મોતીરામને પહેલાં તો નવાઈ જ લાગી. કોઈ દિવસ બે શુકન વિના ગોપાળની વાત ન કરનારી તિલકા આજે આ શું બોલી રહી હતી ?
એણે એક પળ તિલકા સામે જોયું. એના ચહેરામાં ખરેખર કાંઈક ફેરફાર હતો. એણે જે કહ્યું તેની સચ્ચાઈ ત્યાં બેઠી હતી. પણ એ તો તિલકાનું ભલું પૂછવું ! ઘડી ઘડીના રંગ બતાવનારને હાથે પાછો પોતે મૂરખ ન બની જાય તે માટે મોતીરામ સંભાળથી બોલ્યો, ‘’લે, આજ તો તારી રસોઈ પણ કાંઈ ઓર બની છે ! કાંઈ થયું છે કે શું ?’
’થાય શું ? મારી રસોઈ તો હમ્મેશાં આવી જ હોય છે. પણ તમારું મન ઠેકાણે હોય તો ને ? પણ મેં કહ્યું એ વાત કેમ ખાઈ ગયા ? ગોપાલને ક્યારે બોલાવો છો ?’
’બોલાવીશું, બોલાવીશું. હજી તો હમણાં જ ગયો છે !’
‘હમણાં શેણે ગયો છે ? આજ દિવસ થાશે પંદર !’
‘પણ એક–બે મહિના રહેવા દે. ત્યાં મામી જરાક ખોખરો કરશે, તો તારો જીવ લેતો આળસશે ! હું એને બોલાવું તો આહીં આવશે કે પછી તારે એની એ પંચાત ! નાતાં, ખાતાં, વાત કરતાં, રમકડાં આપતાં રડ, રડ ને રડ ! બે મહિના ભલે ત્યાં રહ્યો !’
‘પણ મને સૌ ખાઈ જાય છે.’
‘એ તો બોલે સૌ. બે દી બોલશે. એમને જો વીતે, તો ન બોલે !’
તિલકાની આંખમાંથી દડ દડ આંસુ પડવા લાગ્યાં.
મોતીરામ બોલ્યા : ‘અરે ! પણ એમાં રડે છે શાની ? બીજા બોલે છે; પણ મેં કહ્યું છે તને કંઈ?’
‘તમે કહ્યું નથી; પણ મને હવે તો જાણે સૌ કહી રહ્યાં છે!’
‘સૌ એટલે કોણ કોણ ? એક તો આપણાં ઝમકુકાકી હશે. એ ચોવીસે કલાક નવરાં છે!’
તિલકા આંખ લુછીને ગંભીર થઈ ગઈ : ‘મને સૌ કહી રહ્યાં છે. ઝમકુકાકી પણ નહીં ને જડાવમામીયે નહીં. એ કોઈ કાંઈ બોલતાં નથી; પણ બીજાં મને બોલી રહ્યાં છે !’
‘એકનું નામ લે ને !’
‘એક તો જાણે – આ તમારી જુઈની વેલી !’
‘જુઈની વેલી !’
મોતીરામ સાંભળીને નવાઈ પામી ગયો ! પહેલાં તો એ કાંઈ સમજ્યો નહીં. પોતાની બીજી વહુ પણ ગાંડી થઈ ગઈ કે શું ? એવું એને મનમાં લાગતાં એ ગભરાટમાં પડી ગયો. એની પહેલી વહુ નર્મદા સુવાવડમાં ગાંડી થઈને મરી ગઈ હતી ને છ વરસના ગોપાળને સાચવવાનું એના માથા પર આવ્યું હતું. એણે માન્યું હતું કે તિલકા એ છોકરાને જાળવી લેશે. પણ તિલકા તો દિવસના એક હજાર રંગ દેખાડનારી અજબની બાઈ નીકળી ! ગોપાળને સાચવવાનો તો એક બાજુએ રહ્યો; પણ ગોપાળના વાંક વિનાની એક વાત એની પાસે ન હોય ! તેલ ગોપાળે ઢોળ્યું હોય. પ્યાલો ગોપાળને સંભારતાં ફૂટી ગયો હોય. દાળ દાઝી હોય તો પ્રતાપ ગોપાળનો હોય. દૂધ ઊભરાઈ ગયું હોય; પણ એ તો ગોપાળ કૂતરાની પાછળ દોડતો હતો ને પોતે એને લેવા દોડી તેમાં એમ થયું હોય !
આખા ઘરની ગેરવ્યવસ્થા ગોપાળને નામે ચડતી. ગોપાળને નામે બધી જ વાત બનતી. અને હમ્મેશાં સાંજે તો આ છોકરાથી થાકીને તિલકાએ રોવાનું જ બાકી રાખ્યું હોય !
ને તે ય મોતીરામના દેખતાં જ શરૂ થાય.
એટલે મોતીરામ થાકીને ગોપાળને એના મામાને ત્યાં મૂકી આવ્યો હતો. ત્યાર પછી ઘરમાં શાન્તિ હતી. પણ તિલકાને આજે આવી વાત કરતી જોઈને મોતીરામ આશ્ચર્યમાં પડી ગયો ! એને પહેલાં લાગ્યું કે સૂરજ પશ્ચિમમાં ઊગવાનો કે શું?
પણ જુઈની વેલીની વાત સાંભળીને તો એ ગભરાટમાં પડી ગયો! એને થયું કે તિલકા પણ ગાંડપણને પંથે વળી કે શું?
તેણે તેની સામે જોઈને કહ્યું : ‘આવી ગાંડી વાત શું કરે છે ? જુઈની વેલી ક્યાં ય બોલતી હશે?’
‘જુઈની વેલી તો બોલે છે; પણ પેલો કરણનો છોડ પણ બોલે છે ! એ પણ કહે છે, બાઈ, તારો દીકરો તેં ક્યાં મુક્યો?’ તિલકા કંઈક આવેશથી બોલી.
‘લે હવે ગાંડાં કાઢ મા, ગાંડાં. બોલ, આજે આપણે જાવું છે સિનેમામાં ?’
‘ગોપાળ વિના નહીં !’ તિલકા બોલી.
‘પણ તને થયું છે શું, તિલકા ? કેમ આમ અચાનક ગોપાળની વાત કરવા મંડી છે ? એક મહિનો એ ભલે ત્યાં રહ્યો .’
‘પણ મને જાણે તમારું આખું ફળી ઠપકો આપતું સંભળાય છે !’
‘હવે ઘેલાં કાઢ મા, ઘેલાં !’
મોતીરામ સમજી શક્યા નહીં કે આવો અચાનક ફેરફાર તિલકામાં ક્યાંથી આવી ગયો ? એણે ક્યાંક પુસ્તકમાં વાંચ્યું હતું કે આવા અચાનક ફેરફારો ગાંડપણની આગાહી કરે છે. આ તિલકા પણ ગાંડી થઈ જશે તો દુનિયા આખી એને હસશે!
તે હાથ ધોઈને એકદમ ઊભા થઈ ગયા : ‘તને બતાવવાનું તો હું ભૂલી ગયો,’ તે પ્રેમથી બોલ્યા, ‘આપણા ફોટા આવ્યા છે !’ તે બહાર જઈને કોટના ખીસ્સામાંથી ફોટા લઈ આવ્યા.
પણ તિલકાએ તો તેની સામે પણ જોયું નહીં!
મોતીરામને આ ફેરફારનું મૂળ સમજાયું નહીં.
એટલામાં ત્યાં ફળીમાં રહેનારી કાળવી કૂતરી બારણે આવી ચડી. મોતીરામને નવાઈ લાગી. તિલકા આ કૂતરી સામે જોઈ રહી હતી. એમને લાગ્યું કે ખરેખર, આ તો ગાંડપણની શરૂઆત લાગે છે. તેની પછવાડે ચાર નાનાં ગલુડિયાંની લંગાર લાગી હતી. એટલામાં તો ‘બીચ્ચારાં’ એમ બોલીને તિલકા ત્યાંથી તરત ઊભી થઈ ગઈ.
મોતીરામને એની વાતમાં કાંઈ સમજ પડી નહીં. કૂતરીનાં ચાર ગલુડિયાં તરફ જોઈને એમને કાંઈક સાંભરી આવ્યું હોય એમ બોલ્યા : ‘આની ભેગાં બે બીજાં બચ્ચાં કોનાં આવ્યાં છે ? આ પણ આખાં મલકનાં ભેગાં કરે છે !’
તિલકા મોતીરામને જવાબ આપતી હોય તેમ ધીમેથી બોલી : ‘હું પશુમાંથી પણ ગઈ એમ ?’
‘શાની વાત કરે છે ?’ મોતીરામે ઉતાવળે પૂછ્યું.
‘આ બધાં બચ્ચાં આનાં નથી, એ તમને ખબર છે ?’
મોતીરામને નવાઈ લાગી. તેણે વાત આગળ વધારવા માટે જ કહેવાની ખાતર કહ્યું : ‘ના.’
‘ત્યારે જુઓ. પેલી આપણી લાલ કૂતરી બે દિવસ પહેલાં મોટરમાં આવી ગઈ અને એના ફૂદડેફૂદડાં થઈ ગયાં !’
‘અરર ! પણ એને તો બીચારીને બે બચ્ચાં હતાં !’
‘તે બે દી તરફડતાં રહ્યાં. રોતાં ફર્યાં. ત્રીજે દિવસે આ કાળવીએ પોતાનાં બે બચ્ચાં સાથે એમને પણ જાળવી લીધાં છે! આજ બે દિવસ થયા હું એ જ જોયા કરું છું. એનાં બચ્ચાં પેલી મરેલી માનાં બચ્ચાંને લડે છે, તો આ કાળવી નમાયાંનો પક્ષ ખેંચે છે! અને આ તો પશુ છે ! મને લાગે છે, મને આ આખું ફળી જાણે એકલી બેઠી હોઉં ત્યારે ઠપકો આપે છે ! તું પશુમાંથી પણ ગઈ !’’ અને તિલકા રોટલો લાવીને પેલાં બચ્ચાં પાસે ભૂકો કરવા બેસી ગઈ. મોતીરામ એ જોઈ રહ્યો. એટલામાં તિલકાની આંખમાંથી દડદડ આંસુ પડવા માંડ્યાં. તે પોતાના પાલવથી આંસુ લો’તી બોલી : ‘તમારે મને પશુમાંથી ન કાઢવી હોય તો ગોપાળને તેડાવી લ્યો. આ તમામ વૃક્ષો ને ફળી પણ જાણે મને કાંઈક કહી રહ્યાં હોય એવું લાગે છે. હું પશુથી પણ નપાવટ થઈ ગઈ, એમ ?’
મોતીરામ તો વાતનો આવો અંત જોઈને પળવાર સ્તબ્ધ જ થઈ ગયો !
એટલામાં તિલકા બોલી : ‘તમે ગોપાળને બોલાવવાનું કરશો તે પછી જ મારે ઘી ખપે તેમ છે. આ પશુને કોણ કહેવા આવ્યું હતું કે તું નમાયાંને સંભાળી લેજે ? એને કોણે કહ્યું, કહો !’
‘અરે ! આવી વાતમાં તે શું જીવ રાખે છે ?’ મોતીરામ બોલ્યા.
‘તમે મને પેલી વાત કહી હતી તે મને સાંભરે છે. પેલા એક સાધુ હિંદ છોડી જતા હતા ત્યાં ત્રણ નમાયાં કૂતરાંનાં બચ્ચાંને જોઈને, પોતાના અંચળામાં એમને રાખી લીધાં. એ કોની વાત છે ?
‘એક સાધુ હતા. અતીશા એનું નામ.’
‘એ હૃદય કેવું હશે ? – જેણે પેલાં ત્રણ નમાયાં બચ્ચાંને પોતાનાં કરી લીધાં !’
(મૂળ નામ : ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જન્મ : 12 ડિસેમ્બર 1892 − અવસાન : 11 માર્ચ 1965)
– ‘ધૂમકેતુ’ની વાર્તાઓ (સમ્પાદક : અનન્તરાય રાવળ : ‘આપણો સાહિત્ય–વારસો’ : ૧૯૭૩ – પાંચ પુસ્તકોનો સમ્પુટ, આવૃત્તિ પહેલી : ૨૬ જાન્યુઆરી, ૧૯૭૩, આ પાંચેય પુસ્તકોના સમ્પુટની કિમત રૂપિયા – દસ, પ્રકાશક : મહેન્દ્ર મેઘાણી, લોકમિલાપ ટ્રસ્ટ, ૧૫૬૫ સરદારનગર, ભાવનગર–૩૬૪ ૦૦૧) પાન ૧૩૩ પરથી સાભાર .. : ઉત્તમ ગજ્જર)
સૌજન્ય : “સન્ડે ઈ–મહેફીલ” – વર્ષ : નવમું – અંક : 282 – November 03, 2013