સમર્થ સાહિત્યકાર, સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા, મહાગુજરાત આંદોલનના ઘડવૈયા, સમાજવાદી ઘરાનાના બૌદ્ધિક, સંઘર્ષશીલ એટલા જ સંસદપટુ જયન્તિ દલાલ (૧૯૦૯-૧૯૭૦)નું આ શતાબ્દી વર્ષ છે. જયારે ગ્રામજીવનની વાર્તાઓનો ફાલ ઊતરી રહ્યો હતો ત્યારે એ ‘શહેરની શેરી’ના મરમી જાણતલ પેરે ઊભર્યા અને નિરંજન ભગતના શબ્દોમાં ‘અખાના કુળના અમદાવાદી’ બની રહ્યાં. જેમ આંદોલન અને જાહેરજીવનમાં તેમ પ્રયોગશીલ લેખનથી માંડી સામયિક અને દૈનિક પત્રકારણમાં ઘણુંખરું તો સામેપૂર કરેલી સઘન ને સભર કામગીરી સબબ એ લાંબો સમય યાદ રહેશે. જેમ પરચક્ર તેમ સ્વચક્ર પણ નાગરિકની તકેદારી માગી લે છે એનાં ઓસાણ જેને કદાપિ ન છૂટયાં તે લોકો માંહેલા એ હતા. પરિણામે, શાસન કે સમાજમાં જે પણ પરિવર્તનોમાં તેઓ નિમિત્ત બન્યા, એ સઘળાં નવરૂપ સાથે પણ એક એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ અભિગમથી જ પેશ આવવાનું એમને લમણે લખાયેલું, બલકે એમણે વહોરેલું હતું. ‘યુદ્ધ અને શાંતિ’ (તોલ્સ્તોય) સરખી અનુવાદપસંદગી કે બાળકો આ પૃથ્વી પર અવતરવાનો ઇનકાર કરે છે એવી અનેરી કલ્પના લઈને આવતું ‘અવતરણ’ નાટક, આ પૃથ્વી શી વાતે અવતરવા જોગ બને એની ઊડી નિસબતનાં ધોતક છે. મહાગુજરાત આંદોલનમાં ખાંભી સત્યાગ્રહના સાતત્યપૂર્ણ સંચાલનમાં, કોટવાલ પંચ સમક્ષ વિગતમાહિતીખચીત દસ્તાવેજી રજૂઆતમાં, મુનશી પાસેથી સાહિત્ય પરિષદને લોકશાહી રૂપ અપાવવામાં, ‘એક આદમી અને બેત્રણ ડમી એટલે એકેડેમી’ એવા સરકારી રવૈયાની ખબર રાખવામાં એ સતત પ્રગટ થતા રહ્યાં. હારમાં ઉજળા, જીતમાં ઉફરા.