મૂળ નામ તો ક્ષેમેન્દ્ર દીવેટિયા, પણ એ નામે ભાગ્યે જ કોઈ એમને ઓળખે. સંગીત અને કવિતાના ક્ષેત્રે કામ કરનારા સૌના એ ક્ષેમુભાઈ, કેટલાકના ક્ષેમુકાકા. ૧૯૨૪ના ઓક્ટોબરની પહેલી તારીખે જન્મ. ગયા મહિનાની ૩૦મીએ અવસાન. જેની અટક દીવેટિયા હોય તેને સંગીત અને સાહિત્યના સંસ્કાર વારસામાં ન મળે તો જ નવાઈ.
કહેવાય છે કે પાંચ વર્ષની ઉમ્મરે ક્ષેમુભાઈ શાસ્ત્રીય રાગોને ઓળખી શકતા. પિતા વીરમિત્ર ભીમરાવ દીવેટિયા હતા તો વિજ્ઞાનના અધ્યાપક, પણ સંગીતમાં સાચો રસ. અમદાવાદના ગુજરાત સંગીત મંડળમાં આગળ પડતો ભાગ લે. એટલે નાનપણમાં જ ક્ષેમુભાઈએ ખાંસાહેબ અલાદિયાખાં, ખાંસાહેબ અબ્દુલ કરીમખાં, પંડિત ઓમકારનાથજી, કેસરબાઈ જેવાં દિગ્ગજ સંગીતકારોને સાંભળેલાં. પંડિત ઓમકારનાથજીની આગળ તો બાળક ક્ષેમુએ ગાયેલું પણ ખરું. વર્ષો પછી આ અંગે તેઓ લખે છે : ‘મને યાદ છે કે મેં એમની આગળ ઊભા રહીને ‘મિતવા’ (નિલાંબરી) ગાયેલું. પપ્પા અને પંડિતજી ખાટ ઉપર બેઠેલા ને મેં ખાટનો સળિયો પકડી રાખેલો!’
કૉલેજમાં વિજ્ઞાનનો અભ્યાસ કર્યો, મેડિકલ રેપ્રિઝન્ટેટિવ તરીકે નોકરી કરી, કેમિસ્ટનું કામ કર્યું, મિત્રો સાથે સ્વતંત્ર વ્યવસાય કર્યો, પણ ક્ષેમુભાઈએ નાનપણમાં ખાટનો સળિયો પકડી રાખેલો તેમ મોટાપણે સંગીતને પકડી રાખેલું. કહે છેઃ ‘એ વખતે સાઈકલ પર જતો ત્યારે રિધમ બેસી જાય, સાઉન્ડ મળી જાય અને ગીત તૈયાર થઈ જાય. બિઝનેસ પાર્ટનર સારો હતો એટલે જાઉં ન જાઉં તો ચાલે!’ સુગમ સંગીતમાં પણ ક્ષેમુભાઈ હંમેશાં પાર્ટનર તરીકે ઉત્તમ કવિઓને જ પસંદ કરતા. નરસિંહ મહેતાથી માંડી નર્મદ, નરસિંહરાવ દીવેટિયા અને નાનાલાલ તો બીજી બાજુ સુન્દરમથી માંડીને તુષાર શુકલ સુધીના કવિઓનાં કાવ્યોને તેમણે સંગીતબદ્ધ કર્યાં. સંગીતકાર તરીકેની કારકિર્દીની શરૂઆત રંગભૂમિથી થઈ. ચન્દ્રવદન મહેતાએ જૂની રંગભૂમિનાં કેટલાંક ગીતો ક્ષેમુભાઈ પાસે રેકોર્ડ કરાવેલાં. ૧૯૫૯માં ઑલ ઈન્ડિયા રેડિયોનું અમદાવાદ કેન્દ્ર શરૂ થયું ત્યારથી ક્ષેમુભાઈ રેડિયો માટે ગાતા અને સંગીત નિયોજન કરતા રહ્યા. જયસુખલાલ ભોજક, હમીદ હુસેન ખાં અને વી. આર. આઠવલે જેવા ગુરુઓ પાસેથી ક્ષેમુભાઈએ શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધેલી.
ક્ષેમુભાઈ નાના હતા ત્યારે પિતાએ ભાવનગર રાજ્યના રાજગાયક ડાહ્યાલાલ શિવરામનું પુસ્તક ‘શ્રીસંગીતકલાધર’ વાંચવા આપેલું. ઘણા લાંબા વખત સુધી તેની અસર ક્ષેમુભાઈ અને તેમના સંગીત પર રહી. તેમાંનું એક ગીત ‘રંગ દેરી ચૂનરી, રંગ દે રંગરેજવાં તેમણે ‘બાજીરાવ મસ્તાની’ નાટકમાં ગોઠવેલું. અમદાવાદ આઈએનટી અને નૂપરઝંકાર ગરબાવૃંદોના કાર્યક્રમમાં ક્ષેમુભાઈએ શાસ્ત્રીય રાગોનો અને તરાનાનો પણ ઉપયોગ કરેલો. ચિત્રાંગદા, નળાખ્યાન, નર્મદ માય લાઈફ, પ્રવીણ જોશી દિગ્દર્શિત સપ્તપદી જેવાં નાટકો માટે પણ ક્ષેમુભાઈએ સંગીત તૈયાર કરેલું.
તેમણે માત્ર એક જ ફિલ્મ માટે સંગીત આપ્યું કાંતિ મડિયાની કાશીનો દીકરો માટે. તેના સંગીત માટે ક્ષેમુભાઈને તથા ચારે ગીતોનાં ગાયકગાયિકાને એવોર્ડઝ મળેલા. પણ ક્ષેમુભાઈનું કાયમી પ્રદાન અને સંભારણું તે તો ‘સંગીત સુધા’ ૫૭ જેટલા કવિઓના ઉત્તમ ગેય કાવ્યો, ૩૩ કલાકારો, લગભગ સો જેટલી કૃતિઓની રજૂઆત. પણ આત્મસંયમ એવો કે ક્ષેમુભાઈએ અને તેમનાં પત્ની સુધાબહેન તેમાં એકએક ગીત જ ગાયું છે! મામકાઃ અને પાંડવાઃ વચ્ચે ભેદ કરવાની મનોદશાનો ભોગ તેઓ કયારેય બન્યા નહીં. તેમના સિગ્નેચર ટયૂન જેવું’ કેવા રે મળેલા મનના મેળ’ સપ્તપદી નાટકમાં દીવેટિયા દંપતી ગાતાં, પણ પછી ‘કાશીનો દીકરો’માં એ જ ગીત લીધું, ત્યારે હર્ષિદા અને જનાર્દન રાવલ પાસે ગવડાવ્યું. સંગીતને ખાતર કાવ્યકૃતિનું કે માગને ખાતર સંગીતનું અહિત ક્ષેમુભાઈને હાથે ક્યારેય ન થાય. સંગીત અને કવિતા એમની કલાઉપાસનાની દેવીને બે કીકીઓ. નરસિંહરાવ દીવેટિયાની જેમ જાણે કહેતા ન હોય કેઃ
હું તો ઉભય તણો દ્રઢ ભક્ત બનીને રહું છું રે,
નિજ હૃદય ઉભય સૌન્દર્યનું બિંબ લહું છું રે.
(સદ્દભાવ : ‘વર્ડનેટ’, “મુંબઈ સમાચાર”, ૨૧.૦૮.૨૦૦૯)