મોડે મોડે પણ ગુજરાત સરકારે આજથી ધોરણ 1થી 9નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાનું નક્કી કર્યું છે તે આવકાર્ય છે. લગભગ એક મહિને વિદ્યાર્થીઓ વર્ગોમાં આવતા થશે તો સ્કૂલો ફરી સક્રિય થશે ને એમ વાતાવરણ ફરી કિલ્લોલતું થાય એમ બને. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની ચર્ચા વિચારણા પછી રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શનિવારે જાહેરાત કરી કે સોમવારથી ધોરણ 1થી 9ના ઓફલાઇન વર્ગો શરૂ કરી શકાશે. કોરોનાના લાંબા વેકેશન પછી ગયા નવેમ્બરમાં જેમ તેમ ઓફલાઇન શિક્ષણ સ્કૂલોમાં શરૂ થયું હતું, પણ ગઈ જાન્યુઆરીની 6 તારીખે ચાર હજારથી વધુ કેસો ત્રીજી લહેરમાં આવતાં 1થી 9 ધોરણના ઓફલાઇન વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ કરવાનો અને ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રાખવાનો નિર્ણય સરકારે લીધો હતો. એ પછી 31 જાન્યુઆરીએ ઓફલાઇન વર્ગોની અનુમતિ સરકારે આપવાની હતી, પણ કેસ ખાસ ઘટતા ન હતા એટલે 5 ફેબ્રુઆરી સુધી ઓફલાઇન વર્ગો શરૂ નહીં કરવાનો નિર્ણય સરકારે લીધો. જો કે, 5 ફેબ્રુઆરીએ જૂની ગાઈડ લાઇન પ્રમાણે સ્કૂલો ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે તે એટલા માટે કે કોરોનાના કેસો ઘટી રહ્યાનું સરકારને લાગ્યું છે. ગમ્મત એ છે કે 6 જાન્યુઆરી, 2022 ને રોજ કોરોનાના કેસ 4,213 થઈ જતાં સરકારે ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો ને હવે 7મીથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે કેસ ઘટી રહ્યા છે, પણ 4 ફેબ્રુઆરીએ પણ કેસની સંખ્યા 6,097ની તો હતી જ ને 35 મૃત્યુ નોંધાયા હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે કેસ ઘટી રહ્યાં છે એ ખરું, પણ 6 જાન્યુઆરીએ જે સ્થિતિ સ્કૂલો બંધ કરવા માટે જરૂરી બની હતી એના કરતાં બહુ સારી સ્થિતિ અત્યારે સ્કૂલો ચાલુ કરવા માટેની નથી, પણ સરકાર આશાવાદી છે ને ઈચ્છીએ કે સ્કૂલો શરૂ થાય એ ગાળામાં સ્થિતિ સુધરે.
સ્કૂલો ચાલુ કરવાનું એક કારણ તો શાળા સંચાલકોનું સરકાર પર દબાણ પણ લાગે છે. ગયાં શૈક્ષણિક વર્ષમાં સરકારે એક ક્વાર્ટરની સ્કૂલ ફી માફ કરાવી હતી. આ વર્ષે પણ એક ત્રિમાસિકની ફી જતી કરવાનું પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વચન આપ્યું હતું, પણ એ મુદ્દે નવા શિક્ષણ મંત્રી વાઘાણી ચૂપ છે. એમાં ય 3 ક્વાર્ટર તો પૂરા થઈ ગયા ને ચોથું ક્વાર્ટર પણ જાય તો ઓનલાઇન શિક્ષણને નામે ફીનું નાહી નાખવું પડે. ઓફલાઇન શિક્ષણ શરૂ થાય ને ફી આવે એટલે સંચાલકોએ ઓનલાઇન શિક્ષણના વાંક પણ કાઢી બતાવ્યા કે સ્કૂલો ફરી બંધ થતાં વિદ્યાર્થીઓને લોસ જઈ રહ્યો છે, ઓનલાઈન શિક્ષણ બાળકોનો સ્વભાવ ને આંખ બગાડે છે, મોબાઈલ બધાં પાસે નથી કે મોબાઈલથી બાળક ભણવાને બદલે તેમાં ગેમ્સ રમવામાં પડે છે … વગરે. એટલે ઓફલાઇન શિક્ષણ શરૂ થાય તે વિદ્યાર્થીઓના હિતમાં છે જેવી વાતોથી સરકાર પર દબાણ ઊભું કરાયું. એ જે હોય તે, પણ સરકારને 7 ફેબ્રુઆરીથી સ્કૂલો શરૂ કરવાની ફરજ પડી છે એ ખરું.
જો કે, સરકારે ઓફલાઇન શિક્ષણ મેળવવા આવતાં વિદ્યાર્થીઓ માટે વાલીની સંમતિ ફરજિયાત કરી છે ને ઓનલાઈન વર્ગો પણ ચાલુ જ રહેશે એવી જાહેરાત પણ કરી છે. એટલે જે વિદ્યાર્થીઓને વાલીઓ સ્કૂલે મોકલવા ન માંગતા હોય તેમને માટે ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ ખુલ્લો છે જ, છતાં ઘણા વાલીઓને લાગે છે કે સરકારે સ્કૂલો ચાલુ કરવામાં ઉતાવળ કરી છે. હજુ કેસ ઘટે એની એકાદ પખવાડિયું સરકારે રાહ જોવાની જરૂર હતી. એ ખરું કે ફી માટે સ્કૂલો ઓફલાઇન શરૂ થઈ તો જાય, પણ જો બાળકો પર જોખમ વધતું હોય તો કોઈ વાલી પોતાનાં સંતાનોને સ્કૂલે મોકલવા તૈયાર નહીં થાય, પણ એવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇનનો વિકલ્પ સરકારે ખુલ્લો રાખ્યો જ છે, એટલે વાલીઓ એની ચિંતા ન કરે ને સ્કૂલો શરૂ થાય તે જુએ. બાળકને ભોગે શિક્ષણ ન હોય તે કબૂલ, પણ વાલીઓ એ પણ જુએ કે સ્કૂલે નથી જતાં તે સંતાનો બીજે કયાં ક્યાં જાય છે? વાલીઓ સાથે કે એકલાં બાળકો બજારે જાય છે? સગાંસંબંધીને ત્યાં, પાર્ટીઓમાં, લગ્નોમાં, ફિલ્મોમાં, બગીચાઓમાં, હોટેલોમાં, મિત્રોમાં, મેળાવડાઓમાં જાય છે? તે કેસ ઘટી જાય છે એટલે જાય છે? ત્યારે જોખમો હોતાં નથી? એ જોખમો ઉઠાવવાનો વાંધો નથી ને સ્કૂલે મોકલવામાં જ જોખમ લાગે છે? જો બહાર ગાઈડલાઇન્સનું પાલન કરીને જવાતું હોય તો સ્કૂલોમાં પણ એનું પાલન કરીને ઓફલાઇન ભણી જ શકાય.
હવે જ્યારે સ્કૂલો ખૂલી રહી છે ને વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ મેળવવાના છે ત્યારે એક ઉપકાર સરકારે અને શિક્ષણ સમિતિઓએ શિક્ષકો પર કરવા જેવો છે અને તે એ કે તેઓ વિદ્યાર્થીઓને ભણાવી શકે એવી અનુકૂળતા તેમને થાય તે જુએ. એક વસ્તુ સમજી લઇએ કે લગભગ ત્રણ વર્ષ વિદ્યાર્થીઓ અસરકારક શિક્ષણથી વંચિત રહ્યા છે. આ લર્નિંગ લોસ નાની નથી. ઓનલાઈન શિક્ષણ જ્યાં થયું હશે ત્યાં થયું હશે, પણ મોટો ભાગ શિક્ષણથી વંચિત રહ્યો છે તે હકીકત છે. એ સ્થિતિમાં વિદ્યાર્થીઓ સઘન શિક્ષણ તરફ વળે ને શિક્ષકો એ તરફ વાળી શકે એવી અનુકૂળતા શિક્ષણ વિભાગે અને સંબંધિત શિક્ષણ સમિતિઓએ કરી આપવાની રહે. કોરોનામાં પ્રત્યક્ષ શિક્ષણ ન થયું એ સમયમાં શિક્ષકો પાસે ભલે બીજી પ્રવૃત્તિઓ કરાવાઈ હોય, પણ જેટલું પણ ઓફલાઇન શિક્ષણ ચાલ્યું એમાં શિક્ષકોને ભણતર સિવાયની જવાબદારીઓ એટલી સોંપાઈ છે કે શિક્ષક ભણાવી શકે એટલી મોકળાશ જ તેની પાસે ન રહે. શિક્ષક પત્રકો અને પરિપત્રોમાંથી જ ઊંચો નથી આવતો. આમ પણ ચૂંટણી, વસ્તી ગણતરી જેવાં કામો તો હતાં જ, ત્યાં રસીકરણની જવાબદારી ઉમેરાઈ. આ ઉપરાંત કોઈને કોઈ મહાનુભાવની જન્મ તારીખ ને જાતભાતના દિવસોની ઉજવણીનું ભારણ એટલું વધ્યું છે કે એ ઉજવણાં કે ઊઠમણાંમાંથી જ પરવારતો ન હોય તો તે ભણાવશે ક્યારે? તેને નોકરી ભણાવવાની સોંપાઈ છે, પણ તેની પાસેથી કામ કારકૂનનું લેવાય છે. આ કોઈ પણ રીતે યોગ્ય નથી. શિક્ષક આ મામલે ફરિયાદ કરી શકતો નથી, કારણ તેણે નોકરી કરવી છે ને તેનાં પગાર પર ઘણાં નભે છે એટલે સરકારે અને સમિતિઓએ જ આગ્રહ રાખીને શિક્ષક ગંભીરતાથી ભણાવે એ સ્થિતિ ઊભી કરવાની રહે. આ નહીં થાય તો એક આખી પેઢી શિક્ષિત અભણની ઊભી થવાનું જોખમ છે. એ માટે વાલીઓએ પણ કાળજી લેવાની રહે કે પોતાનું સંતાન પ્રત્યક્ષ શિક્ષણ લે એ શક્ય બને.
એ સો ટકા કબૂલ કે ઓફલાઇનમાં વિદ્યાર્થીઓ પર જોખમ વધતું હોય તો ઓનલાઇનનો વિકલ્પ જ પસંદ કરવાનો રહે, સાથે જ એ પણ વિચારવા જેવું છે કે વચ્ચેના થોડા મહિના બાદ કરતાં ત્રણેક વર્ષ શિક્ષણની, તેનાં સ્તરની ભયંકર દુર્દશા થઈ છે. ઓનલાઈન શિક્ષણનું આશ્વાસન છે જ, પણ એ, બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું નથી. ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં સાધનોની ખેંચને કારણે બધા વિદ્યાર્થીઓ તેનો લાભ નથી જ લઈ શક્યાં. છતાં એ બધાં ત્રણેક વર્ષથી પાસ થાય છે ને ઉપલા વર્ગોમાં ચડાવાય પણ છે. વિદ્યાર્થી વર્ગમાં ગયો જ નથી ને કમાલ એ છે કે તેને વર્ગ બઢતી મળી છે. એવાં બાળકોને આ વર્ષે પણ સ્કૂલમાં ગયા વગર જ આગળ જવા દેવા છે? આ યોગ્ય છે? આ સ્થિતિ હાયર સેકંડરીમાં નથી જ એવું નથી. ગયે વર્ષે બોર્ડે પરીક્ષા જ નથી લીધી ને આગલી પરીક્ષાઓ, જે ક્યાંક લેવાઈ, ક્યાંક ન લેવાઈ, તેનાં પરથી પરિણામો તૈયાર થયાં, આમ તો એ માસ પ્રમોશનની સુધરેલી રીત જ હતી, પણ હકીકત એ છે કે પરીક્ષા લીધાં વગર જ પરિણામો અપાયાં, એટલું જ નહીં, ટોપ ટેન પણ જાહેર કરાયાં, એ બધું શિક્ષણના હિતમાં, વિદ્યાર્થીના હિતમાં થયું હોય એમ લાગે છે? એ બધું હજી ચાલવા દેવું છે?
ત્રીજા ધોરણમાં આવેલા વિદ્યાર્થીને એકડો લખતાં ન આવડે એવા અસંખ્ય બાળકો આસપાસ જ જોવા મળશે. આને શિક્ષણની પ્રગતિ કહીશું? શિક્ષણ એટલે માત્ર માર્કસ અને ટકાવારી એટલું જ છે? હવે તો નકલી સર્ટિફિકેટો કે માર્કશીટ્સ પૈસા ખર્ચવાથી મળી જાય છે. પૈસા ખર્ચો તો પીએચ.ડી.નો થીસિસ લખનારાની ખોટ નથી, પણ એ જ્ઞાન છે? શિક્ષણ છે? માની લઇએ કે થોડા મતલબી ને અમીર માણસોને એ માફક આવે છે, પણ બધાંને એ ચાલશે? હવે અસલી કશાની આપણને જરૂર જ નથી રહી, શું? આખી દુનિયા નકલી ચીજ વસ્તુઓથી જ ચાલશે? નકલી સૂરજ, નકલી ચંદ્ર, નકલી પૃથ્વી, નકલી માણસ, નકલી પૈસા એ જ ભવિષ્ય છે, શું? પછી તો માબાપ, બાળક પણ અસલી શું કામ હોય? શ્વાસો નકલી ને જિંદગી પણ નકલી. પણ એક વસ્તુ એકદમ અસલી હશે ને તે મૃત્યુ. એ તો નકલીને પણ આવશે જ, કારણ એને અસલીનકલીથી કોઈ ફેર પડતો નથી –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 ફેબ્રુઆરી 2022