– વધતી આર્થિક અસમાનતાનો કોઈ ઈલાજ ખરો?
– દર્પણ જૂઠ ન બોલે; માનવીના જીવનધોરણના બે છેડાની હકીકતો આપતાં ત્રણ અહેવાલો એક સમયે બહાર પડયા છે
સંયુક્તરાષ્ટ્ર સંઘની બીજા વિશ્વયુદ્ધ પછીના વિશ્વના વિવિધ ક્ષેત્રો અને રાષ્ટ્રીય સરકારો પર જે અસર હતી તે આજે ૨૧મી સદીમાં ઈરાકના યુદ્ધ પછી રહી નથી. આમ થવામાં, એ સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ જ્ર્યોજ બુશ અને બ્રિટનના વડાપ્રધાન ટોની બ્લેરનો મોટો ફાળો હતો. પણ, 'યુનો’ની રચના પછી બીજી સંલગ્ન સંસ્થાઓ યુએનડીપી, યુનેસ્કો, ડબલ્યુએચઓ, યુનિસેફે વિશ્વસ્તરે ઘણો ફાળો આપ્યો છે. આવી પ્રવૃત્તિઓમાં માનવીય વિકાસ અંગેનો વિશ્વના ૧૮૭ રાષ્ટ્રોનો, યુએનડીપી દ્વારા તૈયાર કરાતા અહેવાલ એક સીમાચિહ્ન બની ગયો છે. બીજો અહેવાલ, વૈશ્વિક ગરીબી અંગેનો છે.
માનવીય વિકાસ અંગેનો અહેવાલ, વિશ્વના ૧૮૭ રાષ્ટ્રોના લોકોના જીવનધોરણ વિશે અને એમાં શું ખૂટે છે તેની જાણ દેશ અને દુનિયાએ કરે છે. આમાં ત્રણ બાબતો પર મુખ્ય ધ્યાન રખાય છે. એક, જન્મ પછી જીવનનું આયુષ્ય; બીજું શિક્ષણનો વ્યાપ અને તંદુરસ્ત જીવન અને ત્રીજું જીવનધોરણનું સ્તર. આ અને આને લગતી બીજી ઘણી બાબતોની તપાસ કરી, જે તે દેશ માટે માનવ વિકાસ આંક (Index) તૈયાર કરાય છે અને રાષ્ટ્રોને એના ક્રમ પ્રમાણે ગોઠવાય છે. એક અર્થમાં, આ અહેવાલ ૧૮૭ રાષ્ટ્રો સામે ધરાતું દર્પણ છે.
આ રાષ્ટ્રોના રાજનેતાઓ, પોતાના દેશના વિકાસ માટે, જાતજાતના દાવા કરતા હોય છે. ભારતનો ક્રમ ન ટોચમાં છે કે ન તળીએ. ૨૦૧૩માં ભારતનો ક્રમ ૧૩પમો છે. જે ૨૦૧૨માં પણ એ જ હતો. ૧૯૮૦થી ૨૦૧૩ના ૨૩ વરસમાં ભારત આ યાદીમાં વચ્ચે રહ્યું છે. આ ગાળામાં માત્ર ભારતના સરેરાશ આયુમાં ૧૧ વરસનો વધારો નોંધાયો છે. ભારતના અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ જીડીપીના વિકાસદરની વારંવાર વાત કરતા હોય છે. જીડીપીનો દર પ હોય કે ૯ પણ આના કારણે, બાળમૃત્યુ, સાક્ષરતા કે ગર્ભવતી માતાની સ્વાસ્થ્ય જાળવણીમાં સુધારો થતો નથી. એ સુધારો તો સામુદાયિક પ્રયાસથી થાય છે.
સામાન્ય માન્યતા એવી છે કે, આ યાદીના ટોચના ક્રમે અમેરિકા, જાપાન, ચીન, રશિયા કે જર્મની હશે, કારણ આ રાષ્ટ્રો સમૃદ્ધ ગણાય છે.જ્યારે એશિયા અને આફ્રિકાના દેશો આમની તુલનામાં પાછળ હશે. પણ, એવું નથી. માનવીય વિકાસના આંકમાં, ટચુકડો દેશ ર્નોવે પ્રથમ ક્રમે અને ચીન છેક ૯૧ ક્રમે છે. દક્ષિણ કોરિયા ૧૧૮મા ક્રમે, જ્યારે ભારત ૧૩પમા ક્રમે છે. આ ક્રમ સ્પષ્ટપણે સાબિત કરે છે કે, એકલી સમૃદ્ધ, ઉદ્યોગીકરણને માનવીય વિકાસ સાથે સીધો સંબંધ નથી.
તાજેતરમાં રચાયેલ વિશ્વના પાંચ દેશોના સમૂહ જે BRICSના નામે ઓળખાય છે અને BRICS એટલે કે, બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચાઈના અને સાઉથ આફ્રિકા જેની બેઠકમાં ભારતના વડાપ્રધાન હમણાં જઈ આવ્યા. આ પાંચ રાષ્ટ્રોમાં પણ, ભારતના પાંચમાં ક્રમે છે. આશ્ચર્ય એ વાતનું છે કે, દક્ષિણ આફ્રિકા જ્યાં લોકો એઈડ્સથી સૌથી વધુ પિડાય છે એનો ક્રમ, ભારતની ઉપર ૧૧૮મો છે. પડોશી દેશોની સાથે તુલના કરીએ તો, પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં ભારત આગળ છે. બહુ આગળ નહીં પણ, પાકિસ્તાન ૧૪૨મા ક્રમે અને બાંગ્લાદેશ ૧૪૬મા સ્થાન પર છે.
યુએનડીપીનો બહાર પડેલો બીજો અહેવાલ વિશ્વમાં પ્રવર્તતી ગરીબી અંગેનો છે. ભારતમાં તો શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં એક નાગરિક રોજ કેટલું કમાય તો ગરીબ ગણાય એનો વિવાદ વરસોથી ચાલે છે. બિચારા ગરીબને તો ખબરે ય નહીં હોય કે, એની ગરીબીના માપદંડમાં શ્રી રંગરાજન કે સકસેના જેવા અર્થશાસ્ત્રીઓના નામ જોડાય છે. અત્યારે વિશ્વમાં તો સામાન્ય સ્વીકૃત ધોરણ એ છે કે, જે નાગરિક દૈનિક ૧.૨૦ ડોલર કે તેથી ઓછું કમાતો હોય તો તે ગરીબ ગણાય.
આ હિસાબે, વિશ્વમાં ૧૨૦ કરોડ ગરીબો છે અને બીજા ૮૦ કરોડ આ રેખાની આજુબાજુ છે. પણ, આ બે અહેવાલો બહાર પડયા એ જ અરસામાં ભારતમાં પિરામીડની ટોપ પર વસતા ધનાઢયો અને એમની જીવનશૈલીની વિગતે માહિતી આપતો અહેવાલ, કોટક વેલ્થ મેનેજમેન્ટ અને અર્નેસ્ટ યંગે સંયુકત રીતે બહાર પાડયો છે. આ અહેવાલ ભારતના અતિ ધનાઢય એવા ૧પ૦ કુટુંબો જે પ્રત્યેક ઓછામાં ઓછી ૨પ કરોડની ઘરગથ્થુ સંપત્તિ ધરાવે છે તેમના અંગે છે.
ભારતમાં આવી ધનાઢય વ્યક્તિઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે; ૨૦૧૪માં એમની સંખ્યા ૧ લાખ ૧૭ હજાર છે. ૨૦૧૩માં આ સંખ્યા ૧ લાખ ૯ હજાર હતી. અહેવાલ જણાવે છે કે, ૨૦૨પમાં આ સંખ્યા વધીને ૩ લાખ ૪૩ હજાર થશે. વસ્તીની દૃષ્ટિએ માત્ર ૦.૦૦પ ટકા છે; પણ એમની પાસેની કુલ સંપત્તિ ૧૦૪ લાખ કરોડ રૂપિયા છે; જે ૨૦૨પમાં ૪૦૮ લાખ કરોડ થશે.વિશ્વ સામે એવું દૃશ્ય છે? ગરીબીની રેખા નીચે જીવનાર દૈનિક રૂ. ૨૦ કમાય છે. જ્યારે પિરામીડની ટોચ પર જીવનાર વ્યક્તિ પાસે ૨પ કરોડ રૂપિયા છે.
વિશ્વની પરિભાષામાં કહીએ તો એક રોજના ૧.૨૦ ડોલર કમાય છે તો બીજા ૪૧ લાખ ડોલર કમાનાર છે. આમાં મોટે ભાગે, ભારતના મોટા ઉદ્યોગગૃહો, ધનાઢય કુટુંબો, ગર્ભશ્રીમંત મોજશોખમાં આળોટે છે? અતિ ધનાઢયનો આ સર્વે જણાવે છે કે, આમાંના ૧૩ ટકા વરસમાં પ વખત વિદેશયાત્રાએ જાય છે; પતિ-પત્ની એક રાત રહેવા રૂ. ૧,૨૦,૦૦૦ ખર્ચ કરે છે. એમનો મોટા ભાગનો ખર્ચ ઝરઝવેરાત, કપડાં, ઈલેક્ટ્રોનિક સંસાધનો, ઘરસુશોભન, વિવિધ અપ્રાપ્ય ગણતા શરાબ અને પેઈટિંગ પાછળ થાય છે. ૧૯પ૦-૬૦ના દાયકામાં સૌથી વધુ આવક અને સૌથી ઓછી આવકનું શું પ્રમાણ હોવું જોઈએ?
એની ભારત અને પશ્ચિમ દેશોમાં વ્યાપક ચર્ચા થતી. ઘણા ટોચના આગેવાનો આ પ્રમાણ ૧:૧૦નું હોવું જોઈએ એવું માનતા. પણ એ તો, ભૂતકાળમાં સમાઈ ગઈ. હવે તો વિશ્વની સૌથી ધનાઢય વ્યક્તિ કોણ? સૌથી વધુ કિંમતી ઘર કોનું? સૌથી મોંઘી મોટરકારનું વેચાણ કેટલું થયું? એનો જ દોર આવ્યો છે. કોઈક વાર ધનના આ પિરામીડના નળિયાની કથા તો કદીક ભૂલમાં કરાય છે. ફ્રાન્સ પ્રમુખ અર્થશાત્રી શ્રી પીકેટી એ તાજેતરમાં આજના યુગ અંગે Capital નામનું દળદાર પુસ્તક લખી સાબિત કર્યું છે કે, કેટલીયે રાજ્ય કે આર્થિક વ્યવસ્થા આવી ને ગઈ પણ આર્થિક અસમાનતાઓ વધ્યે જ જાય છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 07 અૉગસ્ટ 2014