સૅક્સ્યુઅલ રીલેશનશિપ : લેખાંક – 5 : મર્લો પૉન્તિ :
સાપ કદી એના મદારીને ડંખે? ના, પરન્તુ આ કોરોનાનો સાપ મને ડંખ્યો. હું જો કે મદારી નથી પણ પૃથ્વી પરના માનવસંસારનો એક અદનો પ્રતિનિધિ જરૂર છું. એ નાતે કોરોનાને હમ્મેશ માટે ચાલી જવા સમજાવ્યા-પટાવ્યા કર્યો છે, છતાં મને ડંખ્યો. હું બચી ગયો છું પણ હેરાન ખૂબ થયો. હજી હોમ-આઇસોલેશનમાં છું.
મદારીને ન ડંખે કેમ કે મદારી એનો રખવૈયો કહેવાય, વાલિ. એને ખવરાવે, પીવરાવે, કરઁડિયામાં ઢબૂરીને ઉંઘાડી દે. જાગે ત્યારે દૂધ પાય, બ્હારની તાજી હવા ખવરાવે. એની ખુશી માટે બીન બજાવે. ઘણાં લાલનપાલન કરે.
મેં પણ કોરોનાનાં મારા છાંસઠ છાંસઠ લેખોમાં કેટકેટલાં લાલનપાલન કર્યાં છે, છતાં મને ડંખ્યો. કદી જરા ય ધમકાવ્યો નથી. હમેશાં લાડ લડાવ્યાં છે. વગોવણી તો કરી જ નથી. મહા જ્ઞાની ગણી સામે બેસાડ્યો છે અને એની મૂક સમ્મતિ પછી જ સાહિત્યની વાતો કરતો રહ્યો છું, છતાં મને ડંખ્યો.
હું તો અહીં, સૅક્સ્યુઅલ રીલેશનશિપ બાબતે ઍક્ઝિસ્ટૅન્શ્યાલિઝમની ભૂમિકાએ લેખો કરતો’તો. સાર્ત્રે પોતાના ‘બીઈન્ગ ઍન્ડ નથિન્ગનેસ’ ગ્રન્થનું ઉપશીર્ષક રાખ્યું છે, ‘ફીનૉમિનોલૉજિકલ ઑન્ટોલૉજી’, એની વાત પાસે અટક્યો’તો. એ જોતાં, મને એમ લાગેલું ને લાગે છે કે એમની પદ્ધતિ અતિ અમૂર્ત વિભાવનાઓથી ખસીને નક્કર મૂર્ત વિભાવનાઓ તરફ વિકસી છે.
પણ હું જ મૂર્ત વાસ્તવની મોઢામોઢ મુકાઇ ગયો …
ફીનૉમિનોલૉજિને મેં આવિષ્કારોનું અધ્યયન કહેલું – અ સ્ટડિ ઑફ ફિનૉમિના. પણ એટલે પછી, મને અંજપ થયેલો કે એ શી ચીજ છે તે મારા વાચકને કેવી રીતે સમજાવું, એવું શું લખું કે એ આખી વાત એના ગળે ઊતરી જાય.
પણ એ પહેલાં તો મારું જ ગળું પકડાઈ ગયું. કોરોનાના ડંખથી મારી તો બોલતી જ બંધ અને ગળામાં દુખાવો પાર વગરનો. ખાંસી પર ખાંસી. ગળા નીચે થૂંક આદિ આન્તરદ્રવ તો આસાનીથી ઊતરી જાય છે, પણ એમ ન ઊતર્યા, ખૂબ જોર કરી ઊંકારાથી ધક્કો મારવાનો – પણ એટલે જે પીડા ઊપડે, ન પૂછો ! સમગ્ર સંવેદના ત્રમત્રમી ઊઠે. એ દુખાવો માત્ર ને માત્ર અનુભવવાની વસ્તુ છે. દુ:ખ વિસ્તરીને બન્ને કાન લગી પ્હૉંચે, લાગે કે ફાડી નાખશે, પણ એમ થાય નહીં. બન્ને હથેળીમાં ચ્હૅરો સાહીને વિચારું કે – હું છું તો ખરો ને ! એ જુલમ મેં ઘણો વેઠ્યો. સ્પર્શની ઇન્દ્રિય જુદી નથી હોતી – મજ્જા – મજ્જા ઉપરની ત્વચા – ત્વચા જેની બની છે એ ત્રણે ત્રણ ત્વચાપડ, સમજો, શરીર આખું !
આ ‘શરીર’ સંજ્ઞા પાસે હું અટકી ગયો. સૅક્સ્યુઅલ રીલેશન્સ સૅક્સથી રચાય છે અને સૅક્સ શરીર વિના અસંભવ છે.
મને ફ્રૅન્ચ ફિલસૂફ મર્લો પૉન્તિ (1908-1961) યાદ આવ્યા. એમની વાતો યાદ આવી.
પૉન્તિએ ‘ફીનૉમિનોલૉજિ ઑફ પર્સેપ્શન’ ગ્રન્થ લખ્યો છે. એમ કે પર્સેપ્શનની – ઇન્દ્રિયબોધની – ફીનૉમિનોલૉજિ કેવીક છે.
એમના મન્તવ્યોને સમજવા માટે આપણે ‘ફીનૉમિનન’ અને તેની ‘લૉજિ’ શું છે તે સમજવું પડશે; એટલે કે, ફીનૉમિનનને જો આવિષ્કાર કહીએ છીએ તો એનું શાસ્ત્ર શું છે તે સમજવું પડશે.
ફીનૉમિનન એક એવી હકીકત છે, એક એવી ઘટના છે, એક એવો આવિષ્કાર છે, જે જ્ઞાનેન્દ્રિયોનો વિષય છે. એને આંખથી નીરખી શકાય, કાનથી સાંભળી શકાય, ચાખી શકાય, સૂંઘી શકાય, સ્પર્શી શકાય.
ફિલસૂફીમાં ‘ફીનૉમિનન’ સંજ્ઞા કાન્ટ દ્વારા વપરાતી થઈ. એમણે એને ‘નૉમિનન’ સંજ્ઞાના વિરોધમાં પ્રયોજી. ‘નૉમિનન’ એટલે એક એવી વસ્તુ, એક એવી ઘટના, જે સ્વત: હોય છે, જેને માનવ-શરીર કે ઇન્દ્રિયોના આધારની જરૂરત નથી હોતી.
Picture Courtesy : Pinterest
પૉન્તિ કહે છે કે માનવ-શરીર, ચેતના અને વિશ્વ એકમેક સાથે જટિલ સ્વરૂપે ગૂંથાયેલાં છે અને એકમેક સાથે સતત “ઍન્ગેજ્ડ” છે – પ્રવૃત્ત છે – સક્રિય છે – વ્યસ્ત છે.
આપણી પરમ્પરામાં થયેલી પાંચ જ્ઞાનેન્દ્રિયોની અને પાંચ કર્મેન્દ્રિયોની વાત સુવિદિત છે. માનવ-શરીર ઇન્દ્રિયગ્રામ કહેવાય છે.
ઇન્દ્રિયો .. ઇન્દ્રિયપ્રત્યક્ષ .. ઇન્દ્રિયબોધ .. એમ વિચાર વિકસતો રહે છે. સૅન્સિસ, સૅન્સિસથી સૅન્સેશન, સૅન્સેશન્સથી પર્સેપ્શન, પર્સેપ્શનથી ઍક્સપીરિયન્સ, એમ પણ વિચાર વિકસતો ચાલે છે.
પૉન્તિ પર્સેપ્શનના અધ્યયનની શરૂઆતમાં ‘સૅન્સેશન’ સંજ્ઞાને યાદ કરે છે. દર્શાવે છે કે પોતાને રતાશનું કે ભૂરાશનું સૅન્સેશન થાય છે, ગરમ કે ઠંડાનું સૅન્સેશન થાય છે, તો તુર્ત થાય છે, સ્પષ્ટપણે થાય છે. પૉન્તિને એ સ્વીકારવામાં કશી તકલીફ નથી પડી કે આપણી કોઇ પણ જ્ઞાનેન્દ્રિયથી લાધતો બોધ આમ સદ્ય અને વિશદ હોય છે, પણ તેઓ કહે છે કે પરમ્પરાગત વિશ્લેષકો એના ફીનૉમિનનને, પર્સેપ્શનના ફીનૉમિનનને, ચૂકી ગયા છે.
પૉન્તિએ દેકાર્તના ‘કોગિટો’ સામે – હું વિચારું છું માટે હું છું એ સિદ્ધાન્ત સામે – ‘બૉડિ-સબ્જેક્ટ’-નો વિકલ્પ મૂક્યો છે. એમણે ચેતના, વિશ્વ અને વિવિધ ઇન્દ્રિયબોધના પરસ્પરના સમ્બન્ધો અને કાર્યો વિશે ગ્રન્થમાં એમના અંગત ‘હું’-ના સૂરમાં સરસ ફિલસૂફી પીરસી છે.
આમ તો, સુનામી, ચન્દ્રગ્રહણ, ધુમ્મસ, વનદવ, ધરતીકમ્પ વગેરે પણ ફીનૉમિનન છે. પણ પૉન્તિ એમ જણાવે છે કે ફીનૉમિનલ થિન્ગ શરીર અને સૅન્સરી-મૉટરનાં ફન્ક્શન્સને જોડનારું એક રૂડું સમ્બન્ધક છે, કો-રીલેટ છે.
એમનું કહેવું એમ બને છે કે શરીર એક સબ્જેક્ટિવિટી રૂપે આ દુનિયાની ફ્રેમમાં ઇરાદાપૂર્વક વસ્તુઓને વિસ્તારે છે. અને ત્યારે એ વિશ્વને વિશેની પોતાની સમજને પ્રયોજે છે. એ સમજ પ્રી-કૉન્સ્યસ હોય છે, પ્રી-પ્રૅડિક્ટિવ હોય છે.
સમજાશે કે કશી પૂર્વનિશ્ચિત ધારણા-અવધારણાઓથી બચવાની આ વાત છે. માત્ર આત્મા કે માત્ર ચિત્તને નહીં પણ શરીરને શું અનુભવાય છે ત્યાંથી શરૂ થવાની આ વાત છે.
શારીરિક પ્રક્રિયાઓ – શરીર ગળવા કે બગડવા માંડે; ફૂલછોડવા અને અન્ય સજીવોમાં બીજાંકુરણ થાય; વગેરેને પણ ફીનૉમિના કહેવાય છે. ફીનૉમિના ફીનૉમિનનનું બહુવચન છે.
= = =
(વિશેષ હવે પછી.)
(February 5, 2022: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર