Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9345137
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઑપરેશન સિંદૂરઃ  બે દેશોના સંઘર્ષની ચોપાટમાં વિશ્વ આખાના સ્વાર્થ, સતર્કતા, રાજકારણ, ડર અને તાકાતનાં પ્યાદાં

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|18 May 2025

પાકિસ્તાનની મિશ્ર લાગણીઓ સાથ–સાથ ફિલ્મના આ ગીતની પંક્તિનો પહેલો શબ્દ – ‘પ્યાર’ –  બદલીને જોવી જોઇએ? “યુદ્ધ મુઝસે જો કિયા તુમને તો ક્યા પાઓગે? મેરે હાલત કી આંધીમેં બિખર જાઓગે …”

ચિરંતના ભટ્ટ

ઑપરેશન સિંદૂર, પાકિસ્તાન, ચીન, કાશ્મીર, અમેરિકા, ટ્રમ્પ અને યુ.એસ.એ., ટર્કી, આપણી શસ્ત્રોની તાકાત વગેરે મુદ્દાઓ પર આપણે ત્યાં આજકાલ એવી રીતે ચર્ચા થાય છે કે સિક્કો ઉછાળીને છાપ આવે છે કે કાંટો એ જોઈને લોકો કદાચ નક્કી કરતા હશે કે તમે પૂછો એ મુદ્દા પણ અમે વાણી પ્રવાહ વહેવડાવવા તૈયાર છીએ. ગણતરીના દિવસોમાં એક સાથે ઘણીબધી ઘટનાઓ ઘટી, 2022માં એક ફિલ્મ આવી હતી – એવ્રીથિંગ એવ્રીવ્હેર ઓલ એટ વન્સ – આપણે પણ લગભગ એવી જ સ્થિતિમાં હતા. એમાં પાછા સોશ્યલ મીડિયા પર છલકાતા અમૂક અધૂરા ઘડાઓ પર તો મનોરંજનને ખાતર પણ વારી જવાનું મન થાય. સંજોગોની ગંભીરતા આ બધી જ વાતો, મીમ્સ અને હું-ડાહ્યાઓના હુંકાર કરતાં કંઈ ગણી વધારે છે. જે દેખાય છે એટલું સરળ નથી, આ એક એવો કોયડો છે જેમાં ભૂલ-ભુલામણી, ટપકાં જોડો અને જિગ્ઝો પઝલ બધું એક સાથે જ કરવાનું આવ્યું છે.

સૌથી પહેલાં તો આખી કવાયત પૂરી થઇ અથવા તો એમ કહીએ કે જે વિરામની ઘડી આવી ત્યારે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે રાષ્ટ્રને સંબોધન કર્યું ત્યારે ગર્વ અને મર્યાદા બન્નેના સંતુલનને જાળવીને કરાયેલી વાત સામે આવી. તે માત્ર લશ્કરી સફળતાની વાહવાહી નહોતી પણ સ્થાનિક અને આતંરરાષ્ટ્રીય સ્તરે દેશનું અવલોકન કરનારાઓને કાળજીપૂર્વક અપાયેલો સંદેશ હતો. ભારતે પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં શું બહાદુરી બતાડી તેના મામલે કૉલર ઊંચા કરવાની ઘટના તેમના સંબોધનની અગ્રિમતા નહોતી પણ ભારત પાસે બધી જ તાકાત હોવા છતાં – ખાસ કરીને માથે પરમાણુ યુદ્ધની શક્યતા તોળાતી હોવા છતાં – ભારતે સંયમ દાખવ્યો છે પણ તેનો અર્થ એમ નથી કે ભારત હવે કોઈપણ પ્રકારના આતંકવાદી હુમલાઓ ચલાવી લેશેનો સ્પષ્ટ સંકેત તેમણે પોતાના સંબોધનમાં આપ્યો. નરેન્દ્ર મોદીના રાજકારણ સાથે જે પણ નાટ્યાત્મકતા છે તે તો ખરી જ પણ છતાં પણ જરા પણ આછકલાઈ વિના સલામતીને મામલે ભારતે હવે લોખંડી મુઠ્ઠી રાખી છે તેવું તેમણે સ્પષ્ટ કર્યું. રાજકીય વિવેચકોને મતે લોકોના દૃષ્ટિકોણ, જાહેર છબીને સાચવવાના આ પ્રયાસમાં સરકારે પાકિસ્તાન અંગેની પોતાની નીતિને મામલે વાસ્તવિકતા અને જીતને મામલે હુંકાર કરવા વચ્ચે રહેલી એક પાતળી રેખા પર સંતુલન કરવામાં સારી પેઠે મહેનત કરી છે. એ સંતુલન ખોરવાય નહીં એ પણ આપણા દેશની સુરક્ષા માટે અગત્યનું છે. 

પહલગામના આતંકી હુમલાના જવાબમાં છેડાયેલા ઑપરેશન સિંદૂરમાં રાફેલ જેટ, ડ્રોન્સ અને સેટેલાઇટ સંચાલિત શસ્ત્રોનો ઉપયોગ કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં નવ સ્થળોએ હુમલો કરાયો. ભારતે જૈશ-એ-મોહંમદ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા તંત્રના જે સ્થાનકો હતા તેનો સફાયો કર્યો હોવાનો દાવો કર્યો. વિગતો પણ બહાર આવી. આ લશ્કરી ઑપરેશન પહેલાં કરાયેલી ઉરીની સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટના હવાઈ હુમલા કરતા અલગ હતું. આ ઑપરેશનમાં DRDOની એન્ટિ ડ્રોન સિસ્ટમ્સ, રિયલ ટાઈમ ટાર્ગેટિંગ માટે ભારતીય સેટેલાઇટ્સ અને આકાશ અને બ્રાહ્મોઝ મિસાઈલ્સનો ઉપયોગ કરાયો. ભારત લશ્કરી સ્તરે કેટલો સજ્જ છે તે વૈશ્વિક સ્તરે લોકોને સમજ પડી. આ ઑપરેશન સફળ ચોક્કસ હતું પણ આપણે એ સમજવું જરૂરી છે કે આપણે જે સ્થળોને આપણા ટાર્ગેટ બનાવ્યા તે વ્યૂહાત્મક કરતા સાંકેતિક વધારે હતા. ભારત જાણે કહેવા માગતો હતો કે અમે ધારીએ તો તમારી પણ આકરો હુમલો કરી જ શકીએ છીએ અને એ પણ પૂરી ચોકસાઈ સાથે. જો કે આપણે એ સમજવું રહ્યું કે આમ કરવાથી કે POKની વાસ્તવિકતા રાતોરાત બદલાઈ નથી જતી. હા, સંજોગો આઘા-પાછાં કે અસ્તવ્યસ્ત થાય પણ આમૂલ પરિવર્તન આવતાં હજી સમય લાગશે અને તે સ્વાભાવિક છે.

હવે સીઝ ફાયર  એટલે કે યુદ્ધ વિરામની વાત કરીએ તો અમુકને એમ થયું કે બધું પતાવી જ દેવાનું હતું વગેરે? જો કે પાનના ગલ્લે કે ચાની લારી પર આવી વાતો કરવાનું પોસાય. વળી, આપણા યુદ્ધ વિરામ પર દાવો કરનારા પણ ફૂટી નીકળ્યા. તેની વાત આગળ કરીએ પણ આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનને હુમલાની ઉગ્રતાનો અનુભવ થયો એટલે યુદ્ધ વિરામ શરૂ કર્યો અને ભારતે પણ નાગરિકોમાં તણાવ ઘટાડવા અને રાજદ્વારી સ્થિતિ સાચવવા માટે તેને સંમતિ આપી. પણ અચાનક જ યુદ્ધ વિરામ આવ્યો તેમાં પણ સવાલો થયા. શું યુદ્ધ વિરામ એક પક્ષીય હતો? કોઈ અન્યએ – બહારની વ્યક્તિ કે દેશે વચ્ચે પડીને મધ્યસ્થીનો ભાગ ભજવ્યો? આખી પરિસ્થિતિમાં ભારતનો હાથ ઉપર હતો ત્યારે જ યુદ્ધ વિરામની જાહેરાત કેમ કરાઈ? મોદી સરકારે તો કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થી હોવાની આખી વાતને નકારી કાઢી છે. યુ.એસ.એ.ના પ્રેસિડન્ટ ટ્રમ્પે પોતે બૅક ચેનલિંગ કર્યું હોવાનો દાવો કર્યો પણ તેને આપણી સરકારે નકારી કાઢ્યો.  

ટ્રમ્પે એમ કહ્યું કે “હું એમ કહેવા નથી માગતો કે મેં કર્યું પણ મેં મદદ તો કરી જ” – લોકોએ આ વાત હસવામાં કાઢી. જો કે વ્યૂહાત્મક રીતે જોઈએ તો એવી શક્યતા છે કે યુ.એસ.એ. અને નાટો સાથે સંકળાયેલા દેશોનું દબાણ હોય. એક ધારણા એ પણ છે કે આવું થવાનું કારણ એ છે કે ભારતીય મિસાઈલોમાંની એક મિસાઈલ નાટો લોજિસ્ટિક્સ હબની નજીક ફૂટી હતી. આ માત્ર એક ધારણા છે જેની પર ઘણી બધી ચર્ચા થઈ છે પણ કોઈ નક્કર નિવેદન નથી આવ્યું, ન તો કોઈ સત્તાવાર અહેવાલે આની પુષ્ટિ કરી છે. પહેલાં ઉપ પ્રમુખ જે.ડી. વેન્સનું કહેવું કે અમારે આખી ઘટના સાથે કંઇ લેવાદેવા નથી અને પછી ટ્રમ્પનો મધ્યસ્થી થવાનો દાવો વગેરે જરા પેચીદું લાગે એમાં નાટો લોજિસ્ટિક્સ હબની ત્રિરાશી મંડાય ત્યારે કોકડું ઓર ગુંચવાય. એક સૂર એવો પણ છે કે ભારતે જ્યારે પોતાની શક્તિનો પરચો પાકિસ્તાનને – આતંકવાદને પાળનારા દેશને બતાડ્યો પણ ભારતને પોતાની આ પહેલ ‘રોકવા’નું કહેવાયું હતું. ટ્રમ્પની ભૂમિકા તેમાં હોય કે ન હોય પણ વૈશ્વિક સ્તરે કોઈ મધ્યસ્થીએ ભાગ ભજવ્યો હોવાના નેરેટિવને કારણે માત્ર દ્વિપક્ષીય સંઘર્ષનો જે પ્રભાવ હતો તેમાં આપણે થોડેઘણે અંશે ખોટમાં ગયા. આ સ્તરે વ્યૂહાત્મક નિર્ણય લેવાને મામલે ભારતની સ્વાયત્તતા અંગે ઘણાંએ ભવાં તાણ્યા અને સવાલોની શક્યતાઓ પણ ખૂલી. 

આ તરફ ચીને ચૂપચાપ બધું જોયે રાખ્યું. બેઇજિંગે બેમાંથી એક પણ પક્ષને ખુલ્લેઆમ, પૂરેપૂરો ટેકો તો ન આપ્યો પણ ચીનના લશ્કરી નિરીક્ષકોએ તરત જ એ નોંધ્યુ કે ચીનમાં બનેલી રડાર સિસ્ટમો જે પાકિસ્તાનને પૂરી પાડવામાં આવી હતી તેને ભારતે જામ કરી દીધી હતી. ચીન માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ સંઘર્ષને કારણે બે હેતુ પાર પડ્યા – એક તો ચીને પોતે સંરક્ષણના જે સંસાધનોની નિકાસ કરી છે તેની કામગીરી, ટકાઉપણું અને ક્ષમતા આ સંજોગોમાં નાણી શકાયાં. બીજો હેતુ એ કે પોતે પૂર્વમાં જે ચાળા કરે છે તેની પરથી ભારતનું ધ્યાન ખસ્યું. ચીનના ગ્લોબલ ટાઇમ્સમાં જે પણ વિશ્લેષક અહેવાલો પ્રગટ થયા હતા તે માપમાં રહીને જ લખાયા હતા પણ તેમાં આડકતરી રીતે એમ પણ કહેવાયું કે ભારત જે રીતે પશ્ચિમી ઇન્ટેલિજન્સ અને શસ્ત્રો પર આધાર રાખે છે, ભારતની પશ્ચિમી દેશો સાથેની નિકટતા તેને બાકીના એશિયાઈ દેશોથી રાજકીય અને વ્યૂહાત્મક સ્તરે અલગ પાડશે, ખાસ કરીને એ પ્રદેશોથી જેની પર બેઈજિંગનો પ્રભાવ છે. વળી ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં જો ચીનના શસ્ત્રો પાકિસ્તાની એરસ્પેસની રક્ષા કરવામાં પાછા પડે તો તેનો સીધો ફાયદો પશ્ચિમી દેશોને થાય. અહેવાલો અનુસાર ચીનની HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ જે પાકિસ્તાનમાં હતી તે ઑપરેશન સિંદૂર દરમિયાન ભારતના હવાઈ હુમલા રોકવામાં નિષ્ફળ ગઈ. આ નિષ્ફળતા ચાઈનીઝ ટૅક્નોલૉજીની વિશ્વસનીયતા પર સવાલ ખડા કરે છે. આની સીધી અસર થાય ચીની શસ્ત્રોની નિકાસ પર અને અન્ય દેશો જો ચીન પાસેથી શસ્ત્રોનો વ્યાપાર કરવાનું વિચારતા હોય તો તેઓ પોતાનો પ્લાન સ્વભાવિક રીતે બદલી નાખશે. આમાં ચીનનું ઇન્દ્રાસન પાછું ડોલી જાય તે સ્વાભાવિક છે. 

હવે ઘર આંગણે લોકોના પ્રતિભાવ અને નક્કર સ્પષ્ટતાની ગેરહાજરીની ચર્ચા કરવી રહી. રાષ્ટ્રવાદ છેલ્લા કેટલાક દિવસોમાં પરાકાષ્ઠા પર રહ્યો છે. ન્યૂઝ ચેનલોના નાટકીય મોન્ટાજ અને અહેવાલોથી અમૂક વર્ગને લાગ્યું કે જાણે પોતે જ સરહદ પર છે. સોશ્યલ મીડિયા પર અલગ સિંદૂર ખેલા થયો જેમાં જાણીતા-અજાણ્યા બધાં લોકો પોત પોતાની રીતે જોડાયાં. બરખા દત્ત, જે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે જાણીતાં છે તેમના રિપોર્ટ્સમાં નિયંત્રણ રેખાની નજીક રહેતા લોકોને વ્યથા દેખાઈ આવી. અમુક વિશ્લેષકોએ સવાલ પણ કર્યા કે આ બધું માત્ર એક મેસેજ આપવા માટે હતું, માત્ર એક સંકેત હતો? કાશ્મીરમાં સ્થિતિ નથી બદલાઈ – આમે ય કશું રાતોરાત ન થાય પણ આ ઘટનાનો પ્રભાવ કેટલો? આતંકવાદીઓ હવે ખડા નહીં થાય? POKનો પ્રશ્ન ઉકેલાઈ ગયો? ભારતે પોતાની લશ્કરી તાકાત બતાડી દીધી પણ મળ્યું શું? આપણી તાકાત જોઇને હવે પાકિસ્તાન આપણી ક્ષમતા કળી જઈને પોતાનું જોર અને વ્યૂહરચના ચાર ગણી મજબૂત બનાવશે તો શું? પાકિસ્તાનને ખબર છે કે ભારત હવે હુમલો કરતા નહીં અચકાય તો તે ધારે તો આતંકવાદી હુમલાને અટકાવી શકે છે પણ અવરોધ ત્યારે જ કામ કરે જ્યારે તેની સાથે રાજકીય સુસંગતતા હોય. ભારતમાં ઐતિહાસિક રીતે તેનો અભાવ રહ્યો છે. વળી સવાલ એ પણ છે કે જો આપણી પર હુમલો થાય તો ભારત વધુ આકરો જવાબ આપશે? આતંકવાદીઓ તો જૈસે થે વાળા ઝોનમાં છે. કાશ્મીરમાં રાજકીય તણાવ યથાવત્ છે. વ્યૂહાત્મક રીતે તણાવ ટાળવા માટે યુદ્ધ વિરામ જરૂરી હતો પણ એમાં પાકિસ્તાનને કળ વળે અને તે ફરી બેઠો થાય તેનો સમય મળી ગયો છે.

એ ગણતરી યાદ રાખવી જરૂરી છે કે આ માત્ર બે દેશોનો સંઘર્ષ નથી. આ બહુ પેચીદું કોકડું છે. ચીન, અમેરિકા, અન્ય મુસ્લિમ દેશો, અન્ય પશ્ચિમી દેશો એ તમામ આ આખી ઘટનામાં એક યા બીજી રીતે જોડાયેલા છે. વિજય પતાકા અને મૃતકોની યાદી વચ્ચેનું રાજકારણ હંમેશાં તરત સપાટી પર નથી આવવાનું એ યાદ રાખવું જરૂરી છે. 

બાય ધી વેઃ 

ઑપરેશન સિંદૂર એ ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીની ક્ષમતા અને લશ્કરી તાકાતનું નોંધપાત્ર પ્રદર્શન હતું. લશ્કરી સફળતાથી વ્યૂહાત્કમ વિજય હંમેશાં નથી મળતો. આપણે જીતીશું તો આપણી જીત કેવી દેખાશે એ આપણે વિચારવું જોઈએ. ચક્રવર્તી રાજા અશોકે કલિંગનું યુદ્ધ કર્યુ હતું જે ઇતિહાસના સૌથી મોટા અને ઘાતક યુદ્ધોમાંનું એક ગણાય છે પણ તેની તારાજી જોઈને રાજા અશોકે ભગવાન બુદ્ધનો અહિંસા અને શાંતિનો માર્ગ અપનાવ્યો હતો. POKમાં થયેલો છાવણીઓનો વિધ્વંસ વિજય હોય કે પછી કાશ્મીરની સ્થિરતા આપણા વિજયનું પરિણામ બનશે તે આપણે નક્કી કરવું રહ્યું. આ સવાલોના જવાબ નહીં મળે ત્યાં સુધી દરેક ઑપરેશન ક્ષણિક ઉત્તેજનાઓ, તાકાતનું પ્રદર્શન, ગર્વ અને પ્રસિદ્ધિમાં સમાઈ જશે પણ સંજોગો વણઉકેલાયેલા રહેશે. બીજી બાજુ પાકિસ્તાનની મિશ્ર લાગણીઓ સાથ-સાથ ફિલ્મના આ ગીતની પંક્તિનો પહેલો શબ્દ – ‘પ્યાર’ –  બદલીને જોવી જોઇએ? “યુદ્ધ મુઝસે જો કિયા તુમને તો ક્યા પાઓગે? મેરે હાલત કી આંધીમેં બિખર જાઓગે …”

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 મે 2025

Loading

18 May 2025 ચિરંતના ભટ્ટ
← પાકિસ્તાન તો ઠીક છે, અમેરિકા અને ચીનનું વલણ ચિતા ઉપજાવે એવું છે
વાણી વિલાસ, કરશે ખલાસ ! →

Search by

Opinion

  • લાકડાના વેપારીની બોઇંગ કંપનીનું સો વર્ષનું એકચક્રી શાસન ડામડોળ થઇ રહ્યું છે
  • ….. તો શું થાત?
  • અમેરિકી પ્રમુખ ટ્રમ્પને નોબેલ ‘અશાંતિ’ પુરસ્કાર અપાવો જોઈએ …
  • ભારતીય ઉડ્‍ડયન ક્ષેત્રના રન-વેની વિટંબણાઓઃ સલામતી, આર્થિક મજબૂતાઈ, નીતિની ગૂંચ જેવા બર્ડ હિટ
  • પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • ગાંધીમાર્ગ કઠિન છે?
  • બાપુનો દાંત
  • વિરાટદર્શન
  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા

Poetry

  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved