વાચકને પ્રશ્ન થઈ શકે છે કે હોસે આર્કાદિયો અને ઉર્સુલા કઝિન્સ હોવા છતાં લગ્ન સુધીનો અને હોસે-તરનેરા તેમ જ હવે પછી જેની વાત આવશે એ યુવતીઓ રેબેકા રેમેડિયોસ અને એ બન્ને જેના પ્રેમમાં પડે છે તે પિએત્રો ક્રિસ્પી, તેમ જ એ પછી પણ કથામાં પ્રવેશનારાં લગભગ બધાં, સમ્ભોગ સુધીનો સ્વૈર મુક્ત જાતીય વ્યવહાર શી રીતે કરી શકે છે.
ઉત્તર સીધો છે : કેમ કે તે સમયે એમને ત્યાં સભ્ય સમાજની સંસ્કૃતિનો ઉદય ન્હૉતો થયો. તેઓ બંધિયાર જીવન જીવતાં’તાં. ખાસ કારણ એ હતું કે તેઓ incestuously વર્તતાં’તાં – મતલબ, નજીકનાં સગાં હોવા છતાં જાતીય પ્રવૃત્તિઓમાં રત રહેતાં હતાં.
માર્ક્વેઝનો કથક કૃતિના અન્તમાં એ જ કહે છે : ગામ વળી પાછું એકલ અને અલગ છે. બ્વેન્દ્યા-પરિવારના રહ્યાંસહ્યાં જન એકલવાયાં છે. તેઓ નજીકનાં સગાંઓ વચ્ચેના સમ્ભોગથી જનમેલાં છે. તેઓ બહારની દુનિયાથી કપાઇ ગયેલાં છે. એમનો એકાકી અન્ત નિશ્ચિત છે.
પ્રકરણ : ૩ : (આ નવલની મારી પાસેની ઑનલાઈન નકલમાં આ પ્રકરણનાં ૨૦ પેજીસ છે. ટૂંકાવતાં જીવ નથી ચાલતો, પણ શું કરું?)
ઉર્સુલાએ માકોન્ડો અને સભ્ય સમાજને જોડતો માર્ગ શોધી કાઢ્યો. એટલે પછી ગામમાં પરિવર્તનનો દૉર શરૂ થઈ ગયેલો. બ્વેન્દ્યા-પરિવાર અને ગામ સાથે સાથે વિકસી રહ્યાં’તાં, એમાં હોસે આર્કાદિયો બ્વેન્દ્યાની ચાવીરૂપ ભૂમિકાનો ઘણો મોટો હિસ્સો હતો.
પિલાર તરનેરા ગૂમનામ આર્કાદિયોના પુત્રને જન્મ આપે છે. એ હમેશાં ‘આર્કાદિયો’ નામથી ઓળખાય છે.
પરિવારમાં એક દિવસ એક અનાથ છોકરી રેબેકા આવી ચડેલી, એ માત્ર ૧૩ વર્ષની હતી. એનાં મૂળ અંગે કોઈને કશી જાણ હતી નહીં. પરિવાર એને પરિવારજન ગણીને અપનાવી લે છે. રેબેકાને ભીંતના પોપડા અને માટી ખાવાની આદત હતી, એ આદત બ્વેન્દ્યાઓએ છોડાવી. બ્વેન્દ્યાઓએ એ પણ જોયું કે રેબેકાને અનિદ્રાનો રોગ છે જેને કારણે એ સ્મૃતિભ્રંશનો ભોગ બની છે.
એના એ બન્ને રોગ ગામ આખામાં ફેલાઇ ગયા. સ્મૃતિ પાછી આવે, બધું યાદ આવે, એ માટે લોકો વસ્તુઓ પર નામોનાં લેબલ ચૉંટાડવા માંડ્યા. સૌ પહેલાં GOD EXISTS ચૉંટાડ્યું. પણ પછી બીવા લાગ્યાં કેમ કે સવાલ થયો – ગામવાસીઓને કેવી રીતે વંચાતું’તું તે જો યાદ જ નહીં આવે તો? તો એ દિવસે એ સઘળાં લેબલ નકામાં થઈ જશે.
તરનેરા કાર્ડ વાંચીને લોકોનું ભવિષ્ય ભાખતી’તી. હમણાંની લોકોનો ભૂતકાળ કહી બતાવે છે.
મેલ્ક્વીઆદેસ, જાણે મૃત્યુલોકમાંથી પાછો આવ્યો છે. પોતાની સાથે એ વિષનાશક ઔષધ લાવેલો જેના પ્રતાપે ગામવાસીઓનો અનિદ્રા-રોગ મટી જાય છે. માકોન્ડોવાસીઓએ કદી નહીં જોયેલું એવું એક સાધન પણ એ લાવેલો, ડેરોટાઇપ. આગળના જમાનામાં ડેરોટાઇપથી ચાંદીની પ્લેટ પર અથવા ચાંદી ચડાવેલી તાંબાની પ્લેટ પર ફોટોગ્રાફ પાડી શકાતા’તા.
એ પર હોસે આર્કાદિયો બ્વેન્દ્યાએ ગૉડનો, ઈશ્વરનો, ફોટો પાડવાની મથામણ કરી જોયેલી. એને ઈશ્વરનું અસ્તિત્વ પુરવાર કરવું’તું.
હોસે આર્કાદિયો બ્વેન્દ્યાનો બીજો દીકરો ઔરેલિયાનો ચાંદીના દાગીનાનો કારીગર બન્યો હોય છે – સિલ્વરસ્મિથ. એ આખો વખત લૅબોરેટરીમાં પુરાયેલો રહે છે, એટલા માટે કે મેલ્ક્વીઆદેસ જોડે પોતે જ્ઞાનવાર્તાઓ કરી શકે. જો કે એ બન્ને જણા પોતપોતાની ધૂનમાં ગળાડૂબ રહેતા હોય છે.
ઔરેલિયાનો મોટો થયો છે, એકલો અલગ રહેવા માંડે છે, અને સ્ત્રીઓ બાબતે પ્રગટપણે તો સૌને નીરસ લાગતો હોય છે.
પરિવાર અને ગામ જેમ જેમ વિસ્તરે છે તેમ તેમ ઉર્સુલા, બ્વેન્દ્યા-હાઉસને પણ વિસ્તારતી હોય છે. ગામમાં પ્રવૃત્તિઓની રફતાર અને ઘરમાં એટલી બધી ધમાલ કે બાળકોની સંભાળ તો ગૌણ બની ગયેલી.
એક જાતિમાં કેટલાં ય વરસોથી અનિદ્રારોગનો વાવર ચાલતો’તો. ત્યાંથી ગ્વાતિરો ઇન્ડિયન બાઈ વિસિતાફ્યુઅમ અને તેનો ભાઈ વખાના માર્યાં માકોન્ડોમાં આવી ચડેલાં. એવાં સાલસ અને મદદ કરવાને આતુર કે ઉર્સુલાએ એમને ઘરનાં કામકાજ માટે રાખી લીધાં. એઓ બાળકોની સંભાળ પણ રાખતાં.
એટલે જ આર્કાદિયો અને અમરન્તાને સ્પૅનિશ આવડે એ પહેલાં ગ્વાતિરો ભાષા આવડી ગયેલી. અરે, ઉર્સુલાની જાણ બહાર તેઓ એટલે જ ગરોળીનો સૂપ અને કરોળિયાનાં ઇંડાં ખાતાં શીખી ગયેલાં.
ઉર્સુલા પણ કૅન્ડી ઍનિમલ્સના એના આશાસ્પદ ધંધામાંથી ઊંચી ન્હૉતી આવતી.
ભરોસાપાત્ર તો નહીં જ પણ યુક્તિબાજ અને કોઇપણ ભોગે પોતાનો મતલબ પાર પાડે એવા શઠને ‘સ્નેક-મૅન’ કહેવાય છે. ઉર્સુલાએ માનેલું કે જિપ્સીઓ સાથે એક છે એવો. જિપ્સીઓને એ હોસે આર્કાદિયો બ્વેન્દ્યાની બાતમી આપી શકે એમ છે. જિપ્સીઓ પાછા તો આવે છે પણ સાથે હોસે નથી હોતો, પેલો સ્નેક-મૅન પણ નથી હોતો. એટલે જિપ્સીઓને હાંકી કાઢવામાં આવે છે, એમ કહીને કે – ખબરદાર હવે પછી ગામમાં પગ મૂક્યો છે તો .. જિપ્સીઓ સૌને દગાબાજ, વાસનાભૂખ્યા, ભ્રષ્ટ અને વિકૃત લાગેલા.
પહેલેથી સ્વાયત્ત ગામ માકોન્ડોમાં કેન્દ્ર સરકારનો સૂબો મૅજિસ્ટ્રેટ ડૉન અપોલિનર મોસ્કોતે પધારે છે. હુકમ કરે છે કે મકાનને આ નહીં પણ ભૂરા રંગે રંગો. હોસે આર્કાદિયો બ્વેન્દ્યા એને એમ કહે છે કે ગામમાં જો તમારે રંગની બાબતે લોકોને ભડકાવવા હોય, ધાંધલ મચાવવી હોય, તો જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા ચાલી જાવ; સામાન્ય નાગરિકની જેમ રહેવું હોય તો આવજો; બાકી, મારું ઘર તો સફેદ થઈ જવાનું છે – સફેદ કબૂતરના રંગનું …
તો પણ મોસ્કોતે ઘણા બધા સૈનિકો અને પોતાનું કુટુમ્બ લઇને પાછો આવે છે. ત્યારે હોસે, મોસ્કોતેને ફરજ પાડે છે કે એની સત્તા જતી કરે, બલકે ગામને સૉંપી દે. દુશ્મનાવટ ઊભી થાય છે.
બાપને એવી દુશ્મનાવટ હતી તેમ છતાં દીકરો ઔરેલિયાનો મૅજિસ્ટ્રેટની સૌથી નાની દીકરી રેમેડિયોસ મોસ્કોતેના પ્રેમમાં પડે છે.
(હવે પછી, પ્રકરણ -૪)
(Aug 17, 2022 : USA)
Almost all characters :
Pic Courtesy : Annenberg Leaner
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર