ્રતિનિધિ ના હોય, કોઈ ખાનગી ટ્રસ્ટના પ્રતિનિધિ ના હોય અને કૉન્ગ્રેસના પ્રમુખ પણ તેમાં ના હોય. કોઈ પણ રાજકીય પક્ષના પ્રમુખ પી.એમ. કૅર્સ ફંડમાં ના જ હોવા જોઈએ. પણ તેથી વાત પતી જતી નથી. નવા ફંડમાં તમામ નિર્ણયો વડા પ્રધાન સહિતના ચાર પ્રધાનો જ લેશે એ એક હકીકત છે. જો નરેન્દ્ર મોદીને આ ફંડ ખરેખર પારદર્શક બનાવવું હોત તો તેમણે તે માટે કાયદો કરતો વટહુકમ રાષ્ટ્રપ્રમુખ મારફતે હાલ બહાર પડાવ્યો હોત.
જૂનું ફંડ અપારદર્શક અને ખાનગી હતું તો હકીકતમાં નવું ફંડ વધુ અપારદર્શક અને વધુ ખાનગી બન્યું છે. નવું ફંડ રચીને વડા પ્રધાન કંઈ દૂધે ધોયેલા સાબિત નથી થતા. કારણ કે માહિતી અધિકાર ધારા હેઠળ પણ જેમ જૂના ફંડની માહિતી મળતી નહોતી તેમ નવા ફંડ વિષે પણ માહિતી નહિ જ મળે.
વડા પ્રધાન અને તેમના ત્રણ પ્રધાનો કૉન્ગ્રેસના શાસન હેઠળના વડા પ્રધાન કરતા હતા તેમ જ, અગાઉની જેમ જ, પોતાને મનફાવે તેમ શુભ ઈરાદાથી લોકોએ આપેલા કરોડો રૂપિયા વાપરશે અને તેમને પૂછનારું કોઈ નહીં હોય. વળી, પી.એમ. કૅર્સ ફંડમાં વડા પ્રધાન અને ત્રણ પ્રધાનો હોદ્દાની રુએ સભ્યો છે કે વ્યક્તિગત રીતે તેના સભ્યો છે, તેની પણ નાગરિકોને ખબર પડતી નથી. કારણ કે ટ્રસ્ટ ડીડ જાહેર કરવામાં આવ્યું નથી. એટલે ટ્રસ્ટ ડીડ તરત જ જાહેર કરવામાં આવે તે આવશ્યક છે. તો જ ખ્યાલ આવશે કે ખરેખર તેમાં શું રંધાયું છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 20 ઍપ્રિલ 2020